‘ધ હાઈ વે’ બીજા વિશ્વયુદ્ધની પશ્ચાદ્દભૂમાં લખાયેલી, અમેરિકન વાર્તાકાર રે બ્રાડબરીના 1951માં પ્રગટ થયેલ વાર્તાસંગ્રહ ‘ધ ઈલેસ્ટેૃટેડ મેન’[The Illustrated Man]માં સંગ્રહિત એક વાર્તા છે. નગરસભ્યતા અને આરણ્યક સંસ્કૃતિ વચ્ચેના ભેદને ઉજાગર કરતી આ ટૂંકીવાર્તા ‘ધ હાઈ વે’ ‘દસ પાશ્ચાત્ય નવલિકાઓ’ નામના રેમંડ પરમારના અનુવાદિત વાર્તાસંગ્રહમાં સંગ્રહિત છે. સહજ અને પ્રાકૃતિક જીવનનો મહિમા કરતી, આ ટૂંકીવાર્તાનું ગુજરાતી શીર્ષક ‘રાજમાર્ગ’ છે.
મૂળ નવલિકા ‘ધ હાઈ વે’ રે બ્રાડબરીના 1951 માં પ્રગટ થયેલ વાર્તાસંગ્રહ ‘The Illustrated Man’માંની અઢાર પૈકીની એક છે. રે બ્રાડબરી 22 ઓગસ્ટ 1920માં અમેરિકાના વૈાકેગન, ઇલિનોયસમાં જન્મેલા વાસ્તવવાદી સર્જક હતા. તેમણે મહદઅંશે, વિજ્ઞાનકથાઓ, કાલ્પનિક કથાઓ (Fantcy), ભૂતકથાઓ (Horror ) પ્રકારની રચનાઓ કરી છે. બહુધા વિજ્ઞાનને વિષય બનાવીને કાલ્પનિક કથાઓ (Science fiction) લખનાર, રે બ્રાડબરી પૃથ્વીની પ્રકૃતિ અને પૃથ્વીના પર્યાવરણ સંદર્ભે ખાસ ચિંતિત હતા. એમની વિજ્ઞાન કથાઓમાં એમની એ ચિંતા જોઈ શકાય છે. 1950માં પ્રકાશિત લઘુકથા શ્રેણી ‘ધ માર્શિયન ક્રોનિકલ્સ’ને સંદર્ભે પણ આ નવલિકાને જોવી જોઈએ, જેમાં પૃથ્વીના મંગળ પરના ઉપનિવેશની વાત છે. મંગળ પર થનાર ભાવિ અણુયુદ્ધના ભયે ઘણાં મંગળવાસીઓ પૃથ્વી પર આવી જાય છે, જેથી એક વિકસિત સભ્યતા વિલુપ્ત થવાને આરે આવી જાય છે. પરંતુ પૃથ્વી પરના અણુયુદ્ધે વેરેલા વિનાશ પછી પૃથ્વીવાસીઓ ફરી નવા માર્શિયન બનવા મંગળ પર પાછા ફરે છે. લેખકે આ કથાશ્રેણીમાં 21મી સદીના વિશ્વની, વિશેષ કરીને 2025 અને તે પછીનાં વર્ષોની વાત કરી છે. અમેરિકાની NASA જેવી સંસ્થાના મંગળગ્રહ પર Curiosity rover અને Ingenuity helicopter દ્વારા ચાલતા સતત સંશોધનો, તેમ જ એલન મસ્ક જેવા બિઝનેસમેનનો SpaceX પ્રોજેક્ટ, જેમાં તેઓ 2026માં મંગળ પર પ્રથમ વસાહત સ્થાપવા અને SpaceX Starship દ્વારા માનવોને ઉતારવાની વાત પૂર્ણ આત્મવિશ્વાસ સાથે કહે છે. લાગે છે કે, રે બ્રાડબરીની કલ્પના સત્ય ઠરવા જઈ રહી છે !! સર્જક આર્ષદૃષ્ટા હોય છે, એ જમાનાને પાર જોઈ શકે છે. એ સત્ય અહીં સાબિત થતું જોઈ શકાય છે.
તેમની જાણીતી રચનાઓમાં – નવલકથા – ‘ફેરેનહાઈટ 451’ ભાગ 1-3 (1953), ‘ધ માર્શિયન ક્રોનિકલ્સ’ન- લઘુકથાશ્રેણી (1950) અને ‘ડૈંડેલિયન વાઈન’ (1957) ગ્રીન શેડ વ્હાઈટ વ્હેલ (1992). આ ઉપરાંત ફિલ્મ અને ટેલિવિઝનની પટકથાઓ લખવા ક્ષેત્રે પણ એમનું પ્રદાન છે. ‘મોબી ડિક’ અને ‘ઈટ કમ ફ્રોમ આઉટર’ એમના દ્વારા લખાયેલ શો છે. એચ.જી. વેલ્સ, જુલે વર્ન અને એડગર એલન પોથી પ્રભાવિત રે બ્રાડબરી યાંત્રિક કથાઓના લેખન તરફથી માનવતાવાદી કવિતા તરફ વળ્યા, એનું શ્રેય એલેકઝાંડર પોપ અને જોન ડવને આપે છે. બ્રાડબરી વિનમ્ર ધર્મવાદી હતા, આજીવન ડ્રાઈવિંગ લાયસન્સ ન લીધું અને સાયકલ ચલાવી. તેમની નવલકથા ડૈંડેલિયન વાઈનના નામ પરથી એપોલો 15ના અંતરીક્ષયાત્રીઓએ ચંદ્ર પર એક ક્રેટરનું નામ ડૈંડેલિયન ક્રેટર રાખ્યું હતું. તેમને નવલકથા સર્જન માટે અમેરિકાનું 2007નું પુલિત્ઝર ઇનામ (Special citation) પ્રાપ્ત થયું હતું. 2004માં નેશનલ મેડલ ઓફ આર્ટસ ઉપરાંત અમેરિકન એકેડમી એવોર્ડથી પણ તેમનું સન્માન થયેલું છે.
રે બ્રાડબરીએ જુનિયર સ્કૂલનો અભ્યાસ પ્રકૃતિની ગોદમાં વસેલા ટક્સન (અરિઝોના)માં કર્યો. અહીંની પ્રકૃતિ પ્રત્યે એમને બાલ્યાવસ્થાથી જ વિશેષ પ્રેમ હતો. પ્રકૃતિ પ્રત્યેનો આ લગાવ તેમની રચનાઓમાં સ્પષ્ટ દેખાય છે. ‘ધ હાઈવે’ એનું એક ઉદાહરણ છે. આ ટૂંકીવાર્તામાં આરણ્યક જીવન જીવતા લોકોનું પ્રકૃતિમય જીવન આપણી ભૌતિક દુનિયાથી આજે પણ એકદમ અલગ અને ભિન્ન છે. પ્રકૃતિપ્રેમી આરણ્યકોની માનસિકતા કહેવાતા સભ્ય લોકોથી જુદી છે. ‘ધ હાઈ વે’ એ સત્યને ઉજાગર કરે છે.
શહેરની સંસ્કૃતિમાં આપણી ઈચ્છા અને યોજના મુજબ થાય તો આનંદ થાય, સુખ અનુભવાય અને એમાં કંઇક અડચણ આવે, વિઘ્ન આવે તો એ દુઃખદાયક લાગે. જે શહેરીજનોને અસ્વસ્થ કે વ્યગ્ર કરી દે છે. તેઓ રઘવાયા થઇ ગભરાટ (Panic) અનુભવે છે. શહેરની તણાવભરી જિંદગીમાં સતત અસલામતી અનુભવતા અને કાલ્પનિક ડરના માર્યા, સલામત સ્થળ શોધવા ભાગતા લોકો, આજની આધુનિક નગર સભ્યતામાં જીવતા દંભી અને કૃતક લોકોનું પ્રતિનિધિત્વ કરે છે. નગર સભ્યતામાં જીવતા લોકો જેમ જેમ ભૌતિકતા તરફ આંખો મીંચીને આગળ ધપતા જાય છે, તેમ તેમ સાહજિક અને સરળ જીવનનો આનંદ ગુમાવતા જાય છે. જ્યારે ગ્રામીણ કે આરણ્યક જીવન જીવતા લોકો, ટેકનોલોજીના બળે વિકસેલી સંસ્કૃતિથી દૂર અને અજાણ હોવાથી મુક્ત મને વિહરી શકે છે. પ્રકૃતિમાં મગ્ન લોકોની પોતાની એક આગવી દુનિયા છે. તેમને આપણી ભૌતિકતાવાદી દુનિયાની ઓળખાણ જ નથી. તેઓ તો ‘જનાન્તિકે’ના એક નિબંધમાં સુરેશ જોષી કહે છે, તેવા લાગે છે કે, – ‘હું જ્યારે પ્રકૃતિ સાથે તાદાત્મ્ય અનુભવું છું ત્યારે મારા સંકુચિત અહંમાંથી છૂટીને, સ્વાર્થહીન બનીને, બહાર વ્યાપી જતો હોઉં છું … … મારામાંથી બહાર અવિરત વિસ્મયથી જોયા કરવાનું કૂતુહલ આજે મને સંકીર્ણ થતાં અટકાવે છે. (સુ.જો. સંચય પૃ. 59)
આજના સાંપ્રત વિશ્વમાં જે રીતે ઇલેક્ટ્રોનિકસ મીડિયા અને અને સોશિયલ મીડિયાના માધ્યમ દ્વારા પ્રસારિત થતાં સાચા ખોટાં સમાચારો, ખાસ કરીને ફેક ન્યુઝ અને ખોટાં, અસત્ય કે અર્ધસત્યને ખોટી રીતે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પરથી રજૂ કરવામાં આવે છે. ઘણી વાર એની ભયંકર નકારાત્મક અને વિઘટનકારી અસરો ઊભી થાય છે. આ કારણે સામાજિક સૌહાર્દ કે પ્રજાલક્ષી કાર્યક્રમો ખરાબ રીતે પ્રભાવિત થાય છે કે પછી સમાજ અને દેશમાં અવિશ્વાસ, અસહિષ્ણુતા, અરાજકતા, અફવા અને અસલામતીનું વાતાવરણ ઊભું થાય છે. અને એને માટે જવાબદાર કોણ હોય છે ? બેશક ભણેલાં ગણેલાં પોતાને આધુનિક કે એડવાન્સ ગણાવતા શિક્ષિતો જ. COVID – 19ના કપરા કાળમાં આવાં અનેક પ્રકારનાં ફેક ન્યુઝ અને અફવાઓએ સામાન્ય લોકોમાં ડરનું વાતાવરણ ઊભું કર્યું હતું. અફવા કે ફેક ન્યુઝને કારણે ગ્રામીણ પ્રદેશ અને જંગલ વિસ્તારમાં વસનારા લોકોમાં પણ અજ્ઞાત ડર ઊભો થયો ! કોરોના જેવા રોગને દૈવી કોપ કે માતાજી માનવાનું, દોરા ધાગા અને બાધા આખડી કરવાની માન્યતાઓ પ્રસરી અને કેટલાક લોકોના રસી ન લેવાના કારણ પાછળ પણ આવાં ખોટાં અને ગેરસમજવાળા કે અધકચરી માહિતીવાળા વાયરલ વીડિયો જવાબદાર છે. આજે પણ યુદ્ધ કે મહામારીની અફવા કે ખોટા સમાચાર શહેરીજનોને ચિંતાગ્રસ્ત કરી મૂકે છે, અને સલામતીની શોધમાં ભટકતા કરી દે છે. કોરોનાની લહેરોમાં ગામડે ભાગી જવાની માનસિકતા શું દર્શાવે છે ? રે બ્રાડબરીની 1951માં પ્રગટ થયેલી આ વાર્તા આજે પણ એટલી જ સાર્થક રીતે શહેરી માનસિકતાની વાસ્તવિકતાને ઉજાગર કરે છે.
અમેરિકન વાર્તાકાર રે બ્રાડબરીની ‘ધ હાઈ વે’ બીજા વિશ્વયુદ્ધની પશ્ચાદ્દભૂમાં લખાયેલી વાર્તા છે. અમેરિકાએ 1945માં બીજા વિશ્વયુદ્ધ દરમ્યાન જાપાન પર ફેંકેલા અણુબોમ્બ અને અને તેની વિનાશક અને સંહારક અસરોથી વિશ્વ આખું ધ્રુજી ઊઠ્યું હતું, વળતા હુમલા સ્વરૂપે ગમે ત્યારે અણુયુદ્ધ ફાટી નીકળવાની અફવાઓનું બજાર ગરમ હતું. જાપાને 1941માં પર્લ હાર્બર પર કરેલા હુમલાની ડરામણી સ્મૃતિઓ દરેક અમેરિકનના મનમાં હતી. ફરી એ તરફ હુમલો થાય એવી સંભાવના અને વળતા અણુ હુમલાના કાલ્પનિક ડરથી, દક્ષિણ અમેરિકા તરફથી લોકો ઉત્તર અમેરિકા તરફ સલામત સ્થળે ભાગે છે. આવા કટોકટીના સમયમાં પણ કેટલાક લોકો અફવા ફેલાવવામાં આનંદ માણે છે. આજના કોરોના કાળમાં પણ આ દૂષણ સોશિયલ મીડિયાને કારણે વધુ પ્રભાવક બની ગયું છે. આવું દૂષણ શહેરી સંસ્કૃતિમાં વધુ જોવા મળે છે, અને એની અસર કેટલી વિઘાતક હોય છે કે, લોકો જીવ બચાવવા સલામત સ્થળે ભાગી જાય છે. આ નવલિકાનો કેન્દ્રવર્તી સાર એ જ છે કે, સભ્ય ગણાતા શહેરીઓ આપત્તિના સમયમાં કેવા પલાયન થઇ જાય છે, ડરના માર્યા સલામત સ્થળે ભાગી જવા હવાતિયાં મારે છે ! જ્યારે જંગલમાં રહેનાર આરણ્યક કે ગામડે રહેનાર ગ્રામીણ અફવાઓથી કે ફેક ન્યુઝથી પર છે. તે તેને બહુ ગંભીરતાથી લેતો નથી. કુદરતી આપત્તિનો ડર્યા વગર મુકાબલો કરનાર ગ્રામીણો સહજ અને કુદરતી જીવન જીવે છે. એની દુનિયા એ શહેરીજનોની દુનિયાથી અલગ છે. ‘ધ હાઈ વે’ સહજ જીવન અને પ્રકૃતિ તરફ પાછા વાળવાનો સંદેશ આપે છે. અમેરકાના ન્યુ મેક્સિકો અને અરિઝોનાના પ્રકૃતિમય વિસ્તારમાં લાંબો સમય રહેવાને કારણે વાર્તાકાર રે બ્રાડબરીને પ્રકૃતિ પ્રત્યે વિશેષ લગાવ છે. વતનના ખેડૂતો અને આરણ્યકોના જીવનથી પ્રભાવિત સર્જક, વર્તમાન દુનિયાથી દૂર વસતા આરણ્યક જીવનની નિર્દોષ સાહજિકતાને ‘ધ હાઈ વે’ વાર્તામાં ઉજાગર કરે છે. આ ટૂંકીવાર્તાની કથાવસ્તુનો ટૂંકો પરિચય જોઈએ તો ..
અમેરિકાના દક્ષિણ ભાગમાં વસતા આરણ્યક ખેડૂતોનાં પ્રાકૃતિક જીવનની વાસ્તવિકતા અને આધુનિક શહેરી જીવનની તણાવગ્રસ્ત જિંદગીનું આલેખન ‘ધ હાઈ વે’ વાર્તામાં રે બ્રાડબરી કરે છે. નવલિકાના પ્રારંભે વાર્તાનાયક હર્નાન્દો પોતાના ઘરની છાપરીની પડાળીમાં વરસાદ બંધ થવાની રાહ જોતો ઊભો છે. એનો પહેરવેશ અને પગમાં પહેરેલા ટાયરમાંથી બનાવેલા જોડા એની ગરીબીની ચાડી ખાય છે. થોડીવાર પછી ઝરમર વરસતા વરસાદમાં એ ઘર નજીકની સડક (હાઈ વે) પર આવી ઊભો રહે છે. આજે તદ્દન સૂની પડેલી સડક પર ઊભો ઊભો એ આજુબાજુની પ્રકૃતિને જોતાં ભૂતકાળમાં સરી પડે છે. ભૂતકાળની આ સ્મૃતિઓના વિનિયોગ દ્વારા લેખક શહેરીજનોની લાક્ષણિકતાઓને દર્શાવી આપે છે. શહેરી લોકો મુસાફરી કે પ્રવાસમાં ગ્રામીણો સાથે, પરંપરાગત પહેરવેશ સાથે કે એમની ઓળખ સમી વસ્તુઓ પહેરી ફોટા પડાવે છે. ક્યારેક ઝૂંપડાઓના, ખાનપાનના, ઢોરઢાંખના ફોટા પાડે અને આધુનિકતાને નામે એનું પ્રદર્શન પણ કરે છે ! અહીં પણ હર્નાન્દો એવી એક ઘટનાને યાદ કરે છે. કોઈક મુસાફર ફોટો પડાવવા એની પાસે વાંસની ચીપટોવાળો ખેડૂટોપો માગે છે. – ‘અમારે તો પેલો તમારો પહેરેલો ટોપો જોઈએ’. (પૃ. 151 દ.પા. નવલિકાઓ) (અરિઝોના, ન્યુ મેક્સિકોના ખેડૂતો પહેરે એ) જે સડક પરથી સમયાંતરે ગાડીઓ પસાર થયા કરતી, તે સડક આજે સૂની જોઈ હર્નાન્દોના મનમાં શંકા જન્મે છે, કશુંક અજુગતું લાગે છે. પત્ની પૂછે ત્યારે પણ એ કહે છે કે, – ‘જો, રસ્તો જો, કશું રમણભમણ થયેલું લાગે છે. આ રીતે રસ્તો આટલો બધો ખાલી કરી નાખે એવું કશુંક મસમોટું’.(પૃ. 151 દ.પા. નવલિકાઓ) એને કશાક અમંગળની ભીતિ વર્તાય છે.
ખેતર જવાની તૈયારી સાથે ઝરમર વરસતા વરસાદમાં બહાર નીકળી હર્નાન્દો સડક પર આવી ઊભો રહે છે. સૂની સડક પર એના આશ્ચર્ય વચ્ચે એક પછી એક ગાડીઓની વણઝાર શરૂ થઇ, ગણતાં ગણતાં થાકી જવાય એટલી બધી ગાડીઓ. સેંકડો ગાડીઓ પસાર થતી જોઈ એને ભારે કુતૂહલ થયું. ગાડીમાં ખીચોખીચ ભરેલા, એકમેકને ભચડાઈને બેઠેલા લોકોના ચહેરા પરના ન સમજાય તેવા ભાવ તેની નજરે પડ્યા. કોઈક અજ્ઞાત ભયના ડરથી લોકો ભાગી રહ્યા હોય એવું તેને લાગે છે. ગાડીઓની આ લાંબી વણઝાર તેને કોઈ લાંબી સ્મશાનયાત્રા હોય એવી લાગે છે. થોડા સમય પછી ફરી એકવાર સૂનકાર વ્યાપી જાય છે. સડક સૂની થઇ જાય છે. ત્યાં જ અચાનક એક જૂની ફોર્ડ ધુમાડા કાઢતી આવીને ઊભી રહે છે. રેડીએટર ગરમ થઇ જવાને કારણે વરાળના ગોટે ગોટા નીકળી રહ્યા હતા. ગાડી એક જુવાન ચલાવતો હતો અને અંદર પાંચેક સુંદર યુવતીઓ બેઠી હતી. વરસાદથી બચવાની વ્યર્થ કોશિશમાં છાપાં ઓઢીને બેઠેલી છોકરીઓના ચહેરા પર ભય ડોકાતો હતો, ઘણી છોકરીઓ રડી રહી હતી. છોકરો રેડીએટર ઠંડું કરવા હર્નાન્દો પાસે પાણી માંગે છે, ઔદ્યોગિકીકરણ અને શહેરીકરણથી ઉત્પન્ન થયેલ તણાવ, વ્યગ્રતા અને ઉકળાટને ઠારવા આખરે પ્રકૃતિ જ કામ લાગે છે, એવો પ્રતીકાત્મક સંદેશ પણ લેખક અહીં આપે છે. કોઈ ડરને કારણે રડતી અને અહીંથી ઝડપથી સલામત સ્થળે ભાગી જવાની ઉતાવળમાં આ યુવતીઓ બેચેન છે. એટલે હર્નાન્દોને ઝડપથી પાણી લાવવા કહે છે. હર્નાન્દો પણ અજ્ઞાત ભયથી ડરી ગયેલા લોકોની દશા જાણી ગયો હોય તરત નાયડી ભરીને પાણી રેડી, રેડીયેટર ઠંડું કરે છે. (નાયડી- તગારી જેવી વ્હિલ કેપ, કોઈ અકસ્માતમાં છૂટી પડી ગયેલ વ્હિલ કેપ તેને મળી હતી જેનો તે તગારા તરીકે ઉપયોગ કરતો), આ દરમ્યાન હર્નાન્દો પોતાને સતાવતો પ્રશ્ન પેલા ડ્રાઈવર જુવાનને પૂછે છે કે, – ‘એક જ કલાકમાં આટલી બધી ગાડીઓ ! બધી જ ગાડીઓ એક જ દિશામાં ભાગી, ઓતરાતી દિશામાં.’(પૃ. 154) પ્રશ્ન સાંભળતાં જ ગાડીમાં બેઠેલી યુવતીઓ ધ્રુસકે ધ્રુસકે રડવા માંડી, જાણે કોઈએ દુઃખતી રગ પર હાથ ન મુક્યો હોય ? આફતના નામ માત્રથી આટલો ડર ? શહેરીજનોની પલાયનવાદી માનસિકતા યાંત્રિકતાની દેણ છે.
હર્નાન્દો ફરી પૂછે છે – ભાઈ શું થયું છે ? ડ્રાઈવર એને મોઘમ જવાબ આપે છે કે, – ‘બનવાનું હતું તે બની ગયું! આ ખરાબ થયું હતું’. યુવાન મદદના બદલામાં એક આનો (25 પૈસા) એના હાથમાં મૂકે છે. પણ હર્નાન્દો, આરણ્યકોના પ્રતિનિધિ તરીકે વર્તતાં પૈસા લેવાની ના પાડતાં કહે છે કે, – ‘આ તો મારું કામ હતું ને મેં કર્યું’.(પૃ. 155) આની સામે, પરિચય ન કરાવાય ત્યાં સુધી વાત પણ ન કરતા ગણતરીબાજ શહેરીજનોને મૂકી જુઓ ? સાંપ્રત વિશ્વની ગતિવિધિઓથી અજાણ, નિર્દોષ અને નિખાલસ હર્નાન્દો, યુવાનને કહે છે કે, – ‘મેં એવું કંઈ સાંભળ્યું નથી’. એક આરણ્યકનું ભોળપણ જોઈ ડ્રાઈવર યુવાને સ્પષ્ટપણે અણુયુદ્ધ વિશે જણાવી દીધું . – ‘લડાઈ થઈ ગઈ, અણુબોમ્બની લડાઈ, દુનિયાનો અંત’ હર્નાન્દો કશું સમજે એ પહેલાં તો ‘આવજો’ કહીને આભાર પ્રદર્શિત કરતાં ગાડી મારી મૂકી.
હર્નાન્દો ન સમજાય તેવી વાતોથી શૂન્યમનસ્ક થઇ ગયો હતો. વરસતા વરસાદની વચ્ચે થોડીવાર તો તે ત્યાં જ બીજી કોઈ ગાડી આવે તેની રાહ જોતો સ્થિર થઇ ગયો, પણ … કોઈ ચહલપહલ ન દેખાઈ. ડરામણી વાતોથી એને પણ શંકા થઈ આવી કે, – ‘કદાચ લાંબા કાળ સુધી આવી ચહલપહલ પાછી દેખાશે કે કેમ’ ? શહેરીજનોને ઊચાટ કરાવતી આવી બાબતો તેને લાંબો સમય અસર કરી શકતી નથી .. વરસાદ બંધ થતાં જ કાળાડીબાંગ વાદળો પાછળનું ભૂરું આકાશ દેખાયું. વાદળ ખૂલી ચુક્યું હતું, એક વાવાઝોડું ખરાબ શ્વાસ – ઉચ્છવાસની પેઠે પસાર થઇ ગયું. એક દુ:સ્વપ્ન સમા સમયમાંથી બહાર આવી ફરી પ્રકૃતિ સાથે એનું તાદાત્મ્ય સધાયું, મધુર પવન પ્રકૃતિની મીઠી સુવાસ લઈ એના સુધી આવ્યો, નદીનો ખળખળ વહેતો પ્રવાહ, લીલુંછમ વન, પ્રકૃતિની તાજગી શ્વાસમા ભરી એ ખેતરમાં થઇ ઘરે ગયો. શંકાનાં વાદળો દૂર થયાં અને આકાશમાં સૂરજ નીકળી ચૂક્યો હતો. પ્રકૃતિની વચ્ચે જીવતા આરણ્યકોની આશાનો સૂર્ય.
ઘરે પાછા આવેલા હર્નાન્દોને પત્ની પૂછે છે, ‘શું થયું’? ગમે તેવી વિકટ પરિસ્થિતિમાં પણ પ્રકૃતિ વચ્ચે જીવતા મહેનતકશ માણસનો જવાબ – ‘કશું નહિ’ જ હોય. નદીની પડખે આવેલા ખેતરમાં હળ હાંકતાં, બળદને પોરસાવતો તે પોતાના કામમાં મગ્ન થઇ જાય છે. છતાં એ મનોમન વિચારે છે કે, – ‘દુનિયા’ પેલા લોકો શું કહેતા હતા ? (What do they mean, the world ?) તે પોતે પણ આ દુનિયાનો જ ભાગ છે અને હજુ સુધી તેણે આવાં યુદ્ધ વિશે કે દુનિયાના અંત વિશે સાંભળ્યું નથી. કેમ કે તે મીડિયાની આંટીઘૂંટીઓથી દૂર છે. શહેર અને આધુનિક સુખ સગવડોથી દૂર રહેતા આરણ્યકોની એક અલગ દુનિયા છે, પ્રકૃતિ કે નિસર્ગને ખોળે રહેનારા લોકો બિલકુલ પ્રાકૃતિક જીવન જીવે છે. શહેરી લોકોને દુનિયામાં બનતી પળ પળની ઘટનાઓ ઉત્તેજીત કરી મૂકે છે, ડરાવી મૂકે છે, ચિંતિત કરી મૂકે છે. કેમ કે, તેઓ આજના વૈશ્વિક મીડિયા સાથે જોડાયેલા છે એટલે દુનિયાની સાચી ખોટી ખબરો તેમના મન પર મોટી અસર ઊભી કરે છે. આજના વિશ્વમાં તો ‘ફેક ન્યુઝ’ એની ખરાઈ થાય ત્યાં સુધીમાં ઘણું નુકસાન કરી દે છે. સોશિયલ મીડિયા આજના જમાનાનું મહત્ત્વનું પરિબળ છે જે આધુનિક વિશ્વને ખતરનાક હદે પ્રભાવિત કરી રહ્યું છે.
આજે તો વિશ્વ બે ત્રણ ભાગમાં વહેંચાઇ ગયું છે. મહાસત્તાઓ, વિકસિત દેશો, અલ્પવિકસિત અને અવિકસિત કે ગરીબ દેશો. દુનિયાના શાણા લોકો એને ત્રીજા વિશ્વના લોકો કહે છે, શું તમને નથી લાગતું કે ‘ત્રીજા વિશ્વના દેશો’ શબ્દ જ ભેદભાવવાળો છે ? ગરીબાઈમાં સાદગીપૂર્ણ જીવન વિતાવતા આ લોકોના દેશો એમને માટે એક બઝાર (Market) છે. ‘ધ હાઈ વે’ ટૂંકીવાર્તાના અંતે હર્નાન્દોને થતો પ્રશ્ન What do they mean, the world ? એ જગતનાં સઘળાં ત્રીજા વિશ્વના લોકોનો પ્રશ્ન છે. કેમ કે, તફાવત સ્પષ્ટ છે. – ‘There is clear separation between the industrialized part of the world and the less industrialized country, urban and rural, rich and poor’. જ્યારે તે ‘દુનિયા’ ? એવો પ્રશ્ન પોતાની જાતને કરે છે ત્યારે – He is suggesting that the part of the world interested in war, land and technology is different from his world.
આજના વિશ્વમાં આપણે પણ દુનિયા એટલે અમેરિકા જેવી મહાસતા, ઇંગ્લેન્ડ, રશિયા, ચીન, ફ્રાન્સ, જર્મની જેવા શક્તિશાળી, વિકસિત દેશોને જ ગણીએ છીએ! આફ્રિકા, એશિયાના મોટા ભાગના દેશોને ત્રીજા વિશ્વમાં ગણીએ છીએ. બાકીની દુનિયા વિશે આપણે ન તો વિચાર્યું છે કે ગણતરી કરી છે. આજે પણ દુનિયામાં, એમેઝોનનાં જંગલોમાં, આફ્રિકાના જંગલ પ્રદેશો, આંદામાન નિકોબાર જેવા અન્ય ટાપુઓ પર વસનારી પ્રજાતિઓ વિશે આપણે બહુ ઓછું જાણીએ છીએ. કેટલાયે ટાપુઓ પર વસતી આદિમ પ્રજાતિઓને આજની દુનિયા વિશે કંઈ જ જાણ નથી. તદ્દન પ્રાકૃત અવસ્થામાં જીવતા આ લોકો એકવીસમી સદી, એની શોધખોળો અને સુખસગવડો, સંચારક્રાંતિ(IT)થી તદ્દન અજાણ છે. દુનિયા મુઠ્ઠીમાં કરીને જીવનારા આજની દુનિયાના લોકોને આ વાત કદાચ અવાસ્તવિક લાગે ! પણ એ સત્ય છે. બ્રાઝિલના WESTERN AMAZON BESINમાં વસતા KORUBO જે clubber તરીકે ઓળખાય છે તે આદિમ જાતિ, પેરુની માનુ નદીના જંગલ પ્રદેશમાં વસતા MASCHO PIRO આદિવાસીઓ અને ભારતના આંદામાન નિકોબાર ટાપુઓની વાત કરીએ તો, અહીંના NORTH SENTINEL ટાપુ પર વસતા SENTINELESE આદિમ જાતિના લોકો સેંકડો વર્ષોથી આજની દુનિયાથી કપાયેલા છે. સેન્ટીનલ ટાપુ પર માત્ર 40થી 400ની સંખ્યામાં રહેલા આ લોકો સ્વેચ્છાએ દુનિયાથી અલગ રહે છે. સરકાર પણ તેમાં દાખલ કરતી નથી. તેમની દુનિયામાં પ્રવેશ કરનારને મોતને ઘાટ ઊતારી દેતાં તેઓ અચકાતા નથી. 2021ના વર્ષમાં પણ તેમની પોતાની જ દુનિયા છે. આવાં લોકોને ન ભૂકંપ, ન ત્સુનામી કે ન અણુયુદ્ધ નડે છે. કુદરતના ખોળે કુદરતી જીવન જીવે છે, કુદરત પર વિશ્વાસ રાખીને સહજ જીવન જીવનારને આપણી દુનિયાની પડી નથી.
‘ધ હાઈ વે’ આજના સમયમાં જીવતા દરેક માણસ સામે પ્રશ્ન ચિહ્ન મૂકે છે, વૈજ્ઞાનિક આવિષ્કારોના લાભ ઉઠાવતા, ભૌતિક સુખ સગવડો ભોગવતા, આજના આધુનિક શહેરોમાં વસતા માણસો કોઈ મોટી આપત્તિ આવતાં જ, અસલામતી અનુભવી ટેન્શનમાં આવી જાય છે, ડરી જાય છે. COVID 19ના કાળમાં ઘણાં શહેરીઓ, મોટા ધનિકો શહેર છોડી સલામત સ્થળે ભાગી ગયા છે. સામાન્ય શહેરીઓ પોતાના મૂળ વતનના ગામ ઘર કે જંગલ તરફ દોટ મૂકે છે. કુદરતના ખોળે શુદ્ધ હવા ,પાણી અને ખોરાક શોધવા લાગી જાય છે. બધી વસ્તુઓ ઈમ્પોર્ટેડ શોધતા માણસો ખાવા પીવાની વસ્તુઓ ઓર્ગેનિક શોધે છે. આવું કરવામાં ઘણીવાર ત્યાંના નિર્દોષ લોકોને પણ ચેપ લગાડે છે !
‘ધ હાઈ વે’ ટૂંકીવાર્તાનો નાયક ભલો ભોળો આરણ્યક છે. જરૂરિયાતમંદ પ્રવાસીને નિ:સ્વાર્થ મદદની ભાવનાવાળો છે. મદદના બદલામાં મળેલ ‘આનો’ પરત કરતાં એ કહે છે કે, – ‘આ તો મારું કામ હતું ને મેં કર્યું.’ એ વિધાન ગણતરીબાજ શહેરીઓના મોઢા પર તમાચારૂપ છે. હર્નાન્દોનું વ્યક્તિત્વ સુરેશ જોષીના ‘જનાન્તિકે’ના એક નિબંધની યાદ અપાવે એવું છે. કે, – ‘આપણે જેમને ગંદા ગોબરા ગામડિયા કહીને ઉતારી પાડીએ છીએ એવા લોકોના હાથમાં જ પ્રકૃતિ સલામત છે’. પ્રાકૃતિક સમાજ પાસે સીધીસટ અભિવ્યક્તિ હોય છે. આપણી જેમ વિસ્તારથી સમજાવ્યા પછી પણ ‘I mean’ હું આ કહેવા માંગું છું કે હું એમ કહેવા માગતો નહોતો – મારો કહેવાનો અર્થ એવો નથી, જેવાં સ્પષ્ટીકરણ કરવા પડે છે.
અંગ્રેજીમાંથી અનુવાદ કરતી વખતે અનુવાદક રેમંડ પરમારની નજર સામે ગુજરાતી પરિવેશ રહ્યો હશે, ‘ધ હાઈ વે’માંથી નાયક હર્નાન્દોનું નામ હટાવી દઈએ તો નિતાંત ગુજરાતી નવલિકા જ લાગે ! અનુવાદમાં પ્રયોજાયેલા, છાપરી, પરાળ, ઘંટી, ભાભા, ખડા, ગોટેગોટા, પડાળી, નાયડી, તગારું, ચાસ અને બાપ્પો ..! બાપ્પો ..! જેવા શબ્દો નવલિકામાં ગુજરાતી પરિવેશ ઊભો કરે છે. ગુજરાત જ નહિ વિશ્વના કોઈ પણ દેશના પરિવેશમાં બંધબેસે એવું વાતાવરણ વાર્તાકારે ઊભું કર્યું છે. પ્રકૃતિનું વર્ણન પણ અનુવાદમાં સુંદર અલંકૃત આલેખન પામ્યું છે. જુઓ – ‘વર્ષારાણી જાણે ખેતરમાંની છાપરીના પરાળથી છજેલા છાપરાને હળવી ટપલીઓ મારી રહી હતી’. (પૃ. 150), વાદળાંમાંથી આકાશે ડોકિયું કર્યું’. (પૃ. 156) પ્રતીકાત્મક રીતે શહેરીજનોની લાક્ષણિકતાઓને ઉજાગર કરતાં વિધાનો લેખકનું સર્જનસામર્થ્ય દર્શાવે છે. જુઓ – ‘અરે! ઓ ભાભા ! અમે તમારો ફોટું ખેંચીએ ?’ (પૃ. 151) – ‘અમારે તો પેલો તમારો પહેરેલો ટોપો જોઈએ.’ (પૃ. 151) ‘ઓહ ! મહેરબાની કરીને ઝટ કરજો’. (પૃ. 153) તો વળી ગ્રામીણ લોકોની લાક્ષણિકતાઓ પણ લેખક પ્રતીકાત્મક રીતે જ અભિવ્યક્ત કરે છે. જુઓ – ‘હું પાણી લાવી આપું છું.’ (પૃ. 153) ‘ભાઈસા’બ, મારા કહેવાની એવી કશી જ મતલબ નહોતી’. (પૃ. 154) ‘આ તો મારું કામ હતું ને મેં કર્યું’. (પૃ. 155) ‘કશું નહીં’ અને ‘બાપ્પો ! બાપ્પો !’ (પૃ. 156) શહેરીઓના મુકાબલે પરંપરિત ગ્રામીણોનું વ્યક્તિત્વ કેવું નમ્ર, નિર્દંભ અને નિર્દોષ છે તે દર્શાવી આપે છે. તો બંને વચ્ચેની વિષમતાને પણ સહોપસ્થિતિ દ્વારા સહજ અને સરળ રીતે લેખક મૂકી આપે છે. ઉદાહરણ − ‘ઉપરથી નીચે પડીને વહી જતી નદી ગેરાડુ માટી વાળો …. … ધસમસતો પ્રવાહ કાદવકીચડને કારણે ડહોળાયેલો હતો. બાજુમાં હતો સિમેન્ટ – કોંક્રિટવાળો ધોરી રસ્તો.’ (પૃ. 150). તો વળી આ વાર્તાની સમસ્યાનું હલ પણ લેખક આવી એક પ્રયુક્તિ દ્વારા આપી દે છે . જુઓ – ‘પહાડના એ બાજુના રસ્તેથી, ઝરમર ઝરમર વર્ષામાં, વરાળના ગોટેગોટા કાઢતી ફોર્ડ ગાડીએ હર્નાન્દોને દીઠો કે એ ગાડી ઊભી રહી ગઈ. ગાડી કાદવ કાદવ થઈ ગઈ હતી. ગાડીનું રેડિયેટર ગોટેગોટા કાઢતું હતું. ડ્રાઈવર પૂછે છે, – ‘મોટા, અમને થોડું પાણી મળશે કે’ ?’(પૃ. 153) ઔદ્યોગિક ક્રાંતિ, યંત્ર અને વિજ્ઞાનને કારણે પૃથ્વી આગનો ગોળો બની જાય તે પહેલાં પ્રકૃતિ તરફ પાછા વળી શાતાનો અનુભવ કરવાનો સંદેશ અહીં છે. સંત માત્થીનું પુસ્તક પણ દુનિયાની માનવજાતને સાવચેત કરતાં કહે છે કે, -‘કેમ કે તે સમયે એવી મોટી વિપત્તિ આવી પડશે કે તેના જેવી જગતના આરંભથી તે હમણાં સુધી થઈ ન..’. (માત્થી 24.21)
ચાલીસ – પચાસના દાયકામાં દુનિયાના લોકો પરમાણું વિકિરણ – પ્રદૂષણ અને ગ્લોબલ વોર્મિંગ વિશે બહુ ઓછું જાણતા હતા. પણ હવે લોકો જાણે છે કે, હર્નાન્દો જેવાઓનું પ્રકૃતિ વચ્ચે જીવાતું શાંત અને સહજ જીવન અસંભવ થશે. કેમ કે વિકાસનો કહેવાતો વિકરાળ દૈત્ય જળ, જમીન, જંગલ, નદી -પર્વત, પ્રકૃતિ અને પર્યાવરણ સાથે સજીવસૃષ્ટિ અને માનવોનું નિવસનતંત્ર નષ્ટ કરી દેશે. ‘સમુદ્રાન્તિકે’ના બાવાજી ભલે કહેતા હોય કે, ‘… પ્રકૃતિ સદા સર્વદા મુક્ત હૈ, કોઈ ઇસે બાંધ નહિ પાતા ઔર ન ઈસે બિગાડ સકતા હૈ’. પરંતુ જ્યાં સુધી : લાઈફ ઓફ પાઈ’ ફિલ્મનો કિશોર જેમ વાઘ સાથે અનુકૂલન સાધી રહે છે, તેમ જો પ્રકૃતિ સાથે અનુકૂલન સાધીને ન રહ્યા તો … આખી પૃથ્વી ક્લાઈમેટ ચેન્જ અને ગ્લોબલ વોર્મિંગને કારણે રહેવાલાયક નહિ રહે, પૃથ્વી પરની આખેઆખી સમાજવ્યવસ્થા પડી ભાંગશે, જીવનશૈલી બદલાઈ જશે !માનવજાતના મૂળિયાં ઉખડી જાય એવો વિકાસ આપણને પૃથ્વી છોડવા મજબૂર કરી દેશે. ‘ધ હાઈ વે’ દ્વારા રે બ્રાડબરી આપણને આગાહ કરી રહ્યા છે. – ‘Technology gone awry and that a simple life is more desirable ’
સી.યુ. શાહ આર્ટસ કોલેજ, અમદાવાદ – 380 001
સંદર્ભગ્રંથ
1 દસ પાશ્ચાત્ય નવલિકાઓ − અનુવાદક – રેમંડ પરમાર
2 સુરેશ જોશી સંચય – સંપાદક શિરીષ પંચાલ – જયંત પારેખ
3 યાત્રા ભીતરની – મૂકેશ મોદી
4 નવો કરાર – BSI
5 ધ માર્શિયન ક્રિનિકલ્સ – ફિલ્મ
e.mail : arvindvaghela1967@gmail.com