આજે સવારમાં જ ફેસબૂક પર પાલણપુરના હિદાયતભાઈએ ઇન્દુકુમાર જાનીએ તેમની પુણ્યતિથિએ યાદ કર્યા. એ પોસ્ટ જોતાં મન ભરાઈ આવ્યું. મનમાં ઇન્દુભાઈની યાદો ઊભરાઈ આવી.
કેટલી બધી યાદો ! 1996-97માં હું ગુજરાતી સામયિકોમાં લખતો થયો તેમાં ઇન્દુભાઈનો પણ મોટો ફાળો. ‘ભાઈ, તમે ઘણી મહેનત કરો છો, સારું લખો છો, લખતા રહો!’ – ઇન્દુભાઈએ આપેલી એવી શાબાશી મારા માટે, કદાચ તે મેળવનારા કોઈ પણ માટે, મહત્ત્વની હતી.
મરાઠી સામયિકોની ગુણવત્તા તે જાણતા, એટલે તેમાંથી કરેલાં મારા અનુવાદ ‘નયા માર્ગ’માં હોંશથી છાપતા. બે-ત્રણ વાર તેમના સંપર્કમાં રહેલા જાણકાર મરાઠી વાચકોએ મોકલેલા મરાઠી છાપાંનાં કતરણો પણ તેમણે અનુવાદ માટેની વિનંતીસૂચક ચિઠ્ઠી સાથે મને ટપાલમાં મોકલી હતી. પુસ્તકો-નોંધો માટે પુસ્તકો પણ ઘરે મોકલતા. મને તેમની ઑફિસે કે ઘરે ધક્કો ન ખાવો પડે તેનું ધ્યાન રાખતા.
‘નયા માર્ગ’ અને ‘નિરીક્ષક’ની સાથે મારી લાગણીઓ, મારા વિચારોનો તાર બરાબર મળી ગયો હતો. એમણે લેખ ન છાપ્યો હોય તેવું ક્યારે ય બન્યું નથી. બે લેખો તો એમની માન્યતાથી જુદા વિષયો પરના હતા તો પણ એમણે છાપ્યા હતા.
ડૉ. પ્રકાશ આમટેના આત્મકથાત્મક પુસ્તકનો અનુવાદ 2014માં આવ્યો પણ આમટે દંપતીના કામ વિશે મને પહેલવહેલી વાર માર્ચ 1999 ‘મહારાષ્ટ્ર ટાઇમ્સ’ના એક લેખમાંથી જાણવા મળ્યું. તે લેખનો મેં સત્વરે કરેલો અનુવાદ ઇન્દુભાઈએ 1 એપ્રિલના ‘નયા માર્ગ’ ખૂબ ખુશીથી છાપ્યો.
ત્યાર બાદ બાબા આમટે, પુ.લ. દેશપાંડે, મેધાતાઈ પાટકર જેવાં પરના મરાઠી લેખો પરના મારા લેખો એ પ્રસિદ્ધ કરતાં જ રહ્યા. અંગ્રેજી સાપ્તાહિક ‘ધ વીક’ના એક વિશેષાંક પર આધારિત લેખોની ‘ભરોસાપાત્ર ભેખધારીઓ’ નામની આખી લેખમાળા તેમણે છાપી હતી.
દિલીપ રાણપુરાના ‘શિક્ષક-કથાઓ’ પુસ્તક પરનો મારો લેખ ઘણો લાંબો થઈ ગયો. એટલે મને મોકલતા સંકોચ થતો હતો. તે ‘નયા માર્ગ’માં બે ભાગમાં આવ્યો.
આદિવાસીઓનું શોષણ, ઝૂંપડપટ્ટી, વિસ્થાપન, વંચિત બાળકો જેવું જ્યારે ક્યારે વાંચવા મળે ત્યારે થાય લાવ ને ઇન્દુભાઈને મોકલું ! ‘તમારું કશું મૂકી નથી રાખતો. લઈ જ લઉં છું’ – આવા તેમના એક વખતના શબ્દો મને હંમેશાં યાદ રહેશે.
અલબત્ત, ખૂબ લાગણીશીલ ઇન્દુભાઈની અપેક્ષાએ હું પાર ન ઊતર્યો હોઉં, મેં ‘નયા માર્ગ’ માટે મારે લખવું જોઈએ એટલું મેં ન લખ્યું એવું ય મને થયા કરે છે.
વર્ષમાં ત્રણ-ચાર વાર લેખ આપવા નિમિત્તે કે સાલ મુબારક અવસરે એમના ઘરે મળવાનું થતું, ત્યારે રંજનબહેન આઇસક્રીમ અચૂક ખવડાવતા. અનૂજ અને તેના મમી-પપ્પા ત્રણેય ખૂબ પ્રેમથી વાત કરતાં. તે સમયની તેમની આત્મીયતાની યાદ આજે અત્યારે પણ આંખ ભીની કરી જાય છે.
વર્ષો વીતતાં સમજાતું ગયું કે એક પાક્ષિક માટે, એક રાજ્યના પીડિતો-વંચિતો માટે વર્ષો લગી ગુજરાત ખૂંદનારા કેવી ઊંચાઈના કર્મશીલને હું મળતો હતો, અને એ કેટલા સહજ હતા.
મારા પિતાજીના અવસાન પર તે ઘરે મળવા આવ્યા હતા, કોવિડના પહેલાં મોજા દરમિયાન થયેલા મમ્મીના અવસાન પર પત્ર અને ફોન પર સાંત્વના આપી હતી.
એક વખત મારી મોટી માંદગીમાં ઘરે ખબર કાઢવા આવ્યા હતા. એક વખત વરસતા વરસાદે ઇન્દુભાઈ, ચંદુભાઈ મહેરિયા, અને હું ઇન્દુભાઈની ગાડીમાં, અય્યૂબભાઈના ડ્રાઇવિંગ હેઠળ માર્ટીનભાઈ મૅકવાન, હિરેનભાઈ ગાંધી અને નીરવ પટેલના ખબર કાઢવા ગયા હતા. તે વખતે પણ ઇન્દુભાઈના હૈયાની કુમાશ મેં જોઈ હતી. આખો મોટો સંસ્મરણ લેખ લખી શકાય તેટલી યાદો; સંપાદકનું, સ્નેહીનું ઋણ.
છેલ્લાં પાંચ-સાત વર્ષમાં ઇન્દુભાઈએ શારીરિક પીડા ખૂબ વેઠી. ફોન પર કે રૂબરૂ મળીએ ત્યારે વાત ન કરે, મિત્રો પાસેથી જાણવા મળે. મને એમ થાય કે એક માણસ અને તેના પત્નીને ભાગે કેટલી પીડા ભોગવવાની આવે !
ઇન્દુભાઈ ગયા તે દિવસો કારમા હતા. તેમને અને પરિવારને બહુ આકરા પડ્યા. સાથીઓ અને હિતચિંતકોએ મહેનત પણ કરી.
એક પછી એક માણસો એકલા-અટૂલા છેલ્લી મુસાફરીએ ચાલ્યા જતા. ખબર કાઢવા, પરિવારને દિલાસો આપવા ય ન જવાય. મહિનાઓ દિવસો સુન્ન થઈ જવાયું હતું, મનમાં ને મનમાં વલવલતા રહેવાનું, ન વંચાય, ન લખાય.
સારું થયું ડંકેશ ઓઝાએ એમના પર પુસ્તક લખ્યું. તેના ઉદ્દઘાટન કાર્યક્રમ દરમિયાન, આખી જિંદગી ઇન્દુભાઈને પડખે ઊભા રહેનારાં રંજનબહેને તેમના મથામણ-મધુર દામ્પત્ય જીવનને શોભે તેવી સ્વસ્થતા જાળવી હતી, એ અઘરું હશે. આખો પરિવાર તેમની સાથે હતો. મને ઘણી વાર ડૂમો ભરાઈ આવતો હતો .. કાર્યક્રમ બાદ ભોજન પણ હતું. હું નહોતો જોડાઈ શક્યો.
ઇન્દુભાઈને પંચોતેર વર્ષ થયાં તે અવસરે તેમનો અભિવાદન કરવાનું મિત્રોએ વિચાર્યું હતું. તેમણે ધરાર ના પાડી. તેના વિકલ્પે મિત્રોના આગ્રહથી તેમણે પોતાની જિંદગીની વાત લોકો સુધી પહોંચાડવા માટે ‘ખેતવિકાસ પરિષદના નાના સભાગૃહમાં ત્રણ દિવસ વ્યાખ્યાનો આપ્યાં.
અભિવાદનનો પ્રસ્તાવ લઈને મળવા જનારા ચાહકોને તેમણે એમનો પ્રિય શબ્દપ્રયોગ વાપરીને કહ્યું હતું : ‘જે કંઈ કર્યું એ મારી મરજી, પસંદગીથી કર્યું હતું. કોઈની પર અહેસાન કરવા માટે નહીં. મને કંઈ લોકો કંકુ-ચોખા મૂકવા નહોતા આવ્યા.’
ઇન્દુભાઈ, તમને વિનમ્ર સ્મૃતિ-વંદના !
e.mail : sanjaysbhave@yahoo.com
સૌજન્ય : સંજયભાઈ ભાવેની ફેઇસબૂક દીવાલેથી સાદર