બાવીસ માર્ચ ૧૯૭૭ના દિવસે દમનકારી કટોકટીનો અંત આવ્યો હતો
બાવીસ માર્ચ આઝાદ ભારતના ઇતિહાસમાં યાદગાર દિવસ છે. એટલા માટે કે આપણા લોકશાહી દેશ પર સરમુખત્યારશાહી રીતે લાદવામાં આવેલી કટોકટીનો ૧૯૭૭ના આ દિવસે અંત આવ્યો હતો.
વડાં પ્રધાન ઇન્દિરા ગાંધીએ ૨૫ જૂન ૧૯૭૫ના રોજ કટોકટી લાદી. બંધારણની કલમ ૩૫૨ અન્વયે લેવામાં આવેલાં આ પગલાં મુજબ નાગરિકના મૂળભૂત અધિકારો અને વ્યક્તિસ્વાતંત્ર્ય મોકૂફ બની ગયાં. વડાં પ્રધાને દેશની એકતા માટે જોખમકારક કોમી ઉશ્કેરણી અને વડાં પ્રધાનનાં પદ સામે ઘાતક રાજકીય પ્રયાસો ચાલી રહ્યાં હોવાને બહાને કટોકટી જાહેર કરી. અલબત્ત હકીકતો અલગ હતી. શ્રીમતી ગાંધી માર્ચ ૧૯૭૧માં રાયબરેલીથી જે ચૂંટણી લડ્યાં હતાં, તેને જૂન ૧૯૭૫માં અલ્લાહબાદની અદાલતે ચૂંટણીના કામમાં સરકારી કર્મચારીની મદદ લેવા સબબ રદ કરાવી હતી. તદુપરાંત જયપ્રકાશ નારાયણનું સંપૂર્ણ ક્રાન્તિ આંદોલન જોર પકડી રહ્યું હતું, જેમાંથી બિનકૉન્ગ્રેસી પક્ષોને બળ મળી રહ્યું હતું. વળી, ગુજરાતમાં બિનકૉન્ગ્રેસી જનતા મોરચાની સરકાર રચાઈ હતી. આ પરિબળો વડાં પ્રધાનના વ્યક્તિગત સત્તાવાદ અને મનસ્વી શાસનમાં અવરોધરૂપ હતાં.
કટોકટીને કારણે લોકશાહી પર જોખમ આવ્યું એટલે નાગરિક સ્વાતંત્ર્યના પ્રહરીઓએ આખા દેશમાં તેનો વિરોધ કર્યો. તેમાં ગુજરાત મોખરે હતું. લોકસભાના ચૂંટાયેલા સભ્ય પુરુષોત્તમ માવળંકર (૧૯૨૮-૨૦૦૨) અને રાજ્યસભાના નિયુક્ત સભ્ય ઉમાશંકર જોશી(૧૯૧૧-૮૮)એ પોતપોતાનાં ગૃહમાં કટોકટી વિરુદ્ધ પ્રખર વક્તવ્યો આપ્યાં. માવળંકર સાહેબે કટોકટી સામે સંસદમાં કરેલાં અંગ્રેજી ભાષણોનું ગુજરાતી પુસ્તક ‘ભગવાન માફ નહીં કરે’ (૧૯૭૯) નામે પ્રસિદ્ધ થયું છે. તદુપરાંત જાહેર જીવનનાં અનેક અગ્રણીઓ, બૌદ્ધિકો તેમ જ નિસબત ધરાવતાં નાગરિકોએ વ્યક્તિગત અને સામૂહિક રીતે અવાજ ઊઠાવ્યો હતો.
ગુજરાતનાં વિચારપત્રો કહેતાં ગંભીર ચોપાનિયાં અથવા લિટલ મૅગેઝિનોનો અવાજ બુલંદ હતો. સામયિકો માટે ગાળિયો પ્રિસેન્સરશીપનો હતો. પ્રિસેન્સરશીપ એટલે સરકારી નિયામકની મંજૂરી વિના લખાણ છાપી ન શકાય એવો કાયદો. ‘વાંધાજનક’ લખાણ પ્રગટ ન કરી શકાય, અને ‘વાંધાજનક’ શું તે સરકાર પોતે નક્કી કરે. પ્રેસ કાઉન્સિલ રદ કરી નાખવામાં આવી હતી. સંસદ અને વિધાનસભામાં શું બોલાય છે તે પ્રગટ કરવાની આઝાદી પર પાબંદી આવી. વર્તમાનપત્રોનાં મોંએ ડૂચા લાગી ગયા. ઉમાશંકરે તેમના ‘સંસ્કૃિત’ માસિક(૧૯૪૭-૧૯૮૪)ના જૂન ૧૯૭૫ના અંકનું પહેલું પાનું કટોકટીના મથાળા સાથે કોરું રાખ્યું હતું અને બીજા પાને એક કાવ્ય મૂકીને પ્રકાશન બંધ કરવાની જાહેરાત કરી. ત્યાર પછી બાવીસમી જુલાઈ ૧૯૭૫માં આ લોકધર્મી સારસ્વતે રાજયસભાના કટોકટીસત્રમાં તેજસ્વી પ્રવચન કર્યું. તેમણે કહ્યું: ‘ભારતમાં ક્યારે ય પ્રિ-સેન્સરશીપ ઠોકી બેસાડવામાં નથી આવી, અંગ્રેજોના જમાનામાં પણ નહીં. પણ આપણે સત્યથી બીએ છીએ. દેશ આખાને આવરી લેતો ભય આતંકનો આ કાળમુખો પડછાયો આવે છે ક્યાંથી ? …’ ચોથી ફેબ્રુઆરી ૧૯૭૬ના દિવસે રાજ્યસભામાંના છેલ્લા પ્રવચનમાં તેમણે ‘કટોકટી અંગેના સામૂહિક આનંદગાન’ની ટીકા કરી. વળી સેન્સરશીપની જાળ વિસ્તારતા અને સર્જકતા સાથે સંકળાયેલા તમામને તેમાં આવરી લેતા ખરડાનો પણ તેમણે દાખલા દલીલો સાથે વિરોધ કર્યો.
ઉમાશંકર પાક્ષિક વિચારપત્ર ‘નિરીક્ષક’ના તંત્રીમંડળમાં તેના પ્રારંભથી જ હતા. મનહર મોદીના તંત્રીપદે ચાલતાં ‘નિરીક્ષકે’ પણ સેન્સર પાસે જવાનો ઇન્કાર કર્યો. પરિણામે ‘નિરીક્ષક’ બંધ કરવું પડ્યું. એની પાસે પોતાનું પ્રેસ ન હતું. થોડા સમય પછી ‘ડાયનૅમિક પ્રેસે’ તેને છાપવાની હિંમત દાખવી. સરકારી નોટિસો આવતી ગઈ એને ન ગણકારી. છેવટે જુલાઈના અંકમાં ઉમાશંકરના અગ્રલેખ ‘બંધારણ સુધારા લોકમત વગર ?’ માટે સખત નોટિસ બજાવવામાં આવી. એ અંક જપ્ત કરવામાં આવ્યો. ‘નિરીક્ષક’ બીજી વાર બંધ થયું. તે પછી તેનું રજિસ્ટ્રેશન પણ બંધ થયું. પહેલી મે ૧૯૭૭ના રોજ એ ફરીથી શરૂ થયું. આ બધાંમાં પ્રેસ, લેખકો, તંત્રી એમ બધાએ જોખમ ઊઠાવીને ‘પ્રજા હૃદયનો ધબકાર પ્રગટ કરવાનું’ ચાલુ રાખ્યું હતું.
કટોકટીનો વિરોધ કરતી સામગ્રી મોટા પાયે પ્રસિદ્ધ કરવામાં ચુનીભાઈ વૈદ્ય (૧૯૧૭-૨૦૧૪) અને કાન્તિભાઈ શાહ(૧૯૩૩-૧૯૧૨)ના તંત્રી પદે ચાલતું સર્વોદય વિચારધારાને વરેલું ‘ભૂમિપુત્ર’ પાક્ષિક પણ મોખરે હતું. તેના પ્રેસને સરકારે ત્રણ વાર સીલ કર્યું. સેન્સર અધિકારીએ નારાયણ દેસાઈનો એક લેખ છાપવા બદલ પ્રકાશક પાસે એક હજાર રૂપિયાની સિક્યુરિટી માગી. એ બે વાચક-ચાહકોએ ભરી દીધી. છાપકામની વ્યવસ્થા માટે અખબારી સ્વાતંત્ર્યના ચાહકોએ હજારો રૂપિયાનો લોકફાળો થયો. સરકારે કરેલા કેસમાં વડી અદાલતનો ચૂકાદો ‘ભૂમિપુત્ર’ની તરફેણમાં આવ્યો. એ જ દિવસે સાંજે સરકારે ખેલ પાડીને ચુનીભાઈ વૈદ્ય અને કેસ લડનાર માનવ અધિકારવાદી ધારાશાસ્ત્રી ચન્દ્રકાન્ત દરૂ (૧૯૧૬-૧૯૭૯) બંનેને ‘મીસા’ કહેતાં મેઇન્ટેનન્સ ઑફ ઇન્ટર્નલ સિક્યુરિટી અૅક્ટ હેઠળ જેલમાં પૂરી દીધા.
ગુજરાતના લોકોત્તર વાચન પ્રસારક મહેન્દ્ર મેઘાણી ‘મિલાપ’ નામનું અનોખું સંકલન સામયિક બહાર પાડતા હતા. પહેલા પ્રજાસત્તાક દિને શરૂ થયેલા આ માસિકનો હેતુ હતો: ‘ચોપાસની દુનિયા વિશેનું જ્ઞાન વધારનારું, સામાન્ય સમજના વાચકને રુચે, સરળ લાગે અને ઉપયોગી નીવડે તેવું વાચન પૂરું પાડવું.’ ડિસેમ્બર ૧૯૭૮માં ‘મિલાપ’ ‘ખાસ કોઈ કારણ’ વિના બંધ થયું. કટોકટી લદાઈ ત્યારે ‘મિલાપ’ તેની વિરુદ્ધ ન હતું. પણ સંપાદકે તેના એક વર્ષ પછીના અંકમાં જયપ્રકાશ નારાયણનું કટોકટી વિરોધી લખાણ છાપ્યું. તેને પરિણામે તેની પર તવાઈ આવી. તંત્રી પર ખટલો ચાલ્યો, પ્રેસ અને અંકો પર જપ્તી આવી, નવ મહિના સુધી અંકો ન આપી શકાયા.
હિન્દુત્વવાદી ઝુકાવ ધરાવતા ‘રાષ્ટ્રીયતાના ઉદઘોષક’ એવા ‘સાધના’ સાપ્તાહિકે કટોકટીના કરેલા વિરોધની વિગતો વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કટોકટી સામેની લડતનું આલેખન કરવા માટે લખેલા ‘સંઘર્ષમાં ગુજરાત’(૧૯૭૮) પુસ્તકમાં મળે છે. મોદી લખે છે: ‘…. ‘સાધના’નો સંઘર્ષ તો બે મોરચાનો હતો. સરકારના કાનૂન ‘સાધના’ને સાણસામાં ફસાવવા મથતા હતા. બીજી તરફ ‘સાધના’ સાથે દંડાશાહીનું વલણ પણ અખત્યાર કરવામાં આવ્યું.’ સાપ્તાહિકની કાનૂની જીત, ‘લોકશાહી વિશેષાંક’, ’રાજદ્રોહી લખાણોથી ભરપૂર સામગ્રી’, તંત્રી વિષ્ણુ પંડ્યાની ધરપકડ, પ્રેસ પર ઊતરી પડેલાં સરકારી ધાડાં જેવી અનેક બાબતો લેખકે નોંધી છે. પ્રકરણને અંતે તે લખે છે : ‘નાનકડા ‘સાધના’એ પરિવર્તનના ઇતિહાસમાં મુક્ત શબ્દના સંઘર્ષની અમીટ પ્રેરણા મૂકી દીધી !!’ મોદીના પુસ્તકમાં કટોકટી સામે લડનારા નાનાં અખબારો અને સંખ્યાબંધ કાર્યકરોનો, કૉલમિસ્ટો અને સાહિત્યકારોનાં પ્રતીકાત્મક જેશ્ચર્સનો યથોચિત ઉલ્લેખ છે. પણ એમાં ઉમાશંકરની ભૂમિકાની છણાવટ સહિત કેટલીક બાબતોનું ઠીક બાકાતીકરણ પણ જોવા મળે છે. એ પણ નોંધવું જોઈએ કે વિષ્ણુ પંડ્યાનું ‘મીસાવાસ્યમ’ (૧૯૭૯) પુસ્તક કટોકટી સામેની લડતને પ્રથમ વ્યક્તિ એકવચન પદ્ધતિએ આલેખે છે.
અત્યારે આપણા દેશમાં બંધારણીય કટોકટી નથી. ગુજરાતમાં લોકહિતના અને વિરોધના અવાજને ગળે જુદી જુદી રીતે ટૂંપો દેવાય છે. જેમ કે હમણાં સોમવારે ગાંધીનગરમાં ‘ખેડૂત સમાજ’ના નેજા હેઠળ ધરણાં પર કરનાર ખેડૂતોની અટકાયત કરવામાં આવી. કટોકટી જેવા મહોલના આવા અણસાર મળતા રહે છે. કટોકટી સામેના સંઘર્ષ વિશે વિચારતાં ‘જાહેર જીવનના કવિ’ ઉમાશંકરની – આપણા મોટા ભાગના સાહિત્યકારોથી ભૂલાઈ ગયેલી – પંક્તિ યાદ આવે છે : ‘કાલે હતો તે તડકો ક્યાં છે ?’
++++++
૧૫ માર્ચ ૨૦૧૮
સૌજન્ય : ’ક્ષિતિજ’ નામક લેખકની સાપ્તાહિક કોલમ, “નવગુજરાત સમય”, 16 માર્ચ 2018