સુખ્યાત હિન્દી નવલકથાકાર ‘અજ્ઞેય’-નું એક વાક્ય મને વસી ગયું છે : શામ બડી ગમગીન હોતી હૈ : જો કે સાંજ વિશેના મારા અંગત અનુભવો જુદા છે; મને સાંજ ગમગીન લાગી જ નથી; ક્યારેક ક્યારેક લાગી હતી.
અધ્યાપકે બે-ત્રણ પીરિયડ સળંગ અને ખરા દિલથી ભણાવ્યું હોય, વિષયમુદ્દાઓની ચર્ચાઓ કરી હોય, તો એ પછી એણે મૌન સેવવું જોઈએ, હી શૂડ સ્પૅર હિઝ બ્રીધ. હું ભાષા-ભવનથી ઘરે પ્હૉંચીને પંદરેક મિનિટ પડી રહેતો, રીલૅક્સ્ડ્.
મેં યુનિવર્સિટી કૅમ્પસના અમારા ટૅનામૅન્ટના ઍન્ટ્રન્સથી મેઇન ડોર સુધીની એક પગથી બનાવેલી અને એની બન્ને બાજુએ ફૂલછોડ ઉગાડેલા – ઝેનિયા વગેરે. ચા-પાણી પછી એ છોડવાઓને હું પાણી પાતો, ઉનાળો બેસતો હોય એેટલે વિશેષ સંભાળ લેતો. આંગણામાં બે આસોપાલવ ઊભા’તા, બે આંબા હતા, બોગનવેલ હતી, બીજાં વૃક્ષ હતાં. મેં દરેક વૃક્ષને આપણા કોઇ ને કોઇ સાહિત્યકારનું નામ આપેલું. કૅમ્પસમાં અનેક લીમડા અને શિરીષ હતા, હજી હશે, બન્નેની મિશ્ર સુવાસ હવામાં લ્હૅરાતી હોય. એ બધું હજી ભુલાયું નથી..
એ પછી કીચનમાં મદદમાં પ્હૉંચી જતો. એક સવાલ દરેક ગુજરાતી ઘરમાં સ્થાયી છે : સાંજે શું બનાવશું? : હું મૂળે ટીચર તે એક વાર તો આખા અઠવાડિયાનું ટાઇમટેબલ બનાવી રાખેલું – સોમવારે શું … મંગળવારે શું … પૂછવાની જરૂર જ નહીં. એણે પૂર્વતૈયારી કરી રાખી હોય. બધું રંધાતું જાય. કૂકરની સીટી વાગે. બાસમતીની વરાળ અને તેની સુગન્ધમાં મોગરાનાં ફૂલની સુગન્ધ ભળે. મોગરવેલ કીચનની બારી લગી વિકસી આવેલી … બોલાવે આપણને … હું ખરલબત્તાથી ચટણી વાટતો, પાપડ શેકતો. સાંજ નમવા માંડે.
મારે જણાવવું જોઈએ કે હું રોટલી સિવાયની કોઈપણ વાનગી બનાવી શકું છું, પણ ત્યારે વઘાર હું જ કરતો, કેમ કે, સરસ કરી જાણું છું. તેલ થોડું કે અતિ ગરમ થઈ જાય તે ન ચાલે. મેથી કે જીરું માત્રબ્રાઉન થવું જોઈએ, બળી જાય તે ન ચાલે. બળેલી મેથી માંખોનાં મરેલાં બચ્ચાં લાગે, ન ચાલે. રાઇ બળી જાય ત્યાં લગી બીજે ફાંફાં ન મરાય. રાઈનો દરેક દાણો તતડીને ફૂટવો જોઈએ, ‘ધાણી’ બનવો જોઈએ. આખું લાલ મરચું બચારું કાળું થઈ ગયું હશે, તો ત્યાં રહ્યું રહ્યું પણ આંખોમાં ચચરશે. સાણસી તત્પર રાખતો, નહિતર સારોભલો વઘાર બળી જાય. ભૂખ તો કકડીને લાગી હોય, એટલે શરૂ થઈ જવાનું …
૧૨-૧૫ વયસ્કોના સંયુક્ત પરિવારમાં એ એકની એક દીકરી, લાડમાં ઊછરેલી, એને એકપણ વાનગી બનાવતાં આવડતી ન્હૉતી, ચા બનાવી શકે. તમામ રસોઈ એને મેં શીખવેલી, પણ, પણ, એ જાતે ને જાતે એટલું બધું શીખી ગઈ કે કેટલીક બાબતો મારે એની પાસેથી શીખવાના વારા આવેલા; દાખલા તરીકે, કચોરીના ઘૂઘરાની કાંગરી. એણે અનેક વાર શીખવેલું, કાંગરી મારાથી વળે જ નહીં, ઘૂઘરો કાંણો થઈ જાય …
આમ, મારા અને પછીથી તો અમારા ચારેયના દરેક દિવસની સાંજ સ્થૂળ-સૂક્ષ્મ બધા અર્થમાં રસદાયક બની રહેતી.
ચોમાસામાં સાંજ તરફ ઢળતી બપોર ઘરમાં ઘૂમટો રાખીને ઊભેલી નવોઢા લાગે. કેમ કે મેઘ ગોરમ્ભાયો હોય. વીજ ચમકે. જોતજોતાંમાં વરસવા માંડે. ત્યારે ગરમ ગરમ સુખડી સાથે તળેલા અને મીઠુંમરચું ભભરાવેલા સિંગદાણા અમારું પ્રિય ખાણું બની રહેતું. એટલું બધું ન્હૉતાં ખાતાં છતાં મને એને ‘ખાણું’ કહેવું ગમે છે. હું જાણીસમજીને મિયાં મલ્હારની કૅસેટ મૂકતો. પવનના સૂસવાટે વેગવન્ત થતી ઝાપટો પેલા છોડવા નમી નમીને સહ્યે જતા, એ જોઇને મલકી પડાતું. વરસાદ ક્યારેક અચાનક રહી જતો. પેલો ઘૂમટો ખસી જતો ને ઘરમાં બેજોડ શાન્તતા ફરવા લાગતી. ઘર અને બહારનો ભેદ ભુંસાઈ જતો. હળવો ઠંડો પવન વાતો. કૅમ્પસ ભીનું ને ભૂરું લાગતું. ચૂપ થઈ જતાં. આંગણામાં, રહ્યાંસહ્યાં ટીપાં અને રેલાતા રેલા, સંતોષભર્યું બોલતાં હોય. મલ્હારની રાગિણી અટકી ન હોય …
શિયાળા માટે દલપતરામે સાચું કહેલું : શિયાળે શીતળ વા વાય : રજાઇ ઓઢીને ઊંઘમાં જેટલે ઊંડે ગરકી જવાય, એટલે જવાનું અને ભાન તો પડવું જ ન જોઈએ કે સવાર ક્યારે પડી. એ રાતો એ મધરાતો એ મળસકાં; વળી ને સવાર, બપોર, ને વળી, સાંજ. નિત્શે કહે કે આ તો ‘ઇટર્નલ રીકરિન્ગ’ છે, તો ભલે, મને તો અનન્તનું એ પુન: પુન: આવર્તન વ્હાલું લાગે છે. એ પર ફિલસૂફીનો વાઘો નથી ચડાવવો.
મહાકવિ કાલિદાસને ઉનાળાની ભારતીય સાંજનો, નિદાધે પરિણામરમણીય સાંજનો, સુખદ પરિચય હતો. “અભિજ્ઞાનશાકુન્તલમ્”-માં સૂત્રધાર નટીને ગાવાનું કહે છે. કહે છે કે આજકાલ શરૂ થયેલા આ ઉપભોગક્ષમ ગ્રીષ્મકાળને વિષય બનાવીને ગા. ઉપભોગક્ષમ કેટકેટલી રીતે? કહે છે, સલિલસ્નાન સુભગ હોય; પાટલપુષ્પોના સંસર્ગથી વનના વાયુ સુરભિત હોય; પ્રગાઢ છાયામાં નિદ્રા સુલભ હોય; દિવસો બધા પરિણામરમણીય હોય. સૂત્રધારનો આશય એ હતો કે નટીનું ગાન સાંભળવાથી વિદ્વાનોની પરિષદને આનન્દ થાય. નટી પાસે રખાયેલા એ જાતના ઉપભોગલક્ષી આશય વિશે હું વિચારમાં પડી ગયેલો.
મને કંઇક વાંચીને સૂઇ જવાની ટેવ હતી, કેટલુંક હું એને પણ વાંચી સંભળાવતો. ત્યારે સાર્ત્ર અને કામૂમાં માથાં મારવાનું થતું. કામૂએ પોતાનાં કોઈ પાત્રો વિશે લગભગ એમ કહ્યું છે કે એ લોકોએ ભૂતકાળમાં વેઠેલી ગરીબીમાં એક મીઠાશ હતી. સાંજ પડે, ઘરમાં તેલનો દીવો બળતો હોય, બધું સાદુંસરળ હોય, કરકસરિયું, અને એમાં એક ઊંડો આત્મસંતોષ હોય. વગેરે. સાંજના ઉપભોગની મારી વ્યાખ્યા કામૂ કહે છે એવી, કંઈક સાદગીપરક હતી, સૂત્રધારે, કાલિદાસે, કરી તેવી ન્હૉતી – કેવી રીતે હોઈ શકે?
એ જમાનામાં સેલ કે સ્માર્ટ ફોન હતા નહીં. ત્યારે પણ બે પ્રિયજન ધગશ અને ઉન્માદથી પ્રેમને જીવતાં હતાં. નિયત મિલનસ્થાને રોજ સાંજે પ્રિય જ પ્રિયાની રાહ જોતો, કેમ કે નીકળી આવવાની જુક્તિઓ કરવામાં પ્રિયાને વાર લાગતી. અને પૂરી નિષ્ફળતાને પરિણામે એ આવી શકી જ ન હોય તે દિવસે એ સાંજ પ્રિય માટે મૂઢ માર બની રહેતી. એવી સાંજનાં ગમગીની-ભીનાં સ્મરણો ય છે, નથી એમ નથી.
ઍન્ટન ચેખવની જેમ મેં કહ્યું નથી કે હું કદી પ્રેમમાં પડ્યો જ નથી. એમની જેમ એમ પણ નથી કહ્યું કે મારું હૃદય પિયાનો છે ને એની ચાવી ખોવાઈ ગઈ છે. ના, મારું હૃદય હૃદય છે અને એની ચાલક ચાવી ખોવાઈ જાય એવા દુર્ભાગ્યથી કોઈકે ને કોઈકે મને હમેશાં બચાવી લીધો છે. એટલે, હું મને પ્રેમભિક્ષુક જરૂર કહું છું પણ સાથોસાથ કહી શકું છું કે મારી ઝોળી કદી ખાલી રહી નથી …
= = =
(July 22, 2022 : USA)
સૌજન્ય : સુમનભાઈ શાહની ફેઇસબૂક દીવાલેથી સાદર