ગામલોકો અને કર્મશીલોએ સાત વર્ષ ચલાવેલું જન આંદોલન
ભાવનગર જિલ્લામાં અલંગ નજીક આવેલાં મીઠી વીરડી – જસપરા ખાતે અણુવીજળી મથકની સૂચિત યોજના તાજેતરમાં પડતી મૂકાઈ, તે લોકશક્તિની એક મોટી જીત છે. આ યોજનાનો સીધો ભોગ મથક માટેના સ્થળ તરીકે પસંદ થયેલાં ચાર ગામ બનવાનાં હતાં. તેમાં 340 ખેડૂતોની 603 હેક્ટર જેટલી ખેતજમીન અને ગામોની 174 હેક્ટર સહિયારી જંગલ જમીન જવાની હતી. તદુપરાંત, 152 ગામોનાં બે લાખ લોકો અને 30 કિલોમીટર વિસ્તારની જમીન કિરણોત્સર્ગની અસર હેઠળ આવવાનાં હતાં. ત્રણ-ચાર પાક આપતી ફળદ્રૂપ જમીન, મીઠું પાણી, અનેક શાકભાજી તેમ જ આંબા-ચીકૂ-નાળિયેરની વાડીઓથી હર્યુંભર્યું આ નંદનવન નરકમાં ફેરવાઈ જવાનું હતું. પણ આમ ન થયું. ધરતીમાતાને રાષ્ટ્રવાદના સૂત્રોથી ઊપર ઊઠીને ચાહતા, જાગતા ગામલોકોએ આ યોજના સામે એક દાયકા માટે અહિંસક લડત ચલાવી. અણુઊર્જાની વિનાશક અસરો અંગેની પાકી સમજ અને નોખી ધીરજ સાથે તે ચાલી. તેનું ચાલકબળ જનશક્તિ ઉપરાંત ‘પર્યાવરણ સુરક્ષા સમિતિ’ નામનું સંગઠન હતું. તેણે લોકો વચ્ચે કામ કરતાં કરતાં તેમનો મેળવેલો વિશ્વાસ, લોકશાહી પદ્ધતિથી તેણે ઊભી કરેલી અડગ લોકભાગીદારી અને તેના કર્મશીલોએ રચેલી વ્યૂહરચનાએ મીઠી વીરડી ચળવળને એક સીમચીહ્ન રૂપ લોકઆંદોલન બનાવ્યું છે, જેની મહત્તા આખા દેશે પિછાણવી જરૂરી છે.
સમિતિ અને ગામ વચ્ચેનાં એક દાયકાથી વધુ સમયના જોડાણનો તદ્દન તાજો દાખલો એટલે એ અરજી કે જેની પરના ચૂકાદા તરીકે નૅશનલ ગ્રીન ટ્રિબ્યૂનલે યોજના પડતી મૂકવાનો આદેશ આપ્યો. માર્ચ 2015માં કરેલી આ અરજીમાં મીઠી વીરડી યોજનાને મળેલી કોસ્ટલ રેગ્યુલરેટરિ ઝોનની મંજૂરીને પડકારી હતી. આ અરજી માટેનાં પાંચ અરજદારોમાં મીઠી વીરડીના સરપંચ શક્તિસિંહ ગોહિલ, તેમ જ બે ગામવાસી હાજા દિહોરા અને જાગૃતિ ગોહિલ હતાં. તેમની સાથે પર્યાવરણ સુરક્ષા સમિતિના સમર્પિત અભ્યાસી કાર્યકર્તા કૃષ્ણકાન્ત ચૌહાણ અને અસધારણ કર્મશીલ રોહિત પ્રજાપતિ હતા.
અલબત્ત આંદોલનનો આ છેલ્લો તબક્કો હતો. તેના પાયા તો 2007માં નખાયા હતાં. અણુવિદ્યુત મથક યોજના અંગેની જાણ થતાં સમિતિના કાર્યકરોએ વિસ્તારમાં લોકસંપર્ક શરૂ કર્યો. રોહિત-કૃષ્ણકાન્ત ઉપરાંત સ્વાતિ દેસાઈ, આનંદ તથા માઇકલ માંઝગાવકર અને લખન મુસાફિરે ગામેગામ ફરીને સભાઓ અને જૂથચર્ચાઓ દ્વારા અણુઊર્જાની અનિચ્છનીયતા અંગેની માહિતી આપવાની શરૂઆત કરી. નિસબત ધરાવતા નાગરિકોના સંપર્ક સાધ્યા. ભાવનગરમાં અણુઊર્જા અભ્યાસ જૂથ બન્યું જેમાં અનેક પ્રબુદ્ધ સ્ત્રી-પુરુષો સક્રિય હતાં. લોકવિજ્ઞાનના પ્રસારક અરુણ દવેની મદદ મળી. 27 એપ્રિલે જસપરા, મીઠી વીરડી, ખદરપર, માંડવા અને સોંસિયાના લોકોનું સંમેલન ભરાયું. દેશભરમાંથી જાણકારો, કાર્યકર્તાઓ આવ્યાં. પાંચે ય ગામના નાગરિકો અને પચીસ સંસ્થાના સાથીઓએ ઠરાવ કર્યો : ‘દેશની આવી ફળદ્રુપ જમીન પર અણુવીજ મથક હરગિઝ ન થવું જોઈએ; અણુવીજળી ખોટનો ધંધો છે – તે સસ્તી નથી, સ્વચ્છ નથી, સલામત તો બિલકુલ નથી; જમીન ક્યારે ય નહીં છોડીએ.’ ત્યાર પછીનાં વર્ષોમાં આખા ય પંથકમાં અણુશક્તિ, વિકાસની વિભાવના, નાગરિક અધિકાર જેવી બાબતો અંગેની સમજ માટે તાલીમ વર્ગો ચાલ્યાં. તેમાં ગુજરાત વિદ્યાપીઠ, ગઢડા ગ્રામ વિદ્યાપીઠ, લોકભારતી જેવી સંસ્થાઓ વિદ્યાર્થીઓ થકી જોડાતી રહી. પ્રતીક ઉપવાસ, પદયાત્રા અને હિરોશિમા દિન નિમિત્તે કાર્યક્રમો થયાં. ભાવનગર, અમદાવાદ, મીઠી વીરડી ખાતે જાહેર સભા-સંમેલનો થતાં રહ્યાં. તેમાં કુદનકુલમ (તમિલનાડુ), જદુગુડા (ઝારખંડ), જૈતાપુર (મહારાષ્ટ્ર), ફતેહબાદ (હરિયાણા) જેવી જગ્યાએ અણુઊર્જા વિરોધી ચળવળોના કાર્યકર્તાઓ અને નિષ્ણાતો જોડાતાં રહ્યાં. દુનિયાભરમાં જાણીતાં સુરેન્દ્ર અને સંઘમિત્રા ગાડેકર તેમ જ વેડછીના સંપૂર્ણ ક્રાન્તિ વિદ્યાલયનો સાથ હતો. સર્વોદય, ગાંધીવાદ અને પર્યાવરણ ક્ષેત્રોને લગતી સંસ્થાઓનો પૂરો નૈતિક ટેકો હતો.
અલબત્ત, સરકાર ચૂપ ન જ રહે. લોભલાલચ, ફાટફૂટ, ધાકધમકી ન હોય તો જ નવાઈ. 2010ના જૂનમાં એક દિવસે શક્તિસિંહને પોલીસ આવીને કહી ગઈ કે અણુમથક માટે સરકારી કંપની જમીનનો નમૂનો લેવા આવશે. બીજે દિવસે ગ્રામસભાએ પોલીસની હાજરીમાં એનો વિરોધ કર્યો. અગિયારમી તારીખે મળસ્કે ત્રણ બસો ભરીને પોલીસ કાફલો અને તેની સાથે કંપનીની ડ્રિલિંગનાં સાધનોવાળી ગાડી હાજર. પાંચ ગામોમાં ઢોલ પીટાયો, જોતજોતામાં સાડાત્રણ હજાર માણસ હાજર. અમદાવાદથી લોક સમિતિના, બાણું વર્ષના ચુનીભાઈ વૈદ્ય આવી પહોંચ્યા. સમિતિના કાર્યકરો દોડ્યાં. જબરદસ્ત વિરોધ થયો : ‘મહેનતનો રોટલો ખાવા દ્યો, અણુમથક જાવા દ્યો’, ‘ગામની જમીન ગામની, સરકારની નહીં’, ‘જાન દેંગે, જમીન નહીં’. પોલીસ અને કંપનીને ખાલી હાથે પાછા ફરવું પડ્યું. બીજા એક પ્રસંગે 2,236 લોકોને જમીનનું વળતર એક ગુંઠે પંદર રૂપિયા આપવાનું નક્કી થયું. લોકોએ હાથ ન મૂકવા દીધો. 2011માં ખેડૂતો અને ખેતમજૂરોએ સોગંદનામું કર્યું : ‘… હું મારી જમીનના સંપાદનનો સખત વિરોધ કરું છું. હું ગંભીરતાપૂર્વક જણાવું છું કે હું મારી જમીન કોઈ પણ કિંમતે ગુજરાત સરકાર,ભારત સરકાર કે ન્યુિક્લઅર પાવર કૉર્પોરેશન ઑફ ઇન્ડિયાને વેચવાનો ઇન્કાર કરું છું.’ યોજના અંગે 5 માર્ચ 2013ની લોકસુનાવણી એક ખૂબ મહત્ત્વનો તબક્કો હતો. સરકારે સુરક્ષાકર્મીઓના કાફલા સાથે તે યોજી હતી. મંડપમાં ભયના માહોલ વચ્ચે બેઠેલા હજારો ગ્રામવાસીઓને સરકારે રજૂઆત કરવાની તક યોગ્ય રીતે ન આપી. એટલે લોકોએ સુનાવણીનો શાંતિપૂર્વક બહિષ્કાર કર્યો. સરકારે આ રીતે માત્ર દેખાવ ખાતર જ સુનાવણી કરી તેમાં લોકસુનાવણી અંગેના તમામ કાયદા નેવે મૂક્યા હતા. તેનું સમિતિએ ઝીણાવટર્યું દસ્તાવેજીકરણ અને જડબેસલાક વિશ્લેષણ કર્યું. વધુમાં સમિતિ એ હકીકત પણ બહાર લાવી જે કન્સલ્ટિંગ ફર્મએ આ સુનાવણી યોજી તેને ભારત સરકારનું એક્રેડિટેશન જ નથી ! યોજના સામેની તમામ દલિલોમાં સી.આર.ઝેડ.ની જેમ લોકસુનાવણીના ફારસનો મુદ્દો પણ સમિતિએ કુનેહથી રજૂ કર્યો. સત્તાવાળાઓને આ બધી રજૂઆતો લાંબા પત્રો/લખાણો રૂપે કરવામાં આવતી. તેનો ખરડો ગામની વાડીમાં ખાટલે લોકોની વચ્ચે બેસીને ચર્ચા સાથે તૈયાર થતો. તે અંગ્રેજીમાં લખવામાં, ગામલોકોને ગુજરાતીમાં સમજાવવામાં દિવંગત કર્મશીલ તૃપ્તિ શાહનો બહુ મોટો ફાળો હતો. તેમણે અને તેમનાં ‘સહિયર’ સંગઠનનાં બહેનોએ તેમ જ ‘ઉત્થાન’ સંસ્થાએ કેટલેક અંશે રૂઢિચુસ્ત ગામોની મહિલાઓને સંગઠિત કરવામાં ઘણો ફાળો આપ્યો છે. માર્ચ 2014માં પાંચ ગામની પંચાયતો આખો વિસ્તાર ‘ન્યુિક્લઅર ફ્રી ઝોન’ જાહેર કરતો ઠરાવ વડા પ્રધાન મોદીને મોકલ્યો. એ જ વર્ષે 14 ઑગસ્ટે ગામોનાં લોકો પ્રતિજ્ઞા લીધી : ‘અણુવીજળી અહીં નહીં, ક્યાં ય નહીં’. પછીનાં વર્ષે 24 જાન્યુઆરીએ પાંચ ગામના સરપંચ નરેન્દ્ર મોદી અને બરાક ઓબામાને અણુવિજળી મથકના વિરોધમાં પત્ર લખે છે. માર્ચ 2015માં એન.જી.ટી.માં અરજી થાય છે. પર્યાવરણ સુરક્ષા સમિતિના કાર્યકરો અને ગામ લોકો લડતાં રહે છે. તેમના કહેવા પ્રમાણે હવે આ યોજના આંધ્રપ્રદેશના કવાડમાં ગઈ છે ત્યાં પણ તેમની લડત ચાલુ રહેશે.
સરકાર ખેડૂતોને ગોળીએ દે છે. વિદ્યાર્થીઓ પર દેશદ્રોહનો આરોપ મૂકે છે. માધ્યમો પર દરોડા પાડે છે. રશિયામાં પુતિન સાથે અણુવીજળી માટે કરાર કરે છે. આવા દિવસોમાં મીઠી વીરડીના જાગતા લોકો, અને ખેતરમાંના ઝાકળની જેમ અણદીઠ રહીને તેમની સાથે લડેલા કર્મશીલો દેશ આખા માટે પ્રેરણારૂપ છે.
+++++
15 જૂન 2017
સૌજન્ય : ‘ક્ષિતિજ’ નામક લેખકની સાપ્તાહિક કોલમ, “નવગુજરાત સમય”, 16 જૂન 2017