આંબેડકરે કરેલી વાતો, લોહિયાના સપ્ત ક્રાન્તિ દર્શન કે જયપ્રકાશના સંપૂર્ણ ક્રાન્તિ આંદોલનથી તત્ત્વત: જુદી નથી
વિક્રમના નવા વરસના ઉંબર અઠવાડિયે આ લખી રહ્યો છું ત્યારે માર્ચ 2002 પછી ચૂંટણી જાહેરાતની અભદ્ર અધીરાઈ અને 2017માં ચૂંટણીના સમયપત્રકની જાહેરાત બાબતે કંઈક ગભરાતી ખચકાતી સરકાર અને સત્તાપક્ષ, બેઉની સહોપસ્થિતિ કેમ જાણે કશુંક સૂચવવા કરે છે. 2004થી મે 2014 સુધી તો જાણે કે નઠારી કેન્દ્ર સરકારને માથે ટોપલો ઓઢાડી શકાતો હતો, પણ હવે તો એવી સગવડ પણ નથી એટલે ‘અચ્છે દિન’ બાબત જવાબ આપવો રહે એ દેખીતું છે.
નોટબંધી બાબતે થયેલા દાવા અને રીઝર્વ બૅંકનો હેવાલ એક સાથે મૂકીને જોઈએ તો કદાચ કશું જ કહેવાનું રહેતું નથી. નહીં કે બધું આજે જ ગબડ્યું છે (જેમ બધું ભાજપ સાથે જ ચડ્યું છે એમ પણ નથી); પણ ઑક્ટોબરના બીજા અઠવાડિયે આવેલા વૈશ્વિક ક્ષુધાંક (ગ્લોબલ હંગર ઇન્ડેક્સ) મુજબ 119 દેશોમાં આપણે વરસોવરસ પાછળ મુકાતા જઈ અત્યારે છેક સોમા ક્રમે છીએ એ બીનાને કેવી રીતે જોશું ઘટાવશું.
વૃદ્ધિ આંકની સુધારેલી સગવડિયા વ્યાખ્યામાં પણ હાંફતી સરકાર પાસે એ એક વિગતનો ન તો કશો જવાબ છે, ન તો કોઈ ઉગાર છે કે સઘળાં વિકાસ (કે વૃદ્ધિ) સામે વાસ્તવિક રોજગારો વિકસતા નથી. એટલે જ્યારે કુલ આવક વધી હોય ત્યારે પણ એ દરિયામાં ખસખસ પેઠે થોડાં જ માથાં પૂરતી હોય છે, અને દેખીતું સમૃદ્ધિવર્ધન વધુને વધુ વિષમતા જગવે છે. અને એકંદર સભ્યતા કે સંસ્કૃિતનો વિકાસ પણ ક્યાં છે? નમૂના દાખલ, ગુજરાતમાં નવતરુણ મતદારોમાં બહેનોનું પ્રમાણ અગાઉ કરતાં ઓછું છે.
નરસિંહરાવ – મનમોહનસિંહથી આરંભી મોદી સુધી પહોંચતે પહોંચતે વૈશ્વિકીકરણની રેટ રેસ (અને મરીચિકા) નવા વંચિતો જન્માવવા સારુ જાણીતી હશે, પણ ‘બેટી’ને તો હાંસિયાપાર હડસેલવા સારુ નામીચી છે. નમો તંત્રની આર્થિક નીતિઓ બાબતે મનમોહનસિંહ, ચિદમ્બરમ્, યશવંત સિંહા, અરુણ શૌરી સૌની ટિપ્પણીઓ અને તવલીન સિંહ સરખાંની મોદી પ્રશસ્તિ છતાં આ મુદ્દે નારાજગીની ભૂમિકા પોતાને ઠેકાણે ઠીક જ છે.
પણ મૂળભૂતપણે 1991થી જે રસ્તો લીધો છે એમાં કોઈ પથસંસ્કરણ, કોઈક બાબતે ‘રુક જાવ’ તો કોઈક બાબતે ‘ઘુમ જાવ’ એવી કોઈ જ જરૂરત કેમ સમજાતી કે પકડાતી નહીં હોય? જેમને સામાન્યપણે લિબરલ સ્કૂલના અને જમણેરી ખાનામાં ખતવવાનો ચાલ છે એવા ગુરચરણે હમણાં સુખાંકચર્ચામાં એક મુદ્દો સોજ્જો કીધો કે સુખનું સરનામું તમે રોજગારવંતા છો કે નહીં એ બીના જોડે અવિનાભાવ સંકળાયેલું છે. દેખીતી રીતે જ ‘જૉબલેસ ગ્રોથ’ની જે અનવસ્થામાં, કહો કે કળણમાં, આપણે ખૂંપતા ચાલ્યા છીએ એમાં સુખની અનુભૂતિનું ગજું ઝાંઝવાંથી ઝાઝું હોઈ શકતું નથી.
મોટી દઇત સરદાર પ્રતિમા અને શરૂ થયા પૂર્વે મુકામ પર પહોંચાડતી બુલેટ ટ્રેન, આવો સોલો જે ગૌરવ સ્કૂલને રહીરહીને ઉપડ્યા જ કરે છે એના શાસકીય દોરમાં વાસ્તવિક અંત્યોદય અગ્રતાક્રમમાં ક્યાંથી હોઈ શકે? અંત્યોદય અને ‘જૉબલેસ ગ્રોથ’ વચ્ચેનો સંબંધ છેવટે તો છત્રીસનો જ હોવાનો ને. રામમનોહર લોહિયાની સ્મરણપચાસીનો મોકો વર્તમાન દિલ્હી દરબારે ઠીક પકડ્યો હોય અને એમના કો-ઓપ્શનની કીમિયાગરી રૂડી પેરે પાર પાડવા ધાર્યું હોય તો પણ જેમ દીનદયાલની અંત્યોદય ભાવના તેમ લોહિયાનો ‘છોટી મશીનેં’ અભિગમ એ એવા સવાલો ખડા કરે છે.
જેના જવાબમાં હાલના રાજકીય-શાસકીય અગ્રવર્ગે કેવળ અને કેવળ આરોપીના પિંજરામાં ઊભા રહેવું પડે. રિવર ફ્રન્ટ પર સ્ટીલનો ચરખો ઊભો કરવાનું સૂઝે એ તો જોણું થયું, પણ જૉબલેસ ગ્રોથનો મોટો દઈત રસોળો એ સમતા અને સ્વતંત્રતાના સહીપણાંની મજલમાં આપકમાયેલ અવરોધરૂપે આપણી સામે ને સામે જ હોવાનો છે.નોબેલ નજીક પહોંચતે પહોંચતે રહી ગયેલ (હવેનાં વરસોમાં પહોંચી પણ શકે) એવા રઘુરામ રાજને રીઝર્વ બૅંકનું ગવર્નરું ચલાવી જાણ્યું એ ગાળાનાં મંથનો ઠીક ગ્રંથસ્થ કીધાં છે.
એ બધી સામગ્રીમાં તેમ શૌરી જેવાઓની ટિપ્પણીમાં સુધારાની દિશામાં ખાસાં ઇંગિતો ને સંકેતો પડેલાં છે. પણ એ બધું ક્યાંક, કોઈક તબક્કે અટકી જતું માલૂમ પડે છે. તેથી એવું સૂચવવાનું મન સ્વાભાવિક જ થઈ આવે છે કે અમર્ત્ય સેન જેવાને આ ચર્ચામાં દાખલ કરવા જોઈએ. સેન છેવટે તમને ક્યાંક તો બજારનાં બળો અને વ્યાપક સહાનુકંપા(કમ્પેશન)ના સંગમસ્થાને લાવી મૂકે છે. ઓછામાં ઓછું, એને એટલું તો સમજાય છે કે સ્વાસ્થ્ય અને શિક્ષણની સેવાઓ જેટલા પ્રમાણમાં સર્વજનસુલભ હશે, આમ આદમી એટલી સમ્પન્નતાવશ ટકી શકશે. ‘છોટી મશીનેં’ અભિગમ એથી આગળ જાય છે તે એ અર્થમાં કે તે ગાંધી અને આર્થિક હલચલને એક માનવીય દાયરામાં લાવી મૂકે છે. બુલેટબાવલા ગૌરવ સ્કૂલથી હટીને માનવીય ગૌરવની એક અર્થનીતિના સંકેતે ભરેલી અને ભારેલી વાત આ છે. હિમાચલમાં જાહેર થયેલી ચૂંટણી અને ગુજરાતમાં તરતમાં જાહેર થઈ શકતી ચૂંટણીઓમાં આવી કોઈ મૂળગામી ચર્ચા સાંભળવા વિચારવા વાગોળવાનું મળશે? ચિહ્નો તો નથી. બાકી, હમણાં જયપ્રકાશ જયંતી નિમિત્તે નવી દિલ્હીના કાર્યક્રમમાં સીતારામ યેચુરી, શરદ યાદવ અને શાંતિભૂષણ સૌએ એકમંચ થઈ વિપક્ષી એકતા પર ભાર મૂક્યો, પણ એના કાર્યક્રમનું શું?
વિપક્ષી એકતા ક્યારેક કૉંગ્રેસ સામેની રણનીતિ હતી, આજે તે ભાજપ સામેની હોઈ શકે છે. એનું એક લૉજિક પણ છે. પરંતુ, પ્રશ્ન તો 1977ના અધૂરા એજન્ડાને નવાં જોડાણો વાટે પણ આગળ લઈ જવાનો છે. બલકે, ખરું પૂછો તો, અધૂરો એજન્ડા તે શું એનો એક જવાબ જેમ લોહિયાના અંતિમ પર્વમાં તેમ એના આગલા દસકામાં આંબેડકરના અંતિમ પર્વમાં ધરબાયેલો છે. આંબેડકર પછીના દસકે લોહિયા ગયા અને તે પછીના દસકે જયપ્રકાશ.
આંબેડકરે દલિતમાત્ર વાસ્તે સમતાની જે લડાઈ છેડી હતી (જે એમના મનમાં બંધારણીય ધોરણે સર્વને માટે હતી) એનો આદરપુરસ્કાર કરતે છતે લોહિયાએ એમને કહેવડાવ્યું હતું (અને વધુ ચર્ચા માટે મળવા ધાર્યું હતું) કે તમે સમગ્ર દેશના નેતાને નાતે રાજનીતિ કરો. ચાલો, આપણે સાથે ચાલીએ. લોહિયા ‘પર્ટિક્યુલર ગોલ’ની જરૂરત જરૂર સમજતા, પણ તે ‘જનરલ ગોલ’ સાથે સંકળાય એની આવશ્યકતા પણ પ્રીછતા. આંબેડકરે કરેલી વાતો, લોહિયાના સપ્ત ક્રાન્તિ દર્શન કે જયપ્રકાશના સંપૂર્ણ ક્રાન્તિ આંદોલનથી તત્ત્વતઃ જુદી નથી. ઝોકફેર જરૂર હોવાનો, પણ અન્યાયનિવારણ માટે અગ્રતાવિવેકપૂર્વક ચિંતા તો સૌની હોવાની.
પ્રકાશ આંબેડકર અને જિજ્ઞેશ મેવાણી ગુજરાતમાં બંધારણ બચાવો સંમેલનોનો જે દોર ચલાવવા માહે છે, હાર્દિક પટેલ અને અલ્પેશ ઠાકોરે પોતપોતાને છેડેથી જે અવાજ ઉઠાવ્યો છે, તેની સમક્ષ આવું સમગ્ર ચિત્ર હશે? શંકરસિંહ વાઘેલાના જનવિકલ્પ અને ‘આપ’ સમક્ષ હશે? ન હોય તો હોવું જોઈએ; કેમ કે પ્રશ્ન સ્વતંત્રતાસંગ્રામના બાકી દોરનો છે. આ લડત 1947 પછી પૂરી થઈ નથી અને માર્ચ 1977 તે કોઈ એકમાત્ર સીમાચિહ્ન નથી. સતત ચાલતી લડત છે આ તો.
સૌજન્ય : ‘વારસો’, “દિવ્ય ભાસ્કર”, 14 અૉક્ટોબર 2017