ગયા વરસે મે મહિનામાં લોકસભાની ચૂંટણીમાં કૉન્ગ્રેસનો બીજી વાર કારમો પરાજય થયો એ પછી કૉન્ગ્રેસના પ્રમુખ રાહુલ ગાંધીએ પરાજયની નૈતિક જવાબદારી સ્વીકારીને પક્ષના પ્રમુખપદેથી રાજીનામું આપી દીધું હતું. કેટલાક લોકોએ તેમને પ્રમુખપદે ચાલુ રહેવા વિનંતી કરી હતી તો બીજા કેટલાક લોકોએ નવા પ્રમુખ કોણ બની શકે તેની શોધ આદરી હતી. પક્ષ કોઈ નિર્ણય નહીં લઈ શક્યો, ત્યારે છેવટે બે મહિના પછી રાહુલ ગાંધીની જગ્યાએ સોનિયા ગાંધીની વચગાળાના કાર્યકારી પ્રમુખ તરીકે નિયુક્તિ કરવામાં આવી હતી. પક્ષ સામે જ્યારે અસ્તિત્વનું સંકટ છે ત્યારે આજે દોઢ વરસ થયાં પક્ષ નેતૃત્વ વિષે નિર્ણય કરવાની સ્થિતિમાં નથી. આમ કેમ એવો પ્રશ્ન થવો સ્વાભાવિક છે.
ખરું પૂછો તો કૅન્ગ્રેસને જો બેઠી કરવી હોય તો અત્યારનો સમય તેના માટે શ્રેષ્ઠ સમય છે. એનાં બે કારણ છે. એક તો એ કે કૉન્ગ્રેસ સત્તામાં નથી અને નજીકના ભવિષ્યમાં સત્તામાં આવી શકે એમ નથી એટલે સત્તાલાલચુઓ કૉન્ગ્રેસમાં આવવાના નથી અને જે હતા એ કૉન્ગ્રેસ છોડીને જતા રહ્યા છે. ટૂંકમાં કચરો સાફ થઈ ગયો છે. બીજી અનુકૂળતા એ વાતની છે કે દેશમાં અત્યારે સમાજ બે ફાડિયામાં વહેંચાઇ ગયો છે. ભારતના જે નાગરિકો સર્વસમાવેશક સેક્યુલર લોકતાંત્રિક ભારતમાં શ્રદ્ધા ધરાવે છે એ લોકો બી.જે.પી.ના વિરોધી છે અને રહેવાના છે અને તેમને બી.જે.પી.નો વિકલ્પ જોઈએ છે. દેખીતી રીતે કૉન્ગ્રેસ બી.જે.પી.નો વિકલ્પ બની શકે એમ છે અને કૉન્ગ્રેસ તકનો લાભ નથી લઈ શકતી એને કારણે તેઓ દુઃખી છે. ૧૯૭૫માં ઈમરજન્સીમાં જેલમાં જઈ આવેલા લોકો પણ ઈચ્છે છે કે કૉન્ગ્રેસ બેઠી થાય.
ટૂંકમાં કૉન્ગ્રેસનું ઠીક ઠીક પ્રમાણમાં પ્રક્ષાલન થઈ ગયું છે અને પ્રજાનો એક મોટો વર્ગ કૉન્ગ્રેસ બેઠી થાય એમ ઈચ્છે છે છતાં કૉન્ગ્રેસ એ દિશામાં કોઈ પ્રયાસ કરતી નથી, એવું કેમ? એ દિશામાં કોઈ ચર્ચા પણ જોવા મળતી નથી. બે મહિના પહેલાં કેટલાક લોકોએ સોનિયા ગાંધીને પત્ર લખ્યો હતો અને કૉન્ગ્રેસ કાર્યસમિતિની બેઠક બોલાવવામાં આવી હતી પણ સરવાળે એમાંથી કાંઈ જ નીપજ્યું નહોતું. બિહાર વિધાનસભાની ચૂંટણીમાં કૉન્ગ્રેસના થયેલા ધબડકા પછી પણ કોઈ ઊહાપોહ જોવા મળતો નથી. કેમ કોઈ પહેલ નથી?
એનું કારણ એ છે, પહેલ કરે કોણ? ગાંધી પરિવારના કોઈ સભ્યમાં કૉન્ગ્રેસને બેઠી કરવાની ક્ષમતા નથી. સોનિયા ગાંધીની ઉંમર થઈ છે અને તેમની તબિયત પણ સારી નથી. પ્રિયંકા ગાંધી આવે છે અને ગાયબ થઈ જાય છે. રાહુલ ગાંધી સતત હાજર છે અને સતત હાજર નથી. ૨૦૦૪માં રાહુલ ગાંધી સક્રિય રાજકારણમાં આવ્યા હતા. યુવા કૉન્ગ્રેસનું પ્રમુખપદ સંભાળ્યા પછી ૨૦૦૭માં તેમને પક્ષના મહા મંત્રી બનાવવામાં આવ્યા હતા. ૨૦૧૩માં તેમને કૉન્ગ્રેસના ઉપ-પ્રમુખ અને ૨૦૧૭માં તેમને પ્રમુખ બનાવવામાં આવ્યા હતા. કોઈના નેતૃત્વક્ષમતાની ચકાસણી માટે ૧૬ વરસ એ કોઈ ઓછો સમય નથી. સોળ સોળ વરસ પછી પણ કૉન્ગ્રેસીઓ જો રાહુલ ગાંધી ઉપર ભરોસો રાખીને બેઠા હોય તો એનો અર્થ એટલો જ થાય કે તેઓ મૂર્ખ છે.
પણ ના, તેઓ મૂર્ખ નથી. તેઓ રાહુલ ગાંધી ઉપર ભરોસો રાખીને બેઠા નથી. તેમને જાણ છે કે રાહુલ ગાંધી કૉન્ગ્રેસને બેઠી કરી શકે એમ નથી. તેમને એ વાતની પણ જાણ છે કે રાહુલ ગાંધીમાં નેતૃત્વનું કાઠું નથી. તેમને એ વાતની પણ જાણ છે કે પક્ષનું ઠીકઠીક પ્રમાણમાં પ્રક્ષાલન થઈ ગયું છે. તેમને એ વાતની પણ જાણ છે કે કૉન્ગ્રેસ બેઠી થાય એવી સમયની માગ છે અને પ્રજાનો એક વર્ગ કૉન્ગ્રેસ તરફ આશાની નજરે જોઈ રહ્યો છે. આમ છતાં ય કોઈ આગળ આવતું નથી.
લાખ રૂપિયાનો સવાલ એ છે કે કરે કોણ? અને જો કોઈ આગળ આવે તો એને કરવા દે કોણ? કોઈ વ્યક્તિ પક્ષની બાંધણી કરવા આગળ આવે તો એને કાં તો સર્વોચ્ચ સ્થાનેથી નેતૃત્વનું સમર્થન મળવું જોઈએ અથવા નીચેથી કાર્યકર્તાઓનો સાથ મળવો જોઈએ. કૉન્ગ્રેસમાં સર્વોચ્ચ સ્થાને જે નેતૃત્વ છે એને પોતે કાંઈ કરવું નથી અને કરવા દેવું નથી. અંદર શું ચાલી રહ્યું છે એ આપણે જાણતા નથી, પરંતુ સ્થિતિ લગભગ આવી છે. રહી વાત નીચેથી કાર્યકર્તાઓના સાથની તો નીચે કોઈ કાર્યકર્તાઓ જ નથી. પરિવર્તનનું બીડું ઉઠાવનારા માણસને જો બેમાંથી કોઈ સ્રોતમાંથી શક્તિ ન મળે તો એ કાંઈ જ ન કરી શકે. કૉન્ગ્રેસને બેઠી કરવાનો એક જ માર્ગ છે. ગાંધીપરિવાર કોઈને આગળ કરે, તેને સ્વતંત્રતા આપે એટલું જ નહીં તેને વિરોધીઓ સામે રક્ષણ પણ આપે. એક વાર બીજ કોળાઈ જશે તો છોડવો એની મેળે ઉછરવા લાગશે. એ પછી તેને પરિવારની મદદની જરૂર નહીં પડે. કદાચ એવું પણ બને કે તે પરિવારને દૂર ધકેલી દે અને તેને માટે પરિવારે તૈયાર રહેવું પડે.
અહીં સવાલ ઉપસ્થિત થવો જોઈએ કે કૉન્ગ્રેસને બેઠી કરવાના પ્રયાસનો કોણ વિરોધ કરે છે અથવા કોણ બાધારૂપ બને છે? એ લોકો જેઓ રાજ્યોમાં શાસન કરે છે. જેમની પાસે સત્તા છે એ લોકોને ત્યાં સુધી પરિવર્તનમાં રસ નથી જ્યાં સુધી તેમની પાસે સત્તા છે. એ લોકોને જે પાણીએ મગ ચડે એ પાણીએ ચડાવવામાં રસ છે. તેઓ પોતાનો તાત્કાલિક સ્વાર્થ જુએ છે, પક્ષનું જે થવું હોય તે થાય. મધ્યપ્રદેશમાં અને રાજસ્થાનમાં તાજેતરમાં આ જોવા મળ્યું છે.
તો પછી કરવું શું? ઉપાય એક જ છે. રાહુલ ગાંધીએ કૉન્ગ્રેસને લોકતાંત્રિક બનાવીને પરિવારમુક્ત કરી આપવી જોઈએ. એક જ લક્ષ; લોકતાંત્રિક પરિવારમુક્ત કૉન્ગ્રેસ. આ રીતે રાહુલ ગાંધી કૉન્ગ્રેસ અને દેશ ઉપર મોટો ઉપકાર કરી શકશે અને ઉમદા માણસ તરીકે ઇતિહાસમાં સ્થાન મેળવશે.
પ્રગટ : ‘નો નૉનસેન્સ’, નામક લેખકની કટાર, ‘રવિવારીય પૂર્તિ’, “ગુજરાતમિત્ર”, 06 ડિસેમ્બર 2020