(રાગ અાશાવરી – તીન તાલ)
વૈષ્ણવ નથી થયો તું રે, શીદ ગુમાનમાં ઘૂમે
હરિજન નથી થયો તું રે, શીદ ગુમાનમાં ઘૂમે … વૈષ્ણવ
હરિજન જોઈ હૈડું નવ હરખે, દ્રવે ન હરિગુણ ગાતાં,
કામ ધામ ચટકી નથી પટકી, ક્રોધે લોચન રાતાં … વૈષ્ણવ
તુજ સંગે કોઈ વૈષ્ણવ થાયે, તો તું વૈષ્ણવ સાચો,
તારા સંગનો રંગ ન લાગે, ત્યાં લગી તું કાચો … વૈષ્ણવ
પરદુઃખ દેખી હૃદે ન દાઝે, પરનિંદા નથી ડરતો,
વહાલ નથી વિઠ્ઠલશું સાચું, હઠે ન હું હું કરતો … વૈષ્ણવ
પરોપકારે પ્રીત ન તુજને, સ્વારથ છૂટ્યો છે નહિ,
કહેણી તેવી રહેણી ન મળે, કાંહાં લખ્યું એમ કહેની … વૈષ્ણવ
ભજવાની રુચિ નથી મન નિશ્ચે, નથી હરિનો વિશ્વાસ,
જગત તણી આશા છે જાંહાં લગી, જગત ગુરુ, તું દાસ … વૈષ્ણવ
મન તણો ગુરુ મન કરશે તો, સાચી વસ્તુ જડશે,
દયા દુઃખ કે સુખ માન પણ સાચું કહેવું પડશે … વૈષ્ણવ
('અાશ્રમ-ભજનાવલિ')