જ્યારથી કેન્દ્રમાં નરેન્દ્ર મોદીની સરકાર આવી છે ત્યારથી બંધારણનો મહિમા કરવાનું પ્રમાણ વધી રહ્યું છે. ૨૬મી જાન્યુઆરીએ દેશભરમાં સંવિધાનયાત્રા નીકળશે અથવા બીજા એવા અનેક પ્રકારના કાર્યક્રમો થશે. બંધારણનો મહિમા કરવામાં આવે એમાં કશું જ ખોટું નથી, પણ બંધારણનો મહિમા કરવા માત્રથી ભારતનું લોકતંત્ર અથવા સહિયારું ભારત બચી જશે એમ માનવું ખોટું છે. બંધારણનાં મૂલ્યોને ભારતનાં નાગરિકો આત્મસાત કરે એ જરૂરી છે અને એ માટે બંધારણને તેની સમગ્રતામાં સમજવું પડે. બીજું, બંધારણ એ કોઈ દૈવી ગ્રંથ નથી. એ કોઈ એક મહાપુરુષે રચેલો કાલજયી ગ્રંથ નથી.
ભારતનું બંધારણ ક્રમશઃ આકાર પામ્યું છે. ૧૯૪૬-૧૯૪૯નાં વર્ષોમાં બે પ્રયાસમાં તે ઘડાયું તેનાં દોઢસો વરસ પહેલાંથી બંધારણ આકાર પામવાનું શરૂ થયું હતું. કનૈયાલાલ મુનશી અને બીજા અનેક બંધારણવિદો ૧૭૮૪માં આવેલા પીટના કાયદાથી તેની શરૂઆત ગણાવે છે. જ્યારે બંધારણસભા બંધારણ ઘડવા રચાઈ એ પહેલાં ભારતનાં બંધારણ વિષે મોટી મોટી સમજૂતી બની ચૂકી હતી. ૧૯૨૭માં મોતીલાલ નેહરુની કમિટીએ ભારતનું બંધારણ કેવું હશે એનો એક મુસદ્દો દેશની જનતા સમક્ષ અને તમામ રાજકીય પક્ષો સમક્ષ રાખ્યો હતો, જેના વિષે આ કોલમમાં મેં લખ્યું હતું. ૧૯૩૧માં કરાંચીમાં મળેલા કાઁગ્રેસના અધિવેશનમાં સ્વતંત્ર ભારતનાં બંધારણીય સ્વરૂપ વિષે એક ઠરાવ પસાર કરવામાં આવ્યો હતો. એ અધિવેશનના પ્રમુખ સરદાર પટેલ હતા અને ઠરાવ ગાંધીજીએ ઘડ્યો અને રજૂ કર્યો હતો. એ ઠરાવમાં વચન આપવામાં આવ્યું હતું કે દેશના પ્રત્યેક નાગરિકને કોઈ પણ પ્રકારના ભેદભાવ વિના મતદાનનો અધિકાર આપવામાં આવશે અને પ્રત્યેક નાગરિકને બંધારણ દ્વારા સુરક્ષિત મૂળભૂત નાગરિક અધિકારો આપવામાં આવશે.
ઉદ્દેશ જેઓ સ્વતંત્ર ભારતમાં આપણું સ્થાન ક્યાં હશે એવી વાજબી શંકા ઉઠાવતા હતા તેમની શંકાનું નિરાકરણ કરવાનો હતો. તેમની શંકાનું નિરાકરણ થયું હતું એવું નથી. ભારતના કેટલાક નેતાઓ છેક ૧૯૪૬ સુધી આગ્રહ સેવતા હતા કે અંગ્રેજોએ ભારત છોડીને ન જવું જોઈએ. ભારતને આઝાદી આપવાનો સમય હજુ આવ્યો નથી. જો આઝાદી આપવી જ હોય તો અમારી જગ્યા સુનિશ્ચિત કરી આપો. તેઓ કાઁગ્રેસના નેતાઓના ઈરાદાઓ વિષે શંકા ઉઠાવતા હતા અને કેટલીકવાર તો બેફામ નિવેદનો કરતા હતા. સામી બાજુએ કાઁગ્રેસના નેતાઓ વખતો વખત વચનો આપીને અને ઠરાવો કરીને સધિયારો આપતા હતા કે ભારત લોકતાંત્રિક સેક્યુલર પ્રજાસત્તાક દેશ હશે.
દેશમાં એક ત્રીજો હિન્દુત્વવાદીઓનો પક્ષ પણ હતો જેને ભારતનાં બંધારણમાં કોઈ રસ નહોતો. આઝાદ ભારતનાં બંધારણીય સ્વરૂપ વિષે તેમણે કોઈ સ્પષ્ટતા કરી નહોતી, આઝાદ ભારતમાં દલિતોનું તેમ જ બહુજન સમાજનું સ્થાન ક્યાં હશે એ વિષે તેમણે કોઈ ફોડ પાડ્યો નહોતો તો સધિયારો તો બહુ દૂરની વાત છે. વળી શંકા કરનારાઓ તેમને કોઈ પ્રશ્ન પૂછતા પણ નહોતા કે, ભાઈ, બતાવો આઝાદ ભારત કેવું હશે અને એમાં અમારું સ્થાન ક્યાં હશે? તમે તો ભારતનાં બહુમતી હિંદુઓનું પ્રતિનિધિત્વ કરતા હોવાનો દાવો કરો છો. સવાલ એ લોકોને પૂછવામાં આવતા હતા જેઓ શંકાનું નિરાકરણ કરતા હતા, ઠરાવો કરતા હતા, ખાતરી આપતા હતા, સંવાદ સાધતા હતા, હરિજન સેવક સંઘ, હિન્દુસ્તાની પ્રચારસભા જેવી સંસ્થાઓ સ્થાપીને સેતુ બાંધવાનો પ્રયાસ કરતા હતા, હરિજનોનાં મંદિરપ્રવેશ માટે સાને ગુરુજી જેવા આંદોલન કરતા હતા, મંદિરપ્રવેશ માટે કાયદાઓ ઘડતા હતા, વગેરે વગેરે. માનવીય સમાજની રચના માટે ભારતનાં લાખો સવર્ણોએ ગાંધીજીની પ્રેરણાથી જીવન ઘસી નાખ્યું હતું. એ પછી પણ તેમના ઈરાદાઓ વિષે, પ્રામાણિકતા વિષે શંકાઓ કરવામાં આવતી હતી અને ગાળો પણ આપવામાં આવતી હતી. પંઢરપુરનું મંદિર હરિજનો માટે ખુલ્લું મૂકવા માટેનો સત્યાગ્રહ જ્યારે સાને ગુરુજીએ કર્યો ત્યારે તેમને કેટલાક દલિતોએ સવાલ કર્યો હતો કે તુમ્હી કોબરા કા? કોબરા એટલે કોંકણસ્થ બ્રાહ્મણ. સાને ગુરુજીએ જવાબ આપ્યો હતો કે હોય. હા, હું કોબરા છું. સાને ગુરુજી જેવા માતૃહૃદયીને પણ ઝેરીલા કોબરા તરીકે ઓળખાવતા શરમ નહોતી આવી.
જેણે કશું જ નહોતું કર્યું, દલિતો અને વંચિતો તરફ નજર પણ નહોતી કરી, સરેઆમ ઉપેક્ષા કરી હતી તેના વિષે તેમને (દલિતોને તેમ જ બહુજન સમાજના નેતાઓએ) કશું જ કહેવાનું નથી, કોઈ ફરિયાદ નથી અને જેમણે બાથમાં લેવા હરસંભવ પ્રયાસ કર્યો તેમને ગાળો આપવામાં આવે છે. આજે પણ આપવામાં આવે છે. દલિતો અને બહુજન સમાજનો વિમર્શ આઝાદી પહેલાંના સંદર્ભોથી મુક્ત નથી થઈ શકતો અને ખરું પૂછો તો નથી કરવામાં આવતો. ૨૦૧૪ પછી થોડોક ફરક જોવા મળે છે, પણ ખાસ કોઈ મોટો ફરક જોવા મળતો નથી. જો દલિતોને, બહુજન સમાજને, વંચિતોને એમ લાગતું હોય કે તેમનું વ્યાપક હિત બંધારણીય ભારત ટકી રહે તેમાં છે તો તેમણે પહેલું કામ એ લોકોને ગાળો આપવાનું બંધ કરવું જોઈએ જેમણે હાથ લાંબો કર્યો હતો અને બાથ પહોળી કરી હતી. એ લોકો ખરા મિત્ર હતા અને છે એનો સ્વીકાર કરવો જોઈએ. બાકી એકલા હાથે સંવિધાન બચાવ યાત્રાઓ કાઢવાનો કોઈ અર્થ નથી.
ભારતના કહેવાતા ઉદારમતવાદીઓ એકબીજા પ્રત્યે અનુદાર છે અને એ તેમની સૌથી મોટી કમજોરી છે. જો ઉદારમતવાદીઓ પરસ્પર વ્યવહારમાં અનુદાર ન હોત તો આજે બંધારણ બચવવા યાત્રાઓ કાઢવી ન પડત. માટે લોકતાંત્રિક, સેક્યુલર અને સહિયારું ભારત બચાવવું હોય તો ઉદારમતવાદીઓએ પરસ્પર ઉદાર બનવાની જરૂર છે, બંધારણ એની મેળે બચી જશે.
પ્રગટ : ‘કારણ તારણ’, નામક લેખકની કટાર, ‘રસરંગ પૂર્તિ’, “દિવ્ય ભાસ્કર”, 21 જાન્યુઆરી 2024