ઇન્દિરા ગાંધીના વારાના પહેલા અનુભવનો નિચોડ એ છે કે ચૂંટાયેલા લોકપ્રતિનિધિઓ ચૂંટાયેલા છે એટલે બંધારણથી ઉપરવટ નથી. બંધારણ સર્વોચ્ચ છે અને બંધારણીય સંસ્થાઓ એકસરખું મહત્ત્વ ધરાવે છે, પછી એ સંસદ હોય કે અદાલત. શાસકો ચૂંટાયેલા છે એટલે તેઓ સર્વોપરી નથી બની જતા
સર્વોચ્ચ અદાલતે નૅશનલ જુડિશ્યલ અપૉઇન્ટમેન્ટ્સ કમિશન ધારાને ગેરબંધારણીય ઠરાવીને ફગાવી દીધો એ પછી કેન્દ્રના નાણાપ્રધાન અરુણ જેટલીએ ન્યાયતંત્ર પર સીધો હુમલો કર્યો છે. તેમણે લોકશાહીની વ્યાખ્યા કરતાં કહ્યું હતું કે લોકશાહીમાં જે શાસનસંસ્થાઓ લોકોનું પ્રતિનિધિત્વ નથી કરતી એમની દાદાગીરી ચલાવી ન લેવાય. લોકશાહીમાં ચૂંટાયેલા લોકપ્રતિનિધિઓ લોકોનું પ્રતિનિધિત્વ કરે છે અને તેઓ જ સાચો બંધારણીય લોકતાંત્રિક અધિકાર ધરાવે છે. અરુણ જેટલીના શબ્દો આ મુજબ હતા: Democracy could not be a tyranny of unelected. Decmocracy would be in danger if the elected are undermined. અરુણ જેટલીએ પોતાનો આ અભિપ્રાય તેમની ફેસબુકની વૉલ પર મૂક્યો હતો. આ રીતે કદાચ તેઓ એમ કહેવા માગે છે કે આ તેમનો અંગત અભિપ્રાય છે અને સરકાર વતી તેઓ કંઈ નથી કહી રહ્યા. કેન્દ્રના કાયદાપ્રધાન ડી. વી. સદાનંદ ગૌડાએ સભ્ય ભાષામાં કહ્યું હતું કે સરકાર હવે પછી શું કરવું જોઈએ એ ચુકાદાનો અભ્યાસ કરીને ઠરાવશે. તેમણે એમ પણ કહ્યું હતું કે વિરોધ પક્ષો સાથે આ વિશે વાત કરવામાં આવશે.
લોકતંત્રમાં લોકોના પ્રતિનિધિઓ જ લોકોનું સાચું પ્રતિનિધિત્વ કરે છે એવી જેટલીસાહેબની દલીલ છે. તેઓ ચૂંટણી લડે છે, લોકોની વચ્ચે પોતાનો શાસનનો એજન્ડા લઈને જાય છે, લોકોનું અનુમોદન (મૅન્ડેટ) મેળવે છે અને એ એજન્ડાને લાગુ કરવાની જવાબદારી પણ ચૂંટાયેલા લોકપ્રતિનિધિઓની છે. જો નહીં ચૂંટાયેલા (પણ બંધારણીય અધિકારો ધરાવનારા) લોકો તેમના માર્ગમાં અવરોધ પેદા કરે તો ન લોકતંત્ર ચાલી શકે કે ન શાસન થઈ શકે. લોકપ્રતિનિધિઓ લોકોને જવાબ આપવા બંધાયેલા છે, બંધારણીય સત્તા ધરાવતા લોકો નિવૃત્તિ પછી પેન્શન ખાય છે. એટલે અરુણ જેટલીના બે શબ્દપ્રયોગ બોલકા છે :
Tyranny of unelected અને elected are undermined. આ દલીલ છે આકર્ષક, પણ એટલી જ ખતરનાક છે. ઇન્દિરા ગાંધીના યુગમાં આનો અનુભવ થઈ ચૂક્યો છે. અરુણ જેટલીને પોતાને આનો અનુભવ થઈ ચૂક્યો છે. ઇમર્જન્સીમાં તેઓ જેલમાં રહી આવ્યા છે.
કૉન્ગ્રેસના જમણેરી વડીલો સામે પોતાની જગ્યા બનાવવા ઇન્દિરા ગાંધીએ સમાજવાદી ચહેરો ધારણ કર્યો હતો. પ્રાઇવેટ બૅન્કો અને કોલસાની ખાણોનું રાષ્ટ્રીયકરણ, રાજાઓનાં સાલિયાણાંની નાબૂદી, જમીનદારીનો અંત, સંપત્તિ પર ટોચમર્યાદા, ઇજારાશાહી પર અંકુશ જેવા કેટલાક પ્રશ્નો ઇન્દિરા ગાંધીએ સરકારના એજન્ડા તરીકે પ્રસ્તુત કર્યા હતા અને કેટલાક ઉપસ્થિત થયા હતા. હવે સવાલ એ પેદા થયો કે સંપત્તિ મૂળભૂત અધિકાર કહેવાય કે ન કહેવાય? જો કહેવાય તો સરકાર બંધારણ દ્વારા સુરક્ષિત કરવામાં આવેલા મૂળભૂત અધિકારોને હાથ ન લગાડી શકે અને એ સંજોગોમાં સરકારી કાયદાઓ દ્વારા સમાજવાદ લાવી ન શકાય. સંપત્તિ ધરાવવાના અધિકારને મૂળભૂત અધિકાર કહેવાય કે ન કહેવાય એનો ખુલાસો માગવા એક પછી એક ખટલાઓ સર્વોચ્ચ અદાલતમાં ગયા હતા જેમાં સર્વોચ્ચ અદાલત સરકારની વિરુદ્ધ ચુકાદાઓ આપતી હતી.
એ સમયે ઇન્દિરા ગાંધીએ અને વકીલોની તેમની બ્રિગેડે ચૂંટાયેલા શાસકોની સર્વોપરિતાની દલીલનો આશરો લીધો હતો. એ બ્રિગેડમાં એ સમયના પ્રસિદ્ધ વકીલ મોહન કુમારમંગલમ, સિદ્ધાર્થ શંકર રાય, રજની પટેલ, એચ. આર. ગોખલે વગેરેનો સમાવેશ હતો. આ દલીલની બીજી બાજુનો હજી દેશને અનુભવ થયો નહોતો એટલે લોકતંત્રનાં ઓવારણાં લઈને ડાબેરી સમાજવાદી વિચારો ધરાવનારા વિરોધ પક્ષોએ પણ સરકારને ટેકો આપ્યો હતો. બૅરિસ્ટર નાથ પાઈ તો ચૂંટાયેલા શાસકોની સર્વોપરિતા સિદ્ધ કરવામાં અગ્રેસર હતા. જો ઇમર્જન્સી આવતાં પહેલાં તેમનું અવસાન ન થયું હોત તો તેઓ પણ પોતે જ કંડારેલા માર્ગે જેલમાં ગયા હોત.
અમે ચોક્કસ એજન્ડા સાથે જનતાની વચ્ચે ગયા હતા અને જનતાએ અમને અનુમોદન (મૅન્ડેટ) આપ્યું છે એટલે એ લાગુ કરવાની અમારી ફરજ પણ છે અને અધિકાર પણ છે. અદાલત કહેતી હતી કે તમારો એજન્ડા અને જનતાનો મૅન્ડેટ બંધારણીય જોગવાઈઓ તેમ જ મર્યાદાઓને અતિક્રમી ન શકે. આ મડાગાંઠનો એક જ ઉપાય હતો – અદાલતોને નબળી પાડવી. અદાલતોને નબળી પાડવી હોય તો જજોની નિયુક્તિમાં ચેડાં કરવાં જોઈએ. વીણી-વીણીને માફક આવે એવા જજોની નિયુક્તિ કરો અને માફક ન આવે એવા જજોને ઉપલી અદાલતોથી દૂર રાખો. નિયુક્ત કરવામાં આવેલા જજોને પણ ઊભા પગે રાખવાના એટલે ડરેલા રહે. જજોની ટ્રાન્સફરનો અધિકાર કેન્દ્ર સરકારે પોતાના હાથમાં લઈ લીધો હતો. આ બધું કમિટેડ જુડિશ્યરીના નામે થતું હતું. કહેવા માટે કમિટમેન્ટ આર્થિક સમાનતા માટેનું, પરંતુ વાસ્તવમાં કમિટમેન્ટ ઇન્દિરા ગાંધી માટેનું. વિરોધ પક્ષોની જ્યારે આંખ ખૂલી ત્યારે ઘણું મોડું થઈ ગયું હતું. સર્વોચ્ચ અદાલતની કમર તોડી નાખવામાં આવી હતી અને હવે વિરોધ પક્ષના નેતાઓએ જેલમાં જવાની તૈયારી કરવા સિવાય બીજો કોઈ વિકલ્પ નહોતો.
હવે એમ લાગે છે કે ઇતિહાસનું પુનરાવર્તન થઈ રહ્યું છે. ઇન્દિરા ગાંધીની ભૂમિકામાં નરેન્દ્ર મોદી છે અને મોહન કુમારમંગલમની ભૂમિકામાં અરુણ જેટલી છે. એ જ લક્ષણ અને એ જ ભાષા. ડિટ્ટો. કોઈ ફરક નહીં. એકાધિકારશાહી માણસનું કદાચ આ સ્થાયી લક્ષણ હશે.
ઇન્દિરા ગાંધીના વારાના પહેલા અનુભવનો નિચોડ એ છે કે ના, ચૂંટાયેલા લોકપ્રતિનિધિઓ ચૂંટાયેલા છે એટલે બંધારણથી ઉપરવટ નથી. બંધારણ સર્વોચ્ચ છે અને બંધારણીય સંસ્થાઓ એકસરખું મહત્ત્વ ધરાવે છે, પછી એ સંસદ હોય કે અદાલત. પાંચ વર્ષે પ્રજા સમક્ષ જવું પડતું હોવાથી શાસકો આપોઆપ અંકુશમાં રહેશે અને નહીં રહે તો પ્રજા તેમને દંડશે એવા ભરોસે જો બંધારણકર્તાઓ બેસી રહ્યા હોત તો કૉમ્પ્ટ્રોલર ઍન્ડ ઑડિટર જનરલ, નાણાપંચ, માનવઅધિકાર પંચ, નાણાકીય વ્યય પંચ (એક્સપેન્ડિચર કમિશન), ચૂંટણીપંચ, વહીવટી સુધારાપંચ, કેન્દ્રીય માહિતીપંચ જેવી કેન્દ્ર માટે ૨૭ અને રાજ્યો માટે ૪૬ બંધારણીય સ્વાયત્ત સંસ્થાઓની રચના જ ન કરી હોત. આ સંસ્થાઓમાં બેઠેલા લોકો નિવૃત્તિ પછી ભલે પેન્શન ખાતા હોય, પરંતુ તેમનું કામ શાસકો પર નજર રાખવાનું છે અને એ કામ બંધારણે સોંપેલું છે.
શાસકો ચૂંટાયેલા છે એટલે તેઓ સર્વોપરી નથી બની જતા. અને બાય ધ વે, અરુણ જેટલી તો લોકો દ્વારા ચૂંટાયેલા પણ નથી. લોકસભાની ચૂંટણીમાં તેમનો પરાજય થયો હતો. જો જનતાના અવાજની આટલી બધી કદર ધરાવતા હોત તો તેમણે પ્રધાન નહોતું બનવું જોઈતું.
સૌજન્ય : ‘કારણ-તારણ’ નામક લેખકની કોલમ, “ગુજરાતી મિડ-ડે”, 20 અૉક્ટોબર 2015
http://www.gujaratimidday.com/features/columns/history-revisited-arun-jaitley-is-now-speaking-language-mohan-kumaramangalamani-arun-jaitley-is-now-speaking-language-of-mohan-kumarmangalam