તમારી અંદર કોણ બેઠું છે? હિન્દુ, મુસલમાન, જૈન, મરાઠા, બ્રાહ્મણ, ગુજરાતી, શાકાહારી કે પછી બીજું કોઈ? હવે તમારી જાતને સવાલ કરો કે તમે કોને-કોને ધિક્કારો છો? હવે તમારી જાતને પૂછો કે તમે દિવસમાં કેટલી વાર ઓળખ બદલો છો? હવે તમારી જાતને તપાસો કે તમે દિવસમાં કેટલો સમય ભારતીય હો છો? હવે તમે તમારી જાતને પૂછો કે જીવનમાં કેટલા પ્રસંગે શુદ્ધ ભારતીય તરીકે વત્ર્યા છો? અકળાવનારા પ્રશ્નો છે, પણ તપાસતા જાઓ. આનાથી ફાયદો એ થશે કે ગાંધીજીનું મહત્ત્વ સમજાશે અને માણસ બનવામાં એ ઉપયોગી થશે
૯ ઑગસ્ટે ભારત છોડો આંદોલનની ૭૫મી વર્ષગાંઠના દિવસે મરાઠાઓએ મોરચો કાઢ્યો હતો. તેઓ એક વરસથી મહારાષ્ટ્રનાં જુદાં-જુદાં શહેરોમાં મોરચાઓ કાઢી રહ્યા છે અને દરેક મોરચો સંખ્યાની અને આયોજનની દૃષ્ટિએ સુપર-ડુપર સફળ રહ્યો છે. ગયા વરસે મુંબઈ છોડીને મહારાષ્ટ્રનાં લગભગ તમામ શહેરોમાં ભવ્ય મોરચા કાઢ્યા પછી આયોજકોએ લાંબો વિરામ આપ્યો હતો. તેઓ ૯ ઑગસ્ટે ભારત છોડો આંદોલનના અમૃત મહોત્સવના દિવસે મુંબઈમાં મોરચો કાઢવા માગતા હતા. તેમણે ૯ ઑગસ્ટ શા માટે પસંદ કરી એ સમજાતું નથી; કારણ કે ૯ ઑગસ્ટના મેસેજમાં અને મરાઠાઓના મોરચાના મેસેજમાં કોઈ સમાનતા નથી, બલ્કે એની વિરુદ્ધ છે. હશે, દરેકને પોતાને ગમે એવી તિથિ નક્કી કરવાનો અધિકાર છે.
મરાઠાઓના મોરચામાં આઠ લાખ મરાઠાઓએ ભાગ લીધો હતો અને તેઓ જે ટોપી પહેરે છે એના પર લખ્યું હોય છે : એક મરાઠા લાખ મરાઠા. અહીં ગણિતનો ઉપયોગ ન કરતા, તેઓ જે ઇશારો કરવા માગે છે એ સમજવાનો છે. એટલે તો મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન તેમના બીજા પ્રધાનો સહિત જ્યાં મોરચો વિરામ પામ્યો હતો એ આઝાદ મેદાન દોડી આવ્યા હતા અને મરાઠાઓની બધી માગણીઓ ત્યાં ને ત્યાં જ માન્ય રાખી દીધી હતી. મુખ્ય માગણી અનામતની જોગવાઈની છે અને એમાં સર્વોચ્ચ અદાલત મરાઠાઓની પછાત હોવાની લાયકાત માન્ય રાખતી નથી એટલે મહારાષ્ટ્ર સરકાર હવે પછી સર્વોચ્ચ અદાલતમાં એવી રીતે દલીલ કરશે અને પુરાવાઓ રજૂ કરશે જેથી મરાઠાઓ બિચારા ગરીબ, લાચાર અને પછાત લાગે. મુખ્ય પ્રધાને આઠ લાખ મરાઠાઓને મીડિયાની હાજરીમાં આવું વચન આપ્યું છે.
ભારતમાં જો બ્રાહ્મણો, નાગરો, કાયસ્થો, સારસ્વતો, ચેટિયારો, પારસીઓ, ઍન્ગ્લો-ઇન્ડિયનો, વિજય માલ્યા સહિતના ઉદ્યોગપતિઓ, વરસે બે-પાંચ કરોડનો પગાર લેનારા પ્રોફેશનલો, નૉન-રેસિડન્ટ ઇન્ડિયનો વગેરે સંપીને સંખ્યાબળનું પ્રદર્શન કરે તો સરકાર તેમના પગમાં પડીને તેમને પણ જેનો હાથ પકડવો પડે એવા ગરીબ લાચાર અને પછાત જાહેર કરવા તૈયાર છે. ભારતના શાસકોમાં કરોડરજ્જુ નથી અને ૧૯૪૨ની ૯ ઑગસ્ટે ભારતના લોકોએ ભરયુદ્ધ વચ્ચે કરોડરજ્જુનું પ્રદર્શન કર્યું હતું. આ ફરક છે બે મેસેજમાં. એક તરફ આઝાદ ભારતમાં એક સમાજ નાગાઈનું શક્તિપ્રદર્શન કરે અને શાસકો તેમની સંખ્યાશક્તિ જોઈને પગમાં પડી જાય અને બીજી બાજુ ૭૫ વરસ પહેલાં ગુલામ પ્રજા ગોવાલિયા ટૅન્કમાં (અત્યારે ઑગસ્ટ ક્રાન્તિ મેદાન) આત્મબળનું પ્રદર્શન કરે અને વિદેશી શાસકોને ઝૂકવું પડે.
૧૯૧૫ની ૯ જાન્યુઆરી(ગાંધીજીનું ભારતમાં આગમન)થી લઈને ૧૯૪૨ની ૯ ઑગસ્ટનાં ૨૭ વરસમાં ભારતની પ્રજાએ જે વૈયક્તિક અને સંગઠિત આત્મશક્તિનું પ્રદર્શન કર્યું એનું શ્રેય મોહનદાસ કરમચંદ ગાંધીને જાય છે. ભારતના ઇતિહાસમાં પહેલી વાર તેમણે ભારતની પ્રજાને ભારતીય તરીકે સંગઠિત કરી હતી. આ પહેલાં આવું ક્યારે ય બન્યું નહોતું. ભારતીય તરીકેની ઓળખ જ ભારતમાં વિકસી નહોતી. અંગ્રેજો આવ્યા પછી વિકસી તો ખરી, પણ સંગઠિત થતાં ભારતની પ્રજાને આવડતું નહોતું. ગાંધીજીના આગમન પહેલાં દરેક નેતા અને દરેક પક્ષ કોઈ ને કોઈ સમાજવિશેષનું રાજકારણ કરતા હતા. એને લીધે અંગ્રેજોને ભાગલા પાડીને રાજ કરવાનો મોકો મળ્યો હતો.
ભાગલા માત્ર ધર્મઆધારિત નહોતા; જ્ઞાતિ, આર્ય ભારત-દ્રવિડ ભારત, ભાષા અને કસ્ટમ (રીતિ-રિવાજો) આધારિત પણ હતા. ગાંધીજીને સમજાઈ ગયું હતું કે આ પરચૂરણમાંથી આખો રણકદાર રૂપિયો ઘડવામાં નહીં આવે ત્યાં સુધી અંગ્રેજોની ધૂર્તતા સામે ભારતીયો ફાવવાના નથી અને ભારતને આઝાદી મળવાની નથી. હવે આ કરવું કેવી રીતે? ભારતની પ્રજાએ ભારતીય તરીકેની ઓળખ એના ઇતિહાસમાં ક્યારે ય વિકસાવી જ નથી. અંગ્રેજોના આગમન પછી પાશ્ચાત્ય શિક્ષણના કારણે ભારતીય તરીકેની થોડીઘણી ઓળખ વિકસી છે, પરંતુ ભારતની પ્રજાને સંગઠિત થતાં આવડતું નથી. જેનો જન્મ જ કોઈ ખાસ ધર્મ અને જ્ઞાતિમાં થયો હોય, જેનો ઉછેર ચોક્કસ સમાજવિશેષના મોહલ્લામાં થયો હોય, જેને ગળથૂથીમાં ચોક્કસ પરિવેશના સંસ્કાર મળ્યા હોય એમાંથી ભારતીયનું ઘડતર કરવું એ અઘરું કામ હતું. ભારતમાં ભાષાઆધારિત પ્રદેશો, પ્રદેશોમાં ઉપપ્રદેશો, ઉપપ્રદેશોમાં ગામડું અને ગામડામાં ધર્મ કે જ્ઞાતિઆધારિત શેરીઓ, શેરીઓની સાંસ્કૃિતક સ્વાયત્તતા અને એકપક્ષીય શોષણનો આર્થિક ઢાંચો.
આવા ટિપિકલ સમાજમાં ઊછરેલા ભારતીયને શેરીમાંથી ઊંચકીને એનો ચેતોવિસ્તાર કરવો અને એને સાચા અર્થમાં ભારતીય અને હજી આગળ જઈને વૈશ્વિક બનાવવો એ ભગીરથ કામ કતું. ગાંધીજીએ ચોક્કસ સમાજવિશેષના ફળિયામાં ઊછરેલા માણસનું ફળિયું વૈશ્વિક બનાવી દીધું હતું. વસુધૈવ કુટુમ્બકમની વાત તો આપણે ત્યાં કહેવાઈ હતી, પરંતુ ચાતુવર્ણ્યના કારણે કુંઠિત થયેલો સમાજ એના કરતાં ક્યાં ય દૂર જતો રહ્યો હતો. ગાંધીજીએ ચેતોવિસ્તાર કર્યો અને આપણી ક્ષિતિજ વિસ્તારી આપી.
મને ખબર છે કે તમને ગાંધીજી સામે ઘણા વાંધા છે, પરંતુ તમે ક્યારે ય વિચાર્યું છે ખરું કે તમને ન ગમતા હોવા છતાં જગત આખામાં ગાંધીની વાત કેમ થઈ રહી છે? સરેરાશ મહિને બે પુસ્તક જગતની કોઈ ને કોઈ ભાષામાં ગાંધીજી પર પ્રકાશિત થાય છે. આધુનિક યુગમાં થયેલા મહાનુભાવોમાં સૌથી વધુ ચર્ચાતો માણસ ગાંધી છે. કોઈ કલાપ્રકાર અને વિશ્વમાં કોઈ મેધાવી કલાકાર નથી જેણે ગાંધીજીને ન સ્પર્ષ્યા હોય. એવું શું છે ગાંધીમાં કે તમે ભૂલી જવા માગો છો, પણ જગત એને ભૂલવા દેતું નથી એનો ક્યારે ય તમે વિચાર કર્યો છે? તમે જેના તરફ નજર કરવા માગતા નથી તે લગભગ રોજ કોઈ ને કોઈ જગ્યાએ તમને કોઈ ને કોઈ સ્વરૂપમાં ભટકાઈ જાય છે એનો અનુભવ તો તમને થતો જ હશે.
જો ગાંધીથી બચી શકાતું ન હોય તો ગાંધીને અપનાવી લેવા જોઈએ એવો દેખીતો ઉત્તર કોઈ આપી શકે, પરંતુ તમે તો ગાંધીને અપનાવવાની જગ્યાએ ધરાર નકારો છો. આવી ધરાર નકારવાની માનસિકતા તમારી અંદર કેમ છે એવો પ્રશ્ન તમારા મનમાં જાગ્યો છે ખરો? અને જો જાગ્યો છે તો એનો ઉત્તર શોધ્યો છે ખરો? જો ઉત્તર ન શોધ્યો હોય તો માણસ તરીકેની તમારી ફરજ છે કે તમારે એનો ઉત્તર શોધવો જોઈએ. નક્કર કારણ વિના કોઈને નકારવા અને ધિક્કારવા એ માણસાઈનો અભાવ છે. શા માટે તમે ગાંધીને નકારો છો અને ધિક્કારો છો એ વિશે સાંગોપાંગ વિચાર કર્યો છે ખરો?
મરાઠા મોરચામાં આનો ઉત્તર મળી રહેશે. મેં પ્રારંભમાં જ પ્રશ્ન કર્યો છે કે ૯ ઑગસ્ટે મોરચો કાઢવાનું શું પ્રયોજન જ્યારે બે ઘટના જ અલગ પ્રકારની છે અને મેસેજ અલગ છે. ૯ ઑગસ્ટે ગાંધીજીએ આપણો ચેતોવિસ્તાર કરીને આપણને ફળિયામાંથી ઉપાડીને ભારતીય અને પછી વૈશ્વિક બનાવી દીધા. આપણી અંદર એકલી ખુમારી પેદા કરી આપી કે ભારતીય પ્રજાએ ૧૯૪૨ની ૯ ઑગસ્ટે અંગ્રેજોને કહી દીધું કે ચલે જાઓ હવે. ૭૫ વરસ પછી એ જ ઐતિહાસિક દિવસે મરાઠાઓ વૈશ્વિક તો દૂર ભારતીય મટીને મરાઠા બનવા માગે છે અને શાસકો ઘૂંટણિયે પડીને કહે છે કે હા, અમે તમે જે કહેશો એ કરીશું. આવી ઊંધી દિશાની યાત્રા કેમ શરૂ થઈ?
કારણ એ છે કે સરેરાશ ભારતીયને ભારતીય બનવું ગમતું નથી. હિન્દુ બની રહેવામાં, મુસલમાન બની રહેવામાં, બ્રાહ્મણ બની રહેવામાં, મરાઠા બની રહેવામાં, મરાઠી કે ગુજરાતી બની રહેવામાં, આર્ય બની રહેવામાં કે દ્રવિડ બની રહેવામાં અને દલિત સુધ્ધાં બની રહેવામાં ફાયદાઓ છે. પહેલો ફાયદો એ કે આપણી સામે બીજા હોય તો બીજા સામે રોષ ઠાલવી શકાય અને સાચાખોટા કોઈ પણ અનર્થ માટે બીજાને જવાબદાર ઠેરવી શકાય. હાથ ખંખેરવા માટે બીજાનો ઉપયોગ કરી શકાય. બીજો ફાયદો એ કે બીજાની સામે આપણને સંગઠિત કરીએ તો નાગાઈ કરીને ઓછી મહેનતે લાભ મેળવી શકાય. ત્રીજો ફાયદો એ કે કહેવાતી અસ્મિતાના રક્ષણના નામે આધુનિક મૂલ્યવ્યવસ્થા અને આધુનિક રાજ્યના કાયદાઓથી બચી શકાય છે. તેઓ પોતાના હિતમાં પુરુષપ્રધાન સામંતી (ફ્યુડલ) વ્યવસ્થા જાળવી રાખવા માગે છે એટલે તેઓ સંગઠિત થઈને એનો પ્રતિકાર કરે છે. ચોથો અને સૌથી મોટો ફાયદો એ કે માણસ બનવાની જવાબદારીથી બચી શકાય છે.
સરેરાશ ભારતીય નાગરિકને માણસ હોવાની જવાબદારીથી બચવું છે અને ગાંધીજી એમાં આડા આવે છે. ગાંધીજી માટેના અણગમાનું મુખ્ય કારણ આ છે. જો ભારતીય અને વૈશ્વિક બની જઈએ તો જવાબદાર કોને ઠેરવવો, ગુસ્સો કોની સામે કાઢવો, નાગાઈ કોની સામે કરવી, વેવલાવેડા કોની સામે કરવા, અંચઈ કોની સામે કરવી, શોષણ કોનું કરવું જેવા કવરાવનારા પ્રશ્નો ઉપસ્થિત થાય. જો અલગ ચોકો માંડીને ક્યારેક રડીને અને ક્યારેક રિસાઈને છટકી શકાતું હોય અને કાંઈક પામી શકાતું હોય તો માણસ બનવાની ઝંઝટમાં ક્યાં પડવું. મરાઠા મોરચામાં રડવાનાં અને રીસવાનાં બન્ને તત્ત્વો હતાં અને મુખ્ય પ્રધાન તેમને છાના રાખવા અને રાજી કરવા પહોંચી ગયા હતા.
તો ગાંધીજી માટેના અણગમા માટેનું પહેલું કારણ એ છે કે આપણે પહેલાં ભારતીય અને આગળ જતાં માણસ બનવા માગતા નથી. સંગઠિત થઈને જો અનાડી ર્કોટ ચલાવી શકાતી હોય અને માફક આવે એવો ચુકાદો આપી શકાતો હોય કે લાભ મેળવી શકાતો હોય તો શા માટે કાયદાના રાજની મર્યાદામાં જીવવું? એમાં તો બધા સમાન, કાયદો સમાન, કાયદા સામે બધા સમાન જેવી કંઈકેટલીયે વિવેકની મર્યાદાઓ છે. અમે કહીએ એ સત્ય અને અમે કહીએ એ ન્યાયના અનાડીપણાની વચ્ચે ગાંધીજી આવે છે એટલે આપણને ગાંધીજી ગમતા નથી. ગાંધીજી માટેના અણગમાનું બીજું કારણ એ છે કે ભારતમાં મોટા ભાગના રાજકીય પક્ષોને ગાંધીજી માફક આવતા નથી. કોઈને ધર્મનું રાજકારણ કરવું છે, કોઈને જ્ઞાતિનું કરવું છે, કોઈને પ્રાંતનું કરવું છે, કોઈને ભાષાનું કરવું છે, કોઈને દ્રવિડ સંસ્કૃિતનું કરવું છે. એમ બે-ચાર પક્ષો છોડીને તમામ પક્ષો સંકુચિત રાજકારણની નાની દુકાન ચલાવવા માગે છે.
હવે અસ્મિતાઓનું સંકુચિત રાજકારણ જેને કરવું હોય એને ચાર ચીજની જરૂર પડે. એક, દુશ્મન. બે, દુશ્મન સામેનો દુશ્મનીનો ઇતિહાસ પછી ભલે ખોટો હોય. ત્રણ, વિક્ટિમ (બીજાના દુષ્કૃત્યનો શિકાર) હોવાની માનસિકતા અને ચાર, આપણે મહાન હોવાની ઘૂંટી-ઘૂંટીને પેદા કરવામાં આવેલી ધારણા. હવે તમે જ કહો ગાંધીજી આવા લોકોને માફક આવે ખરા? ગાંધીજી તેમને પરવડતા નથી એટલે તેઓ ગાંધીજી સામે કુપ્રચાર કરે છે જેથી લાંબા સમય સુધી હિન્દુ કે મરાઠા કે પછી જે હોય તેને ભારતીય તેમ જ એકંદરે માણસ બનતો રોકી શકાય અને તેને ડરાવીને સત્તા ભોગવી શકાય. આ માટે આયોજનપૂર્વક જૂઠો પ્રચાર કરીને ગાંધીજીને બદનામ કરવામાં આવે છે. હિન્દુત્વવાદીઓ આમાં અગ્રેસર છે, કારણ કે તેમનો ભારતીય સમાજમાં અને સત્તામાં દાવો મોટો છે. જેટલો મોટો દાવો એટલો મોટો કુપ્રચાર.
હવે તમે તમારી જાતને પૂછો કે તમારી અંદર કોણ બેઠું છે? હિન્દુ, મુસલમાન, જૈન, મરાઠા, બ્રાહ્મણ, ગુજરાતી, શાકાહારી કે પછી બીજું કોઈ? હવે તમારી જાતને સવાલ કરો કે તમે કોને-કોને ધિક્કારો છો? હવે તમારી જાતને પૂછો કે તમે દિવસમાં કેટલી વાર ઓળખ બદલો છો? (ક્યારેક હિન્દુ, ક્યારેક સ્વામીનારાયણી, ક્યારેક ગુજરાતી વગેરે.) હવે તમારી જાતને તપાસો કે તમે દિવસમાં કેટલો સમય ભારતીય હો છો? હવે તમે તમારી જાતને પૂછો કે જીવનમાં (આઇ રિપીટ જીવનમાં) કેટલા પ્રસંગે શુદ્ધ ભારતીય તરીકે વત્ર્યા છો? અકળાવનારા પ્રશ્નો છે, પણ તપાસતા જાઓ. આનાથી ફાયદો એ થશે કે ગાંધીજીનું મહત્વ સમજાશે અને માણસ બનવામાં એ ઉપયોગી થશે.
તો વાત એમ છે કે ગાંધીજીએ ક્ષિતિજ વિસ્તારી આપી અને આપણને વ્યાપકતાનો ડર લાગે છે. ૯ ઑગસ્ટ જેવા ઐતિહાસિક દિવસે મરાઠા તરીકે પ્રોજેક્ટ કરવામાં સંકોચ સુધ્ધાં ન થાય એટલી હદે આપણે અવળી દિશામાં પ્રગતિ કરી છે. એટલે તો ગાંધીજી આપણને ગમતા નથી અને ગાંધીજીથી બચી શકાતું પણ નથી. અપરાધબોધ પડછાયાની જેમ સાથે રહે છે.
સૌજન્ય : ‘નો નૉન્સેન્સ’ નામક લેખકની કોલમ, ‘સન્નડે સરતાજ’ પૂર્તિ, “ગુજરાતી મિડ-ડે”, 13 અૉગસ્ટ 2017