
રવીન્દ્ર પારેખ
‘… ત્યાં કોઈ સુવિધા નહોતી કે કોઈ પોલીસ નહોતી. તમારી પાછળ ગાડીઓનો મોટો કાફલો હોય છે. જ્યારે વી.આઇ.પી. આવે ત્યારે ઉપર હેલિકોપ્ટર હોય છે. આ બધું અમારા ટેક્સ પરથી જ ચાલે છે ને? તો અમારા માટે કેમ કોઈ સુવિધા નહીં? તમારે જવાબ દેવો પડશે, મારા ઘરનો સ્તંભ જતો રહ્યો છે, પાછો આપો. છોકરાને એન્જિનિયર અને દીકરીને ડૉક્ટર બનાવવી છે, હવે હું શું કરીશ?’ કાશ્મીરમાં સબ સલામતના દાવાની પોલ ખોલતા આ શબ્દો સુરતનાં શીતલ કળથિયાએ કેન્દ્રીય મંત્રી સી.આર. પાટિલને ભારે હૈયે સંભળાવ્યા છે. આ શીતલ કળથિયાના પતિ શૈલેષભાઈ, 22 એપ્રિલે જમ્મુ કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકી હુમલામાં માર્યા ગયા છે.
આખા દેશ પર કોઈએ પ્લાસ્ટિક વીંટીને ગૂંગળાવવાની કોશિશ કરી હોય તેવી હાલત ભારતનો નાગરિક અનુભવી રહ્યો છે, તે એટલે કે પહેલગામની મિનિ સ્વિત્ઝરલેન્ડ ગણાતી બૈસરનની લીલીછમ ખીણને ચાર પાંચ આતંકવાદીઓએ 26 પ્રવાસીઓનાં ઢીમ ઢાળીને લોહિયાળ કરી મૂકી છે. કેટલાક પ્રવાસીઓની જેમ આતંકી હુમલામાં ત્રણ ગુજરાતીઓએ પણ જીવ ગુમાવ્યા, તેમાં સુરતના શૈલેષ કળથિયા પણ ખરા. એ જ શીતલ કળથિયા પહેલગામની બૈસરન ખીણની વ્યવસ્થા વિષે કહે છે, ‘હું નીચે આર્મી કેમ્પમાં બૂમો પાડી પાડીને કહેતી હતી કે ઉપર કેટલા લોકો ઇજાગ્રસ્ત છે, તમે લોકો જલદી જાઓ અને કૈંક કરો. અમે ઉપરથી પડતાં આખડતાં નીચે ઊતર્યાં તો પણ ઉપર કોઈ ફેસિલિટી નહોતી પહોંચી. ઉપર આટલું બધું થઈ ગયું હતું અને નીચે આર્મીને કેમ ખબર ન પડી કે આવું થઈ ગયું છે? આતંકવાદીઓ અમારી સામે આવીને ગોળી મારી જાય છે, હિન્દુ-મુસ્લિમોને અલગ કરીને હિન્દુઓના બધા ભાઈઓને ગોળી મારે છે તો આપણી આર્મી કરે છે શું? લાખોની સંખ્યામાં આર્મી હતી ત્યાં અને જ્યાં ટુરિસ્ટ પ્લેસ છે ત્યાં કોઈ આર્મી મેન, પોલીસમેન કે કોઈ ફર્સ્ટ એડ કિટ નહીં. કૈં જ સુવિધા નહીં. તેમાંથી પણ એક આર્મી મેન કહે છે કે તમે લોકો ઉપર ફરવા જ શું કામ જાઓ છો?… આ રીતનું જ હતું તો તમે અમને જવા જ શું કામ દો છો?’
આ દારુણ ઘટના પચીસેક વરસે પુલવામા હુમલા પછી સામે આવી છે. કલમ 370ની નાબૂદી પછી, જુદા જુદા રાજ્યોમાંથી આવેલા પ્રવાસીઓ બપોરના સમયે બૈસરન ખીણમાં ઘોડેસવારીમાં, ખાણીપીણીમાં વ્યસ્ત અને મસ્ત હતા, ત્યારે જ આતંકીઓ પોલીસ/સૈનિકના વેશમાં ત્રાટક્યા અને ધર્મ પૂછીને, વીણી વીણીને માણસોને પૂરી નિર્દયતાથી લાશોમાં ફેરવતા ગયા. એક મહિલા અઠવાડિયા પહેલાં જ થયેલાં લગ્નનું હનીમૂન માણવા લેફ્ટનન્ટ પતિ સાથે આવી હતી. પતિને લોહીનું ખાબોચિયું બનેલો જોતાં તેણે પોતાને પણ મારી નાખવાનું કહ્યું, તો આતંકવાદીએ તેને છોડી દેતાં કહ્યું, ‘આ નરેન્દ્ર મોદીને કહેજે.’ એ પરથી એટલું સમજાય છે કે દેશના વડા પ્રધાન આતંકીઓને અને તેમના પાલનહાર પાકિસ્તાનને કેટલું ખૂંચતા હશે. એ મહિલા પર દાખવાયેલી ઉદારતાથી તેના સર્વનાશમાં તો ફેર નહીં પડે, પણ વડા પ્રધાનને સુરક્ષા મામલે વધુ ચિંતિત અને સક્રિય થવાનો મેસેજ તો એ આતંકીએ આપી જ દીધો છે. આતંકીઓએ પર્યટકો પર નિર્મમતાથી ગોળીઓ જ નથી વરસાવી, ત્યાંના કાશ્મીરીઓની રોજી-રોટી પણ આંચકી લીધી છે.
આ ઘટનાએ દેશની સુરક્ષા વ્યવસ્થામાં રહેલાં છીંડાં પણ બતાવી દીધાં છે. સીધો સવાલ એ છે કે દેશમાં પૂરતા સૈનિકો છે ખરા? એક વીડિયોમાં જનરલ બક્ષી કહેતા સંભળાય છે કે દેશના જવાનોની ભરતીમાં 1,80,000નો કાપ મૂકાયો છે. જરૂરી સ્ટાફ વગર ચલાવવાનો ઉદ્યમ લશ્કરમાં પણ કરાય તો એ શત્રુઓને આમંત્રણ આપવા જેવું જ છે કે બીજું કૈં? આ કરકસર ઘાતક છે. એ તો ઠીક, રોજના ચાર પાંચ હજાર પ્રવાસીઓ પહેલગામની બૈસરન ઘાટીની મુલાકાતે આવતાં હોય ત્યાં જવાનોની એક પણ ટુકડી ન હોય એ યોગ્ય છે – જ્યાં ખબર છે કે કાશ્મીરમાં નાના મોટા આતંકી હુમલાઓની નવાઈ નથી? છાશવારે આતંકીઓ ઠાર થતાં હોય કે જવાનો યુદ્ધ વગર શહીદ થતા હોય તે કાશ્મીરનાં પ્રવાસી સ્થળો પર સુરક્ષા વ્યવસ્થા ચુકાય એ અક્ષમ્ય છે. બૈસરનમાં આતંકીઓ એમ જ ઊતરી આવ્યા નથી, એ સાવ નિર્ભય થઈને ભરબપોરે આવ્યા છે. તે ગયા પછી તેમની શોધખોળ ચાલી છે ને તેમના સ્કેચિઝ પણ જાહેર થયા છે, પણ તેમને આવવામાં કોઈ મુશ્કેલી નડી નથી તે શીતલ કળથિયાનાં નિવેદન પરથી પણ સમજાય એવું છે.
પહેલગામના આતંકી હુમલાની જવાબદારી ‘ધ રેજિમેન્ટ્સ ફ્રન્ટ (ટી.આર.એફ.)’ લઈ ચૂક્યું છે. એ હુમલાનો માસ્ટર માઇન્ડ સૈફુલ્લાહ ખાલીદ/કસૂરી છે જે લશ્કર-એ-તૈયબાનો ઉપપ્રમુખ છે. તે પી.ઓ.કે. તરફથી ભારત વિરોધી પ્રવૃત્તિઓમાં સક્રિય છે. 2025ની એક બેઠકમાં સૈફુલ્લાહે જાહેર કર્યું છે કે 2 ફેબ્રુઆરી, 2026 સુધીમાં કાશ્મીર પર કબ્જો કરવા પ્રયત્ન કરશે. તેણે છડેચોક જાહેર કર્યું છે કે આવનાર સમયમાં મુજાહિદ્દીન હુમલાઓમાં વધારો થશે. આવી આગોતરી જાહેરાતો છતાં, પહેલગામમાં સુરક્ષા અંગેની ઉદાસીનતા ઘાતક નીવડી છે, એટલું જ નહીં, એ પણ નોંધવું ઘટે કે પહેલગામનો હુમલો આખરી નથી…
એ પણ છે કે આતંકવાદીઓએ તક સાધીને 26 નિર્દોષોને નિર્જીવ કર્યા છે. એમને ખબર છે કે અમેરિકી ઉપરાષ્ટ્રપતિ ભારતના પ્રવાસે છે ને વડા પ્રધાન સાઉદી એરેબિયાના પ્રવાસે છે. અમેરિકી ઉપરાષ્ટ્રપતિ ભારત વિશેની ચોક્કસ છાપ લઈને જાય અને વડા પ્રધાનને સાઉદી એરેબિયામાં પણ આતંકી શક્તિઓની હિંસક કાયરતાનો પડઘો સંભળાય, એટલે આ હુમલો થયો છે. આ પછી પણ વડા પ્રધાન એર સ્ટ્રાઈક કે સર્જિકલ સ્ટ્રાઈક કરીને જ રહી જવાના હોય તો તે અધૂરું ને અપૂરતું છે. ટૂંકમાં, આતંકીઓ પૂરેપૂરા સફાયાને લાયક છે. ખરી જરૂર તો પાકિસ્તાનને પાઠ ભણાવવાની છે, જેણે આતંકવાદીઓને પોષ્યા છે ને વિશ્વભરમાં આતંકવાદનો ફેલાવો કર્યો છે. એ પાકિસ્તાન અત્યારે હાથેપગે છે, તો ય ટંગડી ઊંચી રાખવાનું ચૂકતું નથી. સ્વતંત્રતા પહેલાં એનું અલગ અસ્તિત્વ ન હતું, એમ જ આ ધરતી પર એનું અસ્તિત્વ ક્યાં ય ન રહે એવી કાર્યવાહી કરવાની જરૂર છે.
સરકારે કાર્યવાહી કરવા માંડી છે, તો પ્રજાએ પણ ટુરિઝમ પર બ્રેક મારવા માંડી છે. 90 ટકા ટ્રાવેલ, હોટેલ અને ફ્લાઇટ બુકિંગ રદ્દ થઈ ગયાં છે. ફ્લાઇટ્સના એડવાન્સ બુકિંગમાં પણ 40 ટકાનો ઘટાડો જોવાયો છે. પહેલગામી આતંકવાદી હુમલાને કારણે ટુરિઝમને 12,000 કરોડનો ફટકો પડવાની ધારણા છે. એ ખરું કે મુસ્લિમોએ હુમલાને વખોડ્યો છે, પણ ગળું ખોંખારીને એ અવાજ પાકિસ્તાન સુધી પહોંચે એવો બુલંદ કરવાની જરૂર છે. પાકના સંરક્ષણ મંત્રી ખ્વાજા આસિફે બધો દોષ ભારત પર ઢોળતાં, આ હુમલા સાથે પાકિસ્તાનને કૈં લેવાદેવા નથી તેવો રાગ આલાપ્યો છે ને આ બધું તેમનાં જ ઘરમાં થયું છે એવું પણ ઉમેર્યું છે. થોડા દિવસ પર પાકિસ્તાનના સેનાધ્યક્ષ આસિમ મુનિરે કોઈ જેહાદીની જેમ હિન્દુઓ અને ભારતની વિરુદ્ધ પોતાની ઘૃણાસ્પદ માનસિક્તાનું વરવું પ્રદર્શન કર્યું હતું, તે એટલે કે સળગતાં બલૂચિસ્તાન તરફથી દુનિયાનું ધ્યાન હટે. પાકિસ્તાનનું લક્ષ્ય એ જ છે કે કાશ્મીરનું જનજીવન સામાન્ય ન થાય. બાકી, હતું તે રોબર્ટ વાડ્રાએ પૂરું કર્યું. તેમણે કહ્યું કે મુસ્લિમો પોતાને નબળા અનુભવી રહ્યા છે એટલે આ હુમલો થયો છે. કોઈ પણ સમજુ માણસ ન કરે એવું વિધાન વાડ્રાએ કર્યું છે. તેમને પૂછી શકાય કે પહેલગામમાં હુમલો કરનારા કોણ હતા તે જાણીને તેઓ આવું કહી રહ્યા છે? આખો દેશ આઘાતમાં હોય, તમામ રાજકીય પક્ષો ને સંગઠનો સરકારની સાથે રહી હુમલાને વખોડતાં હોય ત્યારે વાડ્રાનું આ વિધાન દેશ હિતમાં નથી ને લોક હિતમાં તો બિલકુલ નથી-
પાકિસ્તાન ઓકયુપાઈડ કાશ્મીર(Pok)નું કોકડું વર્ષોથી ગૂંચવાયેલું છે. Pok લઈને રહીશું એવું બોલી બોલીને કાઁગ્રેસી સરકાર ગઈ, પણ કૈં વળ્યું નહીં અને ભા.જ.પ.ની સરકારને પણ દાયકો થયો, હજી સુધી Pok ત્યાંનું ત્યાં જ છે. તે લેવાનું મુહૂર્ત ખબર નહીં ક્યારે આવશે? જો કે, 22 એપ્રિલના પહેલગામમાં થયેલા આતંકી હુમલા સંદર્ભે મોદી સરકારે કેટલાંક અસરકારક પગલાં લેવાની જાહેરાત કરી છે. જેમ કે, અટારી બોર્ડર બંધ કરી છે. સિંધુ જળ કરાર અટકાવ્યો છે. સિંધુ જળ સંધિ અંતર્ગત પાકિસ્તાનને પાણી આપવાનું બંધ કરાયું છે. પાકિસ્તાની દૂતાવાસ બંધ કરવામાં આવ્યો છે. પાક નાગરિકોના વિઝા રદ્દ કરવામાં આવ્યા છે ને 48 કલાકમાં ભારત છોડવાનું અલ્ટિમેટમ અપાયું છે. એ સાથે જ પાકિસ્તાની નાગરિકોને ભારત આવવા પર પણ પ્રતિબંધ મુકાયો છે. આ બધાંની અસર પડવી જોઈએ, પણ એટલાથી પાકિસ્તાનની શાન ઠેકાણે આવે એમ નથી. એક યુદ્ધમાં મરાય એટલા માણસો મરાયાં છે, પણ આતંકવાદ પર પૂર્ણવિરામ મૂકી શકાયું નથી. આતંકવાદમાં પરિણામ યુદ્ધ જેટલું જ ભયંકર આવ્યું હોય તો પાકિસ્તાન નકશામાં જ ન રહે એ આજની તારીખે સૌથી વધુ અપેક્ષિત છે. ભારતને વેઠવાનું આવશે, એ તો આમ પણ ક્યાં ઓછું વેઠવાનું આવ્યું છે? આટલું વેઠ્યા પછી પણ યુદ્ધ જ માથે ઊભું રહેવાનું હોય તો રાહ કોની જોવાની છે?
કૂટનીતિ કે માથાકૂટનીતિ જુદો નિર્ણય લેવડાવે તો વાત જુદી છે, બાકી, લાતોં કે ભૂત બાતોં સે નહીં માનતે-એની સઘળી જ પાત્રતા પાકિસ્તાન ધરાવે છે તે ભૂલવા જેવું નથી …
000
e.mail : ravindra21111946@gmail.com
પ્રગટ : ‘આજકાલ’ નામક લેખકની કટાર, “ધબકાર”, 25 ઍપ્રિલ 2025