૧૯૯૨ના વૈશાખી મહિનાની કાળઝાળ એક બપોરે વડીલ કવિ મિત્ર કૈલાશ પંડિતના ઘરે હું સિકંદરી નિવાસમાં પહોંચી ગયો. કૈલાશભાઈ મુંબઈ આકાશવાણી પર ગઝલપઠનનું રેકોર્ડિંગ કરવા માટે ગયા હતા, મને તેમણે આગલી સાંજે કહ્યું હતું કે “તું ઘરે નિરાંતે બેસજે, હું ચર્ચગેટ પર સ્ટુડિયોમાં રેકોર્ડિંગ જેવું પતશે, એટલે ઘરે આવી જઈશ અને હું ઘરે નહિ હોઉં તો પણ તને બા કે મીનુ ચાપાણી તો કરાવશે.”..
મીનુબહેને ચા સાથે આપેલ ગ્લુકોઝ બિસ્કિટનો નાસ્તો કરતો કૈલાશભાઈના બા સાથે મજેથી હું વાત કરતો હતો, ત્યાં જ કૈલાશભાઈ આવી ચડ્યા. મને કહે “પ્રીતમ !આજે તો બહુ જ ગરમી છે.” અને પછી મને કહે કે, “તારો આજે સાંજના શું પ્રોગ્રામ છે?” મેં કહ્યું ખાસ કંઈ નહીં, પણ આવતી કાલે વહેલી સવારે જૂનાગઢ જવાનો છું. મારે બેન્કોનું થોડું કામકાજ છે અહીંયા આવ્યો છું તો એ પતાવતો જાઉં. વળી પાછો એકાદ બે વરસે આવું અને સમય ના મળે તો કામ પાછળ ઠેલાતું જાય. કૈલાશભાઈ મને કહે કે “તું જૂનાગઢ જા છો, તો મારું એક કામ કરી આપ તો મને ખુશી થશે.” મેં કહ્યું બોલોને જૂનાગઢ જાઉં છું અને તમારે જૂનાગઢનું કામ હોય તો મને શું વાંધો? કૈલાશભાઈ મને કહે કે “મેં અને ચિનુ મોદીએ હમણાં છ સાત મહિના પહેલા ગુજરાતી ગઝલ શતાબ્દી નિમિત્તે આપણા ગુજરાતી વીસ નામી ગઝલકારોની ગઝલનું સંપાદન સુખનવર શ્રેણી નામે કર્યું છે, તેમાં અમે વીસ ગઝલકારોમાં જૂનાગઢના મનોજ ખંડેરિયા અને શ્યામ સાધુને સ્થાન આપ્યું છે”. પછી વાતને આગળ ચલાવતા કહે કે “મનોજ કોઈ કામે અમદાવાદ આવેલ અને ચિનુને મળેલ ત્યારે તે ચિનુભાઈ પાસેથી ચિનુનો પોતાનો સુખનવરનો સેટ જીદ કરીને લઈ ગયો હતો, પણ શ્યામને મોકલવો હતો એ આળસને કારણ મારાથી તેને મોકલી શકાયો નહોતો. તું જૂનાગઢ જા છો તો શ્યામને મળતો આવજે અને હાથોહાથ સુખનવરનો સેટ તેને આપતો આવજે. શ્યામ બહુ રાજી થશે.” મેં કહ્યું મને પણ શ્યામ સાધુ જેવા ગઝલકારને મળીને બહુ જ ખુશી થશે.
મુંબઈની વૈશાખની કાળઝાળ બપોરે શ્યામ સાધુ ને સુખનવર શ્રેણીનો સેટ ભેટ આપવા હું અને કૈલાસ પંડિત આર.આર. શેઠની કંપનીમાં જઈ ચઢ્યા. કંપનીમાં પૂરપાટ ફરતા પંખાની હવામાં ભગતભાઈ બેઠા હતા. અમને અચાનક ખરે બપોરે આવી ચઢેલા જોઈ ભગતભાઈએ અમને આવકાર્યા, એક છોકરાને અમને ઠંડા પાણીનો ગ્લાસ આપવાનું જણાવી કૈલાશભાઈ સાથે વાતે વળગ્યા, એટલે કૈલાશભાઈ એ મારો પરિચય કરાવતા કહ્યું કે “પ્રીતમ કાલે સવારે જૂનાગઢ જાય છે તો આપણે શ્યામ સાધુને આપવાનો સુખનવર સેટ શ્યામ સાધુને એ હાથો હાથ આપી આવશે.”
કૈલાશભાઈએ એક સેટ શ્યામ સાઘુને માટે અને બીજો સેટ મને આપતા પોતાના ખિસ્સામાંથી રૂપિયા ૨૫૦ કાઢી મારા હાથમાં મૂક્તા મને કહ્યું, “પ્રીતમ શ્યામ સાધુને આ એક બીજા મુફલિસ માણસ તરીકે ભેટ રૂપે આપજે પણ ભૂલથી પણ શ્યામને ના કહેતો કે આ રૂપિયા કૈલાશે તમને ભેટ રૂપે મોકલ્યા છે નહિંતર આ સ્વમાની માણસ રૂપિયા નહીં રાખે પણ તેને ખાસ કહેજે કે આ રૂપિયા કૈલાશભાઈએ અને ચિનુ મોદીએ તમને સુખનવર શ્રેણીના પુરસ્કાર રૂપે મોકલેલ છે.”
જૂનાગઢ પહોંચી મેં આઝાદ ચોકમાં આવેલ બેન્ક ઓફ ઇન્ડિયાની શાખામાં મારું કામકાજ પતાવી જૂનાગઢની માથું ફાડી નાંખે તેવી ગરમીમાં રિક્ષા કરી શ્યામ સાધુનું મને કૈલાસ પંડિતે આપેલ કડિયાવાડ નાકાના સરનામે કવિને સુખનવર સેટ દેવા પહોચ્યો. કડિયાવાડ નાકે એક હનુમાનજીની દેરી હતી કે મંદિર અત્યારે મને યાદ નથી, પણ હનુમાનજીના દ્વારે બહાર એક વૃક્ષ તળે એક સુક્કલકડી બાંઘાના ભાઈ ઉઘાડા શરીરે ફકત એક શ્વેત લુંગીમાં નિરાંતે બેઠા હતા. મેં તે ભાઈને બે હાથ જોડી નમસ્કાર કરતા પૂછ્યું, ભાઈ, કવિ શ્યામ સાધુનું ઘર કયાં છે? મારી સામે હોઠોમાં મલકતા તે ભાઈ બોલ્યા “ભાઈ !હું પોતે જ શ્યામ સાધુ છું. બોલો, ભાઈ, શું કામ છે?” મેં મારો પરિચય આપતા કહ્યું કે “હું મૂળ સરાડિયા ગામનો વતની છું.” અને તેમણે મને વચ્ચેથી અટકાવી કહ્યું “ભાઈ, સરાડિયા તો ક્યાં બહુ દૂર છે, અહીંથી સાદ પાડો તો તમને સામેથી પડઘો પડે કેમ ખરું ને?” મેં કહ્યું સાવ સાચું, વાતને આગળ ચલાવતા મેં કહ્યું, કે “કવિ, હાલમાં છેલ્લાં પંદર વર્ષથી અમેરિકામાં છું અને ખાસ તમને અહીંયા મળવા આવવાનું કારણ મારા વડીલ મિત્ર કવિ કૈલાસ પંડિત નિમિત્ત બન્યા છે.” આ પ્રમાણે જણાવી તેમના હાથમાં કૈલાશભાઈની અમાનત મૂકતા મેં કહ્યું, “શ્યામભાઈ, આ સેટ સાથે કૈલાશભાઈ એ આ ફૂલ નહિ તો ફૂલની પાંખડી રૂપે તમારા માટે પુરસ્કાર મોકલેલ છે.” પુરસ્કારની રકમ ખુશી સાથે સ્વીકારતા મને કહે કે “કૈલાશભાઈ એક કવિ છે, કવિના જીવન કવનને સારી રીતે સમજી શકે છે. બાકી ગુજરાતી સાહિત્ય જગતમાં કવિના કવનની કોણ કદર કરે છે?” પછી મને કહે કે “ગુજરાતી સાહિત્ય જગતના મોટા ગજાના ગઝલકારોની આ સુખનવર શ્રેણીમાં મારા જેવા એક ગઝલકારને ચીનુ મોદી અને કૈલાશભાઈએ સ્થાન આપ્યું છે તે મારા માટે તો ઘણું કહેવાય, બાકી શ્યામ સાધુ ને કોણ યાદ કરે?”
અને તેમણે છોકરાને સાદ કરી પોતાનો ઝભ્ભો મંગાવી, મને કહે સાહેબ, ચાલો, આપણે ઠંડુ ગરમ તમને જે ફાવે તે સાથે બેસીને લઈએ. નાકાની એક નાની સરખી ચાની કીટલી પર મને લઈ જઈને એમણે પૂછ્યું, “બોલો, કવિ, શું લેશો?” મેં કહ્યું “ભાઈ, હું કવિતા નથી લખતો, બસ વાંચવાનો શોખીન છું”. મને કહે “ભાઈ! કૈલાશભાઈની દોસ્તી ભલભલા સુખી માણસને કવિતા લખતો કરી દે”. (તેમની આ વાત મારા માટે સાચી પડી ૧૯૯૫ પછી આદિલ મન્સૂરીના છાયામાં આવતા હું કવિતાને રવાડે ચઢી ગયો હતો.) એટલી વારમાં તો છોકરાએ આવી ચાનો કપ તેમના હાથમાં મૂક્યો, રકાબીમાં નામ પૂરતી પોતા માટે ચા લઈને મને કપમાં ચા આપતા કહે “મારા માટે ખુશીની વાત છે કે છેક અમેરિકામાં વસતા મારા વતનના માણસ તમારા રૂપમાં મારા આંગણે આવી ગરમીમાં મારું સરનામું શોધતા સુખનવર શ્રેણીનો સેટ મને હાથોહાથ દેવા આવે તે મારે માટે તો કેટલું બધું કહેવાય!”
મારે એક બે સગાંને હજી મુંબઈ જતા પહેલા મળવાનું હતું. એટલે કવિની રજા લેતા મેં કહ્યું, “કવિ, આ કાળઝાળ ગરમીમાં આપણી આ નાનીશી મુલાકાત ગુલમોરની શીતળ છાંય જેવી યાદગાર બની જાય તે માટે તમને ગમતા એક બે શેર તમારી ગઝલના સંભળાવો!” અને તેમણે મને તે બપોરે સંભળાવેલા શેર આજે હૈયે ગુંજે છે ….
સેંકડો રસ્તા હતા સૂનકારના,
કેમ કરશો ભાગવાની પેરવી?
——-
સાવ બાળકના સમું છે આ નગર
કોઈ પણ આવીને બોલાવી જુઓ!
શેરને દાદ આપતા મને કૈલાશભાઈએ ભલામણ કરી હતી કે “બીજા કોઈને તો હું ન કહી શકું કે તું કવિને લુખે ભાણેથી ના ઉઠાડજે પણ ફૂલ નહિ તો ફૂલની પાંખડી તારા તરફથી આપજે”, મેં કવિના હાથમાં બસો રૂપિયા શેર સંભળાવ્યા તે બદલ પુરસ્કાર રૂપે મૂકયા. પણ શ્યામ સાધુએ મારા હાથમાં એ પાછા મૂકતા કહ્યું, “ભાઈ! તમે મને મળવા આવ્યા અને મારા શેરને આટલી દાદ આપી તે જ મારા માટે મોટો પુરસ્કાર છે.” મેં ઘણી વિનંતી કરી પણ તે રકમ લેવા શ્યામ તૈયાર નહોતા આ જોઈને ચાની રેકડીવાળા ભાઈએ કહ્યું “શ્યામભાઈ, રાખી લ્યો, સાહેબ ખુશીથી આપે છે”.
e.mail : preetam.lakhlani@gmail.com