આ વરસનો શાંતિ માટેનો નોબેલ પુરસ્કાર ઇન્ટરનૅશનલ કૅમ્પેન ટુ અબૉલિશ ન્યુિક્લયર વેપન્સ (જે ટૂંકાક્ષરમાં ICAN એટલે કે આઇ-કૅન તરીકે વધારે પ્રસિદ્ધ છે)
નોબેલ પ્રાઇઝ કમિટી માત્ર વ્યક્તિઓને ઇનામો આપીને પુરસ્કૃત કરે છે એવું નથી. એ કેટલીક વાર સંસ્થાઓને પણ ઇનામ આપે છે અને આ વરસનો શાંતિ માટેનો નોબેલ પુરસ્કાર ઇન્ટરનૅશનલ કૅમ્પેન ટુ અબૉલિશ ન્યુિક્લયર વેપન્સ (જે ટૂંકાક્ષરમાં ICAN એટલે કે આઇ-કૅન તરીકે વધારે પ્રસિદ્ધ છે) નામની સંસ્થાને આપવામાં આવ્યો છે. આ સંસ્થા અણુહથિયાર તરફ દોરી જતા તમામ પ્રકારના અણુકાર્યક્રમોને સમાપ્ત કરી દેવામાં આવે એ માટે કામ કરે છે. જુલાઈ મહિનામાં યુનોમાં ટ્રીટી ઑન ધ પ્રોહિબિશન ઑફ ન્યુિક્લયર વેપન્સ નામની જાગતિક સંધિ થઈ એમાં આઇ-કૅનનો મોટો ફાળો હતો. એ સંધિને ૧૨૨ મત મળ્યા હતા. ખાસ નોંધવા જેવી બાબત એ છે કે ભારત સહિત અણુશસ્ત્રો ધરાવતા ૬૯ દેશોએ અને નાટોના સભ્યદેશોએ મત ન આપીને ટ્રીટીનો વિરોધ કર્યો હતો. વિરુદ્ધ મત આપીને વિરોધ કરવો એમાં પ્રામાણિકતા છે, મત ન આપીને વિરોધ કરવો એ ઢોંગ છે.
ઢોંગ રાજકારણનો સ્થાયીભાવ છે અને જાગતિક રાજકારણમાં તો એ વિશેષ સ્થાયી છે. એમાં પણ જ્યારે શાંતિ, પર્યાવરણ, ઇકૉલૉજી, માનવઅધિકારો જેવા માનવતાના પ્રશ્નોની વાત આવે ત્યારે તો ઢોંગની ચરમસીમા જોવા મળે છે. એકથી એક દેશના વડાઓ એવી વાતો કરે કે જાણે સ્વર્ગમાંથી દેવદૂતો ઊતરી આવ્યા હોય અને સાંભળનાર તો એટલો ઘેલો થઈ જાય કે તેને સ્વર્ગ વેંત છેટું દેખાવા લાગે. યુનો ઢોંગનો સૌથી મોટો મંચ છે. છેક ૧૯૪૬માં, એટલે કે ૭૦ વરસ પહેલાં યુનોએ જગતને અણુમુક્ત કરવાનું સપનું જોયું હતું. જપાનના હિરોશિમા અને નાગાસાકી પર અણુબૉમ્બ ઝીંકવામાં આવ્યા હતા અને એ સાથે બીજા વિશ્વયુદ્ધનો અંત આવ્યો હતો. હવે પછી ત્રીજું વિશ્વયુદ્ધ ન થાય એ માટે યુનોની સ્થાપના કરવામાં આવી હતી. દેખાવ એવો કરવામાં આવ્યો હતો કે જેમ ક્લાસરૂમમાં મૉનિટર શાંતિ જાળવવાનું કામ કરતો હોય એમ યુનો જગતમાં શાંતિ જાળવવાનું કામ કરશે. હમણાં કહ્યું એમ ૧૯૪૬માં અણુમુક્ત જગતનો ઑબ્જેિક્ટવ રેઝોલ્યુશન પણ પસાર કરવામાં આવ્યો હતો.
૭૧ વરસે આઇ-કૅન નામની સંસ્થાના અથાગ પ્રયત્નોના કારણે યુનોમાં ટ્રીટી ઑન ધ પ્રોહિબિશન ઑફ ન્યુિક્લયર વેપન્સની સંધિ મંજૂર તો થઈ છે, પરંતુ વ્યવહારમાં એનો કોઈ અર્થ નથી. ૧૨૨ દેશોમાંથી એકમાત્ર સાઉથ આફ્રિકાને છોડીને બીજા દેશોને અણુકાર્યક્રમ સાથે કોઈ લેવાદેવા નથી. સાઉથ આફ્રિકા અણુશસ્ત્રો બનાવવાની ક્ષમતા ધરાવતું હોવા છતાં સામેથી તેણે એને સંકેલી લીધો છે. જે દેશો અણુકાર્યક્રમો હાથ ધરે છે અને અણુશસ્ત્રો ધરાવે છે એ તમામ ૬૯ દેશોએ મોં ફેરવી લીધું છે. રશિયા અને ચીને તો બોલીને એનો વિરોધ કર્યો હતો. આ દેશો જ્યાં સુધી સંધિનો સ્વીકાર નહીં કરે ત્યાં સુધી એનો કોઈ અર્થ નથી.
એક સવાલ હંમેશાં પૂછવામાં આવે છે. લીગ ઑફ નેશન્સના હોવા છતાં પહેલા અને બીજા વિશ્વયુદ્ધ વચ્ચે માત્ર બે દાયકાનું અંતર હતું અને અત્યારે બીજું વિશ્વયુદ્ધ પૂરું થયે ૭૨ વરસ વીતી ગયાં હોવા છતાં ત્રીજા વિશ્વયુદ્ધના ભણકારા પણ વાગતા નથી તો એના શ્રેયનો અધિકારી કોણ? યુનો? શું યુનો લીગ ઑફ નેશન્સ કરતાં વધારે શક્તિશાળી અને અસરકારક છે? થિયરી ઑફ ડેટરન્ટ(બળાબળ)માં માનનારાઓ કહે છે કે એવું નથી. યુનો એટલી જ નિર્બળ સંસ્થા છે જેટલી લીગ ઑફ નેશન્સ હતી. ત્રીજું વિશ્વયુદ્ધ ન થવાનું કારણ બે બળિયાની એકસરખી સંહારકક્ષમતા છે. નાનકડું નૉર્થ કોરિયા જપાન અને અમેરિકાને ડરાવીને અંકુશમાં રાખી શકે છે અને ભારતની સરખામણીમાં ચોથા ભાગનું કદ ધરાવતું પાકિસ્તાન ભારતને ડરાવીને અંકુશમાં રાખે છે. તને ખતમ કરવા માટે માત્ર એક જ બૉમ્બની જરૂર છે અને એ મારી પાસે છે. બાકીની બધી જ તાકાત ગૌણ છે. સમાનતા સંહારકતાની છે અને એ નિર્ણાયક છે.
ખુલ્લંખુલ્લા સંહારક ક્ષમતાની સમાનતાની વકીલાત કરવામાં આવે છે જેનું નામ થિયરી ઑફ ડેટરન્ટ છે. વિવેક નહીં, ભય. જાગતિક રાજકારણમાં ડારો નિર્ણાયક હોય છે. આ લોકો અણુશસ્ત્રો છોડવા માગતા નથી. એક દલીલ કરવામાં આવે છે કે જો બધા જ દેશો અણુશસ્ત્રોનો નાશ કરે તો ભય કોનો રહેશે? ચાલો, બધા સંપીને અણુશસ્ત્રોનો નાશ કરીએ. આની સામે સંહારક સમાનતાની વકીલાત કરનારાઓ કહે છે કે ના, એમાં તો પાછી જૂની પરંપરાગત સંહારકક્ષમતાની અસમાનતા આવશે અને અસમાનતા યુદ્ધો નોતરશે. દુશ્મનનંુ ગમે એટલું મોટું કદ હોય અને ગમે એટલી તાકાત હોય, મારો એક બૉમ્બ એને ખતમ કરવા માટે બસ છે એમાં જે શાંતિની ગૅરન્ટી છે એટલી ન્યુિક્લયર-ફ્રી વર્લ્ડમાં નથી.
આની સામે આઇ-કૅન અને બીજાં શાંતિવાદી જૂથો તેમ જ વ્યક્તિઓ દલીલ કરે છે કે કોણ એવી ખાતરી આપી શકશે કે ક્યારે ય અણુઅકસ્માત નહીં થાય? કોણ એવી ખાતરી આપી શકશે કે અણુશસ્ત્રો આતંકવાદીઓના હાથમાં નહીં જાય? કોણ એવી ખાતરી આપી શકે કે જગતના કોઈ એક દેશમાં કે દેશોમાં ગાંડા શાસકો નહીં આવે? ઈદી અમીનથી લઈને કિમ જૉન્ગ ઉન જેવા ગાંડાઓ આપણી નજર સામે આવ્યા છે. અણુશસ્ત્રો ધરાવનારા ૬૯ દેશોમાં પણ ગાંડાઓ શાસક તરીકે આવી શકે છે. સામૂહિક મોતનો સામાન ઘરમાં રાખીને કોઈ એમ કહેતું હોય કે આ તો શાંતિની ગૅરન્ટી આપનારી સંહારક સમાનતા છે તો એ વાહિયાત દલીલ છે.
આ બે દલીલોની વચ્ચે અણુશસ્ત્રો ધરાવનારા કે અણુશસ્ત્રો બનાવવાની ક્ષમતા ધરાવનારા ૬૯ દેશો અટવાયેલા છે. ત્યાંના શાસકોને અને પ્રજાને સુધ્ધાં સમજાતું નથી કે ડારાની થિયરી પડતી મૂકવી કે જાળવી રાખવી? અણુબૉમ્બને કારણે પાકિસ્તાન સામે ભારત સુરક્ષિત છે એવું આપણને લાગે છે એટલે આપણે અણુબૉમ્બના મોહમાં છીએ. બીજી બાજુ શાંતિવાદીઓ જે ત્રણ ભય બતાવે છે એનો તો કોઈ ઇનકાર ન કરી શકે. એટલે તેઓ શાંતિવાદીઓને પુરસ્કારે છે અને અણુશસ્ત્રો પકડી પણ રાખે છે. આઇ-કૅનને આપવામાં આવેલા શાંતિ માટેના નોબેલ પુરસ્કારની પાછળ બન્ને ભાવના છે. ઢોંગ પણ છે અને મૂંઝવણ પણ છે. સુરક્ષા ગુમાવવી પણ નથી અને સુરક્ષાની ખાતરી પણ નથી. માનવસમાજે હજી ઘણી લાંબી મજલ કાપવાની છે.
સૌજન્ય : ‘કારણ-તારણ’ નામક લેખકની કોલમ, “ગુજરાતી મિડ-ડે”, 13 અૉક્ટોબર 2017