માણસ રાજકારણમાં શું કામ પડે છે ? રાજકારણ અહીં સમાજસેવાના અર્થમાં છે, જેને અગાઉના જમાનામાં ‘રાજકીય ક્ષેત્ર’ કહેતા. બહારની દુનિયાનાં તો ઘણાં કારણો છે, પણ અંદરનાં કારણો કયાં ?
નારાયણભાઈ દેસાઈ એક સમયે વિનોબા ભાવેની જિદ્દુ કૃષ્ણમૂર્તિ સાથે મુલાકાત ગોઠવી રહ્યા હતા, ત્યારે આ પ્રશ્ન આવ્યો હતો. કૃષ્ણમૂર્તિએ નારાયણભાઈને પૂછ્યું કે તમે રાજકારણ અથવા સમાજસેવામાં કેમ છો ? આમ તો ગાંધીજીના અંતરંગ સાથીઓનાં સંતાનો માટે ધરણાં-ઉપવાસ સિવાય પણ કારકિર્દીનો બીજા વિકલ્પો હોઈ શકે. કૃષ્ણમૂર્તિનો પૂછવાનો ભાવ એવો હતો કે સમાજકારણમાં પાડવાનું અંદરનું કારણ અહંકાર કે અંદરની હતાશા કે પછી એવું કાંઈ નકારાત્મક તો નથી ને; નારાયણભાઈનો જવાબ હતો કે, “હું સમાજસેવા એટલા માટે કરું છું, કારણ કે હું મારી અંદરનો આનંદ સૌની સાથે વહેંચવા માંગું છું.”
પીડ પરાઈ માટેની સમવેદના હોય, તો તે આધ્યાત્મિક પ્રગતિનો એક તબક્કો થયો, પણ નિર્ભેળ આનંદ વહેંચવાની પ્રેરણા હોય, તો નારાયણભાઈનું આધ્યાત્મિક બંધારણ ગાંધી-મહાદેવની નિશ્રામાં ઘણું પાકું થયું હશે. કૃષ્ણમૂર્તિ સાથેના સંવાદની વાત એમણે નવેમ્બર ૨૦૧૦માં કરી હતી. દિલ્હીમાં ફરી એક વાર એમની ગાંધીકથાનું આયોજન થયું હતું. પણ દોઢ કરોડની વસતિના શહેરમાં મહાત્માને યાદ કરવા માંડ પચાસેક લોકો હતા. નારાયણભાઈ નાદુરસ્તીમાંથી બહાર આવ્યા હતા અને એમનાં પુત્રી સંઘમિત્રાબહેન એમની તબિયતની કાળજી લઈ રહ્યાં હતાં. તબિયતની કે પાંખી હાજરીની નોંધ લીધા વગર ૮૫ વર્ષની ઉંમરે પણ નારાયણભાઈ વ્યાસપીઠ પર બેસવા સાથે ‘અંદરના આનંદ’ને વહેંચવામાં મગ્ન થઈ જતા હતા.
સવારે એકાદ કલાક માટે તેમણે સમય આપ્યો, ત્યારે અખબારી મુલાકાત પ્રકારની પ્રશ્નોત્તરી થયેલી. ઉતાવળે લખેલી નોંધના અંશો આ પ્રમાણે છે :
પ્રશ્ન : તમે જૂન ૨૦૦૪માં કોમી રમખાણનાં બે વર્ષ પછી ગાંધીકથાનો આરંભ કર્યો. કોઈ ખાસ કારણ ?
ઉત્તર : એક નાગરિક તરીકે, આપણી આસપાસ થતા તમામ સામાજિક અન્યાય અથવા ધાર્મિક પરિભાષામાં કહીએ તો પાપ માટે હું મારી જાતને જવાબદાર ગણું છું. જો આજે ગાંધી હોત, તો એમણે કહ્યું હોત કે, ‘હું દોષી છું.’ મને લાગ્યું કે ‘ગાંધીના ગુજરાત’માં નહિ પણ મારા ગુજરાતમાં આવું કેવી રીતે બને ? મેં શાંતિયાત્રા કાઢી, (અસરગ્રસ્તોનાં) બે બાળકોને દત્તક લીધાં. એ પછી મેં પાપના પ્રાયશ્ચિત માટે કંઈક રચનાત્મક કાર્યક્રમ કરવાનું વિચાર્યું. મારા જીવનમાં રચનાત્મક કાર્યક્રમ માટે કોઈ સૌથી વધુ પ્રેરણાદાયી વ્યક્તિ મેં જોઈ હોય તો એ ગાંધી જ છે. વિનોબા પણ છે. પરંતુ ગાંધી સૌથી વધારે. તો હું ગાંધીનું થઈ શકે એટલું અર્થઘટન કરું છું. અને લોકોની સામે મારું અર્થઘટન મૂકું છું.
હું જ્યારે ‘મારું જીવન એ જ મારી વાણી’ની હસ્તપ્રતનો છેલ્લો હપ્તો પ્રેસે મોકલી રહ્યો હતો, ત્યારે મને થયું કે પુસ્તક ઘણું વિશાળ થઈ ગયું છે. કેટલા લોકો એ વાંચશે? હું એવા કોઈ લોકપ્રિય માધ્યમની શોધમાં હતો, જેનાથી ગાંધીની વાત વધુને વધુ લોકો સુધી પહોંચી શકે. મને લાગ્યું કે મોટા ભાગનાં અખબાર, સામયિકો અને ટીવી ચૅનલો સીધી કે આડકતરી રીતે વિજ્ઞાપનકારોનું કહ્યું કરે છે. અંતે કથાના સ્વરૂપમાં મને જે માધ્યમ જોઈતું હતું, તે મળ્યું.
પ્રશ્ન : તમે ૮૮ કથા કરી છે. (૨૦૧૦ સુધીમાં) અને ૧૦૮ કથા કરવા માગો છો. આ ઉંમરે એટલો બધો શ્રમ ?
ઉત્તર : ઘણી વાર મને લાગે છે કે હું થોડું વધારે કામ કરું, આ કામમાં મારી તમામ શક્તિ રેડી દઉં, તો કોઈ વાંધો નથી. અલબત્ત, મારી તબિયતની કાળજી લેવા સાથે જો હું એમ કરી શકું, તો વધારે સારું. મહિનામાં બે કથાનું આયોજન થાય તો પણ ૨૦ મહિનામાં ૧૦૮નું લક્ષ્ય પૂરું થઈ જશે.
પ્રશ્ન : અત્યાર સુધી કથાને કેવો પ્રતિભાવ મળ્યો છે ?
ઉત્તર : વધુ ને વધુ યુવાનો આવી રહ્યા છે.
પ્રશ્ન : એનું શું કારણ હશે? તાજેતરનાં વર્ષોમાં ફિલ્મ ઇત્યાદિ રસ્તે ગાંધી ફરી લોકપ્રિય થઈ રહ્યા છે એટલે ?
ઉત્તર : જુઓ, જે લોકો ગાંધીનું નામ વાપરી ખાતા હતા. એમને તો હવે ગાંધીનું નામ લેવાની પણ જરૂર લાગતી નથી. કૉંગ્રેસ પાર્ટીને ગાંધીની જરૂર લાગતી નથી. વિદેશના નેતાઓ શસ્ત્રસરંજામના સોદા કરવા ભારત આવે, ત્યારે તેમને રાજઘાટ જવાની જરૂર નથી. પણ નવી પેઢીને ‘રાજકારણ’માં વિશ્વાસ નથી, તેમને આજના રાજકારણમાં કોઈ ઊંડાણ જણાતું નથી. તો થોડા યુવાનો ગાંધી તરફ વળી રહ્યા છે. વિવિધ શહેરોમાં લોકો જે રીતે ગાંધીકથાને પ્રતિસાદ આપે છે, તેનાથી મને સંતોષ થયો છે.
૨૨, શુભમ્ ઍપાર્ટમેન્ટ, ૩૭, આઈ.પી.ઍક્સ્ટેન્શન, પરિવારગંજ, નવી દિલ્હી – ૧૧૦ ૦૯૧
સૌજન્ય : “નિરીક્ષક”, 01 અૅપ્રિલ 2015; પૃ. 05