આ કોઈ રડીખડી ઘટના નથી પરંતુ રીતસરનો પૂર્વગ્રહ છે. એક કારણ ડ્રગ-ટ્રાફિકિંગ પણ છે, પરંતુ એનો બહાના તરીકે ઉપયોગ કરવામાં આવે છે જે રીતે ગોરા અમેરિકનો અને ઑસ્ટ્રેલિયનો ભારતીયોને મારવા માટે જૉબ સ્નૅચરના બહાનાનો ઉપયોગ કરે છે. શા માટે તેઓ ગોરા વસાહતીઓને મારતા નથી? જૉબની તલાશમાં તો એ લોકો પણ એકથી બીજા દેશમાં સ્થળાંતર કરે છે
ભારતમાં આફ્રિકનો અને ખાસ કરીને આફ્રિકન વિદ્યાર્થીઓ સાથે અત્યાચારની એક પછી એક ઘટનાઓ બની રહી છે એની આફ્રિકન દેશોએ સાગમટે નોંધ લીધી છે અને વિરોધ નોંધાવ્યો છે. તેમણે ભારતમાં બની રહેલી ઘટનાઓને રંગભેદ અને બહારનાઓ પરત્વેના અણગમા તેમ જ પૂર્વગ્રહ તરીકે ઓળખાવી છે. તેમણે ભારત સરકારને કહ્યું છે કે જો આવી ઘટનાઓ બનતી નહીં અટકે તો આફ્રિકન દેશો યુનોમાં માનવઅધિકાર પરિષદમાં જઈને ફરિયાદ કરશે. વિદેશપ્રધાન સુષમા સ્વરાજે તાત્કાલિક પ્રતિસાદ આપ્યો હતો અને બચાવ કર્યો હતો કે આ ક્વચિત બનતી છૂટીછવાઈ ઘટના છે અને એને રંગભેદ અને બહારનાઓ માટેના અણગમા (ઝેનોફોબિયા) તરીકે જોવાની જરૂર નથી.
ભારતની ખ્યાતિ અત્યાર સુધી આફ્રિકન દેશોના મિત્ર તરીકેની હતી. સાઉથ આફ્રિકાની રંગભેદમાં માનનારી ગોરી સરકારને ભારતે માન્યતા આપી નહોતી. એ યુગમાં ભારતનો સાઉથ આફ્રિકાની સરકાર સાથે સત્તાવાર રાજદ્વારી સંબંધ નહોતો તે ત્યાં સુધી કે ક્રિકેટની રમત પણ આફ્રિકન ટીમ સાથે નહોતી રમવામાં આવતી, કારણ કે ટીમમાં કાળા ખેલાડીઓને લેવામાં નહોતા આવતા. મને યાદ નથી કે ત્યારે કોઈએ આફ્રિકન ટીમ સાથે ક્રિકેટ રમવા દેવાની માગણી કરી હોય, જ્યારે કે એ જમાનામાં આફ્રિકન ટીમ જગતની શ્રેષ્ઠ ટીમ ગણાતી હતી. જગતે સુધરવાનું છે અને જે નથી સુધર્યા એમને સુધારવાના છે. જે સુધરવા નથી માગતા કે સુધારાઓનો વિરોધ કરે છે તેમનો વિરોધ કરવાનો છે. સક્રિય વિરોધ શક્ય ન હોય ત્યાં અહિંસક અસહકાર કરવાનો છે. એટલે તો સાઉથ આફ્રિકામાં રંગભેદી શાસનનો અંત આવ્યો અને નેલ્સન મન્ડેલા સાઉથ આફ્રિકાના પ્રમુખ બન્યા એ પછી પહેલું કામ તેમણે ગાંધીજીને અંજલિ આપવા ભારત આવવાનું કર્યું હતું. મન્ડેલા, મુગાબે, ડેઝમન્ડ ટુટુ, માર્ટિન લ્યુથર કિંગ(જુનિયર)થી લઈને બરાક ઓબામા સુધીના લોકો ગાંધીજીને પોતાના ગુરુ સમજતા હતા અને ભારતને પોતાનો મિત્ર સમજતા હતા.
આજે જગતનો પ્રવાહ ઊલટી દિશામાં વહી રહ્યો છે અને એમાં ભારત અપવાદ નથી. ભારત અપવાદ હોવો જોઈતો હતો; કારણ કે આ ઉપનિષદ, બુદ્ધ, મહાવીર અને ગાંધીનો દેશ છે અને જગત આખા માટે દીવાદાંડી સમાન હોવો જોઈએ. હોવો જોઈએ શું, એક સમયે હતો પણ. દૂરની ક્યાં વાત કરો છો, હજી દાયકા પહેલાં અમેરિકાના એ સમયના પ્રમુખ જ્યૉર્જ બુશે કહ્યું હતું કે પ્રચુર માત્રામાં વિવિધતા અને પાછો સંખ્યાની દૃષ્ટિએ વિશાળ માનવસમૂહ સાથે કઈ રીતે સાથે રહી શકે એનું ભારત જગત આખા માટે ઉદાહરણ છે. તેમણે પોતાના મુદ્દાનું સમાપન કરતાં કહ્યું હતું કે સૌહાર્દપૂર્વક સાથે જીવતાં શીખવું હોય તો ભારતને ગુરુ બનાવો. જી હા, ગુરુ બનાવો. આ દાયકા જૂની વાત છે, પરંતુ આજે આપણને એ યુગ જૂની લાગે એટલી હદે સમયનો પ્રવાહ આપણા દેશમાં અને જગતમાં બદલાયો છે. ભારતીય સમાજ પ્રવાહપતિત થઈ રહ્યો છે એનું દુ:ખ છે; જ્યારે કે આપણી પાસેથી અપેક્ષા માનવમૂલ્યોના જતનની છે, સામા પ્રવાહે તરવાની છે. જોઈએ તો જગત આખામાં એકલા પડી જઈને, ટાપુ બની રહીને પણ માનવમૂલ્યોનું જતન કરવાની છે.
સાઉથ આફ્રિકામાં પીટરમોરિત્ઝબર્ગ રેલવે-સ્ટેશને ઠંડીની કડકડતી રાતે ગાંધીજીને ફર્સ્ટ ક્લાસમાંથી સામાન સાથે બહાર ફેંકી દેવામાં આવ્યા હતા. રાત આખી તેમણે સ્ટેશનના બાંકડે બેસીને વિચાર કર્યો હતો કે આવી પૂર્વગ્રહયુક્ત અન્યાયી વ્યવસ્થાનો અંત કેવી રીતે લાવવો અને એમાં મારું શું કર્તવ્ય છે? એ રાતે તેમણે હાડ ગાળી નાખતી ઠંડી સહન કરી એ તેમની તપશ્ચર્યા હતી. અન્યથા સામાન તેમની સાથે હતો અને તેઓ ગરમ વસ્ત્રો અને ઓઢવાની ચાદર કાઢી શક્યા હોત. ચિંતન, તપશ્ચર્યા, મનોમંથન, સમુદ્રમંથન માટે શરીરને કષ્ટ આપવું જરૂરી છે. ત્રણ વિકલ્પ હતા. એક, બે દમડીની લાલચે અન્યાય સહન કરીને પડ્યા રહેવું. સરેરાશ માણસ આ રીતે જ જીવતો હોય છે અને આપણે ક્યાં જગતને સુધારવાનો ઠેકો લીધો છે? બે, અન્યાય સહન ન થતો હોય અને અન્યાય સામે અવાજ ઉઠાવવા જેટલી ત્રેવડ ન હોય તો દેશ પાછા જતા રહેવું. આ જગતમાં કાયરોની પણ કમી નથી અને સરેરાશ માણસ કોચવાઈને કાયરની માફક આયખું વિતાવતો હોય છે.
ત્રણ, તૂટી જઈશ પણ અન્યાય સહન કરીશ નહીં. પ્રશ્ન થયો, પરાયો દેશ છે અને ભારતીયોની સંખ્યા નહિવત્ છે તો અન્યાયની સાંકળ તૂટશે કેવી રીતે? એટલી તાકાત જ ક્યાં છે? અંદરથી જવાબ મળ્યો : તાકાત બહારથી નહીં, અંદરથી આવે છે અને અંદરની તાકાત કરતાં વધારે મોટી તાકાત આ જગતમાં બીજી એકેય નથી. ગાંધીજીએ એને આત્મબળ તરીકે ઓળખાવી હતી. બસ, સકળ માનવજગત માટે એ સાફલ્યટાણું હતું. સંતો સાથે સિદ્ધિની ક્ષણ(મોમેન્ટ ઑફ એનલાઇટનમેન્ટ)ની ઘણી કથાઓ આપણે સાંભળી છે, પરંતુ એ રાતે એવી શક્તિનો પ્રાદુર્ભાવ થયો હતો જેણે માનવસમાજ માટે મુક્તિની દિશા ચીંધી હતી. એ સકળ સમાજ માટેનું સાફલ્યટાણું હતું.
દુર્ભાગ્યે આજે આપણે પ્રવાહપતિત છીએ. આપણે એ બાપુના વારસો છીએ જે આપણને લાત મારીને બીજાને ધકેલતા રોકે છે. એટલે તો એ માણસ માટે આપણને અણગમો છે. કોઈ ધર્મની યાદ અપાવીને સંગઠિત કરે અને લડાવે એ આપણને ગમે છે, પરંતુ કોઈ ધર્મ(ફરજ)ની યાદ અપાવીને રોકે એ આપણને ગમતું નથી. ટોળામાં ઓગળી જઈને મર્દાનગી બતાવવામાં મર્દ હોવાનો જૂઠો દિલાસો મળે છે. બીજી બાજુ ન્યાયના પક્ષે એકલા ઊભા રહેવામાં લોકોની વચ્ચે મર્દાનગીની કસોટી થાય છે.
સુષમા સ્વરાજ કંઈ પણ કહે, એમાં કોઈ શંકા નથી કે ભારતમાં કાળા આફ્રિકનો સાથેના દુર્વ્યવહારની ઘટનાઓ વધી રહી છે. આ કોઈ રડીખડી ઘટના નથી, પરંતુ રીતસરનો પૂર્વગ્રહ છે. ડ્રગ-ટ્રાફિકિંગ પણ એક કારણ છે, પરંતુ એનો બહાના તરીકે ઉપયોગ કરવામાં આવે છે જે રીતે ગોરા અમેરિકનો અને ઑસ્ટ્રેલિયનો ભારતીયોને મારવા માટે જૉબ-સ્નૅચરના બહાનાનો ઉપયોગ કરે છે. શા માટે તેઓ ગોરા વસાહતીઓને મારતા નથી? જૉબની તલાશમાં તો એ લોકો પણ એકથી બીજા દેશમાં સ્થળાંતર કરે છે. મારા રસ્તામાં આવનારા માણસને મારવા જેટલું ગજું નથી એટલે આપણા રસ્તામાં આવનારા માણસને મારવામાં આવે છે. અમે અને આપણે એ કાયરોનું છુપાવાનું સ્થળ છે.
વિદેશપ્રધાન સુષમા સ્વરાજ બચાવ કરે એ સમજી શકાય છે, પરંતુ ભારત સરકારે આવી ઘટનાઓ ન બને એ માટે તાત્કાલિક પગલાં લેવાની જરૂર છે. એક તો ભારતની પ્રતિષ્ઠાનો સવાલ છે. પહેલી વાર તમામ આફ્રિકન દેશોએ મળીને ભારત સામે આંગળી ચીંધી છે અને યુનોમાં જવા સુધીની વાત કરી છે. બીજું, ભારત કયા મોઢે ઑસ્ટ્રેલિયા, યુરોપ અને અમેરિકામાં ભારતીયો સાથે થઈ રહેલા અત્યાચારોનો વિરોધ કરશે?
સૌજન્ય : ‘કારણ-તારણ’ નામક લેખકની કોલમ, “ગુજરાતી મિડ-ડે”, 07 અૅપ્રિલ 2017