હશે ભાઈ, 'હિંદુ’ હોવું પૂરતું નયે હોય
બેલાશક, એમાં વડાપ્રધાનપદ વાંછું વર્તુળો કને અપેક્ષિત ગરવાઈ અને નરવાઈ કશું નથી, પણ જરી ઉતાવળી કલમે આપણે પરિણામના પૂર્વસપ્તાહે જે એકબે સ્થાયી ચિંતનમુદ્દા કરવા છે તે જોતાં ચૂંટણીપંચ સામેના ધરણાની ચર્ચામાં નહીં જઈએ. પ્રચારનો એક રસ્તો સ્પિન ડોક્ટરું કહેતાં મરોડ માસ્તરી અજમાવવાનો છે. પ્રસંગે, ક્ષણવિક્ષણ વાસ્તે એ ઠીક પણ છે. બધા જ આસામીઓ ઓછીવત્તી આવડત અને ગજાસંપત પ્રમાણે એ અજમાવી લેતા હોય છે. પણ પ્રિયંકાએ જ્યારે નીચ કહેતાં હીણી રાજનીતિનો ઉલ્લેખ કર્યો ત્યારે એને 'મારી ઊતરતી જ્ઞાતિ’ના ઉલ્લેખ તરીકે ઘટાવવાની નમોની ચેષ્ટા કદાચ એટલી હળવાશથી લઈ શકાય એમ નથી.
મુદ્દાની વાત એ છે કે જ્યારથી પ્રચારદોર શરૂ થયો ત્યારથી મંડલોત્તર ઉત્તરપ્રદેશ અને બિહારને દૃષ્ટિમાં રાખીને મોદીએ ભરવિકાસવેશે પણ પછાત ઓળખ એકદમ જ ઉપસાવવાપણું જોયું છે. ખરું જોતાં આપણા સૌની બહુવિધ (પ્લુરલ) ઓળખ હોય છે, અને યથા પ્રસંગ એમાંથી કોઈક કપાળમાં તિલકની પેઠે ધ્યાનાર્હ પણ બની રહેતી હોય છે. જો કે, આ કિસ્સામાં એવું બન્યું છે કે, મોદી આ ઓળખનું બજાર ક્યારેક આવશે એવી આગોતરી સમજથી ચાલેલા છે. દિલ્હીનીમ્યા દંડનાયક તરીકે એ ગાંધીનગરમાં પેરેશૂટયા ત્યારે 'ધણીની જાતિદેખરેખ હેઠળ’ ખાસ તૈયાર કરાયેલ બાયોડેટામાં એક અધોરેખિત વાનું 'પછાત જ્ઞાતિ’નું પણ હતું. નિર્વાસનનાં વર્ષોમાં ગુજરાત બહાર રહેવાનું થયું ત્યારે એમને આ ઓળખનું રાજકીય મહત્ત્વ વિશેષ સમજાયાને કારણે એમ હશે? ન જાને. સામાન્યપણે સંઘ પરિવાર હિંદુ હોવા વિશે વિશેષ ભાર મૂકે છે … તો પછી, આ હિંદુ ઓળખમાં, આ હિંદુત્વમાં એવું તો શું ઊણું પડે છે કે એમાં ય વળી પછાત અને મોઢ ઘાંચી જેવા સિક્કે ઓળખાઈ તેના ઉજાસમાં ઘટતી દોષદુરસ્તી જરૂરી બને છે? એનો અર્થ એ થયો કે અદ્વૈત તત્ત્વજ્ઞાન છતાં ઊંચનીચનો જે ખયાલ હિંદુસમાજના હાડમાં પેંધેલો છે તેનું ધોરણસરનું વારણ હિંદુ એવી એકમાત્ર ઓળખમાંયે નથી.
તો, હિંદુ એવી એક માત્ર ઓળખની મર્યાદા જરી સમજી લઈએ. આ પ્રકારની ઓળખ – અને એને આધારે રાષ્ટ્રની વ્યાખ્યા – વળતી એવી જ ઓળખને આધારે અલગાવને હવા આપે છે. (પાકિસ્તાનના સર્જનનું એક રહસ્ય એમાં પણ છે.) બીજી બાજુ, જ્ઞાતિગત ઊંચનીચનું દુર્દૈવ વાસ્તવ પણ કાર્યરત હોય છે. આનો ઉગાર એક વ્યક્તિ, એક મતના લોકશાહી અભિગમને છાજતી રીતે આર્થિક-સામાજિક વિષમતાથી મુક્ત અભિગમ અને નાગરિક ઓળખ પર ઝોક આપવો જરૂરી છે. બેલાશક, આ એક નવયુગી સમજ છે અને હિંદુત્વ એનો કોઈ અવેજ નથી.
ચોળીને ચીકણું કરવાનું આળ વહોરીને પણ આ ચર્ચા હજી આગળ ચલાવવી જોઈએ. નમોને નિકટથી જાણનારા-મળનારા કોઈક કોઈક મારફતે વાયા વાયા એવું સાંભળવા મળે છે કે 'આ લોકો મને નીચી જાતનો સમજે છે’ એવી કોઈક ગ્રંથિ(અથવા, કદાચ, લાગણી)થી એ ક્વચિત્ વિદ્ધ -ક્વચિત કૃદ્ધ માલૂમ પડે છે. આપણી સામાજિક વિષમતામાં રહેલો આ એક અભિશાપ છે. કાં તો ગાંધી છેડેથી કે પછી ફૂલે-આંબેડકર છેડેથી અગર તો, ખરેખર તો, બેઉ છેડેથી રાજકીય જાગૃતિની જેમ જ સંસાર સુધારાની ચળવળ ચલાવી સમતામૂલક નાગરિક સમાજની ભૂમિકામાં ઠરવાપણું છે.
સંઘ વર્તુળો આ જાણતાંસમજતાં નહીં હોય એવું તો નથી. વસ્તુત: ક્લાસિક કહી શકાય એવું ઉદાહરણ તો મહારાષ્ટ્રમાં સંઘપ્રણિત ફૂલે-આંબેડકર યાત્રાનું છે. ભર રામમંદિર ચળવળે આ યાત્રા કેમ સૂઝી હશે? એમણે એ જોયું અનુભવ્યું કે સમાજના બધા તબકાને એકસૂત્ર કરવામાં નકરું હિંદુત્વ ઊણુંઅલૂણું રહે છે. એટલે કથિત 'સાંસ્કૃિતક રાષ્ટ્રવાદ’ સાથે એમણે દલિત જાગૃતિ અને સામાજિક સુધારણાનો સંદેશ જોડતી ઝુંબેશની જરૂરત જોઈ ગુજરાતમાં અનામતવિરોધી ઉત્પાત શરૂ થયો ત્યારે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની કાર્યકારિણી અને વિશે વિરોધલાગણી પ્રગટ કરે અને અનામતનું સમર્થન કરે એવી ભૂમિકા સરસંઘચાલક દેવરસ વગેરેની હતી. પણ બહાર આવેલા હેવાલો મુજબ ગુજરાતના સભ્યોની લાગણી એવી હતી કે આવો કોઈ ઠરાવ કરવાથી ગુજરાતમાં આપણા સમર્થકો, ચાહકો અને શુભેચ્છકોને માઠું લાગશે. કોઈના અવમૂલ્યની દૃષ્ટિએ નહીં પણ સમજવાની રીતે આ વિગત આપવા પાછળનો ખ્યાલ એ મુદ્દો ઘૂંટવાનો છે કે સમતાલક્ષી નાગરિક ઘડતર સંઘસ્થાન પરની ક્વાયત કરતાં ક્યાં ય અઘરું કામ છે. સંઘ પરિવારના એક અધિકારી અને સિદ્ધાંત કોવિદ રમેશ પતંગેએ આ આખા પ્રશ્નની ચર્ચા કરતાં ઉઠાવેલો એક સવાલ અતિસૂચક છે કે આપણે હરીફરીને એક 'મુસલમાન’ના મુદ્દા પર જ કેમ લાંગરીએ છીએ.
ફર્નાન્ડીઝ અને શરદ યાદવે વાજપેયીને મળીને એન.ડી.એ.નું ગોઠવ્યું એની પાછળ લોહિયા, નાના દેશમુખ, દીનદયાલ ઉપાધ્યાય વગેરેની સાર્થક ચર્ચાઓનો યે એક પૂર્વ ઈતિહાસ હતો. પણ એન.ડી.એ. અંકગણિતમાં ખોવાઈ ગયું અને ફર્નાન્ડીઝ – શરદ યાદવ વિચારવિર્મશનો એ તંતુ આગળ ન ચલાવી શક્યા જે ક્યારેક લોહિયા-દીનદયાલ વચ્ચે હશે. લોહિયાનું એક પ્રતિપાદન 'હિન્દુ બનામ હિન્દુ’નું હતું જેમાં એમણે જ્ઞાતિગત ઊંચનીચની વાસ્તવિકતાને ઈસ્લામની સ્વીકૃતિ સાથે જોડી હતી. આજે એ વિમર્શ ક્યાં ય છૂટી ગયો છે … અને નમો કથિત સાંસ્કૃિતક રાષ્ટ્રવાદ અને વિષમતામૂલક વૈશ્વિકીકરણના વિકાસવેશને તુંબડે તરવા માગે છે.
જનાદેશ, જનાદેશ તારે ૧૬ મે ૨૦૧૪ પછી અને છતાં કેવા અને કેટકેટલા કોઠા ભેદવા રહેશે, ન જાણે
સૌજન્ય : “દિવ્ય ભાસ્કર”, 10 મે 2014