તાલિબાનની સરકાર રચાઈ ગઈ છે ને અમેરિકા, ચીન, રશિયા, ભારત, પાકિસ્તાનની જાણમાં છડેચોક રચાઈ છે. એ કોઈને માન્ય હોય કે ન હોય, પણ અત્યારે તો તે રચાઇ છે તે હકીકત છે. અફઘાની પ્રજાને આ સરકાર કેટલી માફક આવશે તે તો તે જ કહી શકે, પણ ત્યાંની સ્ત્રીઓને તે માફક નથી જ આવવાની તે નક્કી છે. શરૂમાં મહિલાઓને અધિકારો આપવાનાં વચન અપાયાં, પણ તાલિબાન સરકારમાં એક પણ હોદ્દા પર કોઈ મહિલા નથી તે સૂચક છે. એ પરથી પણ ખ્યાલ આવશે કે સરકારની ગતિ કઈ દિશાની છે? તે ઉપરાંત વીસ વર્ષોમાં જે હકો મહિલાઓને મળ્યા હતા તે છીનવાઈ ન જાય તે માટે ત્યાંની મહિલાઓ સંઘર્ષ કરી રહી છે. આ સ્થિતિ પણ મહિલાઓનું ભાવિ કેવું હશે તેનો સંકેત કરે છે.
સાચું તો એ છે કે તાલિબાનોએ થૂંકીને ચાટવા જેવું કર્યું છે. તાલિબાનોએ કાબુલ કબજે કરતી વખતે ઘણી સુફિયાણી વાતો કરી છે. તેણે કહ્યું કે તાલિબાનથી કોઈ દેશને ખતરો નહીં થાય. ભારત સાથે સ્પષ્ટ વાત કરતાં તેણે એકથી વધુ વખત કહ્યું છે કે તે કાશ્મીરને મુદ્દે કોઈ દખલ નહીં કરે ને હવે વાત બદલતાં કહે છે કે કાશ્મીરના મુસ્લિમો માટે અવાજ ઉઠાવવાનો તેને અધિકાર છે. એ પણ છે કે તાલિબાની સરકારમાં આતંકીઓને સરકાર બનાવવાનું લાઇસન્સ મળ્યું છે. તેના પાંચ મંત્રીઓ યુનોની યાદીમાં ત્રાસવાદી તરીકે જાહેર થયેલા છે. તાલિબાની સરકારના વડા પ્રધાન મુલ્લા હસન યુનોની આતંકવાદીઓની યાદીમાં સામેલ છે. એક મંત્રી એવા છે જેને માથે કરોડોનું ઈનામ છે. આ મંત્રીઓમાંના થોડા તો ચીન અને પાકિસ્તાનની રહેમ નજરથી સરકારમાં ઘૂસેલા છે, એટલે જ તો મંત્રી બન્યા પછી પહેલું કામ મંત્રી, ચીની દૂતાવાસની ડેલીએ માથું ટેકવવાનું કરે છે. તાલિબાન સરકારમાં ગૃહ મંત્રી બનનાર સિરાઝ હક્કાની આઈ.એસ.આઈ. આતંકી સંગઠનનો વડો છે ને એ દ્વારા પાકિસ્તાને તાલિબાની સરકારની રચનામાં મોટું યોગદાન આપ્યાનું જણાય છે. જે વોન્ટેડ છે એવા ગુનેગારો સરકારમાં છે ત્યારે અમેરિકા શું કરે છે તે જોવાનું રહે છે. આ સ્થિતિ ભારત માટે એટલે જોખમી છે, કારણ ભારતનાં શત્રુ રાષ્ટ્રો, ચીન અને પાકિસ્તાનની તાલિબાની સરકારમાં કોઈક ને કોઈક નકારાત્મક ભૂમિકા છે.
તાલિબાનીઓને તાલીમ વગર પણ શસ્ત્રો ચલાવતાં આવડે છે. તેની પાસે અત્યાધુનિક શસ્ત્રો છે ને તે આડેધડ ચલાવવાનાં જ હોય તો લક્ષ્ય તો નજીકથી ઠાર કરવાનું જ હોય એટલે, ઓછી તાલીમે પણ તેઓ હેતુ તો પાર પાડે જ છે. આમ પણ તાલિબાનને શિક્ષણની ગરજ ખાસ નથી. એટલે જ તે શિક્ષિત થાય કે ન થાય, પણ મહિલાઓ બુરખો પહેરે એવું ફરમાન બહાર પાડી શકે છે ને અમેરિકાને એ મામલે દખલ ન કરવાની તાકીદ પણ કરી શકે છે. આવું ન થાય તો જ આશ્ચર્ય થાય, તે એટલે કે તેને શિક્ષણ અનિવાર્ય લાગતું નથી. સ્ત્રીઓ અશિક્ષિત રહે તેનો તેને બહુ વાંધો નથી, તે જાણે છે કે સ્ત્રીઓ જાગૃત થઈ તો તે માથે છાણાં થાપે એવી પૂરી શક્યતાઓ છે ને તાલિબાનીઓમાં એટલી અક્કલ તો છે જ કે તે સામે ચાલીને પોતાનું ખૂન કરવા છરી ન આપે. તાલિબાનો પોતે પણ શિક્ષિત થવા બહુ ઉત્સુક નથી. તેને તો શસ્ત્ર મળે ને સર્વનાશ કરી શકાય એટલું પૂરતું છે. તાલિબાનોનું શાસન લાંબું ન ચાલે એ ઇચ્છવા જેવું છે, કારણ તે પોતાને તો અંધકાર યુગમાં ધકેલશે જ, પણ દુનિયા માટે પણ ઉપદ્રવી જ સાબિત થશે.
કોઈ શાસક અભણ અને પછાત હોય તે સમજી શકાય, પણ એવા શાસકને ઊંડે ઊંડે લઘુતા પીડતી હોય છે ને તેનો તેને સંકોચ પણ થતો હોય છે. આવું હોય ત્યારે તે ક્ષમ્ય છે, પણ શાસક પોતાની નબળાઈને વખાણવા લાગે તો તે શરમજનક છે. એવી શરમજનક વાત તાલિબાનના શિક્ષણ મંત્રીએ કરી છે. શિક્ષણ મંત્રાલયનો હવાલો શેખ મોલવી નુરૂલ્લા મુનીરને સોંપવામાં આવ્યો છે. હવાલો લેતા જ મુનીરે કહ્યું છે કે પીએચ.ડી. અને માસ્ટર ડિગ્રીની કોઈ કિંમત નથી. તે એટલે કે તેની પાસે તે નથી. તે માને છે કે મુલ્લાઓ પાસે કોઈ ડિગ્રી નથી ને છતાં તેઓ મહાન છે. તે કઈ રીતે મહાન છે તે તેણે કહ્યું નથી. એટલે કહ્યું નથી કે એવું કહેવા વિચારવું પડે ને મુશ્કેલી જ વિચારવાની છે. મુનીરે શિક્ષણ મંત્રી તરીકે એમ પણ કહ્યું છે કે ડિગ્રીનો કોઈ ભાવ પૂછતું નથી ને એ પોતે પણ ડિગ્રી વગર જ અહીં સુધી પહોંચ્યો છે. તેણે મુલ્લાઓ અને તાલિબાની નેતાઓ સંદર્ભે એમ પણ કહ્યું કે આ બધા પાસે પણ કોઈ ડિગ્રીઓ નથી, તે તો ઠીક, કોઈ હાઈસ્કૂલ પણ પૂરી કરી શક્યું નથી, છતાં એ સૌ બળવાન છે. તે માને છે કે આજે તો ડિગ્રી કરતાં તાકાત વધારે મહત્ત્વની છે. કોઈ પણ જાડી બુદ્ધિનો નેતા કરે તેવો આ બકવાસ છે. એવા બકવાસનું કોઈ મહત્ત્વ ના હોય, પણ એ જો કોઈ મંત્રી ને તે પણ શિક્ષણ મંત્રી કરે તો વિચારવાનું રહે.
જેને પોતાને હૈયે જ શિક્ષણનું કોઈ મહત્ત્વ નથી, તે શિક્ષણ મંત્રી તરીકે કેવીક કામગીરી કરશે તે સમજી શકાય એવું છે. તેને શાસ્ત્ર કરતાં શસ્ત્ર વધુ મહત્ત્વનાં લાગે છે. મુનીરે ખુલ્લે આમ કહ્યું છે કે મુલ્લાઓ અને તાલિબાની નેતાઓ પાસે ડિગ્રી નથી ને છતાં તે મહાન છે. અભણ કે અશિક્ષિત હોવું એ પીએચ.ડી. કરતાં પણ વિશેષ લાયકાત હોય એવું એક શિક્ષણ મંત્રીને લાગે ત્યારે આઘાત લાગે. આવાં વિધાનોથી કેવો મેસેજ જાય તે કહેવાની જરૂર નથી. શિક્ષિતો કરતાં અભણ લોકો વધુ સક્ષમ અને સફળ છે એવું સૂચવીને મુનીરે જગતના તમામ શિક્ષિતોની મશ્કરી કરી છે. મુનીરને કહી શકાય કે અભણ રહીને પણ શિક્ષિતો સાથે સ્પર્ધા કરી શકાતી હોય તો સ્કૂલો, કોલેજો કે યુનિવર્સિટીઓ ખોલવાની જરૂર શી છે? આપણને તો એ.કે. 47 ચલાવતાં આવડે તો પૂરતું છે ! નકામી શિક્ષણ સંસ્થાઓ ચલાવવી અને વિદ્યાર્થીઓનાં એ શિક્ષણમાં ઢગલો વર્ષો બગાડવાં કે શિક્ષકોને કલાકો નોકરીમાં જોતરવા ને તેમને પગાર આપવો એ બધી ઝંઝટ શું કામ? એના કરતાં એટલા પૈસાના શસ્ત્રો વસાવાય તો લોહી લોહી રમવાની મઝા તો પડે ! અને તો તો શિક્ષણ મંત્રાલય અને શિક્ષણ મંત્રીની જરૂર જ કેટલી રહે? એ જ ન હોય તો પ્રજા ઘણો બકવાસ સાંભળવામાંથી બચી જાય, એવું નહીં?
તાલિબાનમાં શિક્ષણ ઓછું છે એટલે શિક્ષણની કોઈ કિંમત નથી, ભારતમાં એના કરતાં શિક્ષણ વધારે છે એટલે પણ કોઈ કિંમત નથી. તાલિબાનમાં અશિક્ષિત હોવાને લઈને મંત્રીપદ મળે છે, ભારતમાં શિક્ષિત હોય તો મંત્રીપદ મળે જ એની કોઈ ખાતરી નથી. તાલિબાનમાં અયોગ્યને ને યોગ્ય સ્થાન મળ્યું છે, ભારતમાં યોગ્ય સ્થાને અયોગ્ય વ્યક્તિઓ પણ ગોઠવાઈ છે. શિક્ષણ અહીં પાત્રતા વગર પણ મળે છે ને એ જ રીતે પાત્રતા ન હોય તો ભ્રષ્ટતાને કારણે ચોક્કસ સ્થાનો પર વ્યક્તિઓ ગોઠવાઈ પણ જાય છે. શિક્ષણમાં સારું પણ થયું જ છે ને એવું પણ થયું છે કે અયોગ્ય વ્યક્તિઓ શિક્ષણ આપતી થઈ છે. એવું થવાથી શિક્ષણ અયોગ્ય રીતે પણ અપાયું છે કે અયોગ્ય વ્યક્તિ શિક્ષિત પણ થઈ છે. પીએચ.ડી.ના થિસિસ વિદ્યાર્થીઓએ લખ્યા જ ન હોય ને ડિગ્રી મળી હોય એવું નથી જ થયું એવું ક્યાં છે? આપણે ત્યાં ડિગ્રીની કિંમત એ રીતે ઘટી છે. એ જ રીતે રાજકીય મંત્રી થવા માટે કોઈ લાયકાત નક્કી નથી થઈ. એ જુદી વાત છે કે એ મંત્રીના મંત્રાલયમાં કામ કરનારા અધિકારીઓ અભણ નથી. મંત્રી અભણ હોય તો ચાલે, એના હાથ નીચે કામ કરતાં કોઈ પણ હોદ્દા પર દરેકની પાત્રતા નક્કી થયેલી છે.
બધાંને સમાન તક મળે એ બંધારણીય અધિકાર ભલે હોય, પણ નોકરીમાં એ અધિકાર માન્ય કરાતો નથી. અભણને સમાન અધિકારને નામે મંત્રી થવાની તક હોય તો મંત્રાલયમાં અધિકારને નામે પટાવાળો અભણ રખાતો નથી. આવું કેમ? મંત્રી અભણ ચાલી જતો હોય તો પટાવાળો કેમ ન ચાલે? આપણે પણ સરસ્વતીને અવગણી જ છે ને ! ક્યાંક, કૈંક તો ગરબડ છે. અધિકારને નામે શિક્ષણનું મહત્વ જ ન રહે એ સ્થિતિ ઇચ્છવા જેવી ખરી? પછી તાલિબાની શિક્ષણ મંત્રી ગમ્મત કરે કે પીએચ.ડી. કરતાં અમારા અભણ મુલ્લાઓ વધારે મહાન છે તો તેનો શો વાંક કાઢવો? શિક્ષણનું કોઈ જ મહત્ત્વ ન રહે એ રીતે આખું રાજકીય તંત્ર ગોઠવતું હોય તો ને એ રીતે ચાલી જતું હોય તો, કોઈ પીએચ.ડી થવા કે ગ્રેજ્યુએટ થવા શું કામ લાખો રૂપિયા ખર્ચીને કોલેજ કે યુનિવર્સિટીના ધક્કા ખાશે? નથી લાગતું કે કદી ન હતું એટલું, શિક્ષણ, આજના સમયમાં અપ્રસ્તુત થયું છે ને તે આપણે જાણી બૂઝીને થવા દીધું છે?
000
e.mail : ravindra21111946@gmail.com
પ્રગટ : ‘આજકાલ’ નામક લેખકની કટાર, “ધબકાર”, 10 સપ્ટેમ્બર 2021