ગયા રવિવારની રાતે હિન્દુત્વવાદી ગુંડાઓ બુકાની પહેરીને દિલ્હીની જવાહરલાલ નેહરુ યુનિવર્સિટીમાં સરકારવિરોધી વિદ્યાર્થીઓને ઢોરમાર મારી રહ્યા હતા, ત્યારે એ જ યુનિવર્સિટીમાં ભણેલાં નાણાપ્રધાન નિર્મલા સીતારામન દુઃખી હતાં અને તેમની રાત વેરાન થઈ ગઈ હતી. ના, એટલા માટે નહીં કે તેઓ જ્યાં ભણ્યાં હતાં એ વિશ્વપ્રસિદ્ધ યુનિવર્સિટીમાં શરમજનક ઘટના બની રહી હતી (જો એટલી હદે સમજદારી, સરોકાર અને સંવેદનશીલતા તેઓ ધરાવતાં હોત તો તેઓ સરકારમાં જ ન હોત), પણ એટલા માટે કે તેમના ટેબલ પર ભારત સરકારના સ્ટેટિસ્ટીકલ ડિપાર્ટમેન્ટે આંકડા મૂક્યા હતા કે ચાલુ નાણાકીય વર્ષમાં ભારતનો વિકાસ દર પાંચ ટકાથી વધી શકે એમ નથી. નિર્મળાબહેન કહેતાં હતાં કે હજુ થોડું બળ કરીને આંકડો વધારોને અને આંકડાશાસ્ત્રીઓ કહેતા હતા કે જેટલું થઈ શકતું હતું એટલું બળ કર્યું, હવે આનાથી વધારે બળ થઈ શકે એમ નથી.
એક ભ્રમ દિમાગમાંથી કાઢી નાખવા જેવો છે. જે.એન.યુ.માં ડાબેરી વિચારધારા ધરાવનારા વિદ્યાર્થીઓને શોધી શોધીને ભરતી કરવામાં આવતા નથી. મેરીટ પર વિદ્યાર્થીઓ પ્રવેશ મળે છે જેમાં દરેક પ્રકારની વિચારધારા ધરાવનારાઓ અથવા ન ધરાવનારાઓ પ્રવેશ મેળવે છે. નિર્મલા સીતારામન પોતે જ આનો જીવતોજાગતો દાખલો છે. તેઓ જમણેરી અને કોમવાદી વિચારો ધરાવે છે અને છતાં તેમણે જે.એન.યુ.માં પ્રવેશ મેળવ્યો હતો. જે.એન.યુ.નું એકેડેમિક વાતાવરણ એવું છે કે જેમાં વિદ્યાર્થીઓ આપોઆપ સેક્યુલર-લિબરલ, ગરીબ તરફી બની જાય છે એમાં કોઈ શું કરી શકે? આમ છતાં ય એવા ઘણા કરડુ દાણા નીકળી આવે છે જે પ્રેશર કુકરની હજાર સીટી વગાડવામાં આવે તોયે પાકતા નથી. તેમના વિચારો અને સંસ્કારો બદલાતા નથી. તેઓ લઘુમતીમાં છે. તેઓ પ્રતિભાશાળી વિદ્યાર્થીઓની સામે લઘુતાગ્રંથિ અનુભવે છે. હવે એ તો અનુભવસિદ્ધ હકીકત છે કે જેની પાસે દલીલ ન હોય એ ગાળોનો આશરો લેશે અને મામાને ઘેર જમણ જેવી આપણી સરકાર હોય તો વખતે હાથ પણ ઉપાડે. બાકી દલીલ કરવાનું તેમનું ગજું નથી. જે.એન.યુ.માં આજકાલ આ જ બની રહ્યું છે.
તો નાણા પ્રધાન નિર્મલા સીતારામનની રવિવારની રાત અજંપાભરી વીતી હતી એનું કારણ આગળ કહેવાઈ ગયું હતું, પણ જે.એન.યુ.ના કેમ્પસમાં હજુ એક વ્યક્તિ હતી જેમની એ રાત પણ અજંપાભરી વીતી હતી. એમનું નામ સી.પી. ચન્દ્રશેખર. તેઓ જે.એન.યુ.માં સંખ્યાશાસ્ત્ર (સ્ટેટિસ્ટીક) ભણાવે છે અને કેમ્પસમાં જ એક ક્વાર્ટરમાં રહે છે. એ અજંપાભરી રાત સુધી તેઓ ભારત સરકારના સ્ટેટિસ્ટીક વિભાગમાં એક સમિતિમાં સભ્ય તરીકે કામ કરતા હતા. નરેન્દ્ર મોદીની સરકારે તેમની નિયુક્તિ એટલા માટે કરી હતી કે તેઓ ડાબેરી નથી. જે.એન.યુ.માં અત્યાર સુધી જે ઘટનાઓ બની રહી છે તેના વિશે તેઓ કદી બોલ્યા નથી. તેઓ જમણેરી પણ નથી. તેઓ પોતાના વિષયના નિષ્ણાત છે અને એમાં જ તેઓ રચ્યાપચ્યા રહે છે. આમ છતાં તેમની પણ એ રાત વેરણ થઈ હતી અને તેનાં બે કારણ હતાં.
એક તાત્કાલિક કારણ જે.એન.યુ.માં બનેલી ઘટના હતું. શાસકોનો વિદ્યાર્થીઓ સાથે આવો વહેવાર! વિદ્યાર્થીના રાષ્ટ્રીય પાલક તરીકે હાથ પકડવાની જગ્યાએ હાથ મરડવાના હોય! પાછું સરકાર માયબાપ આવું વારંવાર કરે! તેમની રાત વેરણ થઈ એનું બીજું અને વધારે મહત્ત્વનું કારણ નાણા પ્રધાન નિર્મલા સીતારામન અને સરકાર હતું.
ચન્દ્રશેખર વિશ્વપ્રસિદ્ધ આંકડાશાસ્ત્રી છે. તેમને જાણ છે કે કેન્દ્રમાં નરેન્દ્ર મોદીની સરકાર આવી છે ત્યારથી પોતાની માર્ક્સશીટ સુધારવા આંકડા સાથે ઘાલમેલ કરવામાં આવે છે. તેમને એ વાતની પણ જાણ છે કે આંકડા સાથે ઘાલમેલ કરીને અને માપદંડો બદલીને આગળની ડૉ. મનમોહન સિંહની સરકારને ફેઈલ કરવામાં આવી છે. ફેઈલને પાસ કરવામાં આવી છે અને પાસને ફેઈલ કરવામાં આવી છે. સરકારથી ડરીને કે પછી લાભ મેળવવાની લાલચે સ્ટેટિસ્ટીક વિભાગના અધિકારીઓ આંકડામાં ઘાલમેલ કરી આપતા હતા, પરંતુ હવે તેઓ પણ ગજાબહારનું બળ કરીને હાંફી ગયા છે. પેટમાં અન્નનો દાણો જ ન હોય તો ગમે એટલું બળ કરો શો ફાયદો? આ બાજુ સરકાર કહેતી જ રહે છે હજુ વધુ બળ કરો.
આવું ખોટું બળ કરાવવાના કારણે સરકાર પોતે જ ફસાઈ ગઈ હતી. બન્યું એવું કે વિશ્વની ધિરાણસંસ્થાઓએ ભારત સરકારને કહ્યું કે આવા બળ કરાવીને કાઢેલા આંકડાના આધારે અમે ધિરાણ નહીં આપીએ. અમને ભરોસાપાત્ર આંકડા જોઈએ અને ભારત સરકારના જી.ડી.પી.ના આંકડા ભરોસાપાત્ર નથી. હજુ હમણાં ભારત સરકારના આર્થિક સલાહકારના પદેથી રાજીનામું આપનારા અરવિંદ સુબ્રમણ્યમે પણ કહ્યું હતું કે વિકાસના સરકારી આંકડા ઉપજાવી કાઢેલા બનાવટી છે અને તેને કારણે જગતમાં ભારતની આબરૂ ખરડાઈ રહી છે. ભારત સરકારે નાછૂટકે સ્ટેટિસ્ટીક વિભાગના વડા પ્રણવ સેનની અધ્યક્ષતામાં એક સમિતિની રચના કરી હતી જેના ચન્દ્રશેખર એક સભ્ય હતા.
આમ જે ચન્દ્રશેખરે રાજીનામું આપ્યું છે એ સરકારની પસંદ કરેલા અર્થશાસ્ત્રી છે અને સરકારથી ત્રાસીને જતા રહ્યા છે. ચન્દ્રશેખરે રાજીનામું શા માટે આપ્યું તેનો ખુલાસો કરતાં કહ્યું છે કે “દેશની આંકડાકીય વિશ્વાસર્હતા વધે એ માટે પ્રામાણિક પ્રયત્નો કરવાની બાબતે સરકાર પ્રમાણિક હોય એવું લાગતું નથી. મારો સરકાર પર હવે ભરોસો રહ્યો નથી.”
સરકારના વલણથી ત્રાસીને રાજીનામું આપનારા ચન્દ્રશેખર પહેલા નથી. આ પહેલા રીઝર્વ બેન્કના ગવર્નર રાઘુરામ રાજન અને ઊર્જિત પટેલ રીઝર્વ બેન્કના ડેપ્યુટી ગવર્નર વિરલ આચાર્ય, નીતિ આયોગના ઉપાધ્યક્ષ અરવિંદ પનગરિયા, ભારત સરકારના આર્થિક સલાહકાર અરવિંદ સુબ્રમણ્યમ અને નરેન્દ્ર મોદીના સમર્થક રહેલા સુરજીત ભલ્લા જેવા અડધો ડઝન અર્થશાસ્ત્રીઓ રાજીનામાં આપી ચૂક્યા છે. એક વાત નોંધવી જોઈએ કે આમાંના કોઈ ડાબેરી નથી. ડાબેરીઓને તો આ સરકાર નજીક જ આવવા દેતી નથી. પાંચ વરસમાં આટલા બધા ટોચના અર્થશાસ્ત્રીઓએ રાજીનામાં આપ્યાં હોય એવું ભારતના ઇતિહાસમાં ક્યારે ય બન્યું નથી. વળી કુલ સાત જણે રાજીનામાં આપ્યાં છે અને એમાંથી પાંચ જણની નિમણૂક તો નરેન્દ્ર મોદીની સરકારે પોતે કરી હતી. દરેકને સરકાર ઉજળી દેખાય એ માટે બળ કરવાનું કહેવામાં આવ્યું હતું અને દરેક હાથ જોડીને જતા રહ્યા છે. સરકારે પોતે પસંદ કરેલા માણસો સરકાર સાથે કામ કરી શકતા નથી. સરકાર આ બધા નિષ્ણાતોને સાયબર સેલના ભાડૂતી ટટ્ટુઓ જેવા સમજે છે અને તેઓ એટલી હદે નીચે જઈ શકે એ તેમના માટે શક્ય રહ્યું નહોતું.
તમને સમજાય છે ચન્દ્રશેખરનાં રાજીનામાનું પરિણામ શું આવશે? સરકારના જે આંકડાઓને જગત ભરોસાહીન શંકાસ્પદ તરીકે જોઈ રહ્યું છે એમાં વધારો થશે. આખરે આ સમિતિ ધિરાણકર્તા એજન્સીઓના કહેવાથી કહો કે દબાણ હેઠળ રચવામાં આવી હતી અને એને પણ સ્વતંત્ર રીતે કામ કરવા દેવામાં આવતી નથી. આ બધું કરવા કરતાં જો આવડત મુજબ ધોરણસરનું શાસન કરવાનો પ્રયાસ સરકારે કર્યો હોત તો નાક ન કપાત. તમને એ વાતની પણ જાણકારી આપી દઉં કે હજુ પખવાડિયા પહેલાં નાણા પ્રધાન નિર્મલા સીતારામનના પતિએ ‘ધ હિંદુ’ નામના આખબારમાં એક લેખ લખીને તેમનાં પત્નીને સલાહ આપી હતી કે જો આર્થિક સંકટમાંથી દેશને બહાર કાઢવો હોય તો દિલ્હીમાં એક અર્થઋષિ રહે છે તેમની સલાહ લેવી જોઈએ. એ ઋષિ એટલે વિશ્વપ્રસિદ્ધ અર્થશાસ્ત્રી ડૉ. મનમોહન સિંહ.
નિર્મલા સીતારામને પતિની સલાહને અનુસરીને ડૉ. મનમોહન સિંહની સલાહ માગવા જવાની પરવાનગી માગતી અરજી વડા પ્રધાનના કાર્યાલયમાં મોકલી છે કે કેમ એ આપણે જાણતા નથી. આ દેશમાં અત્યારે દરેક પ્રધાન ડમી છે. આમ લખવાનું કારણ એ કે છેલ્લા અઠવાડિયાથી વડા પ્રધાન ભારતનું આગામી બજેટ કેવું હોવું જોઈએ એની ચર્ચા કરવા માટે ઉદ્યોગપતિઓ, વેપારીઓ વગેરેને બોલાવીને મળી રહ્યા છે. અત્યાર સુધીમાં ૧૨૦ જણને વડા પ્રધાન મળ્યા છે. આ શ્રેણીમાં સૌથી અગત્યની બેઠક દેશના ટોચના ઉદ્યોગપતિઓ સાથે ગુરુવારે યોજાઈ હતી જેમાં નાણા પ્રધાન જ હાજર નહોતાં. ઉદ્યોગપતિ વગેરે તો બધા સ્થાપિત હિતો ધરાવે છે. વડા પ્રધાન કોઈ પ્રતિષ્ઠિત અર્થશાસ્ત્રીને મળ્યા? જો કોઈ નામ જડે તો કહેવાનું ચૂકતા નહીં.
હવે વિચારો કે દિલ્હીમાં જે.એન.યુ. પર હુમલો શા માટે કરવામાં આવ્યો? લોકોનું ધ્યાન આર્થિક સંકટ પરથી બીજે ભટકાવવા માટે. સરકાર પાસે કોઈ માણસો જ નથી જે સંકટ ઉકેલી શકે અને જે મળ્યા હતા એ ત્રાસીને ભાગી ગયા.
પ્રગટ : ‘નો નૉનસેન્સ’, નામક લેખકની કટાર, ‘રવિવારીય પૂર્તિ’, “ગુજરાતમિત્ર”, 12 જાન્યુઆરી 2020