આતંકવાદ
ભાંગેલું હૈયું અને વિષાદછાયું મન
જેઓ સહેલાણીઓનાં ઢીમ ઢાળે છે તેઓ કાશ્મીરના અર્થકારણનું ગળું ટૂંપે છે. સરકારે અને સુરક્ષા તંત્રે જે કરવાનું છે તેમાં સફળતા સારુ એની શુચિર્દક્ષતા ઉપરાંત સંબંધિત સૌ પાસે, સવિશેષ અલબત્ત સત્તાપક્ષ પાસે સવિશેષ વિવેક અપેક્ષિત છે.

પ્રકાશ ન. શાહ
પાક ક્રિકેટર મોહમ્મદ હાફિઝ કને લાંબા આઘાતઆંચકા પછી પહેલગામની આતંકી ઘટના વિશે માત્ર બે, માત્ર બે જ શબ્દો હતાઃ સેડ એન્ડ હાર્ટબ્રોકન – ભાંગેલું હૈયું ને વિષાદછાયું મન. આવે પ્રસંગે પુલવામા યાદ આવે, તરત યાદ આવેઃ એક રીતે એ ચૂંટણીપૂર્વ પરિણામદાયી વળાંક જેવી બીના હતી. પણ અહીં સરખામણી અટકી જાય છે, તરત જ અટકી જાય છે, કેમ કે એ લશ્કરી જવાનો પરનો આતંકી હુમલો હતો જ્યારે લઘુક સ્વિટ્ઝરલેન્ડનું હુલામણું નામ પામેલ વિસ્તારમાં મંગળવારની ઘટના એ એક એવો આતંકી હુમલો હતો જે નિઃશસ્ત્ર સહેલાણીઓ પર હતો.
હુમલા માટેની સમયપસંદગી અમેરિકી ઉપપ્રમુખની ભારત મુલાકાતની છે એ નોંધ્યું તમે? આખી ઘટના કાશ્મીરચર્ચાને આંતરરાષ્ટ્રીય પરિમાણમાં મૂકી આપવા ન ઘડાઈ હોય જાણે! વડા પ્રધાન મોદીનું દેશ બહાર (અને તે પણ સાઉદીમાં) હોવું, આ સમયપસંદગી પણ સૂચક છેઃ કશાંક ઇસ્લામી/મુસ્લિમ પરિમાણનાં વમળો જગવવા વાસ્તે. મોદી અલબત્ત એમની હંમેશની સ્ફૂર્તિથી વહેલા દિલ્હી પરત થઈ ગયા અને સુરક્ષા સલાહકાર દોભાલ સહિતના સંબંધિતો સાથે ઉચ્ચ કક્ષાની વિચારણાથી માંડીને સંભવિત સર્વપક્ષીય બેઠક સહિતની પ્રક્રિયા એમણે હાથ ધરી છે. તો, ગૃહ પ્રધાન અમિત શાહે પણ સ્થળ મુલાકાત સાથે ‘હોસલા અફઝાઈ’ અને ‘જાયજા’ની અપેક્ષિત કામગીરી પાર પાડી છે. કાઁગ્રેસ પક્ષે પણ વડા વિપક્ષને (અને લાંબા સમયના સત્તાપક્ષને) છાજતી સકારાત્મક પ્રતિક્રિયા દાખવી છે.
નાગરિક દીઠ સલામતી સેવા બાબતે લગભગ વિશ્વવિક્રમ જેવી કાશ્મીરની પરિસ્થિતિ દાયકાઓથી રહી છે. કલમ 370 વગેરે જે જાથુકી મુદ્દા ને મોરચાને યથાસંયોગ યશ અગર અપયશ સતત અપાતો રહ્યો, એ તો હવે ચિત્રમાં નથી. પણ પાક લશ્કરી વડાનું થોડા દિવસ પરનું આગ ઓકતું ભાષણ અને આ ઘટના પરની પાક રક્ષા મંત્રીની પ્રતિક્રિયા બંને અમે કન્સર્ન્ડ છીએ એવી પાક ભૂમિકા બાબતે પ્રશ્નાર્થ જગવે છે. લશ્કરે તૈયબાએ જવાબદારી સ્વીકારી છે, એ ભૂલવા જેવું નથી.
પહેલગામની ઘટના આપણા સુરક્ષા વ્યૂહમાં ક્યાંક કશુંક ખૂટે છે એટલું તો અવશ્ય સૂચવે છે. સુરક્ષા વ્યૂહ બાબતે આક્રમક વિશ્લેષક લેખાતા અને જાણેઅજાણે મોદી નેતૃત્વના ઝંડાબરદાર ને બડકમદાર તરીકે ઉભરેલા મેજર જનરલ બક્ષીએ આ વખતે ઉગ્ર ફરિયાદલાગણી તરીકે જે કહ્યું છે તે લક્ષમાં લેવા જોગ છે. એમણે કહ્યું છે કે કોવિડનાં ત્રણે વરસ નવી ભરતી થઈ નથી. એટલે કાશ્મીરમાં અત્યારે અપેક્ષિત આંક સામે એક લાખ ને સાઠ હજાર જેટલા કમ તૈનાત છે. ભરતી નહીં કરવાનો સત્તાવાર નિર્ણય, ઘટતી સુરક્ષા-વિચારણા પછી જ થયો હશે ને?
કાશ્મીરનું અર્થકારણ પ્રવાસન પર નભતું અર્થકારણ ગણાય છે. સહેલાણીઓ પર સામાન્યપણે હુમલો નથી થતો તેને બદલે આ વખતે પસંદગીપૂર્વક તેમ થયું તે દેખીતી રીતે જ કાશ્મીરના અર્થકારણની કમર તોડવાનો કારસો છે એમ માનવામાં હરકત નથી.
આવા હુમલા, કેમ કે પ્રવાસીઓ વિવિધ પ્રાંતોમાંથી તેમ પરદેશથીયે હોવાના, એટલે દેશમાં ઠેકઠેકાણે કોમી ઉંબાડિયાંથી માંડી આંતરરાષ્ટ્રીય પરિમાણની દહેશત રહે છે. આવે વખતે, ધરમ જાણીને નિશાન પર લેવાના વલણ સામે લોકમત જો કોમી રાહે પ્રતિભાવ આપે તો એ તો આતંકીઓની અપેક્ષિત રમતમાં જોડાઈ જવા જેવું થાય.
પહેલગામ ઘટના પછી તરતના કલાકોમાં ભા.જ.પ.ના સત્તાવાર ટ્વિટર હેન્ડલ પર મારનારાઓએ ધરમ પૂછ્યો’તો, નહીં કે જાતિ, એવી ટિપ્પણી રમતી મુકાઈ તે આ સંદર્ભમાં ઇષ્ટ નહોતી. બાબા રામદેવની શરબત જેહાદ હજુ હમણાં જ પાછી ખેંચી શકાઈ છે.
કાશ્મીરની મસ્જિદોમાં થતાં મિલનમાં આતંકી ઘટનાની ટીકા તેમ જ ઠેકઠેકાણે કેન્ડલ લાઈટ નિદર્શનો આ સંદર્ભમાં નરવી આશાઅપેક્ષા જરૂર જગવે છેઃ સૌ એમાં અવશ્ય જોડાશે. સરકારે અને સુરક્ષા એજન્સીઓએ જે કરવાનું છે તે કરવાનું છે, અને સત્તાપક્ષે જે નથી કરવાનું તે નથી કરવાનું!
Editor: nireekshak@gmail.com
પ્રગટ : ‘પરિપ્રેક્ષ્ય’, “દિવ્ય ભાસ્કર”; 23 ઍપ્રિલ 2025