ના ! હું સાધુ થઈશ
(ના, હું તો ગાઈશ ! એમ ના વાંચવું)
ગુરુ : આવો, આવો! આત્મન્!
શિષ્ય : આજે, ઘણા વખતથી હું વિચારતો હતો, તે મારો સંકલ્પ જાહેર કરવા અને આપશ્રીની સંમતિ લેવા આવ્યો છું.
ગુરુ : જેને પોતાને સમજાયું તેને કોઈની પણ સંમતિની જરૂર ના હોય. શુભ હશે તો પ્રગતિ થશે, નહીં તો ફેરવિચારણા કરવા માટે અનુભવ પ્રાપ્ત થશે.
શિષ્ય : મહારાજ ! આપ સમાન જેવાના સાથથી જ હું આગળ વધી શકીશ.
ગુરુ : સદ્વિચારને ભગવાનના આશીર્વાદ હોય જ છે.
માનવજીવન સત્ય સમજવા માટે સતત આત્મખોજ, સ્વમૂલ્યાંકન માટે છે. આગળ કે પાછળ વધવાના ભ્રમોમાંથી મુક્ત થવામાં જ શ્રેય છે.
સાંભળ ત્યારે : એક સાદોસીધો માણસ હતો. કદી એનો અહમ્ પ્રગટ્યો ન હતો. ભલુભલી સમસ્યાઓના ઉકેલો એને સૂઝતા હતા, કારણકે સ્વાર્થથી મુક્ત હતો.
શિષ્ય : એવો વળી કોણ હતો એ?
ગુરુ : રાષ્ટ્રના પ્રધાનપદે હતો. છતાં સાદા ધોતિયામાં રહેતો. વિદેશમાં, રાષ્ટ્રસમૂહની બેઠકમાં પણ ભોળા ભાવે જાય, ત્યારે પણ પહેરવેશ તો એનો એ જ. એનું ખરું બળ નિષ્ઠા અને કર્તવ્ય!
શિષ્ય : ભલભલી સમસ્યા ઉકેલી? તે કઈ ?
ગુરુ : એના ધ્યાન ઉપર મૂક્યું કે ‘રાષ્ટ્રને ભારે અન્નની તંગી ઊભી થઈ છે અને ભૂખમરો કરોડોને આવી પડવાનો છે.’
તુરંત સરળ ઉકેલ આપ્યો. ‘ચાલો અઠવાડિયામાં એક ટંક ભોજન છોડી દઈએ ! દરેક વ્યક્તિ સોમવારે સાંજે જમવામાં અનાજ નહીં લે.’
ને રાષ્ટ્રે તે વાત માથે ચઢાવી. શાસ્ત્રીજીનો સોમવાર ! વર્ષો સુધી શાસ્ત્રીજીનો સોમવાર પળાતો રહ્યો.
શિષ્ય : હા, એ સાચું જ! મેં જાતે પણ ફળો ઉપર રહેવાનું ગોઠવેલું.
ગુરુ : ૧૯૬૫ની સાલમાં સેનાપતિ મૂંઝવણ લઈને આવ્યા. કહે ‘જો પશ્ચિમ દિશામાં પાકિસ્તાન સાથે લડવાને બધી તાકાત લગાડીએ, ને જો પૂર્વમાંથી ચીન ડખો કરે તો શું ?’
‘તમારું કામ બે ય મોરચે લડવાનું છે. અમારું કામ તમને સંપૂર્ણ ટેકો કરવાનું છે.’ રાષ્ટ્રને ‘જય જવાન ! જય કિસાન’નો મંત્ર પઢાવ્યો. એવો એ નિર્મળ હૃદયના માનવને સાધુ થવાની જરૂર જ નહીં. યુદ્ધ હોય કે દુકાળ!
શી એની લીલા! સૌમ્ય તેમ જ શાલીન! કેવી રીતે તને સમજાવું? એના અવસાન પછી જણાયું કે લોનથી જે કાર લીધેલી તેનું દેવું હતું! બૅંકમાં બૅલેન્સ પણ નહોતું!!
તારી આંખોમાં તો કાંઈ કાંઈ અનોખું કરવાનું જોશ પડ્યું છે. ભરપૂર આવેગ છે!
શિષ્ય : ના! ના! હું સાધુ થઈશ જ.
ગુરુ : (સહજ સ્મિત કર્યું. મૌન જ રહ્યા!)
શિષ્ય : આજ્ઞા આપો મહારાજ! સાધુ થવાથી મને સંપૂર્ણતા પ્રાપ્ત થશે. મેં લગ્ન થતાં જ પત્નીને કહી દીધું, મને સંસારમાં નહીં, રાષ્ટ્રસેવામાં જ રસ છે. તેથી જ સાધુ થવા માટે આપ મહારાજની સંમતિ માંગી રહ્યો છું.
ગુરુ : (મૌન)
શિષ્ય : મને બેચેન ના કરો. સંમતિ આપો ગુરુદેવ! હું સાધુ થઈશ! થઈશ! થઈશ જ.
ગુરુ : તારે સાધુ દેખાવું છે કે મુક્ત થવું છે?
દર બે કલાકે નવા પહેરવેશનો તારો શોખ, સભાઓ ગજવીગજવીને તાળીઓ, જયજયકાર સાંભળવાની મહત્ત્વાકાંક્ષાઓ ભલભલાં તારાં સ્વપ્નાંઓ …
* * *
Breaking News
પ્રધાનમંત્રી સાધુ થઈ ગયા!
એક વર્ષ પૂરું થઈ ગયું!!
સૌજન્ય : “નિરીક્ષક”, 16 જુલાઈ 2015, પૃ. 19