Opinion Magazine
Opinion Magazine
Number of visits: 9299582
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

મુસલમાનોના કલ્યાણનો એકમાત્ર ઈલાજ માણસાઈ

રમેશ ઓઝા|Opinion - Opinion|29 September 2022

ગયા અઠવાડિયે બે ઘટના બની. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સરસંઘચાલાક મોહન ભાગવત દિલ્હીમાં મસ્જિદ અને મદરસાની મુલાકાતે ગયા અને ત્યાં તેમણે મૌલવીઓ સાથે તેમ જ બાળકો સાથે વાતો કરી હતી. તેમણે મુસલમાનોને કહ્યું હતું કે ભારતમાં વસતા દરેક જણ હિંદુ છે જ એટલે હિંદુ બનવા માટે કોઈએ ધર્મપરિવર્તન કરવાની જરૂર નથી. મુસલમાનો સાથે કોઈ પ્રકારનો ભેદભાવ કરવામાં નહીં આવે. એ પછી તેઓ પાંચ મુસ્લિમ મહાનુભાવોને મળ્યા હતા અને તેમને કહ્યું હતું કે હિન્દુત્વ એક સર્વસમાવેશક વિચારધારા છે, જેમાં દેશમાં વસતા દરેક પ્રજાસમૂહને સમાન દરજ્જો અને સમાન અવસર આપવામાં આવે છે. તેમણે એમ પણ કહ્યું હતું કે ભારતનું બંધારણ સંઘ માટે પવિત્ર ગ્રન્થ છે અને સંઘ તેમાં કોઈ પરિવર્તન કરવા ઈચ્છતો નથી. તેમણે વળી એમ પણ કહ્યું હતું કે જે દેશમાં સંપ ન હોય અને વિખવાદ હોય એ દેશ આગળ ન વધી શકે.

મોહન ભાગવતની મસ્જિદની મુલાકાતમાં પહેલ કોની હતી એ સ્પષ્ટ કહેવામાં આવ્યું નથી, પરંતુ એમ કહેવાય છે કે એમાં મોહન ભાગવતે પહેલ કરી હતી. પાંચ મુસ્લિમ મહાનુભાવોએ તો સામેથી જ સ્પષ્ટતા કરી દીધી છે કે પહેલ તેમની હતી અને તેમણે મોહન ભાગવતની મુલાકાત માગી હતી. દેશમાં મુસલમાનો જ્યારે ગેરસમજનો ભોગ બનીને રાજકીય અને આર્થિક રીતે હાંસિયામાં ધકેલાઈ રહ્યા છે, એક પ્રકારની ભીંસમાં છે ત્યારે હિંદુ બહુમતી કોમ સાથે સંવાદ સાધવો જરૂરી છે. તેમણે મુસલમાનોની વધતી વસ્તી અને એકથી વધુ પત્ની કરવાનો રિવાજ કેવળ એક પ્રચાર છે અને તેમાં કોઈ તથ્ય નથી એ પ્રમાણો સાથે બતાવ્યું હતું અને મોહન ભાગવતે તેમની દલીલ સ્મિત સાથે સ્વીકારી હતી.

સંવાદની જ્યારે વાત આવે ત્યારે કેટલાક લોકો રાજી થઈ જતા હોય છે. એમાં માનસિક સુખ મળે છે. સંવાદ સાધવો જોઈએ, એકબીજાના દૃષ્ટિકોણ સમજવા જોઈએ, સેતુ બાંધવા જોઈએ, વગેરે. આવા જ કોઈક ભોળપણથી પ્રેરાઈને કે પછી મજબૂરી સમજીને મુસ્લિમ મહાનુભાવો મોહન ભાગવતને મળવા ગયા હતા. સંવાદ શ્રેષ્ઠ સાધન છે અને આજે દેશમાં જે રાજકીય સ્થિતિ છે એમાં મુસલમાનો માટે સંવાદ કરવા સિવાય બીજો વિકલ્પ પણ શો છે? હવે કદાચ તેમને લાગવા માંડ્યું હશે કે આવનારા દશક-બે દશક માટે હિન્દુત્વવાદીઓ રાજ કરવાના છે માટે તેમની મરજી જીતવી જરૂરી છે જેમ ૧૮૫૭ના નિષ્ફળ વિદ્રોહ પછી સર સૈયદ અહમદ ખાનને અંગ્રેજોની બાબતે લાગ્યું હતું.

જે લોકો આ સંવાદને ગંભીરતાથી લે છે એ લોકો રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘને અને હિન્દુત્વવાદીઓને ઓળખતા નથી. તેઓ વખતોવખત જરૂરિયાત મુજબ મધ ચટાડતા રહે છે અને ભોળિયાઓ એ મધને મધ સમજીને ચાટે છે અને રાજીના રેડ થઈ જાય છે. તેઓ અનેક મોઢે બોલે છે, વખતો વખત સૂર બદલે છે, એક કરતાં અનેક અર્થ નીકળે એ રીતે બોલે છે, જરૂર પડ્યે ડાહીડાહી વાતો કરનારાઓને આગળ કરે છે અને ગમે તેની સાથે વિશ્વાસઘાત કરી શકે છે. સંઘના ૯૭ વરસના ઇતિહાસમાં કમ સે કમ ૯,૭૦૦ વખત આવું બન્યું છે. સો-બસો ઉદાહરણ તો એકબેઠકે યાદ કરીને હું ટાંકી શકું એમ છે. તેમણે ગાંધીજીને તો ઠીક, પણ તેઓ જેને માથે ઊઠાવીને નાચે છે એ સરદાર પટેલ સાથે પણ વિશ્વાસઘાત કર્યો હતો. ૧૯૪૮માં મુકવામાં આવેલો સંઘ પરનો પ્રતિબંધ ઉઠાવી લેતા પહેલાં સરદારે મૂકેલી શરતો નહીં પાળીને વિશ્વાસઘાત કર્યો હતો. ૧૯૭૪-૭૫માં બિહાર આંદોલન વખતે જયપ્રકાશ નારાયણ સાથે વિશ્વાસઘાત કર્યો હતો. ૧૯૯૨માં તે સમયના વડા પ્રધાન પી.વી. નરસિંહ રાવ સાથે વિશ્વાસઘાત કર્યો હતો, પણ સૌથી મોટી આઘાતજનક વાત એ છે કે સર્વોચ્ચ અદાલત સમક્ષ સોગંદનામું આપીને સર્વોચ્ચ અદાલત સાથે વિશ્વાસઘાત કર્યો હતો.

તેમણે જવાહરલાલ નેહરુને પણ રાજી કરવાની કોશિશ કરી હતી. સંઘના મુખપત્ર ‘ઓર્ગેનાઈઝર’માં ગુરુ ગોલવલકરે નેહરુના વખાણ કરતા લેખો લખ્યા હતા. ગરીબોની આંખોના નૂર, યુવાનોનું સપનું, ભવિષ્યદૃષ્ટા, ભારતભાગ્યવિધાતા જેવા શબ્દો નેહરુ માટે વાપરવામાં આવ્યા હતા. નેહરુના આટલાં વખાણ તો કોઈ ચાપલૂસ કાઁગ્રેસીએ પણ નહીં કર્યા હોય. કારણ એ હતું કે તેમને સરદાર પટેલે સલાહ આપી હતી કે તમે નેહરુનો વિશ્વાસ જીતો અને કાઁગ્રેસમાં જોડાઈ જાઓ. સંઘને આમાં કાઁગ્રેસને કબજે કરવાની તક નજરે પડી હતી. નેહરુએ જ્યારે તેમને ભાવ નહીં આપ્યો અને સંઘ ફાસીવાદી સંગઠન છે એમ કહ્યું એ પછીથી તેમણે ભારતભાગ્યવિધાતાને ગાળો આપવાનું શરૂ કર્યું હતું જે આજે પણ થંભી નથી. ગાંધીજીને તેમણે સત્તાવારપણે સંઘની શાખાઓમાં પ્રાત:સ્મરણીય લોકોની યાદીમાં મુક્યા છે, પણ બહાર નીકળીને તેમની વિરુદ્ધ કુપ્રચાર કરે છે.

મોહન ભાગવત સામે ચાલીને મુસલમાનોને મળવા ગયા એમાં તેમની મજબૂરી સમજી શકાય એમ છે. મુખ્ય કારણ એ છે કે દેશમાં પ્રજાકીય ધ્રુવીકરણ થયું છે. જેમને સવર્ણોના વર્ચસવાળું માથાભારે હિંદુરાષ્ટ્ર જોઈતું નથી, એવા હિંદુઓ લગભગ ૬૦ ટકા છે અને તેઓ ભારતીય જનતા પક્ષને મત આપે એ હવે શક્ય નથી. જેમણે ૨૦૧૪ અને ૨૦૧૯માં નરેન્દ્ર મોદી પર શ્રદ્ધા રાખીને મત આપ્યા હતા એ હવે મત આપવાના નથી. એક તરફ માથાભારે હિંદુરાષ્ટ્રમાં માનનારા હિંદુ કોમવાદીઓ છે અને બીજી તરફ સેક્યુલર ભારત, સહિયારું ભારત, ફેડરલ ભારત, બંધારણજન્ય કાયદાના રાજમાં પોતાનાં સંતાનનું ભવિષ્ય જોનારું ભારત, ઉજ્વળ ભવિષ્ય તરફ નજર કરતું વિકાસલક્ષી ભારતમાં માનનારા હિંદુઓ છે. બીજા પ્રકારના હિંદુઓ બહુમતીમાં છે. સરેરાશ ૪૦ અને ૬૦ની છે.

સંઘપરિવાર જાણે છે કે ૨૦૨૪ની ચૂંટણીમાં ગાબડું પડશે તો તેમના મતોમાં પડવાનું છે, વિરોધીઓના મતમાં પડવાનું નથી. વિરોધી હિંદુ નાગરિકો સંગઠિત થઈ રહ્યા છે અને આક્રમક થઈ રહ્યા છે. તેમને સૌથી વધુ નફરત તુમાખી અને માથાભારેપણા સામે છે. મોહન ભાગવત એ પણ જાણે છે કે ૨૦૧૪માં અને ૨૦૧૯માં જે હિંદુઓએ બી.જે.પી.ને મત આપ્યા હતા તેમાંના અડધા તો મુસ્લિમવિરોધી છે, હિંદુ કોમવાદી નથી. હિંદુ કોમવાદીઓ ક્યારે ય સાથ છોડવાના નથી, પણ જો બિલ્કીસ બાનુના બળાત્કારીઓને તેમ જ તેનાં પરિવારના હત્યારાઓને છોડી મૂકીને આરતી ઉતારવામાં આવે ત્યારે મુસ્લિમ વિરોધીઓની અંદર રહેલો રામ જાગી શકે છે. તેમની અંદર પ્રતિક્રિયા છે, કોઈ પણ સંજોગોમાં કોમીદ્વેષ કરવાની નીચતા અને મૂર્ખતા તેમણે આત્મસાત નથી કરી. તેઓ અતિરેકી માથાભારેપણાને કારણે સાથ છોડી શકે છે જેમ તેમણે કેટલાક મુસલમાનોની અતિરેકી વર્તણૂકને કારણે કાઁગ્રેસનો સાથ છોડ્યો હતો.

સ્થિતિ એવી છે કે અત્યારે હવે નરેન્દ્ર મોદી અને અમિત શાહને પાછા ફરવું મુશ્કેલ છે, એટલે એ મોરચો મોહન ભાગવતે સંભાળી લીધો છે. નીતિન ગડકરી અટલ બિહારી વાજપેયીની જેમ ડાહીડાહી વાતો કરવા લાગ્યા છે. ૨૦૨૪માં ઉકળતા દૂધની ઉપર ડહાપણની મલાઈ જામેલી જોવા મળશે. જો એમાં સફળતા મળી અને પાછા સત્તામાં આવ્યા તો પાછી મલાઈ તારવી લેવામાં આવશે.

આ ખેલ બેવકૂફ હોય એને જ ન સમજાય અને મને નથી લાગતું કે જે લોકો મોહન ભાગવત સાથે સંવાદ કરવા ગયા હતા તેમને આ વાત ન સમજાતી હોય. ખાસ કરીને જે પાંચ મુસ્લિમ મહાનુભાવ મોહન ભાગવતને સામેથી સમય માગીને મળવા ગયા હતા એમાંના બે સનદી અધિકારીઓ હતા અને એક પત્રકાર છે. તેઓ આ બધું જ જાણે છે. મુસ્લિમ મહાનુભાવોના પ્રતિનિધિમંડળમાંના એક એસ.વાય. કુરેશી ચૂંટણીપંચના વડા હતા અને તેમણે ભારતમાં મુસલમાનોની વસ્તી ઉપર એક પુસ્તક પણ લખ્યું છે. મોહન ભાગવત સાથે તેમણે જ ચર્ચા સૌથી વધુ કરી હતી. તેમણે પ્રમાણો સાથે જ્યારે કહ્યું કે મુસલમાનોની વસ્તીવધારાની વાતમાં કોઈ તથ્ય નથી અને માત્ર કોમને બદનામ કરવા માટેનો ખોટો પ્રચાર છે ત્યારે મોહન ભાગવતના ચહેરા ઉપર સ્મિત જોવા મળ્યું હતું. એ સ્મિતમાં જે કબૂલાત નજરે પડે છે એ એસ.વાય. કુરેશીને નહીં નજરે પડી હોય?

પડી તો હશે જ. આ સિવાય સંઘનો અનેક મોઢે બોલવાનો અને ગમે તેની સાથે વિશ્વાસઘાત કરવાનો ઇતિહાસ પણ તેઓ જાણતા હોવા જોઈએ. અને એ છતાં ય તેઓ મળવા ગયા હતા. સામેથી સમય માગીને મળવા ગયા હતા. આનાં કારણો એસ.વાય. કુરેશીએ ‘ઇન્ડિયન એક્સપ્રેસ’માં ખુલાસાનો લેખ લખીને આપ્યાં છે. એ લેખમાં તેમણે પ્રામાણિકતાપૂર્વક કબૂલ કર્યું છે કે જ્યારે આખી મુસ્લિમ કોમ ભીંસમાં હોય, આર્થિક-સામાજિક-રાજકીય રીતે હાંસિયામાં હોય ત્યારે બહુમતી કોમ સાથે સંવાદ સાધવા સિવાય બીજો વિકલ્પ શો છે?

વાત સંવાદની છે. અહીં એક પ્રશ્ન ઉપસ્થિત થાય છે. તેઓ જેમની સાથે સંવાદ સાધવા ગયા હતા એ સંઘપરિવારને મુસલમાનો માટે કોઈ હમદર્દી નથી. જો હમદર્દી હોત તો તેમનાં રાજકારણનું સ્વરૂપ જુદું હોત. વળી તેઓ ઇસ્લામ અને મુસલમાનો વિષે અજ્ઞાન આધારિત ગેરસમજ ધરવાતા નથી. તેઓ ગેરસમજ ફેલાવે છે, ગેરસમજ ધરાવતા નથી. મોહન ભાગવતના સ્મિતમાં જ આનું પ્રમાણ મળી જાય છે. જો આધુનિક દૃષ્ટિકોણ ધરાવનારા મુસ્લિમ આગેવાનો ગેરસમજ દૂર કરવા માગતા જ હોય અને તેમાં તેઓ પ્રામાણિક હોય તો તેમણે એવા હિંદુઓના માનસમાંથી ગેરસમજ દૂર કરવી જોઈએ જેઓ હિંદુ કોમવાદી નથી. તેઓ મુસલમાનો માટે સહાનુભૂતિ ધરાવે છે અને સહાનુભૂતિ નથી ધરાવતા તો અહિત તો ઈચ્છતા જ નથી. હિંદુ અને મુસલમાન શાંતિપૂર્વક સાથે રહે અને દેશ આબાદ થાય એમ તેઓ ઈચ્છે છે. તેઓ હિન્દુત્વવાદીઓની જેમ સ્થાયી સ્વરૂપે મુસ્લિમવિરોધી નથી.

આવા હિંદુઓ મોટી સંખ્યામાં છે જેઓ મુસલમાનોના દુશ્મન નથી, પણ મુસલમાનોના વલણના કારણે પ્રતિક્રિયામાં આવીને મુસ્લિમવિરોધી થયા છે. વળી તેઓ માત્ર અને માત્ર ઇસ્લામ અને મુસ્લિમો માટે ગેરસમજ ધરાવે છે એવું નથી, કેટલીક સમજ પણ ધરાવે છે અને એ સમજના પ્રશ્નો સાચા છે. એના વિષે ખુલાસા મળવા જોઈએ. સંવાદ વિવેકી મુસલમાનોએ પ્રતિક્રિયાગ્રસ્ત હિંદુઓ સાથે કરવો જોઈએ. પણ એને માટે એક મૂળભૂત જરૂરિયાત છે અને એ જરૂરિયાત છે જરૂર પડ્યે ધર્મની ઉપરવટ જઇને માણસાઈના પડખે ઊભા રહેવું. આ લખનાર અને આ લખનાર જેવા લાખો હિંદુઓ આ ધર્મ નિભાવે છે. વિવેકી હિંદુઓનો બુલંદ અવાજ તો સંભળાતો હશે! મુસલમાનોએ ભીંસ અને હાસિયામાંથી બહાર નીકળવું હોય તો એ લોકો સાથે સંવાદ કરવાનો કોઈ અર્થ નથી જેઓ મુસલમાનોને જાણીબૂજીને હાંસિયામાં ધકેલી રહ્યા છે. પણ હા,  સાર્થક સંવાદ માટે ઉપર કહી તે શરત અનિવાર્ય છે : જરૂર પડ્યે  ઇસ્લામની ઉપરવટ જઈને માણસાઈનો પક્ષ લેવો.

મુસલમાનોના કલ્યાણનો આ જ એકમાત્ર ઈલાજ છે.

પ્રગટ : ‘વાત પાછળની વાત’, નામક લેખકની કટાર, “ગુજરાતમિત્ર”, 29 સપ્ટેમ્બર 2022

Loading

29 September 2022 રમેશ ઓઝા
← પેન્શન જોઈતું હોય તો …
ટૂંકમાં (૧૨) : સહૃદયો કે તકવાદીઓ? →

Search by

Opinion

  • ચોપાસ પ્રદૂષણ અને પ્રદૂષણ નિયંત્રણનું વણવપરાયેલ ફંડ!
  • કોઈ દલિત અધિકારી પણ ન કરી શકે તેવું  કામ પ્રવીણ ગઢવીએ કર્યું !
  • સાર્થક જલસામાં ‘જલસી પડી ગઈ !’
  • સોક્રેટિસ ઉવાચ-૮  : સોક્રેટિસ અને ભારતીય રાજકારણી વચ્ચે એક કાલ્પનિક સંવાદ
  • જમીન 

Diaspora

  • ભાષાના ભેખધારી
  • બ્રિટનમાં ગુજરાતી ભાષા-સાહિત્યની દશા અને દિશા
  • દીપક બારડોલીકર : ડાયસ્પોરી ગુજરાતી સર્જક
  • મુસાજી ઈસપજી હાફેસજી ‘દીપક બારડોલીકર’ લખ્યું એવું જીવ્યા
  • દ્વીપોના દેશ ફિજીમાં ભારતીય સંસ્કૃતિ અને હિન્દી

Gandhiana

  • બાપુ અને બાદશાહ 
  • ચિકિત્સક બાપુ
  • બાપુ અને બડેદાદા
  • રાષ્ટ્રપિતા
  • ગાંધીજીનો ઘરડો દોસ્ત

Poetry

  • હાલો…
  • એક ટીપું
  • સાત કાવ્યો
  • એમના પગના તળિયામાં દુનિયાનો નકશો છે
  • બે કાવ્યો

Samantar Gujarat

  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 
  • સરકારને આની ખબર ખરી કે … 

English Bazaar Patrika

  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day
  • Destroying Secularism
  • Between Hope and Despair: 75 Years of Indian Republic

Profile

  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી
  • નારાયણ દેસાઈ : ગાંધીવિચારના કર્મશીલ-કેળવણીકાર-કલમવીર-કથાકાર
  • મૃદુલા સારાભાઈ
  • મકરંદ મહેતા (૧૯૩૧-૨૦૨૪): ગુજરાતના ઇતિહાસલેખનના રણદ્વીપ
  • અરુણભાઈનું ઘડતર – ચણતર અને સહજીવન

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved