જવાહરલાલ નહેરુની દીર્ઘદૃષ્ટિના પરિપાક રૂપ ચીન સાથેના પંચશીલ કરારને કાલે એટલે કે ૨૮મી જૂન, ૨૦૧૪ના રોજ ૬૦ વર્ષ પૂર્ણ થયાં. આ ૬૦ વર્ષમાં બન્ને દેશોના સંબંધોમાં ખટમીઠા અનુભવો છતાં નહેરુના વિચારો અને વ્યવહાર આદર્શ ઠરે છે. ભારત-ચીને નહેરુ-નીતિ અપનાવવી જ રહી
મહાત્મા ગાંધીએ એક વાર કહેલું, "હું એ દિવસની આકાંક્ષા કરું છું જ્યારે એક આઝાદ ચીન અને એક આઝાદ ભારત એશિયાની ભલાઈ તેમ જ વિશ્વની ભલાઈ માટે સહયોગ અને મૈત્રી સાથે હળીમળીને કામ કરશે." ભારતને આઝાદી મળી અને બીજી તરફ ચીન પણ પીપલ્સ રિપબ્લિક ઓફ ચાઇનામાં ફેરવાયું ત્યાર બાદ ગાંધીજીના આશાવાદને સાચો ઠેરવવા માટે તેમના રાજકીય વારસ એવા ભારતના પ્રથમ વડાપ્રધાન પંડિત જવાહરલાલ નહેરુએ ઘણી મથામણ કરેલી. નહેરુ એક સ્વપ્નશીલ અને આદર્શવાદી સ્ટેટ્સમેન (રાજપુરુષ) હતા. નહેરુએ વૈશ્વિક દૃષ્ટિના પરિપાક રૂપ ચીન સાથેના સંબંધોને સમૃદ્ધ બનાવવા માટે 'પંચશીલ' નીતિ વિકસાવી હતી, જેને ચીનના તત્કાલીન નેતૃત્વની સ્વીકૃતિ પણ મળી હતી.
૧૯૫૪માં ચીનના વડાપ્રધાન ચાઉ એન લાઇ ચાર દિવસીય ભારત પ્રવાસે આવ્યા હતા. યાત્રાના અંતે ૨૮ જૂન, ૧૯૫૪ના રોજ સંયુક્ત નિવેદનમાં ભારત અને ચીને પાંચ સિદ્ધાંતોનું (જે પંચશીલ તરીકે વિખ્યાત થયા) પાલન કરવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી. પંચશીલ શબ્દ મૂળભૂત રીતે બૌદ્ધ ધર્મનો શબ્દ છે. ભારત અને ચીનને જોડતી એક મજબૂત કડી હોય તો એ ભગવાન બુદ્ધ અને બૌદ્ધ ધર્મ છે. બૌદ્ધ ધર્મમાં પાંચ સિદ્ધાંતો છે – હત્યા ન કરવી, ચોરી ન કરવી, વ્યભિચાર ન કરવો, અસત્ય ન બોલવું અને મદ્યપાન ન કરવું. આ પાંચ સિદ્ધાંતો પંચશીલ તરીકે જાણીતા છે. નહેરુએ આ પાંચ બૌદ્ધ સિદ્ધાંતોના આધારે જ બે દેશો વચ્ચે શાંતિ અને સહયોગ ટકાવી રાખવા માટે જરૂરી પાંચ સિદ્ધાંતો તારવ્યા હતા અને તેનું નામ પણ પંચશીલ આપ્યું હતું. નહેરુ અને ચાઉ એન લાઇ વચ્ચે શાંતિપૂર્ણ સહઅસ્તિત્વ માટે થયેલા પંચશીલ કરારના એ પાંચ સિદ્ધાંતો જોઈએ ઃ
૧, એકબીજાની પ્રાદેશિક અખંડતા અને સાર્વભૌમત્વનું સન્માન કરવું.
૨, એકબીજા વિરુદ્ધ આક્રમક કાર્યવાહી ન કરવી.
૩, એકબીજાની આંતરિક બાબતોમાં દખલ ન કરવી.
૪, સમાનતા અને પરસ્પર ભલાઈની નીતિનું પાલન કરવું અને
૫, શાંતિપૂર્ણ સહઅસ્તિત્વની નીતિમાં વિશ્વાસ રાખવો.
વિશ્વશાંતિ માટે મથનારા નહેરુ માનતા હતા કે આ પાંચ સિદ્ધાંતો વિશ્વશાંતિ અને સહયોગની આધારશિલા બની શકે છે. બે બે વિશ્વયુદ્ધો જોઈ ચૂકેલા દુનિયાના દેશોને પંચશીલમાં આસ્થા બેઠી હતી. પંચશીલને કારણે વિશ્વ રાજકારણમાં એક નવા અધ્યાયનાં મંડાણ થયાં હતાં. દુનિયાના અનેક દેશોએ પંચશીલના પાંચ સિદ્ધાંતોને પોતાની વિદેશનીતિમાં અપનાવ્યા હતા.
ચીન સાથેના પંચશીલ કરાર પછી ભારતની વિદેશનીતિમાં પંચશીલ સિદ્ધાંતો જાણે અનિવાર્ય હિસ્સો બની ગયા હતા. સોવિયત રશિયા, યુગોસ્લાવિયા, પોલેન્ડ, લંકા, થાઈલેન્ડ, ફિલિપાઇન્સ, તુર્કી વગેરે દેશો સાથેના સંબંધોનો આધાર પંચશીલ સિદ્ધાંતો રહ્યા છે. અરે, લાલબહાદુર શાસ્ત્રીએ પાકિસ્તાન સાથે કરેલા તાશ્કંદ કરાર પણ પંચશીલના સિદ્ધાંતો પર જ આધારિત છે.
ભારત-ચીન પંચશીલના બંધને બંધાયા પછી 'હિંદી-ચીની ભાઈ ભાઈ'નો નારો ગુંજવા માંડયો હતો. જો કે, નર્યા આદર્શવાદ આધારિત દ્વિપક્ષીય કરાર કેટલા પોકળ પુરવાર થઈ શકે, એનું ભાન નહેરુ અને સમગ્ર દેશને ૧૯૬૨માં ચીન આપણી સામે યુદ્ધે ચડયું ત્યારે થયું હતું. ચીને ભારતનો વિશ્વાસઘાત કર્યો હતો. પંચશીલ મામલે નહેરુ પર આજ દિન સુધી માછલાં ધોવાતાં રહ્યાં છે, પ્રતિદલીલોમાં તથ્યાંશ હશે, છતાં ચીન સાથે આજે જે કંઈ સંબંધો છે, તેના પાયામાં નહેરુની પંચશીલ નીતિ જ રહેલી છે, તે વાસ્તવિકતા છે.
પંચશીલને ઘોળીને પી જનારું ચીન પોતે આજે પંચશીલના છ દાયકાની ઉજવણી કરી રહ્યું છે. આપણા ઉપરાષ્ટ્રપતિ હામિદ અંસારીને એ ઉજવણી માટે ખાસ નિમંત્ર્યા છે, ત્યારે તેમાં શું નહેરુની નીતિનો વિજય નથી?
e.mail : divyeshvyas.amd@gmail.com
સૌજન્ય : લેખકની ‘સમય સંકેત’ નામક સાપ્તાહિક કટાર, “સંદેશ”, June 29, 2014