ગાંધીજી, વિનોબા અને સરદાર પટેલ જેવા ઠપકો આપી ચુક્યા છે ડફણાં મારી ચુક્યા છે ત્યાં પ્રણવ મુખર્જી તો બહુ નાના માણસ છે. તેમને તો સૌજન્યના ભાગરૂપે બોલાનારા બે વાક્યો જોઈએ છે જેનો ઉપયોગ કરવામાં આવશે. પ્રણવ મુખર્જીનું આખું પ્રવચન ભૂંસી નાખવામાં આવશે અને હેડગેવારને અંજલિ આપતાં બોલાયેલા પ્રશસ્તિનાં બે વાક્યો યાદ કરવામાં આવશે.
પ્રેરણા કાંઈ પણ હોય, પરિણામ એક જ આવે છે અને પરિણામ હોય છે ખોટા માણસોને પ્રતિષ્ઠા આપવાનું. તેમને એટલું જ જોઈતું હોય છે અને એ મેળવવા માટે તેઓ અથાક પ્રયત્નો કરે છે.
મહાત્મા ગાંધી બીજી ગોળમેજ પરિષદમાં ભાગ લેવા લંડન ગયા, ત્યારે પાછા ફરતા તેઓ ઇટાલીના ફાસિસ્ટ સરમુખત્યાર બેનિટો મુસોલિનીને મળવા ઇટલી ગયા હતા. ગાંધીજી મુસોલિનીને મળવા ગયા, એ પહેલાં સ્વિત્ઝરલૅન્ડ તેમના મિત્ર અને સાહિત્યકાર રોમાં રોલાઁને મળવા ગયા હતા. રોલાઁને જ્યારે ખબર પડી કે ગાંધીજી મુસોલિનીને મળવાના છે, ત્યારે તેમણે ગાંધીજીને ચેતવવાનો અને વારવાનો પ્રયાસ કર્યો હતો. ગાંધીજીએ તેમને કહ્યું કે જો તેઓ મુસોલિનીને મળશે તો એ બેઠક ગુપ્ત નહીં હોય. દરેક અર્થમાં ગુપ્ત નહીં હોય અર્થાત્ તેની વિગતો ગાંધીજી ખુલ્લી કરાશે.
મુસોલિનીને ગાંધીજીને મળીને ક્યાં કોઈ કુલડીમાં ગૉળ ભાંગવો હતો, અને એ મહાત્મા સાથે શક્ય નહોતું એની તેને ખબર હતી. મુસોલિનીને તો માત્ર એટલું જોઈતું હતું કે સાંસ્થાનિક દેશો તેમના તરફ આશાની નજરે જોઈ રહ્યા છે, અને તેમના સર્વોચ્ચ નેતા અને વિશ્વવંદ્ય શાંતિદૂત તેમને મળવા આવ્યા હતા. મેસેજ યુરોપ માટે હતો, ઇટાલીની પ્રજા માટે હતો અને બ્રિટન માટે પણ હતો. ઈટાલિયનો માટે વિશેષ હતો કે જુઓ તમારો નેતા તમે ધારો છો એટલો દુષ્ટ નથી. આખું જગત જેને મહાત્મા તરીકે ઓળખાવે છે એને પણ મુસોલિની મળવા જેવો માણસ લાગે છે. રોમાં રોલાઁએ ફાસીવાદના ચહેરા વિષે અને તેની મોડસ અૉપરૅન્ડી વિષે જાણકારી આપવા છતાં ગાંધીજી માન્યા નહોતા. રોલાઁએ તેમની ડાયરીમાં નોંધ્યું છે કે ગાંધીજીના ચહેરા પર ફાસીવાદી બેનિટો મુસોલિનીને મળવાનું વિલક્ષણ કુતુહલ હતું.
ગાંધીજી ગોળમેજ પરિષદમાં જાય, ત્યારે મુસોલિની સાથે મુલાકાત ગોઠવાય તેની તજવીજ મુસોલિનીએ ઘણી વહેલી શરુ કરી દીધી હતી. પહેલી ગોળમેજ પરિષદ થાય એ પહેલાથી, પરંતુ ગાંધીજી પહેલી ગોળમેજ પરિષદમાં ભાગ લેવા ગયા નહોતા એ જુદી વાત છે. ગાંધીજી ઇટલી આવે અને તેમને મળે એ માટે અનેક પ્રયત્નો કરનારા મુસોલિની ગાંધીજી જ્યારે તેમને મળવા આવ્યા, ત્યારે જાણે કોઈ પત્રકાર ગાંધીજીની મુલાકાત લેતો હોય એમ ઉપરાઉપર પ્રશ્નો પૂછ્યા હતા. છેક છેલ્લે મુસોલિનીએ ગાંધીજીને પૂછ્યું હતું કે યુરોપ વિષે તમે શું વિચારો છો? ગાંધીજીએ કહ્યું હતું કે આજના યુરોપીયન રાષ્ટ્રની ઈમારત શોષણ અને હિંસાના પાયા પર ઊભી છે, જે ઝાઝા દિવસ ઊભી નહીં રહી શકે. તે અચૂક તૂટી પડશે. એ પછી મુસોલિનીએ છેલ્લો પ્રશ્ન પૂછ્યો હતો કે ઇટલી અને રોમ કેવા લાગ્યા? ગાંધીજીએ બે-ચાર વાક્યો પ્રસંશાના કહ્યા એ મુસોલિનીની વધારાની કમાઈ હતી.
મુસોલિનીને ગાંધીજીનાં તત્ત્વજ્ઞાનમાં ક્યાં કોઈ રસ હતો. તેનો ઉદ્દેશ તો ગાંધીજીનો ઉપયોગ કરવાનો હતો. ગાંધીજી મુસોલિનીને મળ્યા, એ પહેલાં રવીન્દ્રનાથ ટાગોર પણ મુસોલિનીને મળ્યા હતા. આઝાદી માટે લડતા એક ગરીબ ગુલામ દેશના બંગાળી ભાષામાં લખતા કવિને મળવા માટે મુસોલિનીએ સમય કાઢ્યો હતો, કારણ તેને આંતરરાષ્ટ્રીય સ્વીકૃતિ જોઈતી હતી. સ્વીકૃતિ ન મળે તો કાંઈ નહીં, કમસેકમ આભડછેટથી મુક્તિ જોઈતી હતી. જુઓ આવા મહાન માણસો અમને મળે છે, અમે તમે માનો છો એટલા દુષ્ટ નથી એવો મેસેજ જવો જોઈએ.
ગાંધીજી-મુસોલિની મુલાકાત વિષે અને ગાંધીજી-હિટલર પત્રવ્યવહાર વિષે ખૂબ લખાયું છે અને હજુ લખાય છે. ટાગોર-મુસોલિની મુલાકાત વિષે તો ‘મિટિંગ વિથ મુસોલિની: ટાગોર્સ ટુર્સ ઇન ઇટલી’ નામનું આખું પુસ્તક લખાયું છે, પરંતુ એની વાત અહીં જવા દઈએ.
૧૯૨૭માં ગાંધીજી રત્નાગિરિ ગયા હતા, જ્યાં વિનાયક દામોદર સાવરકર રત્નાગિરિની બહાર નહીં જવાની શરતે રહેતા હતા. આંદામાન જેલમાંથી છૂટવા માટે વારંવાર માફી માગ્યા પછી અને કાકલૂદી કર્યા પછી અંગ્રેજોએ તેમને સશર્ત છોડ્યા હતા કે તેઓ રત્નાગિરિની બહાર નહીં જાય અને રાજકારણમાં ભાગ નહીં લે. સાવરકરભક્તો કહે છે કે તેમણે દેશને આઝાદી અપાવનારા રાજકારણમાં ભાગ લઈ શકાય, એટલા માટે રણનીતિના ભાગરૂપે માફી માગી હતી, બાકી તેઓ કાયર નહોતા. આંદામાનની જેલમાં સાવરકર હતા એ દરમ્યાન કેદીઓએ એક ડઝન વખત અન્યાય અને અત્યાચાર સામે કે સવલતો મેળવવા માટે આંદોલન કર્યા હતા. સાવરકરે કેદીઓના એક પણ (આય રિપીટ એક પણ) આંદોલનમાં ભાગ લીધો નહોતો. બીજું, આંદામાનમાં જીવન ન વેડફાય અને આઝાદીના અંદોલનમાં ભાગ લઈ શકે એ માટે સાવરકરે માફીઓ માગી હતી એવો બચાવ કરવામાં આવે છે, પરંતુ સાવરકરે તો રાજકારણ નહીં કરવાની શરત સ્વીકારી લીધી હતી અને આખી જિંદગી એ શરત પાળી હતી.
તો ગાંધીજી જ્યારે રત્નાગિરિ ગયા ત્યારે તેમને ખબર હતી કે સાવરકર રત્નાગિરિમાં રહે છે. વળી ગાંધીજી અને સાવરકર લંડનમાં ઇન્ડિયા હાઉસમાં અનેક દિવસ સાથે રહ્યા હતા, સાથે સભા સંબોધી હતી અને ખૂબ ચર્ચાઓ કરી હતી. ગાંધીજીના અમર પુસ્તક ‘હિન્દ સ્વરાજ’માં જે પ્રશ્નકર્તા છે એ મહદ્દઅંશે સાવરકર છે. આમ સાવરકર ગાંધીજી માટે મુસોલિનીની માફક અજાણ્યા નહોતા. તમને ખબર છે? સાવરકરને અને બીજા કેદીઓને આંદામાનની કાળાપાણીની સજામાંથી મુક્તિ મળે, એ માટે ગાંધીજીએ અંગ્રેજ સરકારને પત્ર લખ્યો હતો અને તેમના કહેવાથી કોંગ્રેસે ઠરાવ પસાર કર્યો હતો જેનો ઉલ્લેખ સાવરકરના કોઈ લખાણમાં નથી. અહેસાન ફરામોશી તેમના માટે નવી નહોતી.
આમ ગાંધીજી જ્યારે રત્નાગિરિ ગયા, ત્યારે કોંકણના ગાંધી તરીકે ઓળખાતા અપ્પાસાહેબ પટવર્ધને ગાંધીજીને પૂછ્યું હતું કે તમે સાવરકરને મળશો? ગાંધીજી મળે એવી સાવરકરની ઈચ્છા હતી અને એ માટે તેમણે અપ્પાસાહેબ દ્વારા દાણા નાખ્યા હતા. ગાંધીજીએ કોઈ જવાબ આપ્યો નહોતો. અપ્પાસાહેબે ગાંધીજીને કહ્યું હતું કે તેઓ સાવરકરના સંપર્કમાં છે અને સલાહ માગી હતી કે સાવરકર સાથે કામ કરવું જોઈએ કે નહીં? ગાંધીજીનો ઉત્તર માર્મિક હતો: ‘આમ તો વાંધો નહીં, પણ જરા સંભાળીને. બહુ ઊંડો માણસ છે’. આ વાતચીત પરથી સમજાશે કે ગાંધીજીને સાવરકરને મળવામાં ખાસ કોઈ રસ નહોતો. એ દિવસે સાંજે ગાંધીજીની સત્કારસભા હતી જેમાં એક માણસ સાવરકરની ચિઠ્ઠી લઈને આવ્યો હતો, જેમાં સાવરકરે લખ્યું હતું કે આજની સભામાં ઉપસ્થિત રહેવાની મારી ખૂબ ઈચ્છા હતી, પરંતુ નાદુરસ્ત તબિયતના કારણે આવી શક્યો નથી.
કોઈ માણસ બીમાર હોવાનું કહે અને તેની ખબર કાઢ્યા વિના ગાંધીજી જતા રહે એવું કદી બને? ગાંધીજી બીજા દિવસે સાવરકરને મળવા ગયા. વાતચીત પછી જ્યારે ગાંધીજી ઊઠ્યા ત્યારે તેમણે સાવરકરને કહ્યું કે અંદરથી શ્રીમતી સાવરકરને બોલાવો. કસ્તૂરબાને અનેક કષ્ટો સહન કરનારા મહાન તપસ્વિની યમુનાબહેનના દર્શન કરવાં છે અને એ સારું મારી સાથે આવ્યાં છે. આ એક વાક્યમાં ગાંધીજીએ ઘણું બધું કહી દીધું હતું કે ખરી હિંમતવાન અને ધૈર્યશીલ વ્યક્તિ કોણ છે. પણ આ તો સાવરકર હતા. તેમણે પોતે પોતાને કેન્દ્રમાં રાખીને ગાંધીજી કેટલો સાવરકરનો અનુનય કરતા હતા અને ગાંધીજી સાવરકરને મળવા માટે કેટલા ઉત્સુક હતા એવો અહેવાલ લખ્યો હતો અને મુંબઈના ‘શ્રદ્ધાનંદ’ નામના મરાઠી સપ્તાહિકમાં મોકલ્યો હતો જેને આજે ઐતિહાસિક તથ્ય તરીકે માનવામાં આવે છે. બાકી અપ્પાસાહેબની આત્મકથા કે બીજા સમકાલીન સાધનો તપાસશો તો આનાથી સાવ વિપરીત માહિતી મળે છે.
એ અહેવાલમાં ગાંધીજી સાવરકર માટે કેટલો ‘પૂજ્ય બુદ્ધિભાવ’ (આ શબ્દ સાવરકરનો ગમતો શબ્દ છે અને પોતે પોતાના માટે સેંકડોવાર પ્રયોજ્યો છે. સમગ્ર સાવરકરના દસ ખંડ વાંચશો, તો ચીતરી ચડી એટલી વખત અને એટલી હદે આ શબ્દ મળતો રહેશે.) ધરાવતા હતા એની વિગતો આપવામાં આવી છે. આ જગતનો દરેક મહાન માણસ સાવરકર માટે પૂજ્ય બુદ્ધિભાવ ધરાવતો હતો, શરત એટલી કે એ સાવરકરના સંપર્કમાં આવ્યો હોય. હકીકત તો એ છે કે ગાંધીજીએ અને કસ્તૂરબાએ યમુનાતાઈ સાવરકર માટે ‘પૂજ્ય બુદ્ધિભાવ’ વ્યક્ત કર્યો હતો, પરંતુ તેનો ‘શ્રદ્ધાનંદ’ના અહેવાલમાં કોઈ ઉલ્લેખ નથી. ન જ હોય સ્વાભાવિક છે.
૧૯૩૪માં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘે વર્ધામાં સ્વયંસેવકોની શિબિરનું આયોજન કર્યું હતું. એને માટે દિવસ એવો પસંદ કરવામાં આવ્યો હતો જ્યારે ગાંધીજી વર્ધામાં હોય. સંઘના સ્થાપક ડૉ. હેડગેવારે જમનાલાલ બજાજ દ્વારા ગાંધીજીને સમજાવ્યા હતા કે તેમણે સંઘનું કામ જોવું જોઈએ અને સ્વયંસેવકોનું માર્ગદર્શન કરવું જોઈએ. સ્વયંસેવકો ગાંધીજીને મળવા અને સાંભળવા ઉત્સુક છે. શિબર વર્ધામાં જ હતી એટલે ગાંધીજી ગયા હતા. ત્યાં તેમણે સંઘની શિસ્તના સ્વયંસેવકોની સાદગીનાં વખાણ કર્યા પછી બીજી ઘણી વાત કહી હતી, પરંતુ મુસોલિની અને સાવરકરની માફક તેની સાથે તેમને કોઈ સંબન્ધ નહોતો. સંઘના સ્વયંસેવકો ગાંધીજીની હત્યા માટે ગાંધીવધ શબ્દ વાપરે છે. સંઘના સ્વયંસેવકો ૧૯૬૯થી સવારની પ્રાર્થનામાં ગાંધીજીને પ્રણામ કરે છે, પરંતુ ગાંધીજીની હત્યાને ગાંધીવધ તરીકે ઓળખાવવાનું હજુ બંધ કર્યું નથી.
તેઓ ગાંધીજીએ આપેલા શિસ્ત અને સાદગીના પ્રમાણપત્રનો ઉપયોગ કરે છે, પરંતુ ગાંધીજીએ સંઘના નેતાઓને આપેલા ઠપકાનો અને આપેલી સલાહોનો ઉલ્લેખ કરતા નથી. જરૂર શું છે? જે જોઈતું હતું એ જમનાલાલ બજાજનો ઉપયોગ કરીને મળી ગયું હતું. ગાંધીજીનાં બે વાક્યોનો સંઘ ઉપયોગ કરે છે; પરંતુ સંઘની નિંદાના, સલાહના કે ઠપકાના બે હજાર વાક્યોનો તેઓ ઉલ્લેખ કરતા નથી. તમે શિસ્તબદ્ધ સાદગી ધરાવનારા રાષ્ટ્રવાદી છો એ સર્ટિફિકેટ મોટું કે તમે ફાસીવાદી પ્રવૃત્તિ કરો છો એ નિંદા મોટી? પરંતુ બીજી વાત લોકો સુધી પહોંચાડીએ ત્યારેને?
ગોલવલકર ગુરુજીના ‘બન્ચ ઓફ થોટ્સ’ નામના પુસ્તકને સંઘના બાયબલ તરીકે જોવામાં આવે છે. એ પુસ્તકના છેલ્લા કવર પર વિનોબા ભાવેની ગોલવલકરની કરેલી પ્રશસ્તિ ટાંકવામાં આવી છે. બસ, સાવરકરની ભાષામાં કહીએ તો પૂજ્ય બુદ્ધિભાવના ગણીને બે વાક્યો ઉપાડી લેવાના. જો હિંમત હોય તો સંઘવાળાઓ આખા સંદર્ભ સાથેનું વિનોબાનું નિવેદન પ્રકાશિત કરે. કોઈના નિવેદનોમાંથી, પ્રવચનોમાંથી, પત્ર વ્યવહારમાંથી સેરવીને સંદર્ભો તોડીને અનુકૂળ આવે એવા કથનોનો ઉપયોગ કરવો એ બેઈમાની છે.
બિહારઅંદોલન વખતે જયપ્રકાશ નારાયણને પણ આવો અનુભવ થયો હતો. હકીકતમાં સંઘની અને બી.જે.પી.ની પ્રતિષ્ઠા અને શક્તિ વધારવામાં જયપ્રકાશના બિહાર અંદોલનનો બહુ મોટો હાથ છે. એ પહેલાં ભારતના બહુમતી હિંદુઓ સંઘને ઘાસ નાખતા નહોતા અને સંઘના લોકોની ઠેકડી ઉડાડતા હતા. એક સમય હતો જ્યારે ઓફિસોમાં લંચ ટાઈમમાં ટાઇમ પાસ કરવાનો અને આનંદ મેળવવાનો રોજનો હાથવગો માણસ સંઘનો સ્વયંસેવક ગણાતો. મજા લેવા કોઈ ચાહી કરીને ગણપતિની વાત કાઢે એટલે તરત સ્વયંસેવક કહેશે કે પ્રાચીન ભારતમાં પ્લાસ્ટિક સર્જરી કરવામાં આવતી હતી અને ગણપતિ તેનું ઉદાહરણ છે. એ પછી ઠહાકા અને ખીંચાઈ. જે કથનથી કર્મચારીઓની બપોર સુધરી જતી એ કથન ભારતના વડા પ્રધાને મુંબઈ યુનિવર્સિટીના પ્રાંગણમાં વિજ્ઞાનીઓ વચ્ચે કર્યું હતું અને કેટલાક વિજ્ઞાનીઓએ તાળીઓ પાડીને વધાવી લીધું હતું.
આ મોટા માણસોએ નાના માણસોને આપેલાં પ્રમાણપત્રોનું પરિણામ છે. એ પ્રમાણપત્ર ભલે બે વાક્યમાં અને સૌજન્યના ભાગરૂપે હતાં, પણ હતાં તો ખરા જ. ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીને ખબર હોવી જોઈએ કે જ્યાં સંકીર્ણ અને વિકૃત વિચારો પ્રગટ થતા હોય, એનું ઘૂંટી ઘૂંટીને સ્વયંસેવકોને પાન કરાવવામાં આવતું હોય, આંખમાં આંજણ કરવામાં આવતું હોય અને એના આધારે દેશને જોડવાની જગ્યાએ તોડવાની પ્રવૃત્તિ ચાલતી હોય ત્યાં જાણે-અજાણે પણ સર્ટિફિકેટો આપવાનાં ન હોય. ગાંધીજીથી લઈને જયપ્રકાશ નારાયણ સુધીના લોકોનો કઈ રીતે ઉપયોગ કરવામાં આવ્યો છે તે પ્રણવદા જાણતા જ હોવા જોઈએ.
પ્રણવ મુખર્જી સહિત અનેક લોકો એવો ભ્રમ ધરાવે છે કે સંઘના મંચથી દૂર રહેવાની જગ્યાએ ત્યાં જવું જોઈએ, અને ત્યાં ઉદારમતવાદનો મહિમા કરીને અને સંકીર્ણ વિચારધારાની નિંદા કરીને તેમને ઠોકવા જોઈએ. તેઓ એ નથી જાણતા કે સંઘને એનાથી કોઈ ફરક નથી પડતો. ગાંધીજી, વિનોબા અને સરદાર પટેલ જેવા ઠપકો આપી ચૂક્યા છે ડફણાં મારી ચૂક્યા છે, ત્યાં પ્રણવ મુખર્જી તો બહુ નાના માણસ છે. તેમને તો સૌજન્યના ભાગરૂપે બોલાનારાં બે વાક્યો જોઈએ છે જેનો ઉપયોગ કરવામાં આવશે. પ્રણવ મુખર્જીનું આખું પ્રવચન ભૂંસી નાખવામાં આવશે અને હેડગેવારને અંજલિ આપતાં બોલાયેલાં પ્રશસ્તિનાં બે વાક્યો યાદ કરવામાં આવશે.
મુસોલિની હોય, સાવરકર હોય કે સંઘ હોય મોડસ અૉપરૅન્ડી એક સમાન છે: સજ્જનોના સૌજન્યનો દુરુપયોગ. ગાંધીજી, વિનોબા, સરદાર અને જયપ્રકાશ નારાયણના અનુભવ પછી પ્રણવ મુખર્જીએ ભ્રમમાં રહેવાની જરૂર નહોતી.
સૌજન્ય : ‘નો નોનસેન્સ’ નામક લેખકની કટાર, ‘સન્ડે સરતાજ’ પૂર્તિ, “ગુજરાતી મિડ-ડે”, 10 જૂન 2018