અનમ ઝકરિયા નામની એક પાકિસ્તાની યુવતી લાહોરની કૉલેજમાં સમાજ વિજ્ઞાન ભણતી હતી અને તેની નાની સાથે રહેતી હતી. તેની નાની વિભાજન પહેલાં ભારત તરફના પંજાબમાં રહેતી હતી અને વિભાજનના કારણે પાકિસ્તાન જવું પડ્યું હતું. અનમ કહે છે કે તેની નાની જ્યારે પણ વિભાજનની વાત નીકળતી ત્યારે કેવી કેવી યાતના સહીને તે અને તેનો પરિવાર આ બાજુ પાકિસ્તાનમાં આવ્યો હતો અને હિંદુઓએ કેવા કેવા અત્યાચાર કર્યા હતા એની વાત કરતી રહેતી. દરેક વખતે અત્યાચારી હિંદુઓની કથા તે સંભળાવતી એટલે અનમ પણ એમ માનતી થઈ ગઈ હતી કે આ ધરતી પર હિંદુઓ જેવી ખરાબ કોમ બીજી એકે નથી. તેની કોલેજમાં ભણતા બીજા વિદ્યાર્થીઓ પણ હિંદુઓ વિષે લગભગ આવો જ અભિપ્રાય ધરાવતા હતા અને તેમનો અભિપ્રાય પણ આવી કોઈને કોઈ નાની-નાના, કાકા-કાકી, દાદા-દાદીઓને કારણે બન્યો હતો.
અનમ લખે છે કે એક દિવસ નાની પોતાના બાળપણની વાત કરતી હતી ત્યારે તેની હિંદુ બહેનપણીઓની સારપ વિષે અને તેણે કરેલી મદદ વિષે બોલી ગઈ. અનમ ચોંકી. ‘નાની, ક્યા હિંદુ અચ્છે ભી હોતે હૈ?’ જવાબમાં નાનીએ કહ્યું કે; ‘હાં, કુછ હિંદુ અચ્છે ભી હોતે હૈ’ અને પછી તો નાનીએ હિંદુઓના સારાપણાના હજુ વધુ કિસ્સા સંભળાવ્યા.
અનમ સમાજશાસ્ત્રની વિદ્યાર્થિની હતી, એટલે એને નાનીની હિંદુઓની સારપ વાળી બાજુ વર્ણવતી ઘટનાઓ સાંભળીને લાગ્યું કે અસાધારણ સંજોગોએ પેદા કરેલી પરિસ્થિતિમાં વિજેતા કે પરાજિત થયેલા લોકો પોતાને માફક આવે એટલું ‘સત્ય’ પકડી લે છે અને પછી તેને ઘૂંટ્યે રાખે છે. જેમાં આંશિક સત્ય હોય, અથવા સત્ય ન પણ હોય અથવા તો કોઈ સારી/ખરાબ ઘટના ખાસ પ્રકારના સંજોગોનું સર્જન હોય એ છતાં તેને વારંવાર ઘૂંટતા રહેવાથી તે કાયમી સત્ય તરીકે સ્થાપિત થવા લાગે છે. શરીર પરની સારા-ખરાબ બન્ને પ્રકારની ભાવનાઓને પ્રતિસાદ આપતી સાચી સંવેદનશીલ ત્વચા મરવા લાગે છે અને માફક આવે એવા સત્યને ઘૂંટી ઘૂંટીને નવી મઢેલી ત્વચા તેની જગ્યા લેવા માંડે છે.
આ મઢેલી ત્વચા સાચી હોતી નથી એટલે જો તેને ખરોચવામાં આવે તો નીચે રહેલી સંવેદનશીલ ત્વચાને જગાડી શકાય છે. એ પછી અનમે ભારતના વિભાજનનો શિકાર બનેલાઓની મઢેલી ત્વચાને ખરોચવાનો પ્રોજેક્ટ હાથ ધર્યો. તેને સમજાયું કે સત્ય જે મઢવામાં આવ્યું છે તેનાથી જુદું છે. એ પછી તેણે ભારત આવીને વિભાજન વખતે પાકિસ્તાનથી ભારત આવેલા હિંદુઓની ત્વચા પણ ખરોચવા માંડી તો તેમાં પણ એ જ જોવા મળ્યું. હિંદુઓએ મુસલમાનો માટે અને મુસલમાનોએ હિંદુઓ માટે ઘણું સારું કહેવાનું હતું; પણ એમાં ક્યાંક કોઈક જગ્યાએ પોતાનો વાંક કબૂલ કરવો પડે, અથવા બીજાની સારપ કબૂલ કરવી પડે એટલે તેનાથી બચવા માટે બન્ને કોમે પોતાને માફક આવે એવું સત્ય સ્વીકારીને પોતાના શરીર પર ત્વચા મઢી લીધી હતી. અનમ ઝકરિયાએ હિંદુ અને મુસલમાન એમ બન્ને કોમના લોકોની ચામડી ખરોચીને જે તારણ કાઢ્યું છે એ ‘ધ ફૂટપ્રિન્ટ્સ ઓફ પાર્ટીશન : નેરેટીવઝ ઑફ ફોર જનરેશન્સ ઑફ પાકીસ્તાનીઝ એન્ડ ઇન્ડિયન્સ’ નામનાં પુસ્તકમાં જોવા મળશે.
ભારતમાં મુસલમાનો આવ્યા અને હિંદુ ખરલમાં વટાયા વિના મુસલમાનના મુસલમાન બનીને રહ્યા, એટલું જ નહીં ઉપરથી શાસક બન્યા એ ભારત માટે અસાધારણ સ્થિતિ હતી. અનમ ઝકરિયા કહે છે એમ અસાધારણ સંજોગોએ પેદા કરેલી પરિસ્થિતિમાં વિજેતા કે પરાજિત થયેલા લોકો પોતાને માફક આવે એટલું ‘સત્ય’ ઘડી કાઢે છે અને પછી તેને વાગોળ્યા કરે છે. ત્યાં સુધી વાગોળે છે કે એ માન્યતા કે ધારણા અથવા સંભાવના તેને સત્ય ન લાગવા માંડે. જ્યારે માન્યતા કે ધારણા પોતાના માટે સત્યનું સ્વરૂપ પકડી લે એટલે પત્યું. એ પછી પુનર્વિચાર કરવાનો રહેતો નથી.
ઈસુની દસમી સદી પછી મુસલમાનોના જે ધાડાઓ ભારતમાં આવ્યા હતા એ કોઈ પચાસ હજારનું લશ્કર લઈને નહોતા આવ્યા. હજાર-બે હજાર સૈનિકો સાથે કે વધુમાં વધુ પાંચ હજારના સૈન્ય સાથે કોઈ ચડાઈ કરવા આવે અને ભારતના કોઈ એક પ્રદેશમાં લૂંટફાટ કરીને કે મંદિરો તોડીને જતો રહે. કોઈ વળી કોઈ પ્રદેશ જીતીને રાજ કરવા અહીં રહીં જતા. આ બાજુ હિંદુઓનો એક પણ આક્રમણકાર સામે વિજય નહોતો થયો. એક પણ વાર નહીં. પોતાની ભૂમિ, પોતાનો પરિચિત સમાજ, આક્રમણકારો કરતાં અનેક ગણી બહોળી સંખ્યા; અને છતાં બહારના લોકો સામે એક પછી એક પરાજય થતો હતો.
મુસલમાનો જીત્યા એની સામે પણ વાંધો નહોતો, અહીં રહી ગયા એની સામે પણ વાંધો નહોતો, માથે શાસન કર્યું એની સામે પણ વાંધો નહોતો; વાંધો એ વાતનો હતો કે તેઓ ખરલમાં વટાયા નહીં અને મુસલમાનના મુસલમાન જ રહ્યા. ભારત માટે આવો આ પહેલો અનુભવ હતો અને માટે અસાધારણ હતો. આ પહેલાં પણ હિંદુઓનો વિદેશી આક્રમણકારો સામે પરાજય થયો હતો, તેઓ ભારતના કોઈને કોઈ પ્રદેશમાં શાસક પણ બન્યા હતા; પરંતુ તેઓ હિંદુ ખરલમાં વટાઈ ગયા હતા એટલે એ પરાજયમાં કે મૂળ વિદેશી શાસકોના શાસિત બનવામાં હિંદુઓને નાનપ નહોતી લાગી. જે જીત્યા હતા એ પણ હિંદુ ખરલમાં વટાઈને હિંદુ બની ગયા એટલે તેમના મનમાં વિજેતાનું ગુમાન નહોતું.
હવે પહેલીવાર ભારતમાં એવું બન્યું કે વિજેતાને કે તેના વારસોને ગુમાન અનુભવવા માટે કારણ હતું અને પરાજિતને કે તેના વારસોને નાનપ અનુભવવા માટે કારણ હતું.
પણ અહીં એક મહત્ત્વનો પ્રશ્ન ઉપસ્થિત થાય છે. આવી ગુમાન કે ભોંઠપની લાગણી એ સમયે ભારતની પ્રજાએ અનુભવી હતી ખરી જ્યારે મુસ્લિમ આક્રમણકારો સામે હિંદુઓનો પરાજય થતો હતો? હિંદુ શાસકોએ અનુભવી હશે, પણ પ્રજાએ બેમાંથી કોઈ લાગણી અનુભવી હતી ખરી? નહોતી અનુભવી તો કેમ નહોતી અનુભવી? તો પછી ક્યારથી આનો બોધ થવા લાગ્યો? કોણે આવો બોધ કરાવ્યો? શા માટે બોધ કરાવ્યો?
એ તો દેખીતી વાત છે કે જ્યારે મુસ્લિમ આક્રમણકારો ભારતમાં આવ્યા અને હિંદુઓને પરાજિત કરીને તેમ જ પોતાની અલગ ધાર્મિક ઓળખ જાળવી રાખીને તેઓ શાસકો બન્યા ત્યારે તેની સામે જો હિંદુઓને વાંધો હોત તો કોઈને કોઈ જગ્યાએ પ્રતિકાર જોવા મળ્યો હોત. ભારતમાં કોઈ જગ્યાએ હિંદુ પ્રજાએ મુસ્લિમ શાસન સામે નફરતથી પ્રેરાઈને બગાવત કરી હોય એવું જોવા મળતું નથી. તો આનો અર્થ એ જ થયો કે હિંદુ માનસમાં શરમ અને મુસલમાનો માટેના ધિક્કારની લાગણી એ યુગમાં એટલી નહોતી, જેટલી પાછળથી પેદા કરવામાં આવી છે.
નહોતી તો શા માટે નહોતી અને પાછળથી પેદા કરી તો કોણે કરી? બીજું વીતેલા યુગ માટે પાછળથી આવી લાગણી પેદા થઈ શકે? મુસ્લિમ શાસકો બહુ ભલા હતા, દેશમાં ખુદાનું રાજ પ્રવર્તતું હતું અને પ્રજા સાથે કોઈ અન્યાય નહોતો કરવામાં આવતો એવું નહોતું. દરેક યુગના શાસકોમાં જોવા મળે છે એમ શાસક તરીકેનું સારા-નરસાપણું તેમનામાં પણ હતું. તો પછી એવું શું છે કે જે હિંદુ પ્રજા પ્રત્યક્ષ મુસલમાનો દ્વારા શાસિત હતી છતાં એ મુસલમાનો માટે આજના હિંદુઓ કરતાં ઓછી નફરત ધરાવતી હતી? નફરત તો તેમના મનમાં વધારે હોવી જોઈતી હતી, કારણ કે તેઓ તેમના યુગમાં તેમના શાસિત તરીકે રહેતા હતા અને જે કાંઈ ભોગવવાનું આવતું હતું એ ભોગવતા હતા. અત્યારે હિંદુઓ મુસલમાનો માટે જેવી તીવ્ર નફરત ધરાવે છે એવી કોઈ નફરતનું પ્રમાણ એ યુગમાં મળતું નથી.
આનાં બે મુખ્ય કારણો છે જેની ચર્ચા હવે પછી.
18 સપ્ટેમ્બર 2019
સૌજન્ય : ‘દૂધનું દૂધ, પાણીનું પાણી’ નામક લેખકની સાપ્તાહિક કટાર, ‘સંસ્કાર’ પૂર્તિ, “સંદેશ”, 22 સપ્ટેમ્બર 2019