આપણી સૌથી પહેલી ભાષા હોય છે કાલાઘેલા ઉચ્ચાર, જે આપણા સિવાય કોઈ નથી સમજી શકતું. પણ આપણે વડીલો અને મોટા કુટુંબીઓને સાંભળીને, એમનું અનુકરણ કરીને, ભાષા શીખવા મંડીએ છીએ. એમની પહેલી ભાષાને આપણે માતૃભાષા કહીએ છીએ, કારણ કે એ ભાષા આપણે સૌથી વધુ આપણી મા પાસે સાંભળીએ છીએ. અને જો આપણે નસીબદાર હોઈએ અને આપણા પિતા બીજી ભાષા બોલતા હોય, તો બબ્બે ભાષા આપણે નાનપણથી સમજીએ અને બોલી શકીએ છીએ.
નિશાળે જવા મંડીએ, એટલે આપણને ભાષાશિક્ષકો વ્યવસ્થિત રીતે શીખવે છે – એનું કારણ એ છે કે એને લીધે આપણે સમાજમાં અને એની પ્રવૃત્તિઓમાં સમજપૂર્વક ભાગ લઈ શકીએ છીએ. દરેક ભાષાની હોય છે ખાસિયત, સંસ્કૃતિ, સાહિત્ય, અને માધુર્ય. કમનસીબે આપણને દેશભરની બધી ભાષા શીખી શકવાનો નથી સમય, નથી આપણામાં ધગશ.
તો કઈ ભાષા શીખવી અને કઈ ભાષામાં વ્યવહાર કરવો, એ કોણ નક્કી કરે અને કયા નિયમસર આ બધું નક્કી કરાય?
ભારતનાં શહેરોમાં ઘણી ભાષા બોલાય છે. જો તમે કોઈ શહેરમાં રહેતા હો અને બીજા પ્રદેશથી આવ્યા હો અને તમે કહો કે મને મારા નવા શહેરની ભાષા નથી ગમતી કે એ ભાષા ન શીખવાનો તમે નિર્ણય લો, તો એનો ગેરલાભ તમને છે અને તે તમારી ખામી પુરવાર કરે છે. તમારી પોતાની ભાષા અને એ શહેરની ભાષા, આ બે તો જાણવી/સમજવી જ જોઈએ. એ ઉપરાંત અંગ્રેજી – એટલા માટે કે નહીં, કે આપણે હજુ અંગ્રેજ સામ્રાજ્યથી અંજાયેલા છીએ; એટલા માટે પણ નહીં કે અંગ્રેજી ભારતની ભાષાઓ કરતાં ચડિયાતી છે – પણ એટલા માટે કે અંગ્રેજી જગતભરમાં બોલાય અને સમજાય છે અને વાણિજ્ય, વેપાર, વિજ્ઞાન અને વ્યવહારમાં સફળતા અને સહેલાઈથી આગળ વધવું હોય, તો તે માટે અંગ્રેજી આવશ્યક છે. હા, તમે અંગ્રેજી સિવાયની બીજી કોઈ પણ ભાષામાં ગણિત, વિજ્ઞાન અને ઇતિહાસ ભણી શકો છો – મારો જ દાખલો લો – પણ અંગ્રેજી સરખું બોલીસમજી ના શકાતું હોય, તો દુનિયામાં આગળ વધવું અને કીર્તિ પ્રાપ્ત કરવી અઘરી તો પડે.
વિવિધ ભાષાઓની સમજ અને જાણકારી આપણી પોતાની વિચારધારાને સંકુચિત રાખવાને બદલે વિસ્તૃત કરે છે. બહુભાષી હોવું એ તો સદ્ગુણ છે અને વિવિધભાષી બનવું જટિલ નથી.
હું ગુજરાતી છું; મારો જન્મ ગુજરાતી ઘરે થયો હતો. મારી મુંબઈની શાળા – ન્યૂ ઇરા (મુંબઈ) – અમને ગુજરાતી માધ્યમમાં શીખવતી. બાલમંદિરથી બધા વિષય અમે ગુજરાતીમાં શીખ્યા. બીજા ધોરણમાં અમને અંગ્રેજી એક વિષય તરીકે શીખવા મળ્યું, ત્રીજા ધોરણથી હિન્દી. અમારા હિન્દીના શિક્ષકે અમને પ્રોત્સાહન આપ્યું કે અમે સૌ રાષ્ટ્રભાષા પ્રચારસમિતિ યોજિત હિન્દી પરીક્ષા આપીએ. એ પોતે રહ્યા હિન્દીભાષી. (આ સમિતિને ય ગતાગમ નહોતી; ‘રાષ્ટ્રભાષા’ પ્રચારસમિતિ કહેવું એ જ એક ભૂલ છે – હિન્દી ભારતની ઑફિશિયલ, એટલે કે સત્તાવાર ભાષા છે; નૅશનલ, એટલે કે રાષ્ટ્રભાષા નથી – પણ જવા દોને એ વાત – ખાલી ફોગટ હિન્દીવાળાઓ જોડે ઝઘડો થશે!) એક વાત મારે કબૂલ કરવી જોઈએ – મારું હિન્દી કાચું – હું પ્રાથમિક અને પ્રારંભિક પરીક્ષામાં (માંડ માંડ) પાસ થયો અને પ્રવેશ, પરિચય, કોવિદ અને રત્ન – એ પરીક્ષાઓને દૂરથી જ નમસ્કાર કર્યા. મને ગુજરાતી વહાલી.
પાંચમાથી સાતમું ધોરણ અમે મરાઠી શીખ્યા – મુંબઈ હતાને? ગુજરાતી, અંગ્રેજી અને હિન્દી અમે દસમી સુધી શીખ્યા. સાતમા ધોરણ સુધી અમારા બધા વિષયો અમને ગુજરાતીમાં શિખવાતા હતા – એટલે હું ભૂગોળ ભણ્યો, જ્યોગ્રાફી નહીં; વિજ્ઞાન ભણ્યો, સાયન્સ નહીં; બીજગણિત, અલ્જિબ્રા નહીં; ભૂમિતિ, જ્યૉમેટ્રી નહીં. પણ એ છતાં અમારો અંગ્રેજીનો પાયો પુષ્કળ મજબૂત! આઠમીમાં ગણિત અને વિજ્ઞાન અંગ્રેજીમાં શિખવાયાં; નવમીમાં ઇતિહાસ, ભૂગોળ અને નાગરિકશાસ્ત્ર પણ અંગ્રેજીમાં; અને દસમીમાં તમામ વિષય અંગ્રેજીમાં. એનું પરિણામ? માધ્યમિક શિક્ષણ પત્યું, ત્યારે અમે ગુજરાતી અને અંગ્રેજી બન્ને ભાષા માતૃભાષા જેવી સહજતાથી બોલતા, વાંચતા અને લખતા થયા, અને હિન્દી અને મરાઠી સમજી શકતા.
વળી પછી મારી શાળા રાષ્ટ્રવાદમાં માને – ભગવાધારી રાષ્ટ્રવાદ નહીં, પણ ખાદીધારી રાષ્ટ્રવાદ. એટલે કે ગાંધી અને ટાગોરની વિચારસરણીથી પ્રેરિત અમારી શાળા – એટલે અમને મન હોય, તો રવિવારે અમને ભારતની બીજી કોઈ પણ ભાષા શીખવી હોય, તો એ માટે વિકલ્પ ઉપલબ્ધ હતો. (મહિને વીસ રૂપિયાની ફી). કોઈક વર્ગમાં ચિત્રકામ ચાલે, હૉલમાં ભરતનાટ્યમ્ના વર્ગ ચાલે, ઑડિટોરિયમમાં નાટકનો વર્ગ અને બીજા ત્રણ વર્ગમાં બીજી ભાષા શિખવાય – અમારા વખતે બંગાળી, મલયાલમ અને સંસ્કૃત વર્ગ ચાલતા હતા. હું ત્યાં બે વર્ષ બંગાળી શીખ્યો અને સોળ વર્ષે એ નિર્ણય લીધાથી હું આજે પણ ખુશ છું – એને જ કારણે હું ભારતની કલા સમૃદ્ધિ અને સાહિત્યથી વધારે પરિચિત છું – ફાયદો મને થયો છે; સત્યજિત રાય, મૃણાલ સેન અને ઋત્વિક ઘટકની ફિલ્મો મેં સબટાઇટલ વાંચ્યા વગર જોઈ છે, બાદલ સરકારનાં નાટકો બંગાળીમાં ભજવાતાં મેં જોયાં છે, જેનો હું ઋણી છું.
પણ આ નિર્ણય મેં લીધો હતો અને એ સૌથી અગત્યની વાત છે. જે ભાષા વગર કામ ન થઈ શકે, જે જરૂરી હોય એ અમને અમારા શિક્ષકોએ ફરજિયાત શીખવી. મુંબઈમાં રહીને મરાઠી ના સમજો તો એનો ગેરલાભ તમને જ છે. જો તમારે દુનિયાભરમાં કામ કરવું હોય કે પ્રવાસ કરવો હોય, તો અંગ્રેજી વગર અઘરું પડે. જે દેશમાં ઘણા લોકો હિન્દી બોલતા હોય, ત્યાં હિન્દી સમજવામાં કોઈ નુકસાન નથી અને બીજી ભાષા શીખવી હોય, તો એ માટે સુવિધા પણ છે.
તકલીફ ત્યારે ઊભી થાય છે, જ્યારે આ નિર્ણય તમને કોઈ ના લેવા દે, પણ તમારા પર કોઈ જોર કરી લાદે. કારણ કે જ્યાં જોર વપરાય, એને તો બળજબરી કહેવાય.
થોડા દિવસ પહેલાં મોદી સરકારે નવી શિક્ષણનીતિ જાહેર કરી, જેમાં હિન્દી પર ખાસ મહત્ત્વ અપાયું. ઘણાં રાજ્યોએ વિરોધ કર્યો. ઓગણીસસો સાઇઠના દાયકામાં તમિળનાડુ પ્રાંત દેશથી છૂટા થવા તૈયાર થઈ ગયેલો આ જ કારણસર. બળજબરીથી કોઈ પણ સરકાર હિન્દી શીખવવાનો આગ્રહ કરે, એ તો જુલમ કહેવાય. રાજ્યોએ એ વખતે અને અત્યારે વિરોધ કર્યો એનાં બે કારણ છે. એક કે સરકાર ભારતની બીજી ભાષાઓને હિન્દી જેટલી મહત્ત્વની નથી ગણતી; અને બીજું કે આ નીતિનો લાભ ભારતની ચાલીસ ટકા પ્રજાને થાય છે, કારણ કે ભારતના માત્ર બે-પંચમાંશ નાગરિક હિન્દી બોલે છે; ત્રણ-પંચમાંશ, એટલે કે મોટા ભાગના લોકોની માતૃભાષા હિન્દી નથી.
એ વાત સાચી કે ભારતમાં સૌથી વધુ બોલાતી ભાષા હિન્દી છે – પણ ઉત્તર ભારતમાં બોલાતી બધી ભાષાને ‘હિન્દી’ કહેવી, એ બીજી ભાષાઓ – ખડી બોલી, બ્રજભાષા, ઇત્યાદિ – સાથે અન્યાય કહેવાય. યીડિશ ભાષાશાસ્ત્રી હતા મેક્સ વાઇનરાઇચ. એમણે એક વખત કહ્યું હતું કે ભાષા અને બોલી વચ્ચે એક જ ફરક છે – પ્રત્યેક ભાષા બોલી છે, પણ ભાષા પાસે લશ્કર અને નૌસેના છે. બોલી ભાષા બને છે, કારણ કે બોલી બોલનારી પ્રજા શક્તિશાળી છે. ભાષાને બોલી કહેવું, એ દરેક બીજી ભાષા, જેને બોલી કહેવાય છે, એનું અપમાન છે.
એવું નથી કે હિન્દી લોકપ્રિય નથી. હિન્દી સિનેમાને કારણે બમ્બૈયા હિન્દી શબ્દો – ફાલતુ, ખિટપિટ, ગડબડ, ખડુસ, કાંદા-બટાટા (આલુ-પ્યાજ નહીં!) અને ગુલામી અને આઝાદી જેવા ઉર્દૂ શબ્દ ભારતભરની પ્રજા સમજે છે અને સ્વીકારે છે. શેરીઓમાં બોલાતી હિન્દી સામે બહુ ઓછાને વાંધો છે – પણ ભદ્રંભદ્ર જેવું દસેક જણ જ સમજી શકે એવું હિન્દી જ્યારે પ્રજા પર બળજબરીથી ઠોસીને દબાવાય છે, ત્યારે પ્રજા વીફરે છે.
મરાઠી લેખિકા ગૌરી દેશપાંડે (૧૯૪૨-૨૦૦૩) મારા મિત્ર હતાં. એમણે મને એક વખત કહ્યું હતું કે જો ભારતમાં એક ભાષા રાષ્ટ્રભાષા તરીકે નીમવી હોય, તો ખાસી અથવા ગારો ભાષા પસંદ કરવી જોઈએ. ખૂબ ઓછા લોકો એ ભાષા બોલે છે, એટલે જો એ ભાષા રાષ્ટ્રભાષા બને, તો બધા ભારતીયો એક જ જગ્યાએથી પ્રારંભ કરશે અને કોઈને વિશેષાધિકાર નહિ મળે.
ગૌરી હતી હંમેશાં શાણી અને વ્યંગમ્ય, પણ એની વાતનો મર્મ આજના ભારત માટે ઘણા કામનો છે.
E-mail : salil.tripathi@gmail.com
સૌજન્ય : “નિરીક્ષક”, 01 સપ્ટેમ્બર 2019; પૃ. 10-11