એક સમયે સત્ય એક જ હતું, પણ જેમ જેમ સમય જાય છે તેમ તેમ બધું જ સાચું લાગવા માંડે એ સ્થિતિ છે. ખોટું નથી થતું એવું નથી, પણ તે એવી રીતે થાય છે કે બધું જ સાચું લાગે. રાજકીય પક્ષો ખોટું કરવાની ગણતરીએ તો કૈં કરતા જ નથી, પણ જે એનો ભાગ નથી તેને એ સાચું લાગતું નથી તે હકીકત છે. જોવાની ખૂબી એ છે કે એક પક્ષને બીજા પક્ષમાં કશું સારું કે સાચું દેખાતું નથી ને જે એનો ભાગ નથી તેને તો ખબર પડે છે કે કોણ શું કહે છે કે કરે છે? આજની વિચિત્રતા એ છે કે કોઈ પણ મુદ્દાની બધી બાજુઓ તપાસીએ તો તે એવી રીતે ફોકસ કરવામાં આવે છે કે સાચી જ લાગે, પણ બધું જ સાચું લાગે ત્યારે તે કુદરતી નથી એટલું સમજી લેવાનું રહે. તે એવી રીતે ક્રિએટ કરવામાં આવે છે કે સાચું લાગે. સત્ય સાપેક્ષ છે એ ખરું, પણ એટલુંય સાપેક્ષ નથી કે બધું જ સાચું લાગે.
કર્ણાટકમાં હિજાબ પ્રકરણે આગ પકડી છે ને બધાં જ તેને હવા આપી રહ્યા છે. વાત સાવ સાદી હોય, પણ મીડિયાની મહેરબાનીથી ને વાયરલ કરવાની ઉતાવળે તેનો પડઘો આખી દુનિયામાં પડયો છે. આ સ્થિતિ ચાલુ રહી તો બેડરૂમની પ્રાઇવસી પણ દુનિયાની આંખે ચડે એ દિવસો દૂર નહીં હોય. મોટે ભાગે દુનિયાની સ્કૂલોમાં યુનિફોર્મનું ચલણ છે. ભારતમાં પણ છે. બધી સ્કૂલોને તેનો અગાઉથી નક્કી કરાયેલો ડ્રેસ કોડ છે. એ પ્રમાણે વિદ્યાર્થીઓએ ડ્રેસ ધારણ કરવાનું ફરજિયાત હોય છે. કેટલીક સ્કૂલોમાં ખાદીનો યુનિફોર્મ નક્કી હોય છે ને તે ઉપરાંત શિક્ષકો માટે પણ ખાદી પહેરવાનું ફરજિયાત હોય છે. એટલે જ્યાં ડ્રેસ કોડ છે ત્યાં તેનું પાલન અનિવાર્ય છે, પણ ઘણી કોલેજો, યુનિવર્સિટીઓમાં ડ્રેસ કોડ નથી. ત્યાં કૈં પણ પહેરવાની છૂટ છે, છતાં ત્યાં પણ ટૂંકાં વસ્ત્રો કે ન શોભે તેવાં વસ્ત્રોની ટીકા થાય જ છે. આ ટીકા ખાસ કરીને વિદ્યાર્થિનીઓ સંદર્ભે થતી હોય છે. કૈં પણ પહેરવાની છૂટ હોય એનો અર્થ એવો નહીં જ કે વર્ગખંડમાં બિકિની પહેરીને બેસી શકાય. કોલેજમાં આવ્યા પછી એટલી અક્કલ હોવાની અપેક્ષા સહેજે રહે કે અભદ્ર લાગે તેવું વર્તન કે પહેરવેશ કોઈ ન સ્વીકારે. કૈં પણ પહેરવાની છૂટ હોય ત્યારે જ જે તે વિદ્યાર્થીને કે શિક્ષકને બેજવાબદાર બનવાની છૂટ નથી.
શરીર બેશરમીથી ખુલ્લું રખાય એ જેમ માફ નથી એમ જ, શરીર પૂરું ઢાંકી દેવાય તે પણ માફ નથી એ કર્ણાટકની કોલેજે સાબિત કરી આપ્યું. ગયાં ડિસેમ્બરમાં છ વિદ્યાર્થિનીઓ એક કોલેજમાં હિજાબ પહેરીને આવી તો તેને કોલેજમાં પ્રવેશતી અટકાવાઈ. આવું પંદર દિવસ ચાલ્યું તો એ મુસ્લિમ વિદ્યાર્થિનીઓએ વિરોધ કર્યો. એ પછી એ વિદ્યાર્થિનીઓનો પણ વિરોધ થયો ને વિદ્યાથીઓએ કેસરી ખેસ પહેરીને કોલેજમાં આવવાનો આગ્રહ રાખ્યો. એની સામે આંબેડકરી વિદ્યાર્થીઓ પણ મુસ્લિમ વિદ્યાર્થિનીઓનાં સમર્થનમાં ભૂરો ખેસ પહેરીને બહાર પડ્યા. આમાંનું કૈં પણ કોલેજ પ્રશાસનને મંજૂર ન હતું ને તેણે ડ્રેસકોડનો આગ્રહ રાખી વિરોધ કરતા વિદ્યાર્થીઓને કોલેજમાં પ્રવેશતા અટકાવ્યા. કોલેજે થોડી ઉદારતા રાખી હોત ને હિજાબ કે ખેસ બંનેને વર્ગોમાં પ્રવેશવાં દીધાં હોત તો કોઈ નુકસાન ન હતું ને એમ થતે તો વાત વકરી ન હોત, પણ એમ ન થયું ને વાત વધી પડી ને પોલીસ સુધી પહોંચી. ત્રણ દિવસ માટે બધી સ્કૂલ, કોલેજો કર્ણાટકમાં બંધ થઈ ગઈ ને બેંગલુરુમાં 144મી લાગુ કરી દેવાઈ. હિજાબ પર પ્રતિબંધના મુદ્દે મુસ્લિમ વિદ્યાર્થિનીઓ હાઇકોર્ટે ચડી છે ને ત્યાંથી પણ વાત હાઇકોર્ટની મોટી બેન્ચ સુધી પહોંચી છે. બેન્ચે ચુકાદો આવે ત્યાં સુધી ધાર્મિક પ્રતીક પહેરવા પર રોક લગાવી દીધી છે. જો કે, સુપ્રીમે આમાં દખલ કરવાની ના પાડી છે ને હાઈકોર્ટના નિર્ણય પર મીટ માંડી છે એટલે હાઈકોર્ટના ફેંસલાની જ રાહ જોવાની રહે છે.
વાત હવે કર્ણાટક પૂરતી સીમિત રહી નથી, તેની ઝાળ હૈદરાબાદ, પુડુચેરી થઈને સુરત સુધી વિસ્તરી છે. સુરતની ઉર્દૂ સ્કૂલના શિક્ષક અને આચાર્યે હિજાબના સમર્થનમાં વાત મીડિયા સુધી લાવી મૂકી છે, એટલું જ નહીં, પાકિસ્તાનને પણ મગમાંથી પગ ફૂટ્યા છે. ત્યાંના રાજદ્વારી નેતાઓએ હિજાબ પરના પ્રતિબંધને વખોડયો છે ને ઇસ્લામાબાદમાં ભારતીય રાજદૂતને સમન્સ મોકલ્યો છે. પાકના મંત્રી શાહ મહમૂદે મુસ્લિમ છોકરીઓને શિક્ષણથી વંચિત રાખવાની વાત આગળ કરીને ભારતની ટીકા કરી કે આ માનવ અધિકારોનું ઉલ્લંઘન છે. એનો જડબાંતોડ જવાબ મુસ્લિમ નેતા અસદુદ્દીન ઓવૈસીએ એમ કહીને આપ્યો કે મલાલા પર હુમલો પાકિસ્તાનમાં થયો હતો એ ન ભૂલો. છોકરીઓને શિક્ષણને મામલે પાકિસ્તાને ભારતને સલાહ આપવાની જરૂર નથી, તો, નોબેલ પારિતોષિક વિજેતા મલાલા યુસુફઝાઈને હિજાબ પરનો પ્રતિબંધ ભયંકર લાગ્યો છે. આ એ જ મલાલા છે જેને એક સમયે હિજાબ ‘ઓવન’ જેવો લાગતો હતો. આ બધાંમાં રાજકીય રોટલા ન શેકાય એવું તો બને જ કેમ? કર્ણાટકની ભા.જ.પ. સરકારે તટસ્થ રહેવાને બદલે હિજાબમાં ધાર્મિક પ્રતીક જોયું ને શૈક્ષણિક સંસ્થાઓ તો ધાર્મિક અખાડો ન હોય એ યાદ આવતાં હિજાબ પર પ્રતિબંધ મૂકી દીધો. એ વખતે કેસરી ખેસ પહેરીને આવતા વિદ્યાર્થીઓને રોકવા અંગે ચુપકીદી સેવી એટલે સરકાર મુસ્લિમ વિરોધી છે એમ કહેવાનું મીડિયાને બહાનું મળી ગયું. ભા.જ.પ.ના કેન્દ્રીય મંત્રી નકવીએ સરકારનો બચાવ કરતાં જાહેર કર્યું કે દુનિયાના દસ મુસ્લિમોમાંથી એક ભારતમાં છે ને તે સુરક્ષિત અને સ્વસ્થ છે. કાઁગ્રેસી નેતા પ્રિયંકા વાડ્રાએ તો રોકડું કહ્યું કે મહિલા હિજાબ પહેરે કે બિકિની એ તેનો અધિકાર છે, પણ એ ખ્યાલ ન રહ્યો કે બિકિની પહેરવાનું એ કોલેજની વિદ્યાર્થિનીઓને કહી રહી છે. એ પોતે વડા પ્રધાન હોય તો વિદ્યાર્થિનીઓને કોલેજમાં બિકિની પહેરવાની છૂટ આપશે? જો નહીં, તો ટાઢા પહોરની હાંકવાથી દૂર રહેવું જોઈએ. આર.જે.ડી.ના નેતા લાલુ પ્રસાદ યાદવે પણ હિજાબ પ્રકરણ ગૃહયુદ્ધ તરફ જઈ રહ્યું હોવાની આગાહી કરી દીધી છે. આ બધી જ વાતો દ્રાક્ષ, હાથમાં આવી નથી એટલે ખાટી છે, એ વાતનો જ પડઘો પાડે છે.
આમ જોવા જઈએ તો હિજાબ પર પ્રતિબંધ મૂકવાની વાત દુનિયા માટે નવી નથી. શ્રીલંકામાં આત્મઘાતી હુમલો થયેલો ત્યારે આ પોશાકનો ઉપયોગ થયેલો, કેમરૂનમાં બુરખામાં આવેલી બે મહિલાઓએ આત્મઘાતી હુમલો કરેલો ને 13 નાગરિકોનાં મોત થયેલાં. ફ્રાન્સમાં 2004થી હિજાબ પર સંપૂર્ણ પ્રતિબંધ છે ને કોઈ તેનું ઉલ્લંઘન કરે તો તેને દંડવામાં આવે છે. નેધરલેન્ડ, સ્વિત્ઝરલેન્ડ, ડેન્માર્ક, બેલ્જિયમ, રશિયા, સિરિયા, ઈજિપ્ત, ચીન જેવામાં હિજાબ પહેરવા પર પ્રતિબંધ છે. તો, સાઉદી આરબ, ઈરાન, પાકિસ્તાન જેવાં દેશોમાં હિજાબ પહેરવાનો કે શરીર ઢાંકવાનો આદેશ અપાયો છે. પ્રતિબંધ મૂકવાનું મુખ્ય કારણ એ છે કે કેટલાક દેશોમાં હિજાબ પહેરીને આતંકવાદીઓએ ઓળખ છુપાવી છે ને હિંસક હુમલાઓ કર્યા છે. એટલે ધાર્મિક પ્રતીકનો એ જ ધર્મના આતંકીઓએ હિંસા માટે દુરુપયોગ કર્યો છે તો ત્યાં આ પ્રતિબંધ યોગ્ય ગણાય. પણ, હિજાબ પહેરીને કોઈ વિદ્યાર્થિનીએ કર્ણાટકમાં હુમલો કર્યો નથી કે એવી કોઈ આશંકા પણ નથી, એવું હોય તો હિજાબ પરનો પ્રતિબંધ યોગ્ય પણ ગણાય, પણ એવું કશું તો થયું નથી, તો પ્રતિબંધ મૂકવાનું કોઈ કારણ ખરું?
કોઈ પણ મુસ્લિમ નેતા, સંસદ કે વિધાનસભામાં તેની ટોપી, દાઢી સાથે સરળતાથી જઈ શકતો હોય, તો સ્કૂલ, કોલેજમાં હિજાબ પહેરીને મુસ્લિમ મહિલા જાય તેમાં શી હાનિ છે તેની સ્પષ્ટતા કર્ણાટક સરકારે અને શૈક્ષણિક સંસ્થાઓએ કરવી જોઈએ. ઉડુપીની જે સંસ્થાએ હિજાબ પર પ્રતિબંધ મૂક્યો તે અચાનક મુકાયો હોવાનું લાગે છે, કારણ હિજાબધારી એ જ મહિલાઓ કહે છે કે અગાઉ તેમને ક્યારે ય હિજાબ પહેરીને વર્ગમાં જતાં રોકવામાં આવી નથી, તો અચાનક એવું શું થયું કે હિજાબ પર તવાઈ આવી? એનો જવાબ મળતો નથી. એને ઉત્તર પ્રદેશની ચૂંટણી સાથે પણ જોડવામાં આવે છે. લાગે છે તો એવું કે કોઈ રાજકીય હેતુ સર પેટ ચોળીને શૂળ ઊભું કરવામાં આવ્યું છે. એવું એટલે લાગે છે કે હિજાબ પહેરનારી મહિલાઓને હિજાબનો આગ્રહ રાખવા માટે ઉશ્કેરવામાં આવી છે તો વિદ્યાર્થીઓને કેસરી ખેસ પહેરીને જ કોલેજ જવા પણ ઉશ્કેરાયા છે. એવી પણ ગંધ આવે છે કે બંને ધર્મનાં લોકોને ઉશ્કેરીને કોઈ રાજકીય તત્ત્વો, વાતને કોમી તણાવ કે હિંસા સુધી લઈ જવા માંગે છે. એમ છે કે કટ્ટરતા બંને પક્ષે અત્યારે ચરમસીમાએ છે. મુસ્લિમો કટ્ટર છે તો હિન્દુઓ નથી એવું નથી. આ બધું કોઈ ધર્મને માટે પણ થતું નથી, પણ રાજકીય સ્વાર્થ સાધવા થઈ રહ્યું હોય એવું ઘણું બધું શક્ય છે. જ્યાં કોઈના ઉશ્કેરાવાની તક નથી, ત્યાં પણ ઉશ્કેરણીના પ્રયત્નો થઈ રહ્યા છે. આ આકસ્મિક નથી, ગણતરીપૂર્વકનું છે. જે મુસ્લિમો સ્વતંત્રતાનાં 75 વર્ષ પછી પણ પેઢી દર પેઢી આ ભૂમિમાં જીવી રહ્યા છે ને અહીંનું જ અનાજ ખાઈને ઉછરી રહ્યા છે તેઓ હવે બધું છોડીને ચાલ્યા જાય એવી આશા રાખવી કોઈ પણ રીતે યોગ્ય નથી. એમનો અધિકાર આ ભૂમિ પર છે તે સ્વીકારવાનું રહે, તે સાથે જ મુસ્લિમો પણ 75 વર્ષે આ દેશના ન થઈ શકે ને તેમની નજર બીજે જ અથડાયા કરતી હોય તો તે અવિશ્વાસ પણ અહીંની પ્રજાનો ને દેશનો દ્રોહ જ છે ને એને કોઈ પણ રીતે વાજબી ઠેરવી શકાય નહીં. કોમી હિંસાથી કોઈએ કૈં મેળવ્યું નથી, માત્ર ગુમાવ્યું જ છે. 75 વર્ષે એક પ્રતિજ્ઞા દરેક ભારતીયે લેવાની રહે કે કૈં પણ થઈ જાય, હવે કોમી આગમાં પોતે બળશે નહીં ને બીજાને બાળશે નહીં. 75 વર્ષે આટલું થઈ શકે? કે આપણે ભૂતકાળમાંથી કૈં શીખવું જ નથી? પૂછીએ જાતને –
000
e.mail : ravindra21111946@gmail.com
પ્રગટ : ‘આજકાલ’ નામક લેખકની કટાર, “ધબકાર”, 11 ફેબ્રુઆરી 2022