ઘરનો દીવો જ ઘરને ફૂંકી મારે એવું બનતું હોય છે. પાળેલો કૂતરો જ માલિકને કરડે એવું પણ બને છે. સાપને દૂધ પાઈને ઉછેરીએ તો પણ તે ઑકે છે તો ઝેર જ ! બિલકુલ એવું જ કૈં અત્યારે પાકિસ્તાન સાથે થઈ રહ્યું હોવાનું લાગે છે. આજે દુનિયા સુધી જે આતંકી આગ વિસ્તરી છે એનાં મૂળમાં પાકિસ્તાન છે તે વિશ્વ આખું જાણે છે, ભલે પછી પાકિસ્તાન ઢાંકપિછોડો કરતું હોય. પાકિસ્તાને આતંકી સાપ ઉછેર્યો છે તે ભારત, અમેરિકા જેવા દેશોને ડસતો રહે એટલે, પણ હવે એ સાપ પાકિસ્તાનને જ ડસવા લાગ્યો છે ને હાલની કંગાળ અને નાદુરસ્ત સ્થતિમાં પાકિસ્તાનનાં બાવડાંમાં એટલું જોર નથી કે ઘરનાં આતંકીઓને કાબૂ કરી શકે. પાકિસ્તાન ન હોત તો આતંકી છાવણીઓ આટલી વકરી ન હોત, પણ તેણે તો ભારતને રહી રહીને આતંકી હુમલાઓ કરાવીને કનડવું જ હતું. ભારતનું એવું છે કે તે સામેથી હુમલો કરવામાં માનતું નથી, પણ કનડગત અતિશય વધે તો પાઠ ભણાવવામાંથી તે ચૂકતું પણ નથી.
2019માં એવું બન્યું કે જમ્મુ-શ્રીનગર હાઇવે પર પુલવામા નજીક 14 ફેબ્રુઆરીને રોજ ભારતીય સેનાનાં 40 જવાનોને આતંકીઓએ શહીદ કર્યા. મોદી સરકાર માટે ને આખા દેશ માટે એ આઘાતજનક, અપમાનજનક અને શરમજનક હતું. એ પછીને બારમે દિવસે, 26 ફેબ્રુઆરી, 2019 ને રોજ પી.ઓ.કે.ના બાલાકોટમાં ઇન્ડિયન એરફોર્સે એર સ્ટ્રાઈક કરીને આતંકવાદીઓની છાવણીઓ ખતમ કરી નાખી. પી.ઓ.કે.ના બાલાકોટમાં હુમલો કરવાનું કારણ એ કે પુલવામામાં થયેલા હુમલાનું કાવતરું ત્યાં ઘડાયું હતું. આ વાત અત્યારે યાદ કરવાનું કારણ એ છે કે 16 જાન્યુઆરી, 2024ની મધરાતે વધુ એક એર સ્ટ્રાઈક ઇરાને બલૂચિસ્તાનની આતંકી છાવણી પર કરી. એમ કરવાનું કારણ એ કે આતંકી સંગઠન જૈશ-અલ-અદલ 2012થી આતંકી હુમલાઓ કરતું રહેતું હતું ને છેલ્લો હુમલો 15 ડિસેમ્બર, 2023ને રોજ ઇરાનના સિસ્તાનમાં એક પોલીસ સ્ટેશન પર કર્યો, એમાં 12 ઈરાની પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓ માર્યા ગયા. પાકિસ્તાનનાં આતંકી સંગઠનો આમ પણ ભારત, ઈરાન, અફઘાનિસ્તાનમાં સરહદી હુમલાઓ કરતાં જ રહે છે. જતે દિવસે અફઘાનિસ્તાન પણ પાકિસ્તાન પર એર સ્ટ્રાઈક કરે તો નવાઈ નહીં. ઇરાને પાકિસ્તાનને તેનાં આતંકી સંગઠનને કાબૂ કરવા સમજાવ્યાં કર્યું, પણ પાકિસ્તાને કૈં ના કર્યું, એટલે ઇરાને આતંકી હુમલાઓથી વાજ આવી જઈને બલૂચિસ્તાનનાં જૈશ–અલ-અદલનાં બે આતંકી અડ્ડાઓ પર ડ્રોન અને મિસાઇલ્સથી એર સ્ટ્રાઈક કરી. ઇરાનનો દાવો છે કે આ હુમલામાં ઘણા આતંકવાદીઓ માર્યા ગયા છે, પણ પાકિસ્તાન બે બાળકો માર્યાં ગયાં છે ને ત્રણેક ઘાયલ થયા છે – એથી વધારે કૈં કહેતું નથી. શેતાન બાઇબલ ટાંકે તેમ તેણે આ હુમલાને ‘ગેરકાયદેસર કૃત્ય’ કહીને વખોડ્યો છે ને ટંગડી ઊંચી રાખતાં ઇરાનને ગંભીર પરિણામો ભોગવવાની ચેતવણી આપી છે, પણ કબૂલતું નથી કે હાથના કર્યા હૈયે વાગ્યા છે. ઇરાનમાંથી પોતાના રાજદૂતને તેણે પાછા બોલાવી લીધાં છે ને ઈરાની રાજદૂતને ખદેડી મુકાયા છે. આ એ જ આતંકી સંગઠન છે જેણે ઇરાનના ચાહબારથી ભારતીય નાગરિક કુલભૂષણ જાધવનું અપહરણ કર્યું હતું ને તેને પાકિસ્તાની ગુપ્તચર સંસ્થા ISIને હવાલે કરી દીધો હતો. એ પછી પાકિસ્તાને તેને જાસૂસ હોવાનો આરોપ મૂકીને જેલમાં ધકેલી દીધો હતો.
ગમ્મત તો એ છે કે હુમલા પહેલાં તો ઇરાનના વિદેશ મંત્રી દાવોસમાં પાકિસ્તાનના કેરટેકર પી.એમ.ને મળે છે. પણ ગંધ નથી આવતી કે ઈરાન, પાકિસ્તાન પર હુમલો કરવા જઇ રહ્યું છે. બીજી વાત એ કે પાકિસ્તાન અસ્તિત્વમાં આવ્યું તો તેને માન્યતા આપનારો પહેલો દેશ ઈરાન હતો. હવે ઈરાન અને પાકિસ્તાન વચ્ચે સંબંધો વધુ વણસે એમ બને, કારણ પાકિસ્તાનમાં સુન્નીઓ વધારે છે, જ્યારે ઇરાનમાં શિયાઓ વધારે છે. એને કારણે પણ બંને દેશો વચ્ચેનું અંતર વધે એવા સંજોગો ઊભા થયા છે. બન્યું છે એવું કે પાકિસ્તાને ઇરાનમાં બીજી જ રાતે એટલે કે 17 જાન્યુઆરીએ સરવાનના અલગતાવાદી સંગઠનના સાત ઠેકાણે મિસાઇલથી હુમલો કરી વળતો જવાબ આપી દીધો છે. તે ઉપરાંત પાકિસ્તાનમાં રહેલાં આતંકી જૂથે ઇરાનના કર્નલને મારી નાખ્યા હોવાનો દાવો પણ થઈ રહ્યો છે. પાકિસ્તાન દ્વારા હુમલાની કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી, પણ પાકિસ્તાની પત્રકાર સલમાન મસૂદના જણાવ્યા અનુસાર પાકિસ્તાને ઈરાની સરહદમાં પચાસેક કિલોમીટર અંદર ઘૂસીને હુમલાને અંજામ આપ્યો છે. સમાચાર એજન્સી એ.એફ.પી.એ પણ હુમલાની પુષ્ટિ કરી છે.
ઇરાનના વિદેશ મંત્રી અમીર અબ્દુલ્લાહિયાએ પાકિસ્તાનના વિદેશ મંત્રી જલીલ અબ્બાસ જિયાની સાથે ફોન પર વાત કરીને જણાવ્યું કે હુમલો ઈરાનનાં આતંકવાદી સંગઠન પર કરવામાં આવ્યો છે, તો જીલાનીએ કહ્યું કે પાકિસ્તાનને ઇરાનના હુમલાનો જવાબ આપવાનો પૂરો અધિકાર છે. આ મામલે ભારતની પ્રતિક્રિયા આપતા વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે કહ્યું કે આ પાકિસ્તાન અને ઈરાન વચ્ચેનો મામલો છે, તો પણ ભારત માને છે કે આતંકવાદને મામલે કોઈ સમજૂતી હોઈ શકે નહીં. જો કે, અમેરિકાએ ઇરાનની એર સ્ટ્રાઈકને ખોટી ગણાવી છે, તો હવે પાકિસ્તાને વળતો હુમલો કર્યો છે, તો તે અંગે શું કહે છે તે જોવાનું રહે. ડાહી સાસરે ન જાય … તેવા ચીને બંને દેશોને તંગદિલી ન વધારવાની અપીલ કરી છે, તો ઈરાની મીડિયાના અહેવાલ મુજબ ઇરાને સરહદ પર લશ્કરી જમાવટ કરવા માંડી છે ને પાકિસ્તાને તો આતંકીઓને આગળ કરીને વળતો હુમલો કરી જ દીધો છે. જોઈએ, આગળ શું થાય છે તે –
રશિયા-યુક્રેન વચ્ચે લગભગ બે વર્ષથી યુદ્ધ ચાલે છે. ગાઝા પટ્ટીમાં ઈઝરાયેલ અને હમાસ વચ્ચે પણ અથડામણો સો દિવસથી ચાલુ જ છે ને ઈરાન ઇઝરાયેલનાં હુમલાઓથી એટલે પણ નારાજ છે કે તે હમાસને પક્ષે છે ને તે ઇઝરાયેલને ખરાબ રીતે વેઠી રહ્યું છે. ઈરાન એ રીતે પણ નારાજ છે કે સુન્ની ચરમપંથીઓ દ્વારા ઈરાનને ટાર્ગેટ કરાઇ રહ્યું છે. ઇરાને પાકિસ્તાન પર હુમલો કર્યો તે પહેલાં ઈરાક અને સીરિયા પર પણ એ જ કારણે હુમલાઓ કર્યા છે. આ બધું જોતાં મુસ્લિમ રાષ્ટ્રો વચ્ચે એકતા હોવાનો ભ્રમ હતો તે ભાંગી ગયો છે. એમની વચ્ચે પણ શિયા-સુન્ની મુદ્દે એવો તનાવ છે કે એ પણ એકબીજા સાથે સંઘર્ષમાં ઊતરી શકે છે ને પાકિસ્તાનને સંબંધ છે ત્યાં સુધી તે આતંકવાદી ગતિવિધિથી એવું વગોવાયું છે કે મુસ્લિમ રાષ્ટ્રો જ તેને પતાવી દે તો આશ્ચર્ય ન થાય. અમેરિકાએ એબોટાબાદમાં ઘૂસીને ઓસામા બિન લાદેનને પતાવી દીધેલો તે પણ આ તબક્કે યાદ કરવા જેવું એટલે છે કે આતંકી ગતિવિધિઓ દ્વારા પાકિસ્તાને અમેરિકા, ભારત ઉપરાંત મુસ્લિમ રાષ્ટ્રોની ખફગી બરાબરની વહોરી છે. પાકિસ્તાન આર્થિક રીતે પણ પાયમાલ થઈ ગયું છે, પણ તે આપવડાઈમાંથી હાથ નથી કાઢતું. એમાં તેની જ નિર્દોષ પ્રજા આતંકી ફડકમાં જીવે છે ને લઘુમતી સાથેનો તેનો વર્તાવ પૂરેપૂરો શરમજનક છે. તેનો મિથ્યાભિમાની સ્વભાવ જ તેને અંત તરફ લઈ જાય એમ બને.
આમ જોઈએ તો આખું વિશ્વ કોઈને કોઈ પ્રકારના હિંસક વિચાર કે સંઘર્ષમાં રોકાયેલું જણાય છે. સામાન્ય માણસ પણ કોઈને કોઈ પ્રકારના ભય હેઠળ જીવી રહ્યો છે ને અનેક પ્રકારનાં આક્રમણો ને ચિંતાથી એ ઘેરાયેલો છે. હવે યુદ્ધમાં નાગરિકોનો પણ ભોગ લેવાય છે, એટલે સલામતી ક્યાં ય બહુ બચી નથી. આખું વિશ્વ ઉન્માદ અને અવસાદનો ભોગ થઈ પડ્યું છે ને શાંતિ આઉટડેટેડ થઈ ગઈ હોય તેમ ભવિષ્યમાં જડે એમ નથી ને ભૂતકાળમાંથી આજમાં લાવી શકાય એમ નથી. કેમ આપણને શાંતિ ખપતી નહીં હોય તે સમજાતું નથી. હવેનો વિકાસ ટેકનોલોજી બતાવશે, પણ તેને કટ ટુ સાઇઝ યુદ્ધ કરશે, એવું ખરું? શાંતિ પણ આપણે યુદ્ધથી સ્થાપવા મથી રહ્યા છીએ એ કેવી મોટી વિડંબના છે !
000
e.mail : ravindra21111946@gmail.com
પ્રગટ : ‘આજકાલ’ નામક લેખકની કટાર, “ધબકાર”, 19 જાન્યુઆરી 2024