આવતીકાલની પંદરમી ઓગસ્ટ, દેશના એક ઓર આઝાદી દિન તરીકે ઉજવાશે. એ નિમિત્તે દેશભરમાં ઠેરઠેર ત્રિરંગો લહેરાવાશે, રાષ્ટ્રગીતની સૂરાવલીઓ વહેડાવાશે, દેશપ્રેમનાં ગીતો ગવાશે અને રાષ્ટ્રભક્તિના જ નહીં રાષ્ટ્રવાદના કોલ અપાશે.
૧૪મી ઓગસ્ટ, ૧૯૪૭ની મધરાતે ભારતે બ્રિટિશરોની ગુલામી ફગાવી હતી. દિલ્હીના લાલ કિલ્લે ત્રિરંગો રાષ્ટ્રધ્વજ લહેરાયો હતો અને ‘ઝંડા અજર અમર રહેજે, વધવધ આકાશે જાજે’ જેવાં ગીતડાં ગવાયાં હતાં. આપણાં દેશમાં આપણું રાજ આવ્યું એટલે સૌનાં દળદળ ફીટશે, સૌ સારાં વાનાં થશે એવી આશા-આકાંક્ષાઓ ન માત્ર સેવાઈ હતી, મુખર રીતે વ્યક્ત પણ થઈ હતી, પરંતુ આજે આઝાદીના સવા દાયકે પાછળ વળીને જોઈએ છીએ તો ઘણીબધી નિરાશા પણ દેખાય છે. ભારતની આઝાદી માટે અંગ્રેજોએ ‘ટ્રાન્સફ્ર ઓફ પાવર’ એટલે કે ‘સત્તાનો બદલો’ એ શબ્દ વાપર્યો હતો.આજે લાગે છે કે તે જ સાચું છે. દેશમાં પ્રવર્તતી અસમાનતા, ભેદભાવ, આભડછેટ, શોષણ, ઉત્પીડન અને એવું ઘણું ઘણું વેઠતાં વર્ગ માટે માત્ર ગોરાને બદલે કાળા શાસકો કે યુનિયન જેકને બદલે ત્રિરંગો જ આવ્યાં છે. એમના જીવનમાં ઝાઝો ફેર પડયો નથી એમ લાગે છે.
ગાંધી-નહેરુ-પટેલની સ્વરાજ ત્રિપુટીના વડેરા રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી ૧૫મી ઓગસ્ટના આઝાદી દિને તેનો જશન મનાવવા દિલ્હીના લાલ કિલ્લે નહોતા. સુદૂર કલકત્તે કોમી આગ ઠારતા હતા. ૧૪મી ઓગસ્ટ, ૧૯૪૭ની સાંજે તેમણે કલકત્તાની મારવાડી ક્લબની મુલાકાત લઈ કહ્યું હતું, “આપણે અંગ્રેજોની ગુલામીમાંથી મુક્ત થઈએ છીએ પણ હિંદુસ્તાનના ટુકડા થાય છે. એટલે (આઝાદી દિન) ખુશીનો તેમ જ ગમગીનીનો દિવસ છે”. તેના અઠવાડિયા પહેલાં પટણામાં એ વદેલા, “પંદરમી ઓગસ્ટ તો આપણી પરીક્ષાનો દિવસ છે. આ જે સ્વરાજ આવ્યું છે તે કાંઈ દીવાબત્તી કે રોશની કરી ઊજવવા જેવું નથી આવ્યું. આજની, અનાજ, કપડાં, ઘી, તેલ વગેરેની તંગીમાં ઉત્સવ શો ઊજવવો.” ગાંધીજી માત્ર આવું કહીને ન અટક્યા અમલ પણ કર્યો. સ્વરાજ મળ્યું પણ દેશના ભારત-પાકિસ્તાન એમ બે ભાગલા પડયા. ભાગલા અને ભાગલા પછીના રક્તપાતના દુઃખે દુઃખી ગાંધીજીએ ૧૫મી ઓગસ્ટે ઉપવાસ કર્યો હતો! દેશ આખો આઝાદીનો ઉત્સવ મનાવતો હતો ત્યારે ‘બિના ખડગ બિના ઢાલ’ આઝાદી અપાવનાર ગાંધીજી ઉપવાસ કરતા હતા.
૧૯૪૭ અને ૨૦૧૯ની ઓગસ્ટની પંદરમી વચ્ચે દેશ ઘણો બદલાયો છે. ઘણાં પરિવર્તનો આવ્યાં છે. શિક્ષણ વધ્યું છે, ગરીબીના આંકડા ઘટયા છે. અનાજમાં સ્વાવલંબન આવ્યું છે. દીકરીઓ ભણતી જ નથી, નોકરીઓ પણ કરે છે. દર ચૂંટણીએ લોકશાહી વધુ પુખ્ત થઈ છે. આ વરસે જ સત્તરમી લોકસભાની ચૂંટણી થઈ. ભારતીય જનતા પક્ષની સત્તાવાપસી વધુ બેઠકો સાથે થઈ છે. ૧૭મી લોકસભાના પ્રથમ સત્રમાં જે સંસદીય કાર્ય થયું છે તે વીત્યા ઘણાં દાયકા પછીનું મોટું કાર્ય છે, પરંતુ નવી લોકસભાના સભ્યોએ સોગંદ લેતી વખતે જે નારાબાજી કરી તે સંસદને ધર્મસંસદ કહેવી પડે તેવી હતી. સંસદનું બાકીનું સત્ર ભલે શાંતિ અને સરળતાથી ચાલ્યું પણ સોગંદવિધિ ટાણાના જય શ્રી રામ, વંદેમાતરમ્ કે અલ્લાહ હો અકબરના નારા એ કંઈ વિવિધતામાં એકતા નહોતા દર્શાવતા કે તેમાં કોઈ કોમી એખલાસ પણ નહોતો, તેમાં સબળાઈ કે ચડિયાતાપણું બતાવવાના પ્રયાસો હતા. દબાવીશું અને નહીં દબાઈએ, ડરાવીશું અને નહીં ડરીએનો એ સંદેશ હતો.
જે સંસદમાં જોવા મળ્યું તે સડક પર સમાજમાં પણ જોવા મળે છે. ટોળાં દ્વારા હિંસા અને અસહિષ્ણુતાની ઘટનાઓ, સ્ત્રીઓ, ખાસ કરીને બાળકીઓ અને કિશોરીઓના યૌનશોષણમાં વધારો, અર્થતંત્રમાં મંદીની વાતો અને બેરોજગારી, દલિતો-આદિવાસીઓ પરના જઘન્ય અત્યાચારો, ગુણવત્તાહીન સરકારી શિક્ષણ અને ધંધાદારી ખાનગી શિક્ષણની હાટડીઓ, આરોગ્યના નામે પ્રવર્તતું અનારોગ્ય, ર્ધાિમક ઉન્માદ અને સૌ કોઈની અનામત વર્ગમાં સામેલ થઈ જવાની દોડ – આ સઘળું દર્શાવે છે કે દેશ માટે આ લક્ષણો સારાં નથી. ઉન્નાવ અને સોનભદ્રની તાજેતરની ઘટનાઓ અને ઉન્નાવ મુદ્દે સુપ્રીમ કોર્ટના હસ્તક્ષેપ પછીની સ્થિતિ પણ આઝાદી કોના માટે છે તેવો સવાલ કરે છે. બળુકા અત્યાચારીઓને કથિત સત્તાની ઓથ અને માલ્યા જેવાની વિદેશમાં મોજ પણ લોકશાહી માટે ચિંતાનો વિષય છે.
ભારતીય જનતા પક્ષે લોકસભાની ૩૦૩ બેઠકો મેળવીને કેન્દ્રમાં સત્તા જાળવી રાખી છે. વડાપ્રધાને સંસદના આરંભે વિપક્ષે તેની સંખ્યાની ચિંતા કરવા જેવું નથી તેનાં સૂચનો લોકશાહીમાં જરૂરી છે તેમ કહીને સત્તાપક્ષ માટે જ નહીં લોકતંત્ર માટે વિપક્ષનું શું મહત્ત્વ છે તે ચીંધ્યું હતું, પરંતુ સત્તાભૂખ્યા ચૂંટાયેલા વિપક્ષી સભ્યો અને તેને આવકારવા સદા તત્પર સત્તાપક્ષોને જોતાં ગોવા, કર્ણાટક, ગુજરાત, મહારાષ્ટ્ર, તેલંગાણા, બંગાળ જ નહીં રાજ્યસભાના પક્ષપલટા – તંદુરસ્ત લોકશાહીની નિશાની નથી. નરી સત્તાલાલસા અને સત્તાપરસ્તીમાં મસ્ત જનપ્રતિનિધિઓના આ હાલ વચ્ચે વિધાનગૃહોમાં ચર્ચાનું નિમ્ન સ્તર અને બંધારણીય સંસ્થાઓનું પતન આઝાદી દિને નહીં તો ક્યારે વિચારવા મજબૂર કરશે?
લાલ કિલ્લાની રાંગેથી આઝાદી દિને અપાનારા વડાપ્રધાનના રાષ્ટ્રજોગ સંદેશમાં ન માત્ર એમના, પ્રત્યેક દેશવાસીના મનની વાત હશે. સૌના સાથ અને સૌના વિકાસમાં હવે વડાપ્રધાને સૌનો વિશ્વાસ શબ્દ ઉમેર્યો છે. તેમની સરકાર ગરીબ વંચિત તરફી હોવાની વાત તેમણે વારંવાર સ્પષ્ટ કરી જ છે. ‘મારા સ્વપ્નનું સ્વરાજ તો ગરીબનું સ્વરાજ છે. સ્વરાજમાં જ્યાં સુધી ગરીબ વર્ગને તેની સુવિધાઓની ખાતરી ન મળે ત્યાં સુધી તે પૂર્ણ સ્વરાજ નહીં હોય.’ તેવું ગાંધીજીએ કહ્યું હતું. ગાંધીજીના સ્વપ્નના સ્વરાજને ઢુંકડું લાવવાના પ્રયાસ જ ગરીબોને સ્વરાજનો શાતાદાયી સ્પર્શ કરાવી શકશે. ગરીબો માટે આઝાદી અને ત્રિરંગો એટલે સ્વમાનભેર, સ્વતંત્રતા સાથે મળતાં રોટી, કપડાં અને મકાન. આવી આઝાદી જે દિવસે જનજન સુધી પહોંચશે તે દિવસે ઓગસ્ટની પંદરમી રોજરોજ અને ઘેરઘેર હશે.
e.mail : maheriyachandu@gmail.com
પ્રગટ : ‘ચોતરફ’ નામક લેખકની સાપ્તાહિક કટાર, “સંદેશ”, 14 ઑગસ્ટ 2019