એક સવાલ :
ચિ. જ્યોત્સનાને.
‘કોમવાદી હુલ્લડોમાં મુસ્લિમ બહૂલ વિસ્તારમાં ફસાઈ ગયેલા એક હિન્દુ પરિવારને બચવાની શક્યતા કેટલી?
(‘વ્હોટસએપ’માં આવેલ મેસેજ)
મારો જવાબ :
પૂરેપૂરી શક્યતા છે.
કારણ કે દરેક જાતિ અને ધર્મમાં રાક્ષસી તત્ત્વોની સાથે અમુક માનવવાદી લોકો હોય છે, પણ મારે બીજાની વાત નથી કરવી. હું મારા પરિવારની વાત કરું છું. ધ્યાનથી વાંચજો.
1992માં જ્યારે કોમી હુલ્લડો ફાટી નીકળ્યાં હતાં, જ્યારે મારો જન્મ પણ નહોતો થયો, ત્યારે મારો પરિવાર જ્યાં રહેતો હતો એ વિસ્તારમાં પણ આની અસર થઈ હતી. મારા મોટાભાઈને જન્મના દોઢ વર્ષે પોલિયો થયો હતો, જેની સારવાર માટે મારા મમ્મી પપ્પા દરેક મંદિર, મજાર, બાબા અને મોલવી પાસે ભટકતાં હતાં. સાથે જ કોઈ હોસ્પિટલ કે દવાખાના પણ બાકી નહોતા રાખ્યા. ત્યારે કોઈએ કહ્યું હતું કે, તમારા દીકરાને તિરુપતિ બાલાજી લઈ જાવ, ત્યાં એક મોટી ચેરિટી હોસ્પિટલ છે ત્યાં ઇલાજ પણ ફ્રીમાં કરે છે અને લોકો સાજા થઈ જાય છે.
ડૂબતાને જાણે તણખલું મળ્યું હોય, એમ મારા પપ્પા મોટાભાઈને લઈને તિરુપતિ ઊપડ્યા અને પાછળ મારાં મમ્મી, મારી બહેન અને અન્ય નાના ભાઈ સાથે અહીં સુરતમાં હાજર હતાં. લગભગ 3 મહિના પપ્પા ત્યાં રહ્યા અને સારવાર કરાવી પણ કઈ ફરક ન પડ્યો અને તેઓ ત્યાંથી રવાના થયા પણ જેવા તેઓ તિરુપતિથી નીકળ્યા અને અહીં ગુજરાતમાં દંગા ચાલુ થઈ ગયા હતા.
ઘરે પત્ની અને બે બાળકો એકલાં અને પોતે એક અપંગ બાળકને ખંભે બેસાડી સુરત સ્ટેશન પર રઘવાયા થઈ, ઘરે જવા વાહન શોધી રહ્યા હતા. શહેરમાં અફરા તફરીનો માહોલ હતો.
હવે સાંભળો મુદ્દાની વાત, જે સ્થળે એમણે આ બાપ દીકરાને પહોંચાડ્યા એ સ્થળ એટલે સુરતમાં વેડ રોડ વિસ્તારમાં આવેલ મુસ્લિમ વસ્તી ધરાવતી વિજયનગર સોસાયટીની બાજુની સોસાયટી; જ્યાં બહારથી આવેલ ઝનૂની ટોળાએ ભારે કત્લેઆમ કરીને લોહી રેડ્યું હતું. (અહીંયા જાહેરમાં જણાવીશ કે એ ટોળું કયું હતું તો કેટલાયની લાગણી છોલાઈ જશે એટલે આટલું તમે જાતે કલ્પના કરી લેજો) એ સમયે વિજયનગરના મુસ્લિમો પોતાના ઘર અને સંપત્તિ છોડીને જીવ બચાવવા ભાગી ગયા હતા.
અહીંયા એ પણ જણાવી દઉં કે, કેટલાં ય સ્ત્રી અને બાળકોને ત્યાંથી રાંદેર જેવા મુસ્લિમ એરિયામાં સલામત પોહચાડવાની કામગીરી એ જ વિસ્તારના હિંદુ ભાઈઓએ કરી હતી. જેને ભરોસો ના હોય જાતે જઈને વિજયનગર જોઈ આવજો, ત્યાંનાં જૂના રહીશોને પૂછી લેજો અને જૂનાં મકાનોના નકશીકામ અને મસ્જિદ જોજો તમને ખ્યાલ આવશે કે ત્યાં 1992 પેલા કોણ રહેતું હતું અને આજે કોણ રહે છે
એ મુસ્લિમ રિક્ષા ચાલકને પણ ખબર હતી કે એ વિસ્તારમાં જવું કેટલું જોખમ ભરેલું છે જ્યાં એના જ સહધર્મીઓની લાશ રોડે રઝળતી હતી. કદાચ એનો પણ વારો આવી જાય, અથવા પોતાના ધર્મના લોકો સાથે જે થયું એનો બદલો એ ધારત તો આ એકલા નિહત્થા લાચાર પિતા પુત્રને નુકશાન પહોંચાડીને પણ લઈ શકત. પણ એણે પોતાના પર જોખમ લઈ બંનેને સહી સલામત ઘરે પહોંચાડ્યા.
આ કોઈ કહાણી નથી, હકીકત છે જે મારા પરિવારના મોઢે સાંભળેલી છે. તમે ચાહો તો મને મારી વિચારધારા માટે સ્યુડો સેક્યુલરનું બિરુદ આપી શકો છો. પણ મારી નજરમાં જ્યાં સુધી એ દૃશ્ય જીવતું રહેશે, જેમાં મારા પપ્પા પોતાના અપંગ દીકરાને ખંભે લઈને પોતાના અન્ય બાળકો અને પત્નીની ચિંતામાં રઘવાયા થઈ, સુરત સ્ટેશને મદદ માંગતા હતા અને એવા સમયે એક મુસ્લિમે એમને સહી સલામત પરિવાર પાસે ઘરે પહોંચાડ્યા ત્યાં સુધી મારી નજરમાં દરેક મુસ્લિમ ખરાબ નહીં જ બને.
તમારી નફરત તમને મુબારક; પણ મને દાઢી ટોપી કે ભગવા કપડાં પછી દેખાય છે, પેલા જીવતો જાગતો શ્વાસ લેતો માણસ દેખાય છે. તમારે જે બિરુદ આપવું હોય એ આપો, હું હજુ કહીશ કે, ‘આંતકવાદનો કોઈ ધર્મ હોતો નથી’ કારણ કે મારી નજરમાં ‘ધર્મ એ જ સૌથી મોટો આંતકવાદ છે !’
[સૌજન્ય : Jyotsna Ahir]
સૌજન્ય : રમેશભાઈ સવાણીની ફેઇસબૂક દીવાલેથી સાદર