Opinion Magazine
Opinion Magazine
Number of visits: 9376834
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

વ્યવહારમાં નરેન્દ્ર મોદીનું પ્રધાનમંડળ ૮ સભ્યોનું છે



રમેશ ઓઝા

|Opinion - Opinion|15 November 2014

જેમાંથી માત્ર ચાર સ્વતંત્ર છે, બે અંકુશ હેઠળ છે, એક નજર હેઠળ છે અને એકને દિલ્હીના મુખ્ય પ્રધાનપદે મોકલવા દરવાજે ઊભા રાખી દેવાયા છે. જો સ્થિતિ આવી જ બની રહેશે તો કાર્યક્ષમતા બાબતનાં સૂચનોનો કોઈ અર્થ સરવાનો નથી. આનો અર્થ એવો પણ નથી કે રાજ્યસ્તરના પ્રધાનોમાં કોઈમાં કૌવત નથી. પીયૂષ ગોયલ અને નવા ઉમેરાયેલા જયંત સિંહા જેવા પ્રધાનો આગળ જતાં ઝળકી શકે છે. અરુણ જેટલી અને અરુણ શૌરી અટલ બિહારી વાજપેયીના પ્રધાનમંડળમાં જુનિયર પ્રધાન હતા

પૂર્વ એશિયાના દેશોની દસ દિવસની મુલાકાતે જતાં પહેલાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ વિસ્તારિત કરવામાં આવેલા પ્રધાનમંડળનો રીતસર ક્લાસ લીધો હતો. ક્લાસમાં જૂના-નવા બધા જ પ્રધાનો હતા જેમને વડા પ્રધાને શું કરવું જોઈએ અને શું ન કરવું જોઈએ એટલું જ નહીં, શેનાથી સાવ દૂર રહેવું જોઈએ એનાં વિષે સૂચનો કર્યાં હતાં. તેમણે આપેલાં સૂચનો આવાં છે : ઘડિયાળ સામે જોયા વિના ચોવીસ કલાક કામ કરો, રવિવારે કે રજાના દિવસે પણ કામ કરો, તમે જો ૧૩ કલાક કામ કરશો તો હું (વડા પ્રધાન) ૧૪ કલાક કામ કરીશ અને તમે જો ૧૪ કલાક કામ કરશો તો હું ૧૫ કલાક કામ કરીશ. મીડિયા સાથે ઓછી વાત કરો અને જો બોલતાં ન આવડતું હોય તો મૂંગા રહો. એકબીજાના કામમાં ઉપયોગી બનો, પણ અવરોધ પેદા ન કરો. સરકારની આંતરિક ચર્ચા, અભિપ્રાયો, નુકતેચીનીઓ કે નોટ્સ લીક ન થવાં જોઈએ. વિદેશ પ્રવાસને ટાળો અને ખાસ કરીને સંસદનું સત્ર ચાલુ હોય ત્યારે તો કોઈ પ્રધાન દેશની બહાર ન હોવો જોઈએ. તેમણે કૅબિનેટ પ્રધાનોને પોતાના ખાતામાં કામ કરતા રાજ્ય કક્ષાનાં જુનિયર પ્રધાનોની ઉપેક્ષા નહીં કરવાની અને તેમને નિર્ણય પ્રક્રિયામાં સાથે રાખવાની ભલામણ કરી હતી. વડા પ્રધાને સૂચવ્યું હતું કે કૅબિનેટ પ્રધાને તેમના જુનિયર પ્રધાનો સાથે સાપ્તાહિક બેઠક લેવી જોઈએ. 



વડા પ્રધાન એકંદરે પ્રધાનમંડળની પ્રોડક્ટિવિટી વિશે સભાન હોય એ આવકાર્ય છે. જવાહરલાલ નેહરુમાં આવો ગુણ હતો. તેઓ પ્રધાનોને સૂચનો કરતા, તેમના કામ પર નજર રાખતા એટલું જ નહીં; રાજ્યોના મુખ્ય પ્રધાનોને પણ દર ૧૫ દિવસે એક પત્ર લખતા. તેમના પાક્ષિક પત્રમાં રાજકીય આકલન અને ચિંતન પ્રગટ થતું અને એ પત્રો એટલા પ્રગલ્ભ હતા કે આજે પણ એનું મૂલ્ય છે અને વખતોવખત ટાંકવામાં આવે છે. નેહરુ પછીના વડા પ્રધાનોમાં આવો ગુણ જોવા મળ્યો નથી. ઇન્દિરા ગાંધીના વખતમાં દરેક પ્રધાનની જીવદોરી અનિશ્ચિત રહેતી. ક્યારે કોની નોકરી જશે એ કોઈ કહી શકતું નહોતું અને ખુલાસા કરવાની ઇન્દિરા ગાંધીને ટેવ નહોતી. રાજીવ ગાંધીએ પ્રધાનોમાં ટીમ સ્પિરિટ અને પ્રોડક્ટિવિટી વધારવા માટે પ્રયાસ કર્યો હતો, પરંતુ તેમના નવા નિશાળિયા પ્રધાનો વધારે પડતા સ્માર્ટ સાબિત થયા હતા જેમાં સરવાળે રાજીવ ગાંધી હાસ્યાસ્પદ બની ગયા હતા. એ પછીની મિશ્ર સરકારોમાં તો સરકાર ટકાવી રાખવી એ જ જ્યાં મુખ્ય પડકાર હોય ત્યાં કોઈને શું સલાહ આપવી અને કોઈ સલાહ માને પણ શા માટે? 



નરેન્દ્ર મોદીએ જો પોતાના પ્રધાનમંડળમાં ટીમ સ્પિરિટ અને પ્રોડક્ટીવિટી વધારવાં હોય તો તેમણે જવાહરલાલ નેહરુને અનુસરવા જોઈએ જેમની આજે સવાસોમી જન્મજયંતી છે. નેહરુ દરેક પ્રધાનને પોતાનું કૌવત બતાવવાનો અવસર આપતા હતા અને એમાં તેઓ મદદ કરતા હતા. નેહરુની મર્યાદા સ્વપ્નરંજકતા અને અધીરાઈ હતી. એક દાયકામાં તેઓ ભારતની કાયાપલટ કરી નાખવા માગતા હતા. નરેન્દ્ર મોદીમાં અધિરાઈ તો નથી નજરે પડતી, પરંતુ તેમણે તેમના પ્રધાનમંડળના દરેક સભ્યને કૌવત બતાવવાનો અવસર આપવો જોઈએ જેનો અભાવ નજરે પડી રહ્યો છે. નેહરુ શાસનની ગુણવત્તાને કેન્દ્રમાં રાખતા હતા, જ્યારે મોદી શાસનની ગુણવત્તા કરતાં પોતાને વધુ કેન્દ્રમાં રાખે છે. 



એક તો જવાહરલાલ નેહરુની કૅબિનેટ અને નરેન્દ્ર મોદીની કૅબિનેટ વચ્ચે તુલના ન થઈ શકે. આમાં મોદીનો કોઈ વાંક નથી. એ યુગ જુદો હતો અને લોકો જુદા હતા. એ લોકો સત્તા માટે રાજકારણમાં નહોતા આવ્યા, સ્વરાજ માટે આવ્યા હતા અને સફળ કારકિર્દીનો ત્યાગ કરીને આવ્યા હતા. નેહરુના અડધા વેણનો અર્થ સમજવા જેવી તેમની ક્ષમતા હતી અને નેહરુએ પણ તેમને સાંભળવા પડે એવા એ મહાન માણસો હતા.



આની સામે નરેન્દ્ર મોદીનું પ્રધાનમંડળ ફીકું છે. વડા પ્રધાનની ટીમમાં વડા પ્રધાનને છોડીને ૬૫ સભ્યો છે જેમાંથી સ્વતંત્ર રીતે ચાલી શકવાની ક્ષમતા ધરાવનારા માત્ર આઠ સભ્યો છે; અરુણ જેટલી, સુષમા સ્વરાજ, મનોહર પર્રિકર, સુરેશ પ્રભુ, રવિશંકર પ્રસાદ, નીતિન ગડકરી, નિર્મલા સીથારામન અને ડૉ. હર્ષવર્ધન. આમાંથી હર્ષવર્ધનને કદાચ દિલ્હીના મુખ્ય પ્રધાન બનાવવામાં આવશે અને સુષમા સ્વરાજ તેમ જ નિર્મલા સીથારામનને સ્વતંત્ર રીતે કામ કરવાની તક આપવામાં આવતી નથી. નીતિન ગડકરીની મથરાવટ મેલી છે એટલે તેમના પર નજર રાખવી પડે એમ છે. રાજનાથ સિંહ પક્ષના સિનિયર નેતા છે, પણ સક્ષમ શાસક તરીકે તેમણે ક્યારે ય નામના મેળવી નથી. વળી તેઓ પણ ગૃહપ્રધાન તરીકે કામ કરવાની કોઈ આઝાદી નથી ધરાવતા. તેમણે વડા પ્રધાન, રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજિત ડોવલ અને આગળ વધીને અમિત શાહના સૂચન મુજબ કામ કરવું પડે છે.

આનો અર્થ એ થયો કે નરેન્દ્ર મોદીની કૅબિનેટ વ્યવહારમાં આઠ સભ્યોની કૅબિનેટ છે જેમાંથી માત્ર ચાર સ્વતંત્ર છે, બે અંકુશ હેઠળ છે, એક નજર હેઠળ છે અને એકને દિલ્હીના મુખ્ય પ્રધાનપદે મોકલવા દરવાજે ઊભા રાખી દેવાયા છે. જો સ્થિતિ આવી જ બની રહેશે તો કાર્યક્ષમતા બાબતનાં સૂચનોનો કોઈ અર્થ સરવાનો નથી. આનો અર્થ એવો પણ નથી કે રાજ્યસ્તરના પ્રધાનોમાં કોઈમાં કૌવત નથી. પીયૂષ ગોયલ અને નવા ઉમેરાયેલા જયંત સિંહા જેવા પ્રધાનો આગળ જતાં ઝળકી શકે છે. અરુણ જેટલી અને અરુણ શૌરી અટલ બિહારી વાજપેયીના પ્રધાનમંડળમાં જુનિયર પ્રધાન હતા. નરેન્દ્ર મોદીએ અત્યારે પ્રોડક્ટિવિટી કરતાં ટકોરાબંધ ટીમ મોદી બને એના પર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ. એ હશે તો જ એ પ્રોડક્ટિવ નીવડશે. કૂવામાં હોય તો હવાડામાં આવે એ કહેવત તો સાંભળી જ હશે.

સૌજન્ય : ‘મંતવ્ય-સ્થાન’ નામક કટાર, “ગુજરાતી મિડ-ડે”, 14 નવેમ્બર 2014

Loading

15 November 2014 

રમેશ ઓઝા


← Nehru: The writer, the historian
Poetics of a nation: remembering Nehru →

Search by

Opinion

  • ‘સાવન ભાદો’ની કાળી અને જાડી રેખાનું નમકીન આજે 70 વર્ષે પણ અકબંધ 
  • હંસને કી ચાહને કિતના મુઝે રુલાયા હૈ
  • પણે કેવળ પ્રાસંગિક થઈને રહી ગયા છીએ ….
  • બિઈંગ નોર્મલ ઈઝ બોરિંગ : મેરેલિન મનરો
  • અર્થ-અનર્થ – આંકડાની માયાજાળમાં ઢાંકપિછોડા

Diaspora

  • આપણને આપણા અસ્તિત્વ વિશે ઊંડા પ્રશ્નો પૂછતી ફિલ્મ ‘ધ બ્લેક એસેન્સ’
  • ભાષાના ભેખધારી
  • બ્રિટનમાં ગુજરાતી ભાષા-સાહિત્યની દશા અને દિશા
  • દીપક બારડોલીકર : ડાયસ્પોરી ગુજરાતી સર્જક
  • મુસાજી ઈસપજી હાફેસજી ‘દીપક બારડોલીકર’ લખ્યું એવું જીવ્યા

Gandhiana

  • સરદારનો ગાંધી આદર્શ 
  • કર્મ સમોવડ
  • સ્વતંત્રતાનાં પગરણ સમયે
  • આપણે વેંતિયાઓ મહાત્માને માપવા નીકળ્યા છીએ!
  • ગાંધીજી જીવતા હોત તો

Poetry

  • વરસાદમાં દરવાજો પલળ્યો
  • વચ્ચે એક તળાવ હતું
  • ઓલવાયેલો સિતારો
  • કારમો દુકાળ
  • વિમાન લઇને બેઠા …

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day
  • Destroying Secularism
  • Between Hope and Despair: 75 Years of Indian Republic

Profile

  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી
  • નારાયણ દેસાઈ : ગાંધીવિચારના કર્મશીલ-કેળવણીકાર-કલમવીર-કથાકાર
  • મૃદુલા સારાભાઈ
  • મકરંદ મહેતા (૧૯૩૧-૨૦૨૪): ગુજરાતના ઇતિહાસલેખનના રણદ્વીપ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved