દરેક સાહસની સાર્થકતા પરિણામ ઉપર અવલંબે છે. ૮મી નવેમ્બર ૨૦૧૬ના રોજ કેન્દ્ર સરકારે નોટબંધીનું સાહસ કર્યું હતું જેનાં પરિણામ અત્યારે નજરે પડી રહ્યાં છે. અર્થતંત્રની કમર એટલી હદે તૂટી ગઈ છે કે ખબર નહીં ઊભા થતાં કેટલાં વરસ લાગશે. જ્યારે નોટબંધી જાહેર કરવામાં આવી ત્યારે એવી રીતે જશ્ન મનાવવામાં આવ્યો હતો કે જાણે દેશમાં આર્થિક ક્રાંતિ કરવામાં આવી હોય!
જમ્મુ અને કાશ્મીર વિષે સરકારે જે નિર્ણય લીધો છે એ નોટબંધી કરતાં પણ મોટું સાહસ છે. આનાં પરિણામ ખરાબ જ આવશે એમ ખાતરીપૂર્વક કહેવું જેમ મુશ્કેલ છે તેમ સારાં જ પરિણામ આવશે એમ પણ ખાતરીપૂર્વક કહેવું મુશ્કેલ છે. બે મુખ્ય મુદ્દાઓ છે જે આજે તટસ્થતાપૂર્વક સમજી લેવા જરૂરી છે.
૧૯૭૧માં ભારતે લશ્કરી હસ્તક્ષેપ કરીને પૂર્વ પાકિસ્તાનને પાકિસ્તાનથી અલગ કર્યું ત્યારથી પાકિસ્તાનનો કાશ્મીર પર ડોળો છે. કાશ્મીરમાં તેને બંગલાદેશ નજરે પડી રહ્યું છે. ૧૯૭૧થી પાકિસ્તાન કાશ્મીરના પ્રશ્નનું જાગતિકીકરણ કરી રહ્યું છે અને અલગતાવાદીઓને મદદ કરી રહ્યું છે. તાજેતરમાં લોકસભાની ચૂંટણી વખતે નરેન્દ્ર મોદી પાછા ભારતના વડા પ્રધાન બને અને બી.જે.પી.ની સરકાર સત્તામાં પાછી આવે એવી પાકિસ્તાનના વડા પ્રધાન ઇમરાન ખાને જે ઈચ્છા પ્રગટ કરી હતી, તેની પાછળ આ ગણતરી હતી. ૧૯૭૧થી અત્યાર સુધીના ભારતીય શાસકો કાશ્મીરને બંગલાદેશ બનાવવા દેતા નહોતા. કેન્દ્ર સરકાર દરેક વિચાર અને વલણના લોકો સાથે વાટાઘાટો કરતી હતી. સાચાંખોટાં વચનો આપતી હતી અને ઠાગાઠોયા કરતી હતી. અટલ બિહારી વાજપેયીએ હુર્રિયતના નેતાઓ સાથે વાટાઘાટો કરી હતી અને જમ્મુ અને કાશ્મીરમાં મુક્ત અને ન્યાયી ચૂંટણી યોજી હતી.
ટૂંકમાં ૧૯૪૭થી કેન્દ્ર સરકાર કાશ્મીરની પ્રજાને પ્રેમ કરી રહી છે, થાબડભાણા કરી રહી છે, પટાવી રહી છે, જરૂર પડ્યે દંડી રહી છે અને એકંદરે બે બાજુનું વલણ અપનાવીને છેતરી રહી છે. દરેકે દરેક સરકારે અપવાદ વિના આવું વલણ અપનાવ્યું હતું. તેમને આમાં વ્યવહારુ માર્ગ નજરે પડતો હતો. તેઓ ઓછા સાહસિક હતા એવું નથી, પરંતુ કદાચ વધારે દૂરંદેશી હતા. ગમે તે થાય પણ કાશ્મીરને બંગલાદેશ નહીં બનવા દેવું અને ભારતનું વધુ એક વિભાજન ન થવા દેવું, એ બાબતે દરેક રાજકીય પક્ષો વચ્ચે સર્વસંમતિ હતી. આ વખતે ઇમરાન ખાનને એમ લાગ્યું હતું કે જો નરેન્દ્ર મોદી પાછા ભારતના વડા પ્રધાન બને અને બી.જે.પી.ની સરકાર સંપૂર્ણ બહુમતી સાથે પાછી આવે તો કાશ્મીરમાં સાહસ કરે તેવી વકી છે અને એ સ્થિતિમાં બંગલાદેશનું વેર વાળવાનો મોકો મળી શકે એમ છે.
કાશ્મીરની ખીણનું હજુ એક મહત્ત્વ છે. અવિભાજિત જમ્મુ અને કાશ્મીર ભારતનું એકમાત્ર મુસ્લિમ બહુમતી રાજ્ય છે. જો એ રાજ્યના મુસલમાનો પોતાની મરજીથી ભારતમાં રહે તો ભારત ધર્મ આધારિત ટુ નેશન થિયરીને નિરસ્ત કરી શકે અને પાકિસ્તાનના દાવાને પોકળ સાબિત કરી શકે છે. ભારત એમ કહી શકે કે ભારત સેક્યુલર રાજ્ય છે એટલે ભારતીય મુસલમાનો એક નાગરિક તરીકે ભારતમાં સુરક્ષાનો અનુભવ કરી રહ્યા છે અને તેમાં મુસ્લિમ બહુમતી ધરાવતા રાજ્યના મુસલમાનોનો પણ સમાવેશ થાય છે. ભારતથી ઊલટું પાકિસ્તાનમાં હિંદુઓ સહિતની લઘુમતી કોમ સુરક્ષિત નથી. યુનો જેવા જગતના ચોરે ભારતે આવી દલીલ કરી પણ છે. એક વખત તો પી.વી. નરસિંહ રાવ જ્યારે ભારતના વડા પ્રધાન હતા, ત્યારે તેમણે ચાહી કરીને અટલ બિહારી વાજપેયીને આવી દલીલ કરવા જિનીવા મોકલ્યા હતા. ટૂંકમાં પાકિસ્તાન કરતાં ભારત કઈ રીતે નોખું છે અને ચડિયાતું છે, એના પ્રમાણ તરીકે કાશ્મીરનો ખપ છે. કાશ્મીર સાથે નરમ-ગરમ વલણ અપનાવવામાં આવે છે એનું આ બીજું કારણ છે.
ભારતના શાસકો કાશ્મીરમાં સાહસ નહોતા કરતા એનાં આ બે મુખ્ય કારણો હતાં. તેમનામાં હિંમત ઓછી હતી એવું નહોતું. હવે જ્યારે કેન્દ્ર સરકારે સાહસ કર્યું જ છે ત્યારે કાશ્મીર બંગલાદેશ ન થાય એનું ધ્યાન રાખવું જોઈએ. આપણને જાણ નથી પણ આશા રાખીએ કે સરકારે સાહસ કરતાં પહેલાં અમેરિકા અને ચીન(ખાસ કરીને ચીન)ને વિશ્વાસમાં લીધાં હશે. ચીનનો લડાખ અને અરુણાચલ પ્રદેશ પર ડોળો છે અને તે તકની રાહ જોઈ રહ્યું છે. લડાખને જમ્મુ અને કાશ્મીરથી અલગ કરીને કેન્દ્ર શાસિત પ્રદેશ બનાવ્યું એ વિષે ચીને જે પ્રશ્ન ઊઠાવ્યો છે એ જોતાં ચીનને વિશ્વાસમાં લેવામાં આવ્યું હોય એવું લાગતું નથી. આ કોઈ નબળાઈ નથી. મુત્સદીઓ ક્યારે ય એક સાથે અનેક મોરચાઓ ખોલતા નથી. ટૂંકમાં પ્રારંભમાં જ કહ્યું એમ પરિણામ જોઇને સાહસની સાર્થકતા નક્કી કરવી રહી.
બીજા મુદ્દાની ચર્ચા કરતા પહેલાં આર્ટીકલ ૩૭૦ની પૃષ્ઠભૂમિ સમજી લેવી જોઈએ. ભારતને આઝાદી મળી ત્યારે ભારતમાં ૫૫૬ રજવાડાં હતાં. રાજવીઓએ ભારતમાં જોડાવું કે પાકિસ્તાનમાં જોડાવું કે પછી સ્વતંત્ર રહેવું એ નક્કી કરવાની સ્વતંત્રતા ધરાવતા હતા, પરંતુ એ સ્વતંત્રતા કહેવા પૂરતી હતી. એ સમયની એક પણ રિયાસત આઝાદ દેશ તરીકે ટકી શકે એમ નહોતી, કારણ કે અંગ્રેજોએ તેનું ખસ્સીકરણ કરી નાખ્યું હતું અને મોટા ભાગના રાજવીઓ આ હકીકત જાણતા હતા. તેમની પાસે લશ્કર જ નહોતું. આમ ટેકનિકલી ત્રણ, પણ વ્યવહારમાં તેમની પાસે માત્ર બે જ વિકલ્પ હતા : કાં તો ભારતમાં જોડાય કાં પાકિસ્તાનમાં.
અવિભાજિત ભારતમાં ઠેકઠેકાણે ભારત-પાકિસ્તાનનાં ખાબોચિયાં ન રચાય એ સારુ રાજવીઓને બે સલાહ આપવામાં આવી હતી. એક સલાહ એવી હતી કે કોઈ રિયાસતે પાકિસ્તાનમાં જોડાવું હોય તો રિયાસત ભૌગોલિક રીતે પાકિસ્તાનને અડીને હોવી જોઈએ અને બીજી સલાહ એવી આપવામાં આવી હતી કે રાજવીઓએ પોતાને ત્યાંની બહુમતી પ્રજાની ઈચ્છાને માન આપવું. આ જ નીતિ ભારતમાં જોડવાની બાબતે.
આ સ્થિતિમાં ત્રણ શક્યતાઓ હતી. ૧. જો કોઈ રિયાસત પાકિસ્તાનની પડોશમાં હોય અને મુસલમાનોની બહુમતી હોય તો તેણે પાકિસ્તાનમાં જોડાવું જોઈએ; પછી રાજવી ભલે હિંદુ કે બિનમુસ્લિમ હોય. ૨. જો કોઈ રાજવી મુસલમાન હોય, તેની રિયાસત પાકિસ્તાનને લાગીને આવી હોય પણ હિંદુઓની બહુમતી હોય તો તેણે ભારતમાં જોડાવું જોઈએ. ૩. જો કોઈ રિયાસત પાકિસ્તાનથી દૂર હોય પણ બહુમતી પ્રજા મુસલમાન હોય અને રાજવી પણ મુસલમાન હોય તો તેણે ભારતમાં જોડાવું જોઈએ.
હવે જમ્મુ અને કાશ્મીર પાકિસ્તાનને અડીને આવેલું છે અને મુસલમાનોની બહુમતી છે એટલે રાજવીઓને આપવામાં આવેલી માર્ગદર્શિકા મુજબ જમ્મુ અને કાશ્મીરના હિંદુ રાજાએ હિંદુ હોવા છતાં પાકિસ્તાનમાં જોડાવું જોઈતું હતું. સરદાર પટેલ સહિત ભારતના દરેક નેતા આને માટે તૈયાર હતા. કોઈએ ધાર્યું નહોતું કે જમ્મુ અને કાશ્મીરના મહારાજા આઝાદીનો વિકલ્પ પસંદ કરશે, કારણ કે આઝાદીનો વિકલ્પ જરા ય વ્યવહારુ નહોતો. લોકશાહીનો આધુનિક યુગ હોય, મુસલમાનોની બહુમતી હોય અને પડખે મુસ્લિમ દેશ હોય ત્યાં હિંદુ રાજા રાજ કરી શકે? કાશ્મીરના લોકપ્રિય નેતા શેખ અબ્દુલાને મહારાજા હરિસિંહના આઝાદીના પ્રસ્તાવમાં રસ પડ્યો હતો પણ, શરત એ કે રાજાશાહીનો અંત આવે અને પ્રજાકીય લોકતંત્ર સ્થાપિત થાય. જમ્મુ અને કાશ્મીરના રાજાને તો રાજાશાહી કાયમ રાખવી હતી અને ઉપરથી હિંદુ રાજ પણ જાહેર કરવું હતું. તેઓ પોતે હિન્દુત્વવાદી હતા અને હિન્દુત્વવાદીઓની સલાહ મુજબ આવા સાહસ કરતા હતા. આગળ કહ્યું એમ રાજા આવું ઘેલું વર્તન કરશે એની સરદાર પટેલે પણ કલ્પના નહોતી કરી.
બીજી બાજુ જૂનાગઢ પાકિસ્તાનથી ઘણું દૂર છે અને બહુમતી પ્રજા હિંદુ છે માટે જૂનાગઢના મુસ્લિમ રાજવીએ ભારતમાં જોડાવું જોઈતું હતું, પરંતુ તેણે પાકિસ્તાનમાં જોડાવાનો માર્ગ અપનાવ્યો હતો. બન્ને રાજવીઓએ આપવામાં આવેલી વ્યવહારુ માર્ગદર્શિકાનો અવ્યવહારુ માર્ગ અપનાવીને ભંગ કર્યો હતો. મહારાજા હરિસિંહ હિન્દુત્વવાદીઓની શિખામણથી માર્ગદર્શિકાનો ભંગ કરીને ચાલતા હતા એટલે પાકિસ્તાને જુલ્ફીકાર અલી ભુટ્ટોના પિતા સર શાહનવાઝ ભુટ્ટોને જૂનાગઢના દિવાન તરીકે મોકલીને નવાબને શિખામણ આપીને જૂનાગઢનું પાકિસ્તાનમાં વિલીનીકરણ કરાવ્યું હતું. આખી રમત અંગૂઠા ઉપર અંગૂઠો મૂકવાની હતી અને ભારતને બે વિરોધી સ્થિતિમાંથી કોઈ એક સ્થિતિ પસંદ કરવાની મૂંઝવણમાં મૂકવાની હતી.
બન્યું પણ એવું જ. જો જમ્મુ અને કાશ્મીરના રાજાના આઝાદ રહેવાના અધિકારનો ભારત સ્વીકાર કરે તો જૂનાગઢના નવાબની પાકિસ્તાનમાં જોડાવાની મરજીનો પણ સ્વીકાર કરવો પડે. જો જમ્મુ અને કાશ્મીરની બહુમતી મુસ્લિમ પ્રજાના નિર્ણય લેવાના અધિકારની અવગણના કરવામાં આવે તો જૂનાગઢમાં બહુમતી હિંદુઓના નિર્ણય લેવાના અધિકારની પણ અવગણના થઈ શકે. કોને વધારે મહત્ત્વ આપવું? રાજા કે નવાબના અધિકારને કે પ્રજાકીય બહુમતીને? ભારત જ્યારે લોકશાહી દેશ હોવાનો દાવો કરતું હોય ત્યારે રાજવીના અધિકારને વધારે મહત્ત્વ ન આપી શકે અને જો આપે તો જૂનાગઢ જાય.
આમ કોકડું જમ્મુ અને કાશ્મીરના હિંદુ રાજાએ ગૂંચવ્યું હતું અને તેમાં તેમને હિન્દુત્વવાદીઓનો ટેકો હતો. જમ્મુ અને કાશ્મીરના અને જૂનાગઢના એમ બન્ને રાજવીઓના વિકલ્પ અવ્યહારુ હતા. બન્નેની પાછળ અનુક્રમે હિંદુ અને મુસ્લિમ કોમવાદી રાજકારણ હતું. આમાંથી જૂનાગઢની પ્રજાનો તો છૂટકારો થઈ ગયો, પણ કાશ્મીરની પ્રજાનો છૂટકારો થયો નથી. વગર ગુને ત્યાંની પ્રજા કિંમત ચૂકવી રહી છે.
જો તમારી અંદર માણસ જીવતો હોય તો તેમને માટે સહાનુભૂતિ સિવાયનો બીજો કોઈ ભાવ ન હોઈ શકે!
(ક્રમશ:)
06 ઑગસ્ટ 2019
સૌજન્ય : ‘વાત પાછળની વાત’, નામક લેખકની કટાર, “ગુજરાતમિત્ર”, 08 ઑગસ્ટ 2019