વિષય, વ્યાપ, વ્યથા સાવ અલગ પણ લોકો માટેની આસ્થા એક ….
તાજેતરમાં પડેલા વરસાદને કારણે અમદાવાદના રસ્તા પરના ખાડા અને લોકોને પડેલી કેટલીય મુસીબતો માટે મ્યુિનસિપલ કૉર્પોરેશન પર પુષ્કળ માછલાં ધોવાઈ રહ્યાં છે. પણ મુંબઈમાં પડતી આ જ તકલીફો પર લખાયેલા એક રૅપ ગીતે મુંબઈકરોની સાથે દેશભરના લોકોને ય ઘેલું લગાડ્યું છે. એક રેડિયો ચૅનલની આર.જે. મલિષ્કાએ લખેલું રૅપ ‘મુંબઈ તુલા બીએમસી વર ભરોસા નાહી કાય ?’ વાઇરલ થયું છે. (આ લેખની નીચે, આ રૅપ સૉન્ગની, લિંક આપી છે. સાંભળજો.) એમાં મલિષ્કાએ બીએમસી એટલે કે બૃહન્ મુંબઈ મ્યુિનસિપલ કૉર્પોરેશનની બેદરકારીની રમતિયાળ ટીખળ કરી છે. આ રૅપ મરાઠી-હિન્દી-અંગ્રેજી એવી મસ્ત મસાલા મિક્સ જબાનમાં છે. તેમાં રેડિયો જૉકીએ મુંબઈનો ‘ઓવરફ્લો’ વરસાદ, રસ્તા પરના ‘ગોલ ગોલ’ ખાડા, ‘લાંબ લાંબ’ ‘જામ જામ’ ટ્રાફિક, ‘સ્લો સ્લો ટ્રેન’ અને એના ‘ઝોલ ઝોલ’ ટાઇમ, અને આ બધાંના પાયામાં ‘ઑથોરિટીચી પોલ પોલ’ એ બધી વાતોની જિકર કરી છે. સાથે મલિષ્કા તેની વહાલી મુંબઈને લાડવાળા લહેકાથી વીનવે છે : ‘મુંબાઈ તું માઝ્યાશી ગોડ બોલ’. વળી એને હળવા કટાક્ષ સાથે પૂછે છે : ‘મુંબઈ તુલા બીએમસી વર ભરોસા નાહી કાય ?’ મલિષ્કાનું ગીત કાનમાં ગુંજતું, હોઠે રમતું થાય છે. આંખ અને અંતરમાં વસી જાય છે તે ચોંત્રીસ વર્ષની મલિષ્કાનું નાના પડદા પરનું પરફોર્મન્સ. ગીતનો લય, શબ્દો ઉચ્ચારવાની લઢણ, ભાવ-ભંગિમા … બધું જોતા રહેવાનું મન થાય. માંડ બે મિનિટનું આ રૅપ પૉપ્યુલર આર્ટ અૅન્ડ કલ્ચરની લાજવાબ કલાકૃતિ બને છે.
જો કે આ કલાકૃતિ પર મુંબઈ મહાનગરપાલિકા ચલાવનારી શિવસેનાની હટી ગઈ છે. તેના કેટલાક આગેવાનોએ મલિષ્કા અને તેની ચૅનલ પર પાંચસો કરોડ રૂપિયાનો બદનક્ષીનો દાવો માંડવાની વાત કરી છે. વળી, બીએમસીના અધિકારીઓએ મલિષ્કાના ઘરની ઝડતી લઈને ડેંગ્યુની ઇયળો માટે નોટિસ ફટકારી ગયા. તદુપરાંત, જનતાની તકલીફોની વાત કરતાં આ હળવાંફૂલ ગીતનો જવાબ આપવા શિવસેનાએ શુદ્ધ મરાઠીમાં એવી અણઘડ અને અપમાનકારક રચના કરી છે કે જેને સરખું જોડકણું ય ન કહી શકાય. તેમાં મલિષ્કાને ઑફિસમાં બેસીને ‘બડબડ’ કરનારી ‘યેડપટ’ (પાગલ) કહીને મોં સંભાળવાની તાકીદ કરી છે. ખાસ સેનાશૈલીમાં તેના રેડિયો સ્ટેશનના ટુકડે ટુકડા કરીને કચરાપેટીમાં નાખી દેવાની ધમકી પણ આપી છે.
મલિષ્કાની પ્રતિક્રિયા શાલીન છે. સ્પષ્ટતા અને આત્મવિશ્વાસથી છલકાતા ઇન્ટરવ્યૂઝમાં તે પોતાની વાત, શિવસેનાનો ‘શ’ બોલ્યા વિના લોકોને ગળે ઊતારે છે. તેની ચૅનલ મુંબઈગરાની ચોમાસુ હાલાકીની વાત દર વર્ષે ‘પૉટહોલ ઉત્સવ’ સહિતના પ્રોગ્રામ્સ દ્વારા કેવી માંડે છે એ તેણે કહ્યું છે. વળી તેણે શહેરમાં તરસ્યા મજૂરો, સેક્સવર્કર્સનાં બાળકો, વૃદ્ધાશ્રમનાં વડીલો છેડતીથી હેરાન થતી મહિલાઓ જેવા વિષયો પર કેવા કાર્યક્રમો કર્યા છે તેની માહિતી આપી છે. એ માને છે કે સત્તાવાળાઓએ ગીતને રાજકીય રંગ આપ્યા વિના તેમાં સંભળાતી લોકોની લાગણી પર ધ્યાન આપીને મીડિયા અને તમામ વર્ગોના સહકારથી શહેરનું સારું કરવું જોઈએ. મલિષ્કા મુંબઈના લોકોનો ખાસ આભાર માને છે કારણ કે તેમણે આ ગીતને લાખોની સંખ્યામાં ઝીલ્યું. શાસકોની સામે તેને ટેકો આપ્યો. તેની તરફેણમાં પોસ્ટર્સ લઈને, તેના માસ્ક પહેરીને દેખાવો કર્યા. તેની વાતમાં સૂર પૂરાવતાં રૅપ પણ લખ્યાં. મલિષ્કાએ કહ્યું કે એની વાત એ લોકોની વાત હતી. એણે કહ્યું, ‘ થૅન્ક યૂ બિકૉઝ આપ લોગોંને ખુદ કી આવાજ નહીં દબને દી.’
અવાજ દબાવવાની શાસકોની દાનતનો ભોગ મુંબઈમાં જ બન્યાં છે જનવાદી કલાકાર શીતલ સાઠે અને ‘કબીર કલા મંચ’ નામનું તેમનું ગાયકવૃંદ. આ મંડળી સંઘર્ષ અને નવરચનાનાં મરાઠી ગીતોનાં અદ્દભુત કાર્યક્રમો લોકોની વચ્ચે રજૂ કરે છે. તેના કલાકારો સારું ભણેલા ગરીબ દલિત પરિવારનાં યુવક-યુવતીઓ છે. કાર્યક્રમોનું ધ્યેય શોષણમુક્ત સમાજ માટે ક્રાંતિનો સંદેશ આપવાનું હોય છે. વર્ણ વ્યવસ્થા, મહિલા અત્યાચાર, ભ્રૂણહત્યા, મૂડીવાદ, કૉર્પોરેટાઇઝેશન, અંધશ્રદ્ધા, અણુઊર્જા, શિક્ષણનું વેપારીકરણ, ખેડૂતોને આત્મહત્યા માટે મજબૂર કરનાર નીતિ જેવાં દૂષણો વિશેના તેજાબી ચાબખા ગીતોમાં હોય છે. સાથે વેદના અને સપનાં, સ્ત્રીશક્તિ અને સ્ત્રીમુક્તિનાં ગીતો પણ છે. ફુલે દંપતી, આંબેડકર, ભગતસિંહ, બિરસા મુંડા જેવાં પ્રેરણાસ્થાનો છે. મંચની પરંપરા મહારાષ્ટ્રના અણ્ણાભાઉ સાઠે અને અમર શેખ જેવા ‘શાહિરો’ની છે. તે ડફલી, ઘુંગરુ, ઢોલ, કરતાલ, મંજિરા જેવા પરંપરાગત વાદ્યોનો અને પ્રસ્તુિત સ્વરૂપોનો ઉપયોગ કરે છે.
મહારાષ્ટ્રની સરકારે પૂનાના આ જૂથ પર નક્સલવાદી હોવાનો આરોપ મૂક્યો છે. ઍન્ટિ-ટેરરિસ્ટ સ્ક્વાડે તેના આઠેક કલાકારોને એપ્રિલ-મે 2011માં ગિરફ્તાર કર્યા. અન્ય કલાકારો ભૂગર્ભમાં ચાલ્યા ગયાં. તેમાં વિશેષ પ્રતિભાશાળી ગીતલેખક,સંગીતકાર અને ગાયક શીતલ સાઠે અને તેમનાં પતિ સચીન માળી પણ હતાં. પહેલાંના બે કલાકારોને હાઈકોર્ટે એમ સ્પષ્ટ કરીને જામીન આપ્યા કે વ્યક્તિની કોઈ વિચારધારા તરફની સહાનુભૂતિને કારણે વ્યક્તિ ગુનાપાત્ર બનતી નથી. આ ચુકાદાથી શીતલ અને સચીનમાં ન્યાયપૂર્ણ કાર્યવાહીની આશા જાગી. તેમણે પોતાની વાત જાહેરમાં મૂકવાના વ્યૂહ તરીકે મુંબઈના વિધાન ભવનની સામે મીડિયાની હાજરીમાં ત્રીજી એપ્રિલે 2013 ધરપકડ વહોરી. ખૂંખાર ગુનેગારોને વર્ષો લગી જામીન મળતા હોય તેવા આ દેશમાં એક ગર્ભવતી કલાકાર શીતલને ત્રણ મહિને જામીન મળવામાં બહુ મુશ્કેલી પડી. સચીન અને બીજા બે કલાકારોને આ વર્ષે ત્રીજી જાન્યુઆરીએ સર્વોચ્ચ અદાલતમાંથી જામીન મળ્યા. કારાવાસમાં તેમણે સવાસો જેવાં ગીતો રચ્યાં છે.
કોઈ સંસ્થાની કોઈ સહાય વિના, અત્યારના જમાનામાં મોટા ભાગના લોકો જેનાથી દૂર રહે તેવા વિષયો પર જલદ ગીતો લખનારાં આ કલાકારો અંગત જીવન અને કાનૂની લડતોમાં પાર વગરની કઠણાઈઓ વેઠી રહ્યાં છે. તેમની વહારે દોડ્યા છે મૂઠી ઊંચેરા ડૉક્યુમેન્ટરિ ફિલ્મમેકર આનંદ પટવર્ધન. તે કેટલાક કર્મશીલો સાથે કબીર કલા મંચ ડિફેન્સ કમિટીના નેજા હેઠળ મંચ માટે લડી રહ્યા છે. બીજી બાજુ જેલમાંથી બહાર આવેલા ત્રણેય કલાકારોએ મહારાષ્ટ્રભરમાં ગીતોના કાર્યક્રમો ફરીથી શરૂ કર્યા છે. તેમના વિષયોમાં બીફ બાન, નોટબંધી અને ખેડૂતો પરની હિંસા ઉમેરાયા છે.
શીતલ-સચીને વૈચારિક મતભેદોને કારણે અલગ વૃંદ શરૂ કર્યું છે. દીકરા અભંગના ઉછેર સાથે તે કાર્યક્રમો કરતાં રહ્યાં છે. દાભોલકર-પાનસરે-કલબુર્ગીની હત્યા પર તેમણે ગીતો ગાયાં. જેએનયુમાં કન્હૈયાકુમાર અને સાથીઓ માટે, એચસીયુના દિવંગત વેમુલા અને અત્યારના તેના સાથીઓ માટે કાર્યક્રમો કર્યાં છે. સાવિત્રીબાઈ ફુલે પૂના યુનિવર્સિટીમાંથી મરાઠી સાહિત્યમાં સુવર્ણ ચંદ્રક સાથે પદવી મેળવનાર શીતલ ઝૂંપડપટ્ટીમાં ઉછરેલાં છે. ક્ષયરોગને કારણે તેમના પિતાનું અવસાન થયાં પછી તેની માતાએ તેમને બહુ કષ્ટ વેઠીને ભણાવ્યાં છે. પૂરી તાકાત, તીવ્રતા અને તાદાત્મ્ય સાથે સંઘર્ષનાં ગીતો ગાતાં શીતલ તેજસ્વિની લાગે છે. શીતલ અને મલિષ્કા અનેક રીતે જુદાં છે. પણ બંને, લોકોમાં આસ્થા ધરાવનાર કલાકાર છે. એકને જેલ મળે છે બીજીને ગ્લૅમર.
સવાલ થાય છે : મલિષ્કા સત્તાવાળાઓ સામે શીતલ જેવી બની શકે ખરી ?
++++++
3 ઑગસ્ટ 2017
સૌજન્ય : ‘ક્ષિતિજ’ નામક લેખકની સાપ્તાહિક કોલમ, “નવગુજરાત સમય”, 04 અૉગસ્ટ 2017
https://www.youtube.com/watch?v=ZDR2CbutaQY