[ભાગ-6]
વિધાનસભામાં લોકોના પ્રશ્નોની ચર્ચા થવી જોઈએ, પરંતુ સરકારની વાહવાહી થાય તેવા જ પ્રશ્નો પૂછવામાં આવે છે. મુખ્ય મંત્રી જ આવું આયોજન કરે છે. ગુજરાતમાં, સત્તાપક્ષના ધારાસભ્યો પોતાની મેળે પ્રશ્નો પણ પૂછી શકતા નથી, તેવું વાતાવરણ 2002 પછી નિર્માણ કરવામાં આવ્યું છે. 2022 તથા 2023માં ગુજરાત વિધાનસભામાં સત્તાપક્ષના ધારાસભ્યોએ લોકોને વેઠવી પડતી મુશ્કેલીઓ અંગે મોં ખોલ્યું નથી ! ધારાસભ્યોને પોતાના ધંધામાં જ રસ છે, પૈસા બનાવવામાં જ રુચિ છે. તેઓ સેવા માટે ચૂંટાયા નથી, મલાઈ તારવી લેવા માટે જ પરિશ્રમ કરે છે. પરંતુ 1950માં આ સ્થિતિ ન હતી. તે વેળાએ ધારાસભ્યો કંઈક જુદી માટીના હતા. લોકોને વેઠવી પડતી મુશ્કેલીઓ / સરકારી સેવકોની જવાબદારી / સુરક્ષા / શિક્ષણ / આરોગ્ય સવલત / રસ્તાઓ / ખેડૂતોની વેદનાઓ વગેરે માટે અવાજ ઉઠાવવા પરિશ્રમ કરતા હતા !
સોનગઢ, વળા, લાઠી, લિલિયાના ધારાસભ્ય છગનભાઈ પટેલે 22 માર્ચ 1950ના રોજ સૌરાષ્ટ્ર રાજ્યની વિધાનસભામાં રજૂઆત કરી હતી : “સરકારી નોકરો સરકાર તેમ જ પ્રજા પ્રત્યે જે રીતનું વર્તન રાખીને કામ કરવું જોઈએ તેવી રીતે નથી કરતા. તેઓ નોકરીના સમય દરમિયાન બેસી રહે છે અને સરકાર અને પ્રજાને મુશ્કેલી થાય તેવી સ્થિતિ ઊભી કરવા પ્રયત્ન કરે છે. તેના સંબંધમાં અહીં સુધી માહિતી ન હોય અને બિલકુલ જ ખ્યાલ ન આવે એમ લાગતું નથી, થોડાઘણાં પગલાં લેવાયા હોય છતાં વાતાવરણ ઘણું જ કલુષિત રહે છે. જ્યારે આઝાદી આવી તે પહેલા લોકોના દિલમાં આશા, તમન્ના જાગ્રત થયેલ હતી, તે આપણે તુરત જ પૂરી ન કરી શકીએ તે સમજી શકાય તેવું છે, પણ સરકારી નોકરો વફાદારીથી વર્તે તેમાં કાંઈ મુશ્કેલીઓ બબ્બે વર્ષથી દેખાતી હોય, તે તુરત દૂર કરવી જોઈએ, જેથી પ્રજાને ખ્યાલ આવે કે આ નોકરો હવે પ્રજાના નોકરો થયેલ છે. બધા નોકરિયાત હવે આઝાદી મળ્યા પછી પ્રજાના નોકરો છે તેવી અસર પ્રજાના દિલ ઉપર ન પડે ત્યાં સુધી આ તંત્ર આપણું છે એવો ખ્યાલ ગ્રામજનતાને પણ ક્યાંથી આવે? નોકરિયાતો તેના તે જ હોય તો ગ્રામલોકોને આ ખ્યાલ ક્યાંથી આવે? વાતાવરણ સારું કરવા જે પ્રયાસ થાય છે તેને ખૂબ ઝડપ આપવાની જરૂર છે, જેથી ગ્રામલોકોને ખબર પડે કે આઝાદી આવી છે અને આપણું રાજ આપણે ભોગવી રહ્યા છીએ … પોલીસ ખાતું, પ્રજાના રક્ષણ માટે છે તેવી છાપ હજી પ્રજા ઉપર પાડી શક્યું નથી …””
“ગામડાંની નિશાળોમાં મોટા ભાગના શિક્ષકો બાળકોને બરાબર ભણાવતા નથી. સરકારને આ માટે ઘણા સૂચનો થયા છે, સૌરાષ્ટ્રમાં મોટી વસ્તી ગામડાંમાં વસે છે, ગામડાંની અજ્ઞાન જનતા કેળવણી માટે ફરિયાદ કરે છે કે કરોડો રૂપિયા સરકાર કેળવણી પાછળ ખર્ચે છે, તે ક્યાં ખર્ચાય છે? ગામડાંમાં વધારે શિક્ષકો રાખવા જોઈએ તેને બદલે આમ કેમ છે? ગામડાંના શિક્ષકો રીસાણા હોય તેમ લાગે છે, શું તેને કાંઈ પગાર કે સગવડ નથી મળતી? ગામડાંના બાળકો મોટી સંખ્યામાં ભણવા આવે, બાળકોને સારામાં સારું શિક્ષણ આપે તેઓ પ્રબંધ થવો જોઈએ.”
“ગામડાંમાં વૈદકીય રાહત જે રીતે અપાય છે તે સંતોષકારક નથી. ગામડાંમાં દર વર્ષે બે મહિના એવા જાય છે કે જેથી ખેડૂતોને ભારે મુશ્કેલી પડે છે. એક બાજુ દિવાળી ટાણું હોય, ઘઉંના વાવેતર શરૂ કરવાના હોય અને બીજી બાજુ મેલેરિયાની સીઝન નીકળે. આપણા પ્રદેશમાં એવું એક પણ ગામ નહીં હોય કે જ્યાં મેલેરિયા ન હોય. ખેડૂતો-મજૂરો સૌને લાગુ પડે છે અને કામના દિવસોમાં કામ અટકી પડે છે. તે વખતે પાંચ દસ ગાઉ દોડધામ થાય. ઇન્જેક્શન ફી, વાહન ભાડું અને ડોક્ટરની વિઝીટ ફી એમ ત્રણ થરી ફી ખેડૂતને ભારે પડે છે. આ દિશામાં શું કરવું જોઈએ? વેળાસર સસ્તી યોજના અમલમાં મૂકવી જોઈએ … સોરઠ જિલ્લાના પ્રભાસ પાટણમાં લોકોના ઉપયોગ માટે જે પાણીની વાવ છે તે વાવના પાણીથી લોકોને વાળાનું દર્દ થાય છે, એ વાત સરકારના લક્ષ ઉપર આવી છે કે નહીં? આવી હોય તો તે સંબંધે સરકારે શું ઉપાયો લીધા છે? વનસ્પતિ ઘી રૂપિયા 1 કે સવાનું મળતું હોવાથી 3 રૂપિયાવાળા ચોખ્ખાં ઘી તરીકે વેચે છે. નીતિનું ધોરણ ખૂબ નીચું લાવવા વનસ્પતિ ઘીએ જબરજસ્ત ફાળો આપ્યો છે. વનસ્પતિ ઘી ખૂબ વપરાશમાં આવતું હોવાથી ખેતી ઉપયોગી પશુઓ બળદ, ગાયો વગેરેને ફટકો પડ્યો છે. વહેલી તકે વેજીટેબલ ઘીને બંધ કરી પશુધનને રક્ષણ આપવું જોઈએ.”
“(4 ઓક્ટોબર 1950) ગઢડા અને ઢસા વચ્ચેના વાહન વ્યવહારમાં ચોમાસામાં સીતાપરી નદી, રસનાળિયો તથા સાદરડીના નેરા વગેરે લઈને ખૂબ મુશ્કેલી આવે છે તો તેના બેઠા પુલ બાંધી ઢસા ગઢડા વચ્ચેનો વાહન-વ્યવહાર ચાલી શકે તેવી સગવડ કરી આપવા સરકાર કૃપા કરશે? ભાવનગરથી રાજકોટ જતી સડકમાં સણોસરા પાસે નદી આડી આવે છે. સડકનો ખૂબ જબરો ઢાળ છે, જેથી સામે કાંઠે જવા અને ખાતરના ભર્યા ગાડાં લઈ જવામાં મુશ્કેલી પડે છે. તેની તપાસ કરી, પુલ કે એવું કાંઈ કરી, એ વેઠવી પડતી મુશ્કેલી દૂર કરવા સરકાર કૃપા કરશે?”
“(9 ઓક્ટોબર 1950) અનાજનું ઉત્પાદન વધારવા માટે હિન્દ સરકાર અને સૌરાષ્ટ્ર સરકાર તરફથી અનેક પ્રયત્નો થઈ રહ્યા છે. સૌરાષ્ટ્ર સરકારે અનાજ ઉત્પાદન વધારવા ખાતર, બળદ, કોસ, વ્રત, બિયારણ વગેરે માટે અનેક જાતની તગાવી (ધીરાણ-લોન) છૂટે હાથે આપવાની સગવડ કરી છે. પરંતુ ખેતીમાં નકરો પૈસો જરૂરી નથી. ખેતીના કામકાજમાં પૈસા સિવાય માણસો જોઈએ, પશુ જોઈએ, લોઢું-લાકડું-સૂતર જોઈએ. જ્યાં સુધી ગાડાનું ધોંસરું પૈડાં ઊંધા હોય ત્યાં સુધી એક પગલું ન ભરી શકે. ખેતી માટે જુદા જુદા અનેક જાતના સાધનો જોઈએ. આ વસ્તુઓ પૂરી પાડવા માટે સૌરાષ્ટ્ર સરકારે પૂરતો પ્રયત્ન કરવો જોઈએ. ખેડૂતોને લોખંડનો ક્વોટા નામનો જ મળે છે. લોખંડનો ક્વોટા ખૂબ વધારવાની જરૂર છે, તે વગર ખેડૂતને રખડવું પડે છે. પૂરતાં પ્રમાણમાં સાધનો નહીં મળતાં ખેડૂત પૂરેપૂરી રીતે ખેતી પણ કરી શકતો નથી. ખેતી એટલા પૂરતી ઓછી થાય છે અને અનાજ વધારે ઉત્પન્ન કરવામાં સફળતા મેળવી શકતા નથી. ખેડૂતને સાધનો પૂરાં પાડવા જોઈએ. લોખંડ ખેડૂતોને મળતું નથી અને મકાનોમાં ખૂબ લોખંડ વપરાય છે, ખેડૂતોને માટે આજે આ જીવન મરણનો પ્રશ્ન છે. એટલે વહેલામાં વહેલી તકે આ સગવડ કરવાની જરૂર છે. બહારથી આપણે ખૂબ જ અનાજ મંગાવીએ છીએ પણ સાધનની પૂરી સગવડ મળે તો તે ઘણો ઓછો મંગાવવું પડે ! લોખંડનો ક્વોટા માળબંધ મહેલ, મકાનોને આપવાના બદલે ખેડૂતોને વધારે આપવું જોઈએ … અહીં એક સભ્યએ કહ્યું કે ‘સૌરાષ્ટ્ર સરકાર આવ્યા પહેલાં ઘણું સારું હતું !’ અગાઉ અગાઉ કાઠિયાવાડના રાજ્યોમાં ફક્ત હવા અને પાણી ઉપર વેરો ન હતો. બાકી પ્રજા ઉપર એટલા બધા વેરા હતા કે ખેડૂત ખેતરનું કામ કરીને સાંજે ઘરે પહોંચ્યો હોય ત્યારે વેઠમાં જવાની બીક તો તેના ઉપર ઊભી જ હોય. ખેડૂત ભલે સાજો ન હોય તો પણ તાલુકદાર સાહેબ ઓર્ડર કરે કે તુરત તેને વેઠ માટે ગાડું જોડવું પડે. તેના તાલુકદાર કહે તો ખેડૂતના બૈરાં કે બહેન દીકરીએ ગાર (લીંપણ) પણ કરવી પડે ! કોઈ અમંગળ થયું હોય તો ઘેર રાબડી કરવી પડે. સૌરાષ્ટ્ર થયા પહેલા ગામડાંના લોકોની આ દશા હતી. શું આ બધું સારું હતું? સૌરાષ્ટ્રની 40 લાખની પ્રજા તરફથી 45 સભ્યોને અહીં ભૂમિકા ભજવવા માટે મોકલ્યા છે તે ભૂમિકા આપણે બરાબર ભજવવી જોઈએ.”
સૌજન્ય : રમેશભાઈ સવાણીની ફેઇસબૂક દીવાલેથી સાદર