8મી માર્ચ નારી મુક્તિ દિવસ તરીકે ઉજવાય છે. એ મૂળ તો વિદેશથી આવેલી ઉજવણી છે. આમ પણ આપણા દિવસો વિદેશ ઉજવે તે રીતે જ ઉજવાય છે. એમાં આપણું ખાસ કૈં નથી. આ દિવસોનું એવું છે કે તેનું જે તે દિવસ પૂરતું જ મહત્ત્વ હોય છે ને પછી બધું ભુલાઈ જાય છે. ભુલાઈ એટલે જાય છે કારણ, બીજે દિવસે, બીજો દિવસ ઉજવાવવા માટે સામે આવી જાય છે. નારી એક દિવસ માટે જ મહત્ત્વ ધરાવે એવું તો ન હોય. એ જ રીતે તેની મુક્તિ પણ એક દિવસ માટે ન જ હોય, પણ આપણે એકાદ દિવસ પૂરતું જ મહત્ત્વ સ્વીકારીએ છીએ એટલે તેની બહુ અસર ઊભી થતી નથી. મોટે ભાગનાનું જીવન પરદેશની નકલો કરવામાં જ વ્યતીત થતું હોય છે. વિદેશમાં જે સંજોગોમાં ઉજવણી શરૂ થઈ હોય એવી જ પરિસ્થિતિ આપણે ત્યાં પણ હોય ને જે તે દિવસ ઉજવીએ તો ઠીક, પણ એવું દરેક દિવસ માટે કહી શકાય એમ નથી. કાલ ઊઠીને વિદેશ ‘ડફોળ ડે’ ઊજવે તો આપણે પણ તે ઉજવવાનું શરૂ કરી દઇએ એમ બને. ઉજવણું કે ઉઠમણું આપણે તો ઉજવવામાં જ માનીએ છીએ. એમ જ દુનિયાની સાથે નારી મુક્તિ દિવસ આપણે પણ ઉજવીશું. એમ પણ બને કે શું કામ ઉજવીએ છીએ તેની બહુ ગતાગમ વગર જ એ દિવસ ઊજવી કાઢીએ. મોટે ભાગે તો દેખાદેખી જ બધું થાય છે, પણ કેટલીક ઉજવણી અંગેની સમજ આપણે આપણા હિતમાં કેળવવી જોઈએ.
એમ મનાય છે કે 1910ની સાલમાં કોપનહેગનમાં ભરાયેલાં આંતરરાષ્ટ્રીય મહિલા સંમેલનમાં 8 માર્ચને આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ તરીકે ઉજવવાનું નક્કી થયું. એ પછી યુ.એન. દ્વારા તેને બહાલી મળતાં સોથી વધુ વર્ષથી આ દિવસ વિશ્વ આખામાં ઉજવાય છે. એ પણ સમજી લઇએ કે નારીવાદની શરૂઆત સ્ત્રીએ નહીં, પણ પુરુષે કરી છે. અઢારમી સદીમાં જહોન સ્ટુઅર્ટ મિલ દ્વારા નારીના અધિકારની વાત ઇંગ્લેંડનાં રાણી વિક્ટોરિયા સમક્ષ મૂકવામાં આવી હતી. તેણે પહેલીવાર નારીના મતાધિકાર, વારસાઇ હક અને સ્ત્રી શિક્ષણની વાત કરી હતી. આ અધિકારોથી સ્ત્રીઓ વંચિત હતી ને કમાલ એ છે કે નારી હોવા છતાં રાણી વિકટોરિયાએ તેનો વિરોધ કર્યો હતો. જ્યારે અઢારમી ને ઓગણીસમી સદીમાં ભારતની સ્ત્રીઓની સ્થિતિ થોડી જુદી હતી. કદાચ સમસ્યા સરખી હતી, પણ અધિકારની કશી સભાનતા વગર અંધકારમાં જ સ્ત્રી જીવન વ્યતીત કરતી હતી. પોતે અંધકારમાં જીવે છે એવી સભાનતા પણ કદાચ ન હતી. સ્ત્રીઓ સુખ કે દુ:ખ વેઠી લેતી હતી. વિદેશમાં ન હતું તેવું પણ કેટલુંક અહીં હતું. દેશમાં ત્યારે સતી થવાનો ચાલ હતો. ભારતમાં પતિની ચિતામાં તેની વિધવા બળી મરતી હતી કે કેટલાક કિસ્સામાં સતી થવાની ફરજ પણ પડાતી હતી. એ રિવાજ પણ કોઈ સ્ત્રીએ નહીં, પણ બંગાળના સુધારક રાજા રામમોહન રાયે દૂર કરાવેલો. ભારતીય સ્ત્રીઓ તો અધિકાર અને શિક્ષણ વગર જ જીવતી હતી. લગ્ન, સંતાન ઉછેર અને પતિ સેવામાં જ તેનું જીવન પૂરું થઈ જતું હતું. પતિ રાક્ષસથી ય બદતર કેમ ન હોય, પણ તે પરમેશ્વર ગણાતો હતો. વીસમી સદીના સુધારકો કેશવચંદ્ર સેન, મહાત્મા ફૂલે, જસ્ટિસ રાનડે જેવા આવ્યા ને નારીનાં શિક્ષણ અને અધિકારની વાતો થવા લાગી. તેને બળ મળ્યું ગાંધીજીની આઝાદીની ચળવળમાં સ્ત્રીઓની ભાગીદારી વધી એનાથી. 1930ના દાયકાથી સ્ત્રીઓમાં જાગૃતિ આવી. તે શિક્ષણ લેતી થઈ. આઝાદી પછી તો બંધારણમાં જ સ્ત્રી-પુરુષ સમાનતાનો મહિમા થયો ને હવે તો સ્ત્રીઓ આર્થિક રીતે પગભર થતાં અનેક ક્ષેત્રોમાં સક્રિય થઈ છે.
સવાલોનો સવાલ એ છે કે વૈદિક કાળમાં સ્ત્રીઓની સ્થિતિ સારી હતી તો તે સતી થવા સુધી કેમનીક પહોંચી? વૈદિક કાળમાં સ્ત્રીઓને અધિકાર હતા. ગાર્ગી, મૈત્રેયી, લોપામુદ્રા જેવી સ્ત્રીઓ અબળા ન હતી. વેદની જાણકાર હતી. તે પોતાને જ્ઞાની ગણાવતી હતી. દીકરાની જેમ દીકરીના પણ ઉપનામ સંસ્કારો થતા હતા. આજે પિતાના અંતિમ સંસ્કાર દીકરી કરે છે તો તેનું આશ્ચર્ય થાય છે, પણ વૈદિક કાળમાં એ અધિકાર સ્ત્રીને સહજ પ્રાપ્ત હતો. આજે ઘણી કન્યા વરની પસંદગી પોતે કરે છે, પણ આ સ્થિતિ પુરાણોમાં પણ હતી. સીતા અને દ્રૌપદીના સ્વયંવરો યોજાયાની વાત તો જાણીતી છે. દશરથની સાથે કૈકેયી યુદ્ધમાં ગઈ હતી ને તેણે જોખમ વહોરીને રાજાને વિજયી બનાવ્યો હતો ને તેની પાસેથી વરદાન પણ મેળવ્યાં હતાં. લક્ષ્મીબાઈ, અહલ્યાબાઈ કે રઝિયા સુલતાનનાં શાસનની તો ઇતિહાસ પણ સાક્ષી પૂરે છે, તો એવું શું થયું કે નારી ‘નરકની ખાણ’ ગણાવા લાગી?
આપણે વિદેશી આક્રમણોને કારણે પછાત મનોદશામાં ધકેલાયા ને સ્ત્રીઓની અવદશા થઈ એવું માનીએ છીએ ને એમાં ઘણું તથ્ય છે એની પણ ના નથી, પણ બધો દોષ આક્રમણ પર ઢોળવાનું ઠીક નથી. આક્રમણખોર પ્રજાને કારણે સ્ત્રીઓ ઉપભોગની વસ્તુ ગણાઈ હશે ને પરાજિત પ્રજાએ નૈતિક મનોબળ ગુમાવ્યું હોય એ સમજી શકાય એમ છે. વિદેશી સંસ્કૃતિનો એવો પ્રભાવ પડ્યો હોય ને આક્રમક પ્રજાની નકલ કરવામાં સ્ત્રી વધુ ઉપભોગની વસ્તુ બની હોય એમ બને, પણ કોઈ વિદેશી પ્રજાએ બાળકીને દૂધ પીતી નથી કરી. બાળલગ્નોને ઉત્તેજન અંગ્રેજોએ આપ્યું એમ માનવાનું છે? સતી થવાનો ચાલ બંધ કરવાનો કાયદો જો અંગ્રેજોએ કર્યો હોય તો એવું તો ન કહેવાય કે સતી થવાનો ચાલ અંગ્રેજોની અસરમાં શરૂ થયો. ભારતીય
શાસ્ત્રોમાં પણ સ્ત્રીનાં સન્માનની વાતો છે જ, તો કયાં ગરબડ થઈ? સ્ત્રીને દાસી સમજવાનું વિદેશથી આવ્યું એમ? કે આપણા રાજા મહારાજાઓની એ દેન છે? એ કદાચ પુરુષ પ્રધાન સમાજ રચનાની નીપજ છે. એ સ્થિતિ ભારતમાં જ છે એવું નથી, વિશ્વ આખામાં પુરુષપ્રધાન સમાજનો જ પ્રભાવ અત્યારે પણ વર્તાય છે, આમ છતાં સાચું તો એ જ છે કે દૂધ પીતી કરવાની વાત કે સતી થવાનો ચાલ જેવી ઘણી બાબતો ભારતીય પરંપરાની જ નીપજ છે ને આનંદ એ વાતનો છે કે એનો વિરોધ કરનારા એ જ પુરુષ પ્રધાન સમાજના પ્રતિનિધિઓ છે. એ પણ છે કે સ્વતંત્રતા પ્રાપ્તિ પછી સ્ત્રી અને પુરુષને બંધારણમાં સમાન અધિકારો અપાયા છે. પુરુષ પ્રધાન સમાજ હોય તો પણ સ્ત્રીનું મહત્ત્વ સ્વીકારાયું છે ને તેને સન્માન અપાતું પણ થયું છે. એનું પ્રમાણ ઓછું હશે, પણ એમાં સુધારો ન જ આવે એવું નથી. મુખ્ય મંત્રી, વડા પ્રધાન, રાષ્ટ્રપતિ પદે મહિલાઓ આરુઢ થઈ છે. શિક્ષણનું પ્રમાણ પણ વધ્યું છે. સામાજિક જવાબદારીઓમાં સ્ત્રીઓની ભાગીદારી વધી છે. વારસાઈ હક માટેની સ્ત્રીની સભાનતા પણ વધી છે. દહેજના ખોટા કેસ કરવાથી માંડીને કંપનીના સી.ઈ.ઓ. તરીકે ફ્રોડ કરવા સુધી પણ સ્ત્રીઓ પહોંચી છે. આર્થિક સમાનતા પ્રાપ્ત કરવામાં સ્ત્રીમાં સ્પર્ધા ભાવ પણ વધ્યો છે, સમાનતાથી આગળ વધીને તે પુરુષને પરાસ્ત કરવા સુધી પણ ગઈ છે. કેરિયરિસ્ટ થવામાં તે હકોનું ધ્યાન રાખતી થઈ છે, એટલી ફરજની ચિંતા કરતી નથી એવી ફરિયાદો પણ ઊઠી છે. આર્થિક રીતે પગભર થતાં તેનો વિશ્વાસ વધ્યો છે, પણ લગ્ન સ્વસ્થ ન રહે એવું પણ બન્યું છે. છૂટાછેડાનું પ્રમાણ વધ્યું છે. એનો અર્થ એવો પણ નહીં જ કે લગ્ન ટકાવવા શોષણ વેઠી લેવું. આર્થિક જવાબદારી નિભાવતાં સ્ત્રીઓ, બાળકો તરફ ઓછું ધ્યાન આપતી હોય એમ બને, પણ ત્યાં પતિની સહભાગિતા વધે એ અપેક્ષિત છે. બાળઉછેર કેવળ સ્ત્રીની જ જવાબદારી છે એ ખ્યાલ બદલાય તો બાળઉછેરના પ્રશ્નો ઉકેલાય એમ છે.
એ બધું છતાં સ્ત્રીઓનું આર્થિક તેમ જ શારીરિક શોષણ અનેક ક્ષેત્રોમાં થાય જ છે તેની ના પાડી શકાશે નહીં.
છેડતી, બળાત્કાર, ખૂન, આત્મહત્યાના વધતા બનાવો એ વાતની સાક્ષી પૂરે એમ છે કે સ્ત્રી વિકસતા સમાજમાં વધુ ને વધુ અસુરક્ષિત છે. સ્ત્રી કદાચ શક્તિ તરીકે, માતા તરીકે, દેવી તરીકે સ્વીકાર્ય છે, પણ મિત્ર, પ્રેમિકા, પત્ની તરીકે તે ઓછી સ્વીકૃતિ પામી હોય એમ લાગે છે, કારણ આ સ્વરૂપમાં જ તે સૌથી વધુ અપમાનિત થતી પણ દેખાય છે.
આ પૃથ્વી પર સ્ત્રી અને પુરુષ એકબીજાના પૂરક તરીકે અવતર્યાં ત્યારે એવું કોઈ પ્રમાણ મળતું નથી કે સ્ત્રી અને પુરુષ વચ્ચે કોઈ વિશેષતા કે ભેદ જોવાયો હોય. સ્ત્રી એટલે નીચી ને પુરુષ એટલે ઊંચો એવો ભેદ ચોક્કસપણે ક્યારથી અમલમાં આવ્યો તેની પણ કોઈ વાત પ્રમાણભૂત રીતે જાણવા મળતી નથી. સમાજ અસ્તિત્વમાં આવ્યો ને સત્તાનાં સૂત્રો પુરુષોના હાથમાં આવ્યાં તેણે કદાચ પુરુષનું મહત્ત્વ વધાર્યું હોય એમ બને. યુદ્ધનાં મેદાનમાં બાહુબળનો મહિમા થયો હોય ને સ્ત્રી તેની સલુકાઇને કારણે પડદા પાછળ ગઈ હોય એમ બનવા સંભવ છે. સત્તાની જેમ સ્ત્રી પણ પ્રાપ્ત કરવાની બાબત બની હોય એવું ખરું? પણ ઇતિહાસમાં સત્તાનાં સૂત્રો સ્ત્રીએ નથી જ સંભાળ્યાં એવું નથી. કદાચ સત્તાનાં સૂત્રો પુરુષના હાથમાં સંખ્યા અને શક્તિ સંદર્ભે વધારે સમય સુધી રહ્યાં ને તેણે પુરુષનો મહિમા વધાર્યો હોય એ શક્ય છે, પણ, હવે પરિસ્થિતિ બદલાઈ છે. સ્ત્રી અનેક ક્ષેત્રોમાં અગ્રેસર થઈ છે, બલકે, કેટલીક બાબતોમાં પુરુષ કરતાં પણ આગળ નીકળી છે. જેમ કે, પુરુષ આજની તારીખમાં પણ આર્થિક મોરચાથી બહુ આગળ ગયો નથી, જ્યારે સ્ત્રી આર્થિક અને પારિવારિક એમ બંને મોરચે પોતાને પુરવાર કરી ચૂકી છે. બાળઉછેર અને નોકરી એમ બે બાબતો પુરુષને અપવાદરૂપે જ ફાવતી હશે. જો આ સાચું હોય તો સ્ત્રી-પુરુષ સમાનતા સિદ્ધ થઈ ચૂકી છે એવું નહીં? એ પછી પણ સ્ત્રીનું શોષણ થતું રહે તો તે શરમજનક જ ગણાય.
સ્ત્રી એક તબક્કે પુરુષ સમોવડી બનવા મથતી હતી. તેણે પુરુષ જેવો વેશ કાઢ્યો હતો. કેમ જાણે તેનામાં કશુંક ખૂટતું હતું ને તે પુરુષ જેવા થવાથી જ મેળવી શકાય એમ હતું. આ જરા પણ જરૂરી ન હતું. સ્ત્રી, સ્ત્રી તરીકે જ તેનાં હોવાનું સાર્થક્ય અનુભવે એ જ મહત્ત્વનું ને પૂરતું છે. તે જે છે તે જ સ્વયંસંપૂર્ણ છે. તેણે કોઈના જેવા થવાની જરૂર નથી. પુરુષ તેને સ્થાને યોગ્ય છે, એ જ રીતે સ્ત્રી પણ તેને સ્થાને પરિપૂર્ણ છે. તેણે માત્ર એક દિવસ માટે મુક્ત થવાની જરૂર નથી, તે મુક્ત છે ને મુક્ત રહેવા જ સર્જાયેલી છે. તેણે મુક્તિ માંગવાની નથી. કોઈ કરે તો જ તે મુક્ત થાય એવું નથી. મુક્તિ ભીખ નથી, અધિકાર છે આટલું સ્ત્રી હવે સમજી ચૂકી છે ને આ સમજ જ તેને માટે કોઈ બંધન નહીં ઊભું થવા દે એમ લાગે છે. અસ્તુ !
000
e.mail : ravindra21111946@gmail.com
પ્રગટ : ‘આજકાલ’ નામક લેખકની કટાર, “ધબકાર”, 07 માર્ચ 2022