
રાજ ગોસ્વામી
વૈવિધ્યપૂર્ણ ગાયન કલાના માલિક કિશોર કુમાર વિશે આ દેશમાં ભાગ્યે જ કોઈ અજાણ હશે. અદ્દભુત ગાયન શૈલી અને અનન્ય કોમિક ટાઇમિંગથી તેમણે ચાહકોનાં હૃદયમાં એક અલગ સ્થાન બનાવ્યું છે. કિશોર કુમાર માત્ર તેમનાં ગાયન માટે જ પ્રખ્યાત નહોતા, પરંતુ તેમણે પોતાના રમતિયાળ સ્વભાવથી પણ દરેકને મોહિત કર્યા હતા.
અભિનેતા અશોક કુમારના ભાઈ હોવા છતાં તેમને હિન્દી સિનેમામાં પોતાનું સ્થાન બનાવવા માટે ઘણો સંઘર્ષ કરવો પડ્યો હતો. અશોક કુમાર તેમના જમાનામાં એક બહુ મોટા સ્ટાર હતા, પરંતુ કિશોર કુમારે તેમની અનન્ય કળા દ્વારા એથી પણ મોટું સ્થાન હાંસલ કર્યું છે.
કિશોર સાચ્ચે જ કલાકારનો જીવ હતો. તેમણે તેમની કળામાં જીવનના વિવિધ રંગોને જે આબાદ રીતે ઝીલ્યા છે, તેવું બીજા કોઈ વિશે કહેવું મુશ્કેલ છે. તેમની કારકિર્દીને જુઓ તો ખ્યાલ આવે કે કેવી રીતે તેમણે જ્યેષ્ઠ બંધુના પગલે હિન્દી સિનેમામાં પગ મુક્યો હતો અને એક સાધારણ ગાયક તરીકે શરૂઆત કરીને ધીમે ધીમે ફિલ્મ નિર્માણની તમામ કલાને હસ્તગત કરીને એક ઘેઘૂર વ્યક્તિત્વ બનાવ્યું હતું.
આજે ભલે આપણે તેમને એક સુમધુર ગાયક તરીકે યાદ રાખતા હોઈએ, પરંતુ તેમની બહુમુખી પ્રતિભા માત્ર ગાયન સુધી સીમિત નહોતી. કિશોર કુમારમાં ફિલ્મ નિર્માણની, એક્ટિંગની અને સંગીતકારની પણ બહેતરીન કુશળતા હતી. પ્લેબેક સિંગિંગની તેમની યાદી તો બહુ મોટી છે પરંતુ તેમણે તે દરમિયાન 14 ફિલ્મોનું નિર્દેશન કર્યું હતું. એ રીતે તે તેમના સમય કરતાં ખૂબ આગળ હતા.
તેમને ચોક્કસ પ્રકારની વાર્તાઓ કહેવી હતી, તેમનું જીવન પ્રત્યે ચોક્કસ દર્શન હતું, તેમનામાં ચોક્કસ પ્રકારની લાગણીઓ હતી અને મુખ્ય ધારાની હિન્દી ફિલ્મોમાં તેના માટે જગ્યા નહોતી. એટલે તેમણે જાતે એ વાર્તાઓ કહેવા માટે ફિલ્મો બનાવી હતી. તેમની ફિલ્મો આજે પણ ગવાહી પૂરે છે કે બહારથી ચંચળ લાગતા કિશોર કુમાર ભીતરથી કેટલા ગંભીર અને દાર્શનિક હતા.
1971માં આવેલી તેમની ફિલ્મ ‘દૂર કા રહી’ આ કિશોર કુમારની સાક્ષી છે. તે ફિલ્મમાં તેમનો બાયોડેટા એકદમ સમૃદ્ધ છે; સ્ટોરી, સ્ક્રીનપ્લે, મ્યુઝિક, પ્રોડ્યુસર અને ડિરેક્ટર બધું જ કિશોરના નામે. ઓફકોર્સ, ફિલ્મના મુખ્ય કિરદારમાં પણ પોતે જ હતા અને પ્લેબેક સિંગિંગ પણ ખુદનું હતું.
તેનાં ગીતો આજે પણ યાદગાર છે. ‘બેકરાર દિલ, તું ગાયે જા, ખુશિયોં સે ભરે વો તરાને’માં તમને વિન્ટેજ કિશોર કુમાર સાંભળવા મળે છે. કિશોર કુમારનું પહેલું હોમ પ્રોડક્શન ‘ચલતી કા નામ ગાડી’ હતું અને તેમાં કિશોરે કોમેડી કરી હતી, પરંતુ ‘દૂર કા રાહી’ના આ અને અન્ય ગીતોને સાંભળો તો તેમાં પીડા અને સંવેદના ભરેલી છે.
કિશોરના અવાજમાં જેટલી મસ્તી હતી, વ્યથા પણ એટલી જ હતી. અને આ ગીતમાં તેની ઝલક જોવા મળી હતી. આ ગીત ડ્યુએટ હતું (પડદા પર તે જ્યેષ્ઠ બંધુ અશોક કુમાર અને તનુજા પર ફિલ્માવાયું હતું) અને સુલક્ષણા પંડિતે કિશોરને સાથ આપ્યો હતો. સુલક્ષણા પંડિતે ગાયનની શરૂઆત કરી તે સમયનું તેમનું આ મહત્ત્વનું ગીત છે.
ફિલ્મનું બીજું એક ગીત કિશોર કુમારનું ફેવરિટ હતું;
પંથી હૂં મૈં ઉસ પથ કા,
અંત નહીં જિસકા,
આસ મેરી હૈ જિસકી દિશા,
આધાર મેરે માનન કા.
ફિલ્મના ગીતકાર તરીકે ઈર્શાદ જલીલીનું નામ પણ છે અને કિશોર કુમારનું પણ. આ ગીત કોણે લખ્યું હતું તેની સ્પષ્ટતા નથી. આખું ગીત શુદ્ધ હિન્દીમાં છે. માત્ર બે જ શબ્દો વિદેશી છે; રાહ અને ખુશી. તેના પરથી એવું અનુમાન કરી શકાય કે આના શબ્દો કિશોર કુમારે લખ્યા હોવા જોઈએ. એક બીજી વિશેષતા પણ છે કે આ ગીતમાં રવીન્દ્રનાથ ટાગોરનાં બે ગીતોનું પણ મિશ્રણ છે. આ કામ કિશોર કુમારનું જ હોવું જોઈએ.
આ ગીત સાંભળો તો તમને એવો સવાલ જરૂર થાય કે આ જ ગાયકે ‘મૈં હૂં ઝૂમ ઝૂમ ઝૂમ ઝૂમરૂ’ ગાયું હતું? ગીતમાં નાયકના દિલની પીડા પણ હતી અને જીવન દર્શન પણ. ગીત ફિલ્મની વાર્તાનો આધારસ્તંભ પણ છે.
ગીતના મુખડામાં ખબર પડે છે કે નાયક એક અંત વગરના માર્ગ પરનો યાત્રી છે, અર્થાત તે લક્ષ્ય વગર ભટકી ગયો છે, પરંતુ તે આશાની દિશામાં ચાલી રહ્યો છે અને તે આશા જ તેના આત્મસન્માનનો આધાર છે. બહુ ગહન વિચાર છે.
પથિકને લક્ષ્ય મળતું નથી, પરંતુ આશા સાથે તેની ખોજ જારી રાખવી તે તેનું આત્મસન્માન છે તેમ માનીને તે કર્મરત છે. આ પથિકના માર્ગમાં સુખ અને દુઃખ બંને આવે છે, કાંટા અને ફૂલ બંને આવે છે, અંધારું અને પ્રકાશ બંને આવે છે. અને આ નાની-નાની ક્ષણો ફૂલઝડી બનીને માર્ગદર્શક બને છે.
‘દૂર કા રાહી’ પ્રશાંત નામના માણસની વાર્તા છે, જે સમાજની સુખાકારી માટે અનંત સફર પર નીકળે છે. પ્રશાંત પીડિત અને ગરીબ લોકોની સેવા માટે પોતાનું જીવન સમર્પિત કરે છે. તેના આ ભક્તિ ભાવની ડગલે ને પગલે પરીક્ષા લેવાય છે.
તેને ઘણી બાબતો લલચાવે છે, પરંતુ પ્રશાંત અમુકને અવરોધી જાય છે અને અમુકનો દૃઢતાથી સામનો કરે છે. તે તેના મિત્રો અને વિરોધીઓ બંનેને કરુણાનો સંદેશો પહોંચાડવામાં સફળ રહે છે. ફિલ્મમાં કિશોર કુમારનું જીવન દર્શન ઝળકે છે. આ ફિલ્મ જીવનના હેતુ અને માનવ સંબંધની ક્ષણભંગુરતાનો વિચાર કરે છે.
ફિલ્મમાં કિશોર કુમારનું નિર્દેશન અને ચિત્રણ તેમના બિનપરંપરાગત અભિગમ માટે યાદ રહી જાય તેવું છે. તેમાં ફિલોસોફિકલ અર્થો સાથે કોમેડીનું મિશ્રણ છે. આ ફિલ્મ એક રીતે જીવનનો અર્થ અને સ્વને સમજવાનો પ્રયાસ છે. આવો કિશોર કુમાર લોકો માટે તદ્દન અજાણ્યો છે. ફિલ્મમાં ત્યાગની ભાવના પણ છે. એક દૃશ્યમાં કિશોરને એક નિર્ણય કરવાનો છે – તનુજા સાથે રહેવું કે પછી બધું છોડી દેવું.
‘દૂર કા રાહી’નો પ્રશાંત તમને સિદ્ધાર્થ ગૌતમ બુદ્ધની યાદ અપાવે છે. સિદ્ધાર્થની જેમ તેના જીવનમાં રોમેન્ટિક પ્રેમનું કોઈ સ્થાન નથી, તેનો પરિવાર પ્રત્યે કોઈ લગાવ નથી અને તેનું કોઈ લક્ષ્ય નથી. પ્રશાંત આંતરમનની ખોજમાં ભટકતો એક આત્મા છે. ફિલ્મમાં હેમંત કુમારના અવાજમાં એક ગીત કિશોર પર ફિલ્માવાયું હતું, જેમાં ફિલ્મનું હાર્દનું હતું;
ચલતી ચલી જાયે, જિંદગી કી ડગર
કભી ખત્મ ના હો, યે સફર
મંજિલ કી ઉસે, કુછ ભી ના ખબર
ફિર ભી ચલા જાયે, દૂર કા રાહી
(પ્રગટ : ‘સુપરહિટ’ નામક લેખકની સાપ્તાહિક કોલમ, “સંદેશ”; 23 ઍપ્રિલ 2025)
સૌજન્ય : રાજભાઈ ગોસ્વામીની ફેઇસબૂક દીવાલેથી સાદર