જે ગુજરાતી કરસનદાસ મૂળજી [25 જુલાઈ 1832 – 28 ઓગસ્ટ 1871] વિશે જાણતા ન હોય તે સાચો ગુજરાતી નથી.
આ કરસનદાસે એકલા હાથે ધર્મના ઠેકેદાર સામે મોરચો માંડ્યો હતો. તેની સામે બદનક્ષી સબબ કેસ થયો હતો, જે ‘મહારાજ લાઈબલ કેસ’ તરીકે પ્રસિદ્ધ છે. કરસનદાસ સમાજ સુધારક / શિક્ષક / પત્રકાર / સાહિત્યકાર / સાહસિક મુસાફર / ઉત્તમ વહીવટકર્તા / સાચા સંવેદનશીલ માનવી હતા.
1855માં કરસનદાસે ‘સત્યપ્રકાશ’ નામનું સાપ્તાહિક શરૂ કર્યું. સમાજ અને ધર્મસંપ્રદાયોમાં ફેલાયેલાં અનિષ્ટોની આકરી આલોચના કરી. 21 ઓક્ટોબર, 1860ના રોજ ‘સત્યપ્રકાશ’માં વૈષ્ણવ આચાર્ય જદુનાથજી મહારાજના પાખંડ વિરુદ્ધ તેમણે લેખ લખ્યો : ‘હિંદુઓનો અસલ ધરમ અને હાલના પાખંડી મતો.’ ઊહાપોહ થયો. પાખંડી ધર્માચાર્યો હચમચી ગયા. આ લેખને જાહેર બદનામી ગણાવીને જદુનાથજી મહારાજે 14 મે 1861ના રોજ કરસનદાસ પર મુંબઈની સર્વોચ્ચ અદાલતમાં 50,000/– રૂપિયાનો બદનક્ષીનો દાવો માંડ્યો. કરસનદાસ કોર્ટમાં હારી જાય તે માટે ષડયંત્ર રચાયું, જે ‘ભાટિયા કોન્સ્પિરસી કેસ’ તરીકે જાણીતો છે, તેમાં પણ જદુનાથજી મહારાજની હાર થઈ ! કરસનદાસ પર કોર્ટમાં હુમલો થયો, પરંતુ તે અડગ રહ્યા. આખરે બન્યું ઊલટું, દાવો માંડનાર જદુનાથ મહારાજે રુપિયા 50,000/- કરસનદાસને ચૂકવવા પડ્યા ! કરસનદાસે રાજકોટ અને લીંબડીના વહીવટદાર તરીકે સેવા આપી હતી.
કરસનદાસે 23 પુસ્તકો લખ્યાં છે. તેમાંથી ‘મહારાજ લાઈબલ કેસ’ તથા 1866માં પ્રકાશિત ‘ઇન્ગ્લેન્ડમાં પ્રવાસ’ પુસ્તકો દરેક ગુજરાતીએ વાંચવા જોઈએ. 1863માં તેમણે ઇન્ગ્લેન્ડનો પ્રવાસ કરેલ તેથી કપોળ જ્ઞાતિએ તેમને નાત બહાર મૂકેલ ! કરસનદાસ જીવનપર્યંત જ્ઞાતિ બહાર રહ્યા. માત્ર 39 વર્ષની વયે તેમનું લીંબડી ખાતે અવસાન થયું. આ બન્ને પુસ્તકો એટલા માટે વાંચવા જોઈએ કે કરસનદાસ ધર્મ વિરોધી ન હતા; પરંતુ પાખંડના / રુઢિચુસ્તતાના જબરજસ્ત વિરોધી હતા અને પ્રગતિશીલતાના પ્રખર સમર્થક હતા.
‘ઇન્ગ્લેન્ડમાં પ્રવાસ’માં કરસનદાસ ઉદ્યોગ / હોંશિયારી / એકબીજાથી ચડિયાતા થવાની હોંશ / કામની વહેંચણી / હારી જાય તો ય કામ ન છોડવું / સાહસ / દૈવત-એનર્જી / હિંમત / ટેક / સ્વતંત્રપણું / પરોપકારબુદ્ધિ બાબતે ઇન્ગ્લેન્ડ અને દેશીઓ વચ્ચે તુલના (પેજ- 224થી 237) કરી છે : “ઈંગ્લેન્ડની પ્રજાનો મોટામાં મોટો ગુણ ઉદ્યોગ છે. આપણા દેશમાં તન અને મન લગાડી એક સરખી મહેનત કરનારા થોડા પરુષો મળશે. ઈંગ્લેન્ડમાં મહેનતું લોકો ઠામેઠામ મળશે. ઇંગ્લેન્ડની પ્રજાનો બીજો મોટો ગુણ હોંશિયારી છે. આપણા દેશીઓમાં ઉદ્યોગ થોડો છે તેની સાથે હોંશિયારી પણ થોડી છે. એકબીજાથી ચડિયાતા થવાની હોંશ ઇંગ્લેન્ડની પ્રજામાં અતિશય જોવામાં આવે છે. આપણા લોકોમાં આ હોંશ નથી. એકબીજાથી ચડિયાતા થવાની હોંશ જ્યાં સુધી આપણા લોકોમાં આવશે નહીં ત્યાં સુધી દેશ પાછળનો પાછળ રહેતો જશે. કામની વહેંચણીનો ગુણ આપણાં દેશીઓ જાણતા નથી. જુદું જુદું કામ જુદાં જુદાં માણસોએ કરવું અને અનેક કામમાં એક માણસે હાથ ન નાખવો, એનું નામ કામની વહેંચણી. એક માણસ જેટલાં કામ કરી શકે તેટલાં તેમની પાસે કરાવવાં અને ‘કસર’ માટે વધારે માણસ રાખવા નહીં, આ નિયમ ઉપર દેશીઓ ચાલે છે. આપણે જેને કસર સમજીએ છીએ તે અંતે નુકસાન કરે છે ! હારીને કામ છોડવું નહીં એ ઇંગ્લેન્ડની પ્રજાનો કિંમતી ગુણ છે. તેઓ મંડ્યા રહે છે તેથી એ દેશને લાભ થયો છે. જ્યારે આપણે એવા કામમાં હાથ નાખીશું જેનું તરત ફળ મળે ! વિલાયતના લોકોમાં હોંશનો ગુણ છે. હોંશ વિના મોટાં અને ભારે કામ પાર પડી શકતા નથી. સાહસનો ગુણ ઇંગ્લેન્ડની પ્રજામાં વિશેષ જોવા મળે છે, જે દેશીઓમાં ઓછો જોવા મળે છે. દૈવત-એનર્જીનો ગુણ અંગ્રેજ પ્રજામાં મોટો છે. આપણું દૈવત ક્યાં ભરાઈ બેઠું છે? ઇંગ્લેન્ડની પ્રજામાં હિમ્મતનો ગુણ ઘણો મોટો છે. હિમ્મત વિના મોટા કામ થઈ શકતા નથી, હિમ્મત વિના મોટા રાજ મળતા નથી, મોટા રાજ ચાલતા નથી. હિમ્મતથી અંગ્રેજ લોકો શું કરી શક્યા છે તે આપણી સામે છે. માણસે ખોટી મમત મૂકી દેવી જોઈએ પણ હલકું કામ નહીં કરવાની ટેક રાખવી જોઈએ. ઇંગ્લેન્ડમાં જેવું છૂટાપણું રાજા તથા અમીર ભોગવે છે તેવું જ છૂટાપણું ગરીબ રઈયત પણ ભોગવે છે. ઇંગ્લેન્ડરાજની મોટી ખૂબી તેના ‘ઈન્સાફની ગોઠવણ’માં છે. જ્યાં અમીર તથા ફકીરને અથવા શ્રીમંત તથા ભિખારીને સરખો અને વાજબી ઈન્સાફ મળે છે. પરોપકાર કોને કહેવો એ જેવું વિલાયતના લોકો સમજે છે તેવું આપણા દેશીઓ સમજતા નથી. માણસને ઠગવો, તેનું ધન લૂંટી લેવું અને જાનવરો માટે પાંજરાપોળ બાંધવી અથવા બ્રાહ્મણોને સારી પેઠે ઘીગોળના લાડુ જમાડવા એ પરોપકાર નથી !”
કરસનદાસે 1860માં ધર્મ ક્ષેત્રના પાખંડીઓ સામે પડીને જબરજસ્ત સામાજિક ક્રાન્તિ કરી હતી. સવાલ એ છે કે કરસનદાસ તેમના સમયે જે કરી શક્યા તે આજે કેમ કોઈ કરી શકતું નથી? કેમ કોઈ પાખંડનો પર્દાફાશ કરવા તૈયાર થતું નથી? તે સમયે વૈજ્ઞાનિક અભિગમના કારણે અંગ્રેજો ધાર્મિક પાખંડની સામે હતા; આજે સત્તાપક્ષ ધાર્મિક પાખંડીઓના પક્ષે છે !
સૌજન્ય : રમેશભાઈ સવાણીની ફેઇસબૂક દીવાલેથી સાદર