તા. ૧૫ માર્ચ, ૨૦૧૫, રવિવાર. આજે સવારે સમાચાર મળ્યા. નારાયણ દેસાઈ ગયા. થોડા સમય પહેલાં એ કૉમામાં સરી ગયા પછી થોડા રિકવર થઈ રહ્યા હતા. ૯૦ વર્ષની ઉંમર તેમની સામે હતી ને દૃઢ મનોબળ તેમની સાથે. તેમની રિકવરીના સમાચાર જાણીને એકથી વધારે વાર એવો વિચાર આવ્યો હતો કે કાકા સાજા થાય પછી ‘સાર્થક સંવાદ શ્રેણી’ માટે તેમનો દીર્ઘ ઇન્ટરવ્યૂ કરવો છે; પરંતુ એ તક ન મળી.
આ લખાણમાં નારાયણભાઈના જીવન વિશેની વિગતો આપવાનો ઉપક્રમ નથી. થોડી અનૌપચારિક વાતો અને થોડાં સંભારણાં યાદ કરવાં છે.
મહાદેવભાઈ દેસાઈ પ્રત્યે અનન્યભાવ અને આદરને કારણે નારાયણભાઈ વિશે સાંભળેલું ખરું, પણ તેમને મળવાનું નડિયાદમાં તેમની ગાંધીકથા દરમિયાન થયું. ‘દિવ્ય ભાસ્કર’ની રવિવારની પૂર્તિ માટે તેમનો આખું પાનું ભરીને, એકંદરે જરા જુદી જાતનો કહેવાય એવો ઇન્ટરવ્યૂ કર્યો હતો. એ વખતે તેમણે ખૂલીને જવાબ આપ્યા હતા. પણ તેમના વ્યક્તિત્વમાંથી અનાવિલત્વની ઝીણી-ઝીણી ફુવારીઓ સતત ઊડતી રહેતી. (ક્યારેક તેમાંથી ફુવારો પણ થઈ જાય.) તેમની સાથે એક જ મુલાકાતમાં ફાવી જાય, એવી શક્યતા મારા જેવા માટે ઓછી. હવામાંથી આદર ડાઉનલોડ કરવાનું અમસ્તું ઓછું ફાવે. એટલે પ્રત્યક્ષ અનુભવ (કે વાચન) પછી જ ભાવ કે અભાવ જાગે. (ગાંધીની વાત કહેવા માટે ‘ગાંધીકથા’ના સ્વરૂપ સામે મને કેટલાક પ્રશ્નો હતા.)
નારાયણભાઈને ફરી જોવા-મળવાનું નડિયાદમાં જ થયું. નડિયાદ મહિલા આર્ટસ કૉલેજના આચાર્ય અને પરમ મિત્ર હસિત મહેતાએ ગુજરાતી સામયિકો વિશે એક અનોખો સેમિનાર તેમની કૉલેજમાં યોજ્યો. તેમાં રમણ સોની, દીપક મહેતા, જયદેવ શુક્લ જેવા સાહિત્ય અને અધ્યાપન જગતનાં ઘણાં નામો ઉપરાંત કુલીનકાકા (કુલીનચંદ્ર યાજ્ઞિક), રઘુવીર ચૌધરી, મહેન્દ્ર મેઘાણી અને નારાયણ દેસાઈ પણ ઉપસ્થિત હતા. (બધાં નામ અહીં આપતો નથી.)
એક વાર એવો ભેદી કાર્યક્રમ યોજાયો હતો કે સાહિત્ય પરિષદ(અમદાવાદ)ના પુસ્તકાલયમાં નારાયણભાઈ તેમને ગાંધીકથા દરમિયાન ભેટ તરીકે મળેલી ગાંધીજીની પ્રતિમા પરિષદને આપવાના હતા અને એ પુસ્તકાલયમાં વચ્ચોવચ મૂકાવાની હતી. પરિષદ-પ્રમુખ તરીકે ગાંધીજીની પ્રતિમા મૂકાય ત્યાં સુધી ઠીક, પણ એ પ્રતિમાના બેઝની પાછળ લખાયેલી ભેટની વિગતો પણ એમની એમ જ હતી, એ જરા વિચિત્ર લાગે એવું હતું.
નારાયણભાઈ સાહિત્ય પરિષદના પ્રમુખ બન્યા તે પહેલાં ઘણા બધાને બોલાવીને મળતા હતા. એવી રીતે મને પણ મળ્યા હતા. પણ તેમની સાથેની પહેલી – અને હવે છેલ્લી – નિરાંતવી, અનૌપચારિક મુલાકાત ૨૦ ઓક્ટોબર, ૨૦૧૪ની સાંજે થઈ. મિત્ર હસિત મહેતા સાથે તેમણે સંદેશો પાઠવ્યો હતો. એ સાંજે લગભગ એક-સવા કલાક સુધી, તેમના સદ્દગત મિત્ર નાનુભાઈ મઝુમદારના ભાઈ કિશોરભાઈના પંચવટી(અમદાવાદ)ના ઘરે ગપ્પાંગોષ્ઠિ થઈ. તેમને ‘સાર્થક જલસો’ના બે અંક આપ્યા. તેમણે મારી હાજરીમાં પાનાં ફેરવીને, શાંતિથી વાંચવાનું કહીને એ પાસે મૂક્યા.
ઘણા વખતથી સમયના અભાવે આવી મુલાકાતોની નોંધ કરી શકતો નથી, પણ તે દિવસે વળતાં ટ્રેનમાં જ નોંધ કરી લીધી હતી. એટલે એમાંથી થોડી વાતો, નારાયણભાઇ વિશેની મારી અંતરંગ સ્મૃિત તરીકે મૂકીને એમને વિદાય પાઠવું છું.
* * *
ટાગોરનાં ગીતોનો અનુવાદ
નાનુભાઈ મઝુમદારને વી.એસ. હોસ્પિટલમાં દાખલ કર્યા એ વખતની વાત કરતાં નારાયણભાઈએ કહ્યું હતું. ‘તેમને જોવા એટલા બધા લોકો આવતા હતા કે નર્સ કહે, આખી હોસ્પિટલમાં દર્દી આ એક જ લાગે છે. કેટલા બધા લોકો એમને જોવા આવે છે. એમની સાથે રાત રોકાવા માટે હું અહીં રહ્યો હતો. અમે નવ-દસ જણ રાત રોકાવા માટે તૈયાર રહેતા હતા. હું એમને ટાગોરનાં ગીતોના અનુવાદ કરીને સંભળાવતો. એ તેમાં કંઈ સૂચવે. એમને સંભળાવ્યા પછી જ હું ફાઇનલ કરું. એ મરણપથારીએ હતા. સાથે અરુણ ભટ્ટ પણ બેઠેલા હતા. એ સારુ ગાય. પણ નાનુભાઈએ મને રવીન્દ્રસંગીત ગાવા કહ્યું. હું વિચારતો હતો કે તેમની આ અવસ્થા માટે કયું ગીત ગાઉં. એટલામાં તે કૉમામાં જતા રહ્યા. અને પછી કદી બહાર આવ્યા જ નહીં. મને તેનો એટલો વસવસો રહી ગયો કે હું તેમને છેલ્લે છેલ્લે ગીત સંભળાવી શક્યો નહીં, એ અફસોસને કારણે મેં તેમને યાદ કરીને રવીન્દ્રનાં સો ગીતોના અનુવાદ કર્યા. પણ એ સ્વાનતઃ સુખાય. એ પ્રકાશિત કર્યા નથી. રવિ-ગીત તરીકે જે પ્રકાશિત કર્યા એ તો ચાળીસેક જ છે.’
રેંટિયાસંગીત અને રવીન્દ્રસંગીત
‘અત્યારના માહોલમાં ડિપ્રેશન નથી આવતું?’ એના જવાબમાં એમણે કહ્યું હતું,’ જ્યારે પણ એવું લાગે ત્યારે રેંટિયો કાંતું છું. (બાજુમાં પડેલી પેટી બતાવી) તેમાં સૌથી પહેલાં તો મેડિટેશન, પછી રિધમ અને ક્રિએટિવિટી તો ખરી જ.
બીજું છે રવીન્દ્ર-સંગીત. હું ગાઉં છું. બહુ સારો અવાજ તો નથી, પણ મારી રીતે ગાઉં. રવીન્દ્ર-સંગીત મને મારી સાસુ પાસેથી જાણવા-શીખવા મળ્યું. એ રવીન્દ્રનાથનાં પહેલી બેચનાં મહિલા શિષ્યાઓમાં. રવીન્દ્રનાથ ઘણી વાર ટ્યુન બનાવે, પણ પછી ભૂલી જાય. એટલે એ કોઈને સંભાળાવી રાખે અને કહે કે હું ભૂલી જઉં તો તારે મને યાદ અપાવવાની. એટલે એ મારાં સાસુને સંભાળવતાં. એ ૯૪ વર્ષની વયે ગયાં. પણ ૯૨ વર્ષ સુધી ગાતાં હતાં. છેલ્લે એ શબ્દો ભૂલી જાય ત્યારે હું એમને શબ્દો યાદ કરાવતો હતો.
બીજો મહાદેવભાઈનો વારસો. મહાદેવભાઈએ ગાંધીજી પાસે જતાં પહેલાં ટાગોરના ચિત્રાંગદા જેવા અનુવાદ કરેલા. એટલે એમનો મૂળ જીવ તો ટાગોરનો. આ બાબતમાં હું ગાંધીજી કરતાં ટાગોરની વધારે નજીક છું.
રાજગોપાલાચારી – રાજાજી, એમ.એસ. સુબ્બલક્ષ્મી સાથેનો નાતો
હું બનારસ હતો ત્યારે રાજાજીએ તેમનાં બહેનનાં અસ્થિ ગંગામાં વિસર્જન માટે મને મોકલ્યાં હતાં. મેં વિસર્જન કરીને તેમને વિગત લખી કે મને વિધિવિધાન તો ખબર નથી, પણ મેં નદીની વચ્ચે જઈને ઈશોપનિષદનો પાઠ કરીને વિસર્જન કર્યું. એ પત્રના જવાબમાં રાજાજીએ લખ્યું કે મહાદેવભાઈ હોત તો આવું જ કરત. આ ઘટનાના થોડા મહિના પછી રાજાજીનું અવસાન થયું, ત્યારે તેમનાં બધાં પરિવારજનો હાજર હોવા છતાં, તેમનાં અસ્થિ બનારસ અને અલાહાબાદમાં વિસર્જન કરવા માટે મને કહેવામાં આવ્યું.
રાજાજીને પત્રકારો જોડે વ્યક્તિગત સંબંધો હતા. એટલે ૧૯૪૨ પછી તેમનો રસ્તો જુદો પડ્યો, અને એ લગભગ પાકિસ્તાનની તરફેણમાં હોય એવું લાગતું હતું, ત્યારે પણ બધા પત્રકારો તેમની સાથે હતા. તમિલનાડુના મોટા અખબાર કલ્કિના એડિટરનું તેમણે સુબ્બલક્ષ્મી સાથે લગ્ન કરાવ્યું હતું. રાજાજીના સંબંધે હું જઉં ત્યારે સુબ્બલક્ષ્મી મારી સામે ગાય અને ભારત-રત્ન સુબ્બુલક્ષ્મી વેઢમી બનાવીને જમાડે. કારણ કે હું મહાદેવ દેસાઈનો દીકરો અને મહાદેવભાઈ રાજાજીના મિત્ર.
વિદ્યાપીઠનું કુલપતિપદું, પરિષદનું પ્રમુખપદું
‘જોબ સેટિસ્ફેક્શન કેવુંક મળ્યું?’ એવા સવાલના જવાબમાં એમણે કહ્યું, ‘જોબ સેટિસ્ફેક્શનનો સવાલ નથી, કારણ કે બન્ને ઠેકાણેથી મને સામેથી કહ્યું હતું અને મારી શરત હતી કે સર્વ સમંતિ હોય તો જ હું પદ સ્વીકારું. પરિષદમાં એટલું થયું કે મારા કાર્યકાળમાં અમદાવાદ કેન્દ્રી પરિષદ ગુજરાતમાં ઠેકઠેકાણે પહોંચી અને બધાને લાગ્યું કે પરિષદ અમારે આંગણે આવી.’
‘વિદ્યાપીઠમાં એ લોકો મને વેડછી મળવા – કહેવા આવ્યા હતા. વિદ્યાપીઠમાં એવો ધારો છે કે કુલપતિના મૃત્યુ પછી જ નવો કુલપતિ નીમાય, પરંતુ મેં પહેલેથી કહ્યું હતું કે હું એવું ઇચ્છતો નથી. આમ તો મેં એમને તારીખ પણ આપી દીધી હતી, પણ અત્યારે કુલનાયક પણ નવા હોય ત્યારે હું છોડી દઉં એના કરતાં કુલનાયક આવે ને સેટ થઈ જાય પછી હું છોડીશ.’ (તા.ક. – નારાયણભાઇ પછી ઈલાબહેન ભટ્ટ આ પદે નીમાયાં.)
અમારી વાતચીત વખતે એક બહેન કશીક સહી કરાવવા આવ્યાં અને કાકા આગળ મોટા અવાજે બોલવા લાગ્યાં, એટલે કાકા સહેજ બગડ્યા. કહે, ‘મેં મશીન પહેરેલું છે. એટલે મોટેથી બૂમો નહીં પાડો તો ચાલશે.’
હવે ગમે તેટલું મોટેથી બોલવાથી પણ કાકા સાંભળે એમ નથી. ફેસબુક પર તેમના મૃતદેહના ક્લોઝ-અપ જોઇને ખેદ થાય છે. કાકા માટે પ્રચંડ માત્રામાં આદરભાવ ન હોવા છતાં, માપસરનો પ્રેમભાવ થયો, તેના કારણે હું એમને ફેસબુક પર મુકાતા ભયાનક સ્વરૂપના ફોટાથી યાદ રાખવા માગતો નથી.
સૌજન્ય : http://urvishkothari-gujarati.blogspot.in/
સૌજન્ય : “નિરીક્ષક”, 01 અૅપ્રિલ 2015; પૃ. 06−07