આ વર્ષે પૂરે મહારાષ્ટ્ર, કર્ણાટક અને કેરળનાં લોકોનાં જીવન અને સંપત્તિનો જે વિનાશ વેર્યો છે, તે ગત વર્ષ કરતાં ઘણા મોટા પ્રમાણમાં છે. આ વખતે માત્ર પશ્ચિમઘાટના પર્વતીય પ્રદેશો જ નહીં, પરંતુ કર્ણાટકના શહેરી વિસ્તારો અને બેલાગવીની ફળદ્રુપ જમીન અને મહારાષ્ટ્રના કોલ્હાપુર, સતારા અને સાંગલી જિલ્લાઓમાં પણ ધોવાણ થયું હતું, કેટલાક વિસ્તારો પાણીમાં ૧૨-૧૫ ફૂટ નીચે ડૂબી ગયા હતા. અંદાજે ૭.૭ લાખ લોકો રાહતશિબિરોમાં છે અને ૧.૫ લાખ હૅક્ટર ઉત્પાદક ખેતીની જમીન તથા લાખો મકાનો ધરાશાયી થયાં છે. ઉત્તરાખંડમાં ભૂસ્ખલન અને વાદળ ફાટવાની સાથે બિહાર, આસામ અને ગુજરાતમાં પણ આવો વિનાશ સર્જાયો છે.
જ્યારે ટૂંકા સમયમાં ભારે અને અવિરત વરસાદ હવે એક નિયમિત ઘટના બની રહી છે, ત્યારે ડેમનો ગેરવહીવટ અને જમીનનું અવક્ષય એ એવાં અન્ય બે પરિબળો છે, જેણે ભારતના વિવિધ ભાગોમાં વારંવાર પૂરના વલણની સ્થિતિમાં વધારો કર્યો છે. આ પરિબળોને કારણે જ ૨૦૧૩માં ઉત્તરાખંડ, ૨૦૧૫માં ચેન્નઇ, ૨૦૧૮ અને ૨૦૧૯માં કેરળ અને કર્ણાટક, અને ૨૦૦૫ અને ૨૦૧૯માં મહારાષ્ટ્રમાં ભારે પૂર આવ્યાં છે અને પરિસ્થિતિ બગડી છે.
મહારાષ્ટ્ર, કર્ણાટક, તમિલનાડુ અને કેરળ રાજ્યની તમામ નદીઓ અને તેમની સહાયક નદીઓ ઉપર ડેમ બંધાયેલા છે. ત્યાં સત્તાવાળાઓ વચ્ચે ઝઘડો અને સંકલનના અભાવ તેમ જ મોડું પાણી છોડવાના અને એકાએક પાણી છોડવાના કારણે નીચેની નદીઓમાં ખતરો ઊભો થયો હોય તો પણ આ ક્ષેત્ર માટે જીવલેણ સાબિત થયું છે. કર્ણાટકમાં કૃષ્ણા નદી પર અલમત્તી ડેમમાંથી ભારે માત્રામાં પાણી છોડવાથી નીચેના વિસ્તારોને તો ડૂબી જવાનો ભય રહે જ છે, પરંતુ સમયસર પાણી છોડવામાં નિષ્ફળ જવાના પરિણામે મહારાષ્ટ્રના ઉપરી વિસ્તારો પણ ડૂબી ગયા હતા. ચોમાસાની મોસમ અને ભારે વરસાદની આગાહી હોવા છતાં, બેસિનના અન્ય ડેમો તેની સપાટી જાળવી શક્યા ન હતા. આ લખાઈ રહ્યું છે ત્યારે, ચેતવણીઓ આપી દેવામાં આવી છે, કારણ કે એવો ભય છે કે કર્ણાટકના કાવેરી પરના ડેમોમાંથી પાણીનો નિકાલ નીચેના તમિલનાડુનાં જળાશયોને ઓવરફ્લો કરી દેશે.
‘ડેમસર્જિત’ પૂર લોકો પર અચાનક ત્રાટકે છે, તેમને અજાણતા જ પૂરની ઝપેટમાં જકડી લે છે અને તેમાં જેનાથી લોકો વધુ પરિચિત હોય છે, તેવા ‘લય’ કુદરતી પૂરનો કે ભય હોતો નથી. ઇન્ટરનલ ડિસ્પ્લેસમેન્ટ મૉનિટરિંગ સેન્ટર અનુસાર, ભારત એક એવો દેશ છે, જે આપત્તિ-વિસ્થાપનનું ઉચ્ચતમ સ્તર ધરાવે છે અને તેણે વર્ષ ૨૦૦૮થી ૨૦૧૮ની વચ્ચે સરેરાશ ૩૬ લાખ લોકોને વિસ્થાપિત કર્યા છે, જેમાંથી મોટા ભાગનાં ચોમાસા દરમિયાન સર્જાયેલી પૂરની સ્થિતિનાં કારણો હતા.
ભૂમિના ઉપયોગમાં માળખાકીય પરિવર્તન, જંગલવિસ્તારનું નિર્મૂલન, પર્વતના ઢોળાવનું કપાવું અને અવરોધિત પ્રવાહોને લીધે ગટર વાટે પાણીના નિકાલ માટેની જગ્યાઓ સંકોચાઈ રહી છે અને નદીઓ સૂકાઈ રહી છે, પરિણામે પશ્ચિમઘાટ અને હિમાલયનાં રાજ્યોમાં ભૂસ્ખલન અને પૂરની સ્થિતિ સર્જાય છે. આ કારણે શહેરી પૂરના કિસ્સાઓમાં પણ વધારો થયો છે અને તેનાથી શહેરમાં આવતા રહેવાસીઓ માટે વિનાશક પરિણામો પેદા થયાં છે. ભરાયેલી ખાડીઓના કારણે મુંબઈ ૨૦૧૮માં મહાનગરમાં વસઈ-વિરારમાં આવેલું પૂર તેનું એક ઉદાહરણ છે. તાજેતરમાં જ, થાણે જિલ્લાના ઉલ્હાસ નદીના પૂરનાં પાણીમાં ફસાયેલા આશરે ૧,૦૦૦ લોકોને કોલ્હાપુરની મહાલક્ષ્મી એક્સપ્રેસમાંથી બચાવી લેવાયા હતા, જેનો બફર ઝોન બિનઆયોજિત બાંધકામો દ્વારા પચાવી પાડવામાં આવ્યો છે. આ વર્ષે કેરળના પલક્કડની જે નદીને પ્લાસ્ટિકના કચરાથી ચૉક કરી નાખી હતી, તે નદીએ શહેરોમાં ફરી વળી એને પાછો ઠાલવી દીધો છે.
માળખાકીય હસ્તક્ષેપોને કારણે નદીઓને જમીન પર વહેવાની મંજૂરી મળતી નથી, રિયલ એસ્ટેટ પોતાનાં બાવડાંના બળે નદીઓ ઉપર કબજો જમાવી લે છે. ઍરપોર્ટ (જેમ કે કોચી, ચેન્નઈ, મુંબઈ અને આગામી નવી મુંબઈમાં) જેવાં નિર્ણાયક જાહેર માળખાકીય બાંધકામો નદીઓ માટે આવી કોઈ વિચારણા માટે જગ્યા છોડતાં નથી. વહેણવિસ્તાર પર કબજો, સમતળ તળાવો, મેન્ગ્રુવ, વેટલૅન્ડ્સ અને રિવરબેડ્સ જમીનમાં પાણીને શોષી લેવાની કુદરતી ગતિવિધિને અવરોધે છે અને તેથી ભારે વરસાદના પ્રભાવોને ઘટાડવામાં અવરોધ સર્જાય છે. વધુમાં આનાથી, જમીનની વધુ અધોગતિ અને ત્યાર બાદ દુષ્કાળની સ્થિતિનો માર્ગ મોકળો થાય છે.
નદીઓ અને જમીન પ્રત્યેનો આ પ્રકારનો અભિગમ – જ્યાં એવું માનવામાં આવે છે કે તેઓ ‘વિકાસ’ના હિતમાં લેવાય છે અને ઉપયોગમાં લેવાય છે – આપત્તિનાં કારણો પર ધ્યાન કેન્દ્રિત કરતો નથી.
રાહત-પ્રવૃત્તિઓ સાથે કામ કરતી વખતે પણ, વધુ માનવીય અને સમન્વયવાદી અભિગમની આવશ્યકતા રહે છે, ખાસ કરીને અસરગ્રસ્ત લોકો સુધી પહોંચવા અને રાજકારણીઓ દ્વારા ફૂડપૅકેટો પરનાં ‘સ્ટીકરયુદ્ધો’ને ધ્યાનમાં રાખીને આમ કહેવાની જરૂર પડી છે. બીજી બાજુ, કોલ્હાપુરમાં દુઃખ વ્યક્ત કરી રહેલા લોકો અને તેમના નુકસાન સાથે સંઘર્ષ કરી રહેલા લોકો પર ફોજદારી કાર્યવાહીની સંહિતાની કલમ ૧૪૪ લાદવામાં આવે છે. ઘણાં જીવ બચાવી શકાયાં હોત, પણ ખોખલી સહાયની રાહ જોયા પછી પાણીમાં વધારો થતાં, હતાશા અને ગભરાટ સાથે, સાંગલીના બ્રહ્મનાલ ગામે ફસાયેલા લોકો સ્વબચાવ માટે રિકટી મોટરબોટમાં બેઠા અને ભારથી ભરેલી નૌકા ડૂબી ગઈ, ૧૭ મરાયા! કોણ જવાબદાર?!
અધૂરામાં પૂરું વન, પર્યાવરણ અને ક્લાયમેટચેન્જ મંત્રીએ ક્લાયમેટચેન્જને પ્રલયનું કારણ ગણાવવા ઇન્કાર પર્યાવરણીય જોખમો અને કટોકટીઓ એક અનિશ્ચિત ગતિ, પ્રચંડતા અને વિકરાળતા સાથે પ્રગટ થઈ રહી છે, તેમ છતાં સંબંધિત સરકારી સંસ્થાઓ જૂનવાણી વિચારધારામાં ફસાયેલી હોય એવું લાગે છે. બેસિન-લેવલના આકર્ષક પ્લાન, કેચમેન્ટ્સનું ઇકો-રિસ્ટોરેશન અને ડ્રેનેજ-સિસ્ટમની જાળવણી ઠીક કરવાની તાતી જરૂરિયાત છે, પરંતુ ફક્ત વધુ ‘પ્રૅક્ટિકલ’ વ્યવસ્થાઓની તરફેણમાં તેની અવગણના કરવામાં આવી છે. પરંતુ અકસીર ઇલાજ તરીકે જ્યાં સુધી નદીના તટને ફરીથી પ્રાકૃતિક બનાવવા માટે પગલાં લેવામાં નહીં આવે, ત્યાં સુધી પૂરના સર્જનનું સંકટ કાયમ રહેશે.
(૧૭ ઑગસ્ટ, ૨૦૧૯)
સૌજન્ય : “નિરીક્ષક”, 01 સપ્ટેમ્બર 2019; પૃ. 14