બાબુ સુથારે એમના બ્લૉગ પર, 'આધુનિકતાવાદ-૩’-માં, આધુનિકતાવાદ અને સત્તાની વાત છેડી છે. સત્તાને પડકાર -ને એમણે આધુનિકતાનું એક મહત્ત્વનું લક્ષણ ગણ્યું છે.
એમણે એ સંદર્ભે મારો દાખલો ટાંક્યો છે. મેં ‘શબ્દસૃષ્ટિ’-નું સમ્પાદનકાર્ય સંભાળ્યું એ અંગે એમણે લખ્યું છે કે – "ત્યારે ખાસ કરીને સુ.જો.ના મિત્રો રાજી ન'તા થયા. બધા એમ કહેતા હતા કે સુ.શા. સત્તાની પડખે ગયા. અર્થાત્, એક આધુનિકતાવાદી સાહિત્યકાર પરંપરા તરફ ગયો. ત્યારે સુમન શાહે જવાબમાં કહેલું કે હું સંસ્થાની અંદર જઈને બળવો કરવા માગું છું. આ 'બળવો' શબ્દ કદાચ એમનો નહીં હોય. પણ, એ એવું માનતા હતા કે સંસ્થામાં જઈને સંસ્થાને બદલી શકાય…”
હું કંઇ પણ કહું એ પહેલાં, Some Alerts :
૧ : હું જે કહીશ એને મારાં સ્વતન્ત્ર મન્તવ્યો ગણવા વિનન્તી છે. એ મન્તવ્યો મિત્ર બાબુના વિચારોની પૂર્તિરૂપ લાગી શકે, ભિન્નરૂપ પણ લાગી શકે. પરન્તુ યાદ રહે કે એમની જોડે હું કશા વિવાદમાં નથી ઊતર્યો કે કશી પ્રતિક્રિયા પણ નથી આપી રહ્યો.
૨ : આધુનિકતાવાદ વિશેની આ બધી જ સામ્પ્રત વાતોને, ચન્દ્રકાન્ત સંઘવીનો શબ્દ વાપરીને કહું કે ‘સ્મરણમાળા’ ગણવી જોઇશે. સાથોસાથ, સરૂપ ધ્રુવે કહ્યું એમ 'ખરેખર આ નિંદા નથી દસ્તાવેજીકરણ છે, એક ખજાનો છે’ એમ પણ ગણવું જોઈશે.
૩ : યાદ રાખવું જોઈશે કે આ કશી શાસ્ત્રધર્મને વળગી રહીને ચાલતી ચર્ચા નથી. કેમ કે સામા પક્ષને શું કહેવાનું છે એ જાણવું બાકી રહે છે. થીસિસને ઍન્ટિથીસિસ જોઇએ એમ પક્ષને વિપક્ષ જોઇએ.
૪ : મારું મન્તવય છે કે મૅમરી, ફૅકટ, ટ્રુથ, પોસ્ટ ટ્રુથ અને મિથના ‘તળ’માં બેસીને પણ આપણા આધુનિક યુગને, તેના ઘડતરને, તેના ઇતિહાસને સમજી શકાય, નવેસર રચી શકાય, પણ તે માટે અપારની વિદ્વત્તા જોઈશે, જેનો હાલ આપણે ત્યાં અભાવ છે.
પ : સામ્પ્રતમાં આ વાતો જેમની સામે મુકાઈ રહી છે એમને માટે, રીસિવિન્ગ એન્ડ પરની એ વ્યક્તિઓને માટે, બહુશ: સમાચાર છે. એમને એમાં રસ પડે, મજા આવે, પણ એ જાતના ગમતીલા રીસેપ્શનને એથી વધારે વજૂદ ન અપાય, એ પણ યાદ રાખવું જોઈશે.
++
સૌ પહેલાં મારે જણાવવું જોઇએ કે ‘શબ્દસૃષ્ટિ'ના તન્ત્રીકાર્ય માટે મેં અરજી ન્હૉતી કરી, મને નિમન્ત્રણ અપાયેલું. હું ત્યાં ‘માનાર્હ તન્ત્રી’ હતો. મને માનદ્ વેતન આપતા’તા. હું વેતન માટે કે બળવો કરવા કે સંસ્થાને બદલવા ન્હૉતો ગયો. એમ કોઈ માનતું હોય તો તે તેની ભૂલ કહેવાશે, મને ઓળખતો નથી એમ પણ કહેવાશે. હું મારી શક્તમતિ અને સૂઝબૂઝ પ્રમાણેનું સામયિક ઘડવા ગયેલો. મેં માનેલું કે મારા જેવાને જો અકાદમી નિમન્ત્રે છે તો સમજતી હશે કે હું શું છું અને કેવાક સાહિત્યદર્શનને વરેલો છું.
બીજા મિત્રોએ તો મને એમ કહ્યાનું યાદ છે કે – સુમનભાઈ, તમે હશો એટલે આપણા સાહિત્યમાં એક સરસ સામયિક ઉમેરાશે. પણ મને મારા ગુરુ સુરેશ જોષીએ કહેલું એ બરાબર યાદ છે : સુમન, સરકારી તન્ત્રમાં તને કેટલું ફાવશે? મેં કહેલું : મેં એમની સાથે શરત કરી છે કે મારા સમ્પાદકીય નિર્ણયો મારા હશે, વળી, કોઇ વ્યક્તિ કોઇની સિફારસ કરશે તો હું સાંભળીશ નહીં. એ એઓએ મંજૂર રાખ્યું છે. મેં કહેલું : સુરેશભાઈ, મને આપવામાં આવેલી સ્પેસ એકદમ ચોખ્ખી છે અને જે દિવસે મને લાગશે કે બધું ઠીક નથી, તે દિવસે હું ચાલુ ગાડીએ ભૂસકો મારીશ.
હું જ્યારે જ્યારે સુરેશભાઈને અમદાવાદથી વડોદરા મળવા ગયો હોઉં ત્યારે ત્યારે અચૂક પૂછે : પેલો ભૂસકો તું ક્યારે મારે છે? : અને મેં માર્યો, ત્યારે તેઓ ખૂબ રાજી થયેલા, ને એ પછી મેં ‘ખેવના’ સામયિક શરૂ કરેલું.
ભૂસકો મારવાનું કારણ, લોકશાહીય કહેવાતા ઉપરીઓની ગુસ્તાખી. લોકશાહીનો પ્રાણ ગણાતી પરમતને વિશેની સહિષ્ણુતાનો અભાવ.
ઉમાશંકરે ત્યારે અકાદમીની સ્વાયત્તતા બાબતે ચર્ચા જગવેલી. મેં એમના મન્તવ્ય પક્ષે રહીને સૂર પુરાવતો લેખ લખેલો. અકાદમીને એનો વાંધો પડેલો. મને જે નાનું સરખું માનદ્ વેતન આપતા’તા તે બંધ કરી દીધેલું. હું માનાર્હ તન્ત્રી હતો, અકાદમીનો પગારદાર નોકર ન્હૉતો, મેં પૂછેલું : મને મારા વાણીસ્વાતન્ત્ર્યના અધિકારનો વિનિયોગ કરવાની છૂટ શા માટે ન હોવી જોઈએ? હું શા માટે અકાદમીની સ્વાયત્તતા બાબતે સૂર ન પુરાવી શકું? મેં કહેલું – સરખું નહીં કરો તો મારે ડિપાર્ટમૅન્ટને દિલ્હી પત્ર લખવો પડશે. અને તેઓ સરખા થયા એ પછી મેં ‘શબ્દસૃષ્ટિ' છોડી દીધું. વરસો પછી ફરીથી એમાં લખતો થયો તે મારા વિદ્યાર્થીમિત્ર તત્કાલીન મહામાત્ર હર્ષદ ત્રિવેદીના વારંવારના સદાગ્રહને કારણે.
આમાં એકે ય સાહિત્યકારને દેખાયું નહીં કે : ૧ : ‘શબ્દસૃષ્ટિ’ ભલે સરકારનું હતું પણ મેં એને સરકારી થવા દીધું ન્હૉતું : ૨ : મેં સ્વાયત્તતા બાબતે એટલો વહેલો સૂર પુરાવેલો તેની કશી નૉંધ સ્વાયત્તતાના મહારથીઓએ કદી લીધી નહીં : ૩ : મારી જે તે સ્થાને રહીને પણ ચોખ્ખાં કામ કરનારી વ્યક્તિતાને સમજવાની કોશિશ પણ ન થઈ : ૪ : કોઇએ મારા આ દાખલાને ધ્યાને લઈને કે નિમિત્ત ગણીને સ્વાયત્તતા માટે લોકમત કેળવવાની તકલીફ ત્યારે તો ન લીધી, હજીયે લોકમતના ઉપાયથી કેટલાક સાહિત્યકારો નાકનાં ટેરવાં ચડાવે છે, એમને એમની ભવ્ય કીર્તિ અને સુંવાળો અહમ્ ચ્હૅરાઈ જવાનો ભય લાગે છે. વગેરે.
મારે ઉમેરવું જોઈએ કે ભાગ્યેશ ઝા અધ્યક્ષ હતા ત્યારે પણ મને કાર્યવાહક અને સલાહકાર મંડળમાં નિમન્ત્રણ આપીને બોલાવાયો હતો. અને, પછીના કાળે, એ બન્ને મંડળો નામશેષ જેવાં થઈ ગયાં, એટલે મેં અકાદમીને તિલાંજલિ આપી, તે શું મેં લોકશાહી મૂલ્યોની હિફાજત માટે ન્હૉતું કર્યું? હું હમેશાં જે તે સ્થાને કામ કરવા ગયો છું ને કર્યાં છે, એ મારે નથી કહેવું પડતું, કામો જ બોલે છે.
લોકશાહીય ગણાતી પરિષદે મને ક્યારે ને શેને માટે નિમન્ત્ર્યો એનો એક તો દાખલો આપો ! આપણી સ્વાયત્ત સંસ્થાઓ, કહેવાતા લોકશાહો વડે કેવી તો સીમિત અને સર્જકના સ્વાતન્ત્ર્યને ગૂંગળાવનારી નીવડી છે, એ તો એ બધા ભોગ બનેલાઓ બોલે ત્યારે ખબર પડે !
હવે, કેટલાંક મારાં મન્તવ્યો :
‘સત્તા'નો એક અર્થ આપણને અંગ્રેજોએ ગુજારેલા અમલ દરમ્યાન મળ્યો છે, એ એક અનુભવ હતો. ‘સત્તા’નો બીજો અર્થ સ્તાલિન વગેરેના સામ્યવાદી શાસનથી આપણે જાણેલો છે, એ એક માહિતી હતી, એક સમાચાર હતા.
પરન્તુ લોકશાહીમાં ‘સત્તા’નો જે અર્થ છે તેને આપણે સમજી શક્યા નથી. ‘આપણે' એટલે, સત્તામાં બેઠેલા લોકશાહો અને કરોડોની સંખ્યાએ પ્હૉંચેલી પ્રજા. હું બીજા શબ્દોમાં એમ કહેવા ચાહીશ કે આપણે ભારતીયો લોકશાહીને લાયક થવાની એક સંકુલ પ્રક્રિયામાં છીએ.
કેમ કે હજી આપણા સત્તાલોલુપ લોકશાહો બાદશાહોની જેમ વર્તે છે. ઉપલા વર્ગના પ્રજાજનો આપમતલબે અંગ્રેજ સૂબાઓની સાચીખોટી ભક્તિપૂજા કરતા એમ ચૂંટીને મોકલેલાઓની આજે પણ કરતા જોવા મળે છે. સમજદારો સરકારમાં જવાની ના પાડે છે, પાર્ટિસિપેટરી ડૅમોક્રસી છેવટે તો સમજુઓનો સાથ વાંછે છે. એને સ્થાને સરકારોથી છેટા રહેવાનું આભડછેટિયું વલણ બૌદ્ધિકોમાં વિકસ્યું છે. શાસનતન્ત્રમાં અંગ્રેજ સરકારે સ્થાપેલી ઉચ્ચાવચતાવાળી રસમો પણ હજી જીવે છે.
આપણી ચર્ચાઓ પણ એ અંગ્રેજકાલીન ‘સત્તા'-ના અર્થને, સત્તાના એ નમૂનાને લક્ષ્ય ગણીને થયા કરતી જણાય છે. આપણે હજી સરકારને જ દોષી માનીએ છીએ. વળી અવાજ પણ ખપજોગો જ ઉઠાવીએ છીએ બલકે એને વ્યાપક સમાજ સુધી પ્હૅંચાડવાની તકલીફ નથી લેતા.
આપણને લોકશાહીમાં સત્તાનો સામનો કરવાનું ખાસ આવડતું નથી. બાંકડે બેસીને વૃદ્ધો કાલયાપન માટે ભા.જ.પ. કે કૉન્ગ્રેસ બાબતે જે કંઇ કરે છે, એટલું જ. પત્રકારો જે કાગારોળ કરે છે, એ; કે કોઇ કોઇ ખરો પત્રકારધર્મી વિચારક સમીક્ષાત્મક મન્તવ્યો પીરસે છે, એ.
સત્તાને નમવું પડે એવા લોકમતને ઘડી શકાય, બદલી શકાય, એવા શુદ્ધ વિચારપુરુષો આ વસતીમાં ગણ્યાગાંઠ્યા છે. કોઇ પણ શાસનસમયમાં કોઈ પણ ક્ષેત્રે ગેમચેન્જરની વારે વારે જે જરૂર પડે તેની આપણે ત્યાં અછત છે. ગુજરાતી સાહિત્યક્ષેત્રે, ખાસ.
સત્તાનો સામનો કરવાના પ્રસંગો રાજાશાહીમાં હતા તેમ કોઈ પણ શાસનપ્રણાલિમાં આવતા જ હોય છે. દાઝીલા બૌદ્ધિકો સામનો કરે ને પ્રજા જો ઝીલે તો સુધારા થતા હોય છે. સત્તા સામે લડનારી બુદ્ધિને પણ સાથસંગાથ જોઈતો હોય છે. ગુજરાતી સાહિત્યમાં દાઝીલા ઓછા છે ને વર્તુળો ને જૂથોમાં વસનારા ધીરુ-ભીરુ વધારે છે.
સામનો કરનારાઓ અંગ્રેજ અમલ દરમ્યાન ન્હૉતા એમ નથી. ઝીણા કદનાં અનેક ઉદાહરણો છે, પણ બે મહા મોટાં દૃષ્ટાન્તો છે – એક તે ગાંધીજીનું, અને બીજું તે, રવીન્દ્રનાથનું. ઉમાશંકર જોશી અને સુરેશ જોષી બહુ ભાગે ભારતીય લોકશાહીમાં જીવ્યા હતા. એકે સંસ્કૃત સજાગ નાગરિકની રીતે લોકશાસનને સમીક્ષાપૂર્વક સમજવા-સમજાવવાનું કર્યું, તો બીજાએ સાહિત્યશબ્દના ઉપાસકની રીતે કલાની રીતભાતમાં રહીને પોતાના સમયને જોયો-તપાસ્યો.
સવાલોનો સવાલ એ છે કે સર્જક કલાકારે સત્તાનો સામનો કેવી રીતેભાતે કરવો … ટીકાટપ્પણી કરીને? કોઇ એક પક્ષના ભાગિયા બનીને? કે સત્તામંડળમાં કે સરકારી તન્ત્રોમાં સહભાગી થઇને? કે પછી કલાસત્તા ધરાવતી કશી તુલ્યબળ કૃતિ સરજીને?
બીજા શબ્દોમાં એમ પુછાય કે — શું ગુજરાતી સર્જકે લોકશાહીપૂર્ણ ચૂંટણી લડીને સંસ્થામાં બેસી ભાષા અને સાહિત્યની સુધારક પ્રગતિમાં સાથ આપવો કે લોકશાહીય સરકારે સ્થાપેલી સંસ્થા સાથે જોડાઈને સાથ આપવો?
અથવા, અથવા, સંસ્થા કે સરકાર એકેયથી છેટા રહીને પોતાના સર્જનની શક્તિ વડે એક બુલંદ અવાજ ઊભો કરવો – જેને વિદ્રોહ કહી શકાય, તે વડે? ત્યારે આપણને યાદ રહેવું જોઈશે કે સુરેશ જોષીનો વિદ્રોહ સાહિત્યના ઉધ્ધાર અને વિકાસને સારુ હતો, સાહિત્યક્ષેત્રે હતો, અને એવો કે જેની અસરો પેઢીઓ બદલાય ત્યારે, સમયાન્તરે, બને કે સરકારોને સ્પર્શી શકે. કલા કશો તાત્કાલિક ઇલાજ નથી આપી શકતી.
આ ત્રણ વિકલ્પો પોતાની જગ્યાએ બરાબર છે. જેણે જે સ્વીકાર્યો હોય, સ્વીકારી શકે છે – એ એની સ્વતન્ત્રતાનો વિષય છે. એણે જે સ્વીકાર્યો હોય એની ખરાખરી એ જાતે કરે કે બીજા કરે? બીજા કરે તો એ પૂછી શકે – તમે કોણ છો મને આમ કર ને તેમ ન કર કહેનારા -? લોકશાહી તત્ત્વ પોતે જ સ્વતન્ત્રતા અને સ્વાયત્તતા બન્ને મૂલ્યોને પોતામાં સમાવીને બેઠું છે. લોકશાહીનું એ પ્રાણતત્ત્વ છે, એ તથ્યને આત્મસાત્ કરવામાં મૉડું થઈ રહ્યું છે …
એટલે, બાબુએ શરૂમાં જ જે કહ્યું એ કે — ''સત્તા' શબ્દનો અર્થ રાજ્યની સત્તા પૂરતો મર્યાદિત કરવાનો નથી. જે સર્જકતાને dictate કરે તે સત્તા એવો અર્થ કદાચ વધારે બંધ બેસે.”
આધુનિકતાવાદી સર્જકોએ પરમ્પરાને, સર્જનની ભાષાને, સ્વરૂપને, પડકાર્યાં કેમ કે એ અર્થમાં પરમ્પરા એક સત્તા હતી. એમણે વળી ઉમેર્યું છે કે "અહીં સત્તા, મેં કહ્યું એમ, સર્જન પર નિયંત્રણો લાદતી વ્યવસ્થા બની રહેતી હોય છે.”
કરુણતા એ છે કે આજે કશું ડિક્ટેટ કરે એવા બરનું સાહિત્ય આપણે ત્યાં છે જ નહીં, મળી આવે ને ડિક્ટેટ કરે, તો કોઈ ડિક્ટેટ થવાની હદે વિકસ્યું પણ નથી … કયો કોના પર નિયન્ત્રણ લાદી શકે એવો જોરાવર સાહિત્યકાર છે આપણી વચ્ચે? કશી પણ સત્તાને પડકારે એવો કોણ છે આપણી વચ્ચે?
એકે ય સર્રીયાલિસ્ટ બચ્યો નથી, બધા રીયાલિસ્ટ થઈ ગયા છે. એકે ય ઍબ્સર્ડિસ્ટ નાટકવાળો ક્યાં ય જણાતો નથી, બધા મીનિન્ગફુલી વરતે છે. એકે ય પ્રયોગશીલ ભળાતો નથી. એકેયને સાહિત્ય-માધ્યમ ભાષા માટે પ્રશ્ન નથી.
આ બધું એમ નથી સૂચવતું કે આપણે આધુનિકતાને બરાબર પામ્યા જ ન્હૉતા? આપણે એને વિશે પુનર્વિચાર કરવાને તૈયાર જ ન્હૉતા? સ્વીકારો કે આપણને આપણા નવોન્મેષોની પ્રશંસા જેટલી ખપતી’તી, એટલી એની ટીકાટિપ્પણી ન્હૉતી ખપતી. સાહિત્ય પોતે તુલ્યબળ સત્તા બની શકે એ માટેની સાધના-આરાધના કરવામાં આપણે પાછા પડ્યા’તા.
આપણા આધુનિકતાવાદને આ અવનતિદૃશ્યની પડછે મૂકીને જોવાની ખાસ જરૂર છે, આજે.
બાકી, આધુનિકતાવાદ માટે અરણ્યરુદન કરો કે કાખલી કૂટો, કશો મતલબ નથી.
= = =
(September 9, 2021: USA)
સૌજન્ય : સુમનભાઈ શાહની ફેઇસબૂક દિવાલેથી સાભાર