વડા પ્રધાન શાંઘાઈ કોઓપરેશ ઓર્ગેનાઈઝેશનની પરિષદમાં ભાગ લેવા બીજિંગ ગયા હતા જ્યાં તેમને ચીનના પ્રમુખ શી જિંગપીંગને મળવાનું બન્યું હતું. નરેન્દ્ર મોદી વડા પ્રધાન બન્યા એ પછીનું તેમનું આ ૧૪મું મિલન હતું અને હજુ એક મુલાકાત આવતા વર્ષે યોજાવાની છે. વડા પ્રધાને શી જિંગપીંગને ભારત આવવાનું આમંત્રણ આપ્યું છે અને તેનો તેમણે સ્વીકાર કર્યો છે. એની વચ્ચે પણ કદાચ એકાદ મિલન યોજાઈ શકે છે. આ પહેલાં ચીન અને ભારતના વડાઓ ચાર વરસમાં ૧૪ વાર મળ્યા હોય એવું બન્યું નથી. આનું કારણ છે જાગતિક અને પ્રાદેશિક પ્રવાહી રાજકીય સ્થિતિ જેમાં ભારત અને ચીન કિટ્ટા કરીને એકબીજાનો હાથ છોડવા માગતા નથી અને નિશંક થઈને એકબીજાનો હાથ પકડવા પણ માગતા નથી.
જે ૧૪ વાર મળવાનું બન્યું છે એમાંથી ૧૧ વખત અલગ અલગ જગ્યાએ કોઈ પરિષદોમાં કે બેઠકોમાં સાઈડ લાઈનમાં મળવાનું બન્યું છે. સાઈડ લાઈનમાં યોજાતી બેઠકો આવ્યા છે તો બે વાત કરી લઈએ એ પ્રકારની સાવ અમસ્તી નથી હોતી. એમાં પણ એજન્ડા હોય છે અને તેનું પણ મહત્ત્વ હોય છે. છેલ્લાં ચાર વરસોમાં ભારત અને ચીન વચ્ચે ત્રણ અનૌપચારિક શિખર પરિષદ મળી છે અને ચોથી આવતા વરસે ભારતમાં મળવાની છે. અનૌપચારિક શિખર પરિષદ સાધારણપણે રાજધાનીના શહેરમાં યોજાતી નથી અને તેમાં સંયુક્ત નિવેદન બહાર પાડવામાં આવતું નથી સિવાય કે બે દેશોને તેની જરૂર વર્તાય. બન્ને દેશો પોતપોતાના અલગ નિવેદનો બહાર પાડે છે.
આવી અનૌપચારિક શિખર પરિષદમાં ફાયદા અને ગેરફાયદા બન્ને છે. ફાયદા એ છે કે તેમાં આહિસ્તા આહિસ્તા ડગલાં ભરવાની અનુકૂળતા હોય છે, ટુકડે ટુકડે સંબંધોનો સેતુ રચાય છે, પોતપોતાના દેશની પ્રજાને અને રાજનૈતિક જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને નિવેદનો બહાર પાડવામાં આવે છે અને પોતાના તેમ જ સામેના દેશના નિવેદનોના અર્થઘટન કરી શકાય છે. ગેરફાયદા એ છે કે તમે જે સમજૂતીના પતંગ ચગાવો એ સામેવાળા દેશને માન્ય હોય એ જરૂરી નથી. અડધે રસ્તે એમ લાગે કે રસ્તો બદલવો છે તો વેગળું અર્થઘટન કરીને કોઈ એક પક્ષ રસ્તો બદલી શકે છે. એમાં ચુસ્ત અર્થઘટનો અને શાશ્વતીનો અભાવ હોય છે.
આ દૃષ્ટિએ ઔપચારિક શિખર પરિષદ વધારે ફળદાયી હોય છે, કારણ કે તે વધારે અસંદિગ્ધ હોય છે. અનેક ગળણે ગાળીને સમજૂતીઓ થતી હોય છે, શરતો નક્કી થતી હોય છે, પાદટીપમાં ખુલાસાઓ અને સ્પષ્ટતાઓ મુકવામાં આવતી હોય છે અને બન્ને દેશો સંયુક્ત નિવેદન બહાર પાડતા હોય છે. આવી ઔપચારિક શિખર પરિષદો ખૂબ તૈયારીના અંતે યોજાતી હોય છે. ૧૯૮૦ના દાયકામાં ભારતના એ સમયના વિદેશ પ્રધાન પી.વી. નરસિંહ રાવે ભારત અને ચીન વચ્ચે ઔપચારિક શિખર પરિષદ માટે અનુકૂળ ભૂમિકા બનાવી હતી. ૧૯૬૨ના યુદ્ધ પછી પહેલીવાર બીજીંગમાં ભારતના વડા પ્રધાન રાજીવ ગાંધી અને ચીનના નેતા દેંગ ઝિયાઓપીંગ વચ્ચે ઔપચારિક શિખર પરિષદ યોજાઈ હતી જે ઐતિહાસિક નીવડી હતી. સરહદનો પ્રશ્ન પેચીદો છે એટલે તેને ઉકેલાતા સમય લાગશે, પરંતુ એ દરમ્યાન વાણિજ્ય જેવા બીજા મોરચે આગળ વધવામાં આવે એવી સમજૂતી એ શિખર પરિષદનું પરિણામ હતું અને અત્યાર સુધી એ ફળદાયી નીવડ્યું હતું.
ઔપચારિક શિખર પરિષદમાં ગેરફાયદો એ છે કે તે કેટલીકવાર નિષ્ફળ પણ નીવડતી હોય છે, જે રીતે વાજપેયી અને મુશર્રફ વચ્ચેની શિખર પરિષદ નિષ્ફળ નીવડી હતી. વાસ્તવમાં તે નિષ્ફળ નીવડી એનું કારણ ઉતાવળ હતું. જરૂરી હોમ વર્ક કર્યા વિના ઔપચારિક શિખર પરિષદો યોજાતી નથી અને બે દેશના શાસક મળે એ પહેલાં સમજૂતીની ભૂમિકા બની ગઈ હોય તો એ નિષ્ફળ નીવડતી નથી.
ચીન સાથે અનૌપચારિક શિખર પરિષદનો આગ્રહ ભારતનો છે અને ચીનને તેની સામે વાંધો નથી. આગળ કહ્યું એમ કારણ બહુ સ્પષ્ટ છે. જાગતિક અને પ્રાદેશિક રાજકીય સ્થિતિ પ્રવાહી છે જેમાં કોઈ દેશ લાંબા ગાળા માટે બંધાવા માંગતો નથી અને હસ્તધૂનન થઈ શકે એટલી હાથની લંબાઈથી દૂર જવા પણ દેતો નથી. મળતા રહીશું, વાતચીત કરતા રહીશું, એકબીજાને સમજવાની કોશિશ કરતા કરીશું, એકબીજાની જરૂરિયાત સમજાવતા રહીશું, સહયોગની ભૂમિકા શોધતા રહીશું, ડર અને પૂર્વગ્રહ દૂર કરતા રહીશું અને એ સાથે જ જો ફરી જવું હોય તો ફરી જવા માટેનાં છીંડાં પણ રાખતા જઈશું. આ છે અનૌપચારિક શિખર પરિષદનું સ્વરૂપ.
ચીનને ભારતની બે વાતે ગરજ છે. એક છે ભારતનું વિશાળ માર્કેટ જ્યાં ચીન અબજો ડોલરનો વેપાર કરી શકે. ચીન સાથેના આયાત-નિર્યાતમાં ભારત ચીન કરતાં ક્યાં ય પાછળ છે. ચીન માટે ભારત અક્ષરસઃ ડંપીંગ ગ્રાઉન્ડ છે અને ભારત ચીનનો મુકાબલો કરી શકતું નથી તેનો ચીન લાભ લેવા માંગે છે. બીજી ગરજ છે ભારત અમેરિકા-જપાનની ચીન વિરોધી ધરીમાં ન જોડાય એની. ચીનને ભારતનો કોઈ ખતરો નથી, સિવાય કે ભારત પોતાની ભૂમિ ચીનને અને જપાનને ઉપયોગ કરવા આપે. આવી શક્યતા નહીંવત્ છે, પરંતુ ચીન જોખમ લેવા માગતું નથી. ચીન સતત ભારતને સમજાવવાની કોશિશ કરે છે કે ભારત ચીનનો પાડોશી દેશ છે એ જોતા ચીન સાથે મધુર સંબંધ જાળવી રાખવામાં ભારતનું હિત છે. ચીન ભારતને એ વાતનો સધિયારો પણ સતત આપી રહ્યું છે કે વન બેલ્ટ યોજના વિસ્તારવાદી નથી અને ભારતે તેમાં જોડાવું જોઈએ. ચીન ભારતને બન્ને દેશોની પ્રાચીન સંસ્કૃિતની યાદ અપાવતું રહે છે. ભારતમાં થયેલા ભગવાન બુદ્ધ અને બૌદ્ધ ધર્મનો ચીન પર સાંસ્કૃિતક પ્રભાવ છે એ કહેવું અને સાંભળવું ભારતીયોને ગમે છે એટલે ચીન તેની પણ માળા જપે છે.
આ બાજુ ભારત ભયભીત છે એટલે કયો માર્ગ અપનાવવો એ ભારત નક્કી નથી કરી શકતું. નરેન્દ્ર મોદીએ વડા પ્રધાન બન્યા પછી પહેલાં બે વરસ ચીનની સામે મોરચાબંધી કરીને ચીનને ઘેરવાની કોશિશ કરી હતી. ગયા વર્ષે ચીને ભૂતાનના ડોકલામમાં કબજો જમાવીને બતાવી આપ્યું કે ભારત ચીન સામે જે રસ્તો અપનાવી રહ્યું છે એ જોખમી છે. ડોકલામ પછીથી ભારતે નરમ માર્ગ અપનાવવાનું શરૂ કર્યું છે. આ સિવાય ચીને તેના લશ્કરી બજેટમાં આ વરસે સીધો આઠ ટકાનો વધારો કર્યો છે. આ સ્થિતિમાં ભારતે ચીનને ઘેરવાની નીતિ છોડી દેવી પડી છે. ગયા એપ્રિલ મહિનામાં ચીનના વુહાન નામના શહેરમાં યોજાયેલી ત્રીજી અનૌપચારિક શિખર પરિષદમાં સો જેટલા વિષયો શોધી કાઢવામાં આવ્યા હતા, જ્યાં સહયોગ કરવાનું ઠરાવવામાં આવ્યું હતું. બ્રહ્મપુત્રા નદીની જળ વિષયક માહિતી ભારતને આપવામાં આવશે અને ચીન ભારત પાસેથી ચોખા ખરીદશે એ સમજૂતી વુહાન સમજૂતીનું પરિણામ છે.
ભારતે હવે એક ડઝન સાઈડ લાઈન મુલાકાતો અને આવતા વરસની અનૌપચારિક શિખર પરિષદ સહિતની ચાર અનૌપચારિક શિખર પરિષદ પછી ઔપચારિક શિખર પરિષદ માટે તૈયારી કરવી જોઈએ. સરકાર ગમે તે પક્ષની કે મોરચાની હોય, ૨૦૨૦ કે ૨૦૨૧માં ભારત અને ચીન વચ્ચે ઔપચારિક શિખર પરિષદ યોજવી જોઈએ. છેલ્લી શિખર પરિષદ ૧૯૮૮માં થઈ હતી. ત્રણ દાયકા એ ઘણો લાંબો સમય છે.
સૌજન્ય : ‘કારણ તારણ’ નામક લેખકની કટાર, “ગુજરાતી મિડ-ડે”, 11 જૂન 2018