જેના પર ભરોસો મૂકી શકાય એવો શ્રદ્ધેય માણસ ધાર્મિક હોવો જરૂરી છે? શું માણસાઈ અને ધાર્મિકતા એકબીજાથી અલગ ન કરી શકાય એવાં અવિભાજ્ય છે અથવા એકના વિના બીજાનું અસ્તિત્વ સંભવી જ ન શકે એવાં અવિનાભવી છે? તમારો અનુભવ શું કહે છે? ઘડીભર માની લો કે તમે હિન્દુ કન્યાનાં હિન્દુ પિતા છો અને તેનાં હિન્દુ યુવક સાથે સગપણનો પ્રસ્તાવ આવ્યો છે. તમે એ યુવક હિન્દુ છે, દેખાવડો છે અને સુખી છે એટલું જોઈને પ્રસ્તાવ મંજૂર રાખશો કે પછી તે અને જે ઘરે દીકરી જવાની છે એ પરિવાર કેટલો સંસ્કારી છે એ પણ જોશો? આપણે દરેક સામેના પક્ષની માણસાઈની અલગથી ચકાસણી કરીએ છીએ. આને અર્થ એ થયો કે ધર્મ અને ધાર્મિકતા માણસાઈની ગેરંટી આપતાં નથી. આનો બીજો અર્થ એ થયો કે માણસાઈ એક ધર્મનિરપેક્ષ મૂલ્ય છે અર્થાત્ માણસાઇ એક સેક્યુલર મૂલ્ય છે. તેને ધાર્મિક હોવાપણા સાથે કે ન હોવાપણા સાથે કોઈ સંબંધ નથી. અને આ વાત દરેક ધર્મને લાગુ પડે છે, દરેક પ્રજાને લાગુ પડે છે અને ઇતિહાસના કોઈ પણ સમયખંડને લાગુ પડે છે.
માનવીય જીવનમાં જો માણસાઈ સૌથી મૂલ્યવાન જણસ હોય અને એ જો સેક્યુલર હોય એટલે કે ધર્મનિરપેક્ષ હોય તો પછી ધર્મનો શું ખપ? કોઈ ધર્મ પાપ કરવાનું શીખવતો નથી. દરેક ધર્મ સારાં કર્મો કરવાનું અને એ રીતે પુણ્ય કમાવાનું કહે છે. મોક્ષની, નિર્વાણની, મુક્તિની, કયામતના દિવસે રહેમની સીડી સારાં કર્મો દ્વારા જ ચડી શકાય છે. તો પછી દેખીતી રીતે માણસાઈ ધર્મજન્ય હોવી જોઈતી હતી, પણ અનુભવ એમ કહે છે કે માણસાઈ આપણે કોઈ વ્યક્તિના ધાર્મિક હોવાપણામાં નહીં, પણ ધર્મની બહાર જે તે વ્યક્તિના વહેવારમાં શોધીએ છીએ. ઊલટો એવો અનુભવ પણ થાય છે કે અતિ ધાર્મિક માણસ વહેવારમાં ખોટો હોય, સ્વાર્થી હોય અને કોઈને ય પણ છેતરવામાં લાજતો ન હોય.
ટૂંકમાં ધર્મ જો માણસાઈની ગેરંટી ન આપતો હોય અને માણસાઈ ધર્મનિરપેક્ષ સ્વતંત્ર ગુણ હોય તો પછી ધર્મનો શું ખપ? ધર્મિક માણસ મૂલ્યપરાયણ હોય એની કોઈ ખાતરી નથી. ધર્મપરાયણ માણસ અનિવાર્યપણે મૂલ્યપરાયણ ન હોવો જોઈએ? હોવો તો જોઈએ, પણ એવું બનતું નથી. કેમ? આ લાખ રૂપિયાનો સવાલ છે?
ધર્મનું એક આધ્યાત્મિક પાસું છે જે માળખાથી મુક્ત છે અને ધર્મનું એક અસ્મિતાકીય પાસું છે જે માળખાબદ્ધ છે. કોઈ સાચો હિંદુ સાચા હિંદુ બનવા માટેની યાત્રા શરૂ કરે તો એ સાચા માણસ બનવા સુધી પહોંચી જશે. એનું અસ્મિતાકીય હિંદુપણું ખરી જશે. અને જ્યાં સુધી માળખાબદ્ધ અસ્મિતાકીય હિંદુપણું ખરી ન જાય ત્યાં સુધી એ હિંદુ માણસ બની શકવાનો નથી. અને કોઈ પણ ધર્મનો કોઈ પણ સાધક જ્યાં સુધી શુદ્ધ માણસ ન બને ત્યાં સુધી એ મુક્તિનો અધિકારી બનવાનો નથી. આ વાત માત્ર હિન્દુ માટે સાચી નથી, દરેક વ્યક્તિ માટે સાચી છે પછી તે ગમે તે ધર્મનો હોય. એટલે તો સંતો અને સૂફીઓ એક મુકામે પહોંચી જાય છે. બન્નેનું મુકામ એક જ છે, અલગ અલગ નથી.
પણ ધર્મનું અસ્મિતાકીય માળખાબદ્ધ પાસું વધારે પ્રબળ છે અને વર્તમાન યુગમાં એ વધારે પ્રબળ બની રહ્યું છે. આનું મુખ્ય કારણ એ છે કે એ તમને ચોક્ક્સ ધર્મના અનુયાયી હોવાની અને એ અનુયાયીઓના સમૂહનો હિસ્સો હોવાની સુરક્ષા આપે છે. સમૂહનો હિસ્સો બનવાથી માણસ તરીકેની વ્યક્તિગત જવાબદારીઓ અને માનવીય ધર્મથી મુક્તિ મળી જાય છે. લોકોનાં આવાં પલાયનપારાયણ માનસનો રાજકારણીઓ, ધર્મગુરુઓ અને પુરોહિતો લાભ લે છે. ડરાવો અને વાડામાં પૂરી રાખો. રાજકારણીઓ વિધર્મીથી ડરાવે છે અને પુરોહિતો નર્કનો તેમ જ ૮૪ લાખ યોનિમાં પુનર્જન્મનાં ચકરવાથી ડરાવે છે. ધર્મનું રાજકારણ કરનારા રાજકારણીઓ સુરક્ષાની ગેરંટી આપે છે અને પુરોહિતો તેમ જ ધર્મગુરુઓ સદ્દગતિની ગેરંટી આપે છે. પણ આ બેમાંથી કોઈ માણસાઇની ગેરંટી આપતાં નથી.
ધર્મનું આધ્યાત્મિક પાસું માણસાઈની ખોજ કરનારું પાસું છે, માણસાઈને સમૃદ્ધ કરનારું પાસું છે, અસ્મિતામુક્ત કરનારું પાસું છે, ભયમુક્ત કરનારું પાસું છે, ઈશ્વર સાથે અને માણસ માણસની વચ્ચે એકત્વ સાધનારું પાસું છે. અસ્મિતાકીય માળખાબદ્ધ ધાર્મિકતાથી બિલકુલ સામેના છેડાનું છે. માટે દરેક ધર્મના કોમવાદીઓ (ફરીવાર કહું છું દરેક ધર્મના કોમવાદીઓ) પોતાના ધર્મના હાર્દને તમારી સમક્ષ રજૂ નહીં કરે. ઈશુનાં વચન, મહમ્મદનાં વચન, બુદ્ધનાં વચન, મહાવીરનાં વચન, વેદો તેમ જ ઋષિઓનાં વચન, સંતોનાં વચન, સૂફીઓનાં વચન, મરમીઓનાં વચન જે તે ધર્મના હાર્દરૂપ છે. પણ કોમવાદીઓ તેને તમારી સમક્ષ રજૂ નહીં કરે. એ તેમને માફક આવતાં નથી. એ વચનો માણસને અસ્મિતામુક્ત કરે છે, એ વચન માણસને ભયમુકત કરે છે, એ વચન માણસને માણસ સાથે જોડે છે, એ વચન દીવાલોને તોડે છે.
મારા વાચકમિત્ર, તારે ચાર કામ કરવાં જોઈએ. એક, તારા ધર્મનો હાર્દ શું છે અને શું કહે છે અથવા શીખવે છે એની તપાસ કર. જો તું તારા ધર્મ માટે ગૌરવ અનુભવે છે તો તેનાં અમૂલ્ય હાર્દ માટે અનુભવે છે કે બાહ્ય માળખાં માટે? બીજું, બીજાના ધર્મના હાર્દ પર (હાર્દ પર, બાહ્ય માળખા પર નહીં) પણ એક દૃષ્ટિ કરી જો. એના ધર્મના હાર્દ અને તારા ધર્મના હાર્દ વચ્ચે કેટલો તફાવત છે એ તું પોતે ચકાસી જો. ત્રીજું, તમારા ધર્મના અને એ સાથે વિધર્મીઓના ધર્મના કોમવાદીઓનાં કથન પર એક નજર કરી જો. તેમણે ક્યારે ય તેમના ધર્મના હાર્દની વાત કરી છે? કોમવાદનો લગભગ પોણા બસો વરસનો ઇતિહાસ છે અને એમાં તમને કોઈ ધર્મના કોઇ કોમવાદીનું પોતાનાં ધર્મના હાર્દને સ્પર્શતું હોય એવું એક પણ નિવેદન નહીં મળે. ગેરંટી. તમે પોતે ચકાસી જુઓ. ઘણું કરીને તેઓ એના વિષે જાણતા પણ નહીં હોય. કોમવાદી માનસ વિકસાવવા માટે તેની જરૂર પણ નથી, ઊલટું બાધારૂપ છે. અને ચોથું, માણસ તરીકેનો એક જ જન્મ મળ્યો છે તો માણસાઈની આરાધના કરવાની કે નીચતાની? વિચારી જો. તારું જીવન છે, તારે માર્ગ નક્કી કરવાનો છે.
પ્રગટ : ‘કારણ તારણ’, નામક લેખકની કટાર, ‘રસ રંગ પૂર્તિ’, “દિવ્ય ભાસ્કર”, 26 નવેમ્બર 2023