દિલ્હી જતા ખેડૂતોને અટકાવવા માટે પોલિસે જે કાર્યવાહી કરી તેના સંદર્ભમાં કેનેડાના વડા પ્રધાન જસ્ટિન ત્રુદોએ ભારતમાં ખેડૂતોના "શાંતિપૂર્ણ વિરોધ કરવાના અધિકારનો બચાવ" કર્યો. આ મામલો ભારતનો આંતરિક મામલો છે એવું કહીને ભારત સરકારે તેની ટીકા કરી. આ ઘટનાના સંદર્ભમાં કેટલાક વિચારણીય મુદ્દા:
(૧) દુનિયાભરમાં આશરે ૨.૩૫ લાખ બહુરાષ્ટ્રીય કંપનીઓ છે. તેઓ દુનિયામાં બધે રોકાણ કરે છે ત્યારે સરકારોના કાયદા તેઓ બદલાવે છે અથવા સરકારો પોતે તેમને બોલાવવા કાયદા બદલે છે. તે સમયે કેમ કશી બાબત કોઈ દેશની આંતરિક બાબત નથી ગણાતી?
(૨) જો મૂડી રોકાણ અને તે કરનારી કંપનીઓ વૈશ્વિકીકરણનો ભાગ હોય તો, સ્વતંત્રતાનો અધિકાર અને એકંદરે તમામ માનવ અધિકારો પણ વૈશ્વિકીકરણનો ભાગ જ ગણાય. કોઈને પણ કોઈ પણ દેશમાં થતા માનવ અધિકારોના ભંગ સબબ અભિવ્યક્તિ કરવાનો અધિકાર છે.
(૩) તા. ૨૨-૯-૨૦૧૯ના રોજ ભારતના વડા પ્રધાન તરીકે નરેન્દ્ર મોદીએ 'હાઉડી મોદી' કાર્યક્રમમાં અમેરિકાની ધરતી પર "અબકી બાર ટ્રમ્પ સરકાર”-નો નારો ૨૦૨૦ની અમેરિકન રાષ્ટ્રપ્રમુખની ચૂંટણીના સંદર્ભમાં અમેરિકન ભારતીયો સમક્ષ પોતે લગાવ્યો હતો. ત્યારે તે ‘અમેરિકાની રાજકીય બાબતમાં મોદીની સીધી દખલગીરી’ હતી કે નહિ? તે સમયે અમેરિકાના કોઈ રાજકીય નેતાએ પોતાની ચૂંટણીમાં કોને જીતાડવા કે હરાવવા એ અમેરિકાનો આંતરિક મામલો છે અને નરેન્દ્ર મોદીએ એમાં દખલગીરી ના કરવી જોઈએ એવું કશું કહ્યું હોવાનું જાણમાં નથી. 'કૃષ્ણ કરે તે લીલા અને બીજા કરે તે છીનાળું?' કેનેડાના વડા પ્રધાને તો સ્વતંત્રતાના ભારતના બંધારણમાં લખવામાં આવેલા અધિકારના સંદર્ભમાં વાત કરી, જ્યારે મોદીએ તો સીધી ચૂંટણીમાં જ દખલગીરી કરી! જસ્ટિન ત્રુદોનો જો ગુનો હોય જ તો મોટો ગુનો મોદીનો ના ગણાય?
(૪) 'સંયુક્ત રાષ્ટ્રો'(UN)માં અને એવી અનેક વૈશ્વિક સંસ્થાઓમાં થતી અનેક સંધિઓ અને સમજૂતીઓમાં દુનિયાના ભારત સહિતના દેશો સહીસિક્કા કરે છે અને તેમનું પાલન કરવા બંધાય છે. તે વખતે ભારત સહિતનો કોઈ દેશ કોઈ મુદ્દો પોતાની આંતરિક બાબત છે એવો ચીપિયો પછાડતો નથી. તે સમયે સાર્વભૌમત્વ ક્યાં લપાઈ જાય છે?
આમ જુઓ તો, સાર્વભૌમત્વનો ખ્યાલ તદ્દન ઘસાઈ ગયો છે આ વૈશ્વિકીકરણના યુગમાં, એ સમજવાની જરૂર છે. જો ભારત સરકાર વિદેશી કંપનીઓને લાલ જાજમ બિછાવીને બોલાવતી હોય અને દેશની જમીનો અને અન્ય સંસાધનોની તેમને માલિક બનાવતી હોય, આ દેશમાં નફો રળીને પોતાના દેશભેગો કરવાની તેમને છૂટ આપતી હોય, તો ત્યારે દેશનું સાર્વભૌમત્વ કયા માળિયામાં સંતાઈ જાય છે એ સમજાતું નથી. દેશભક્તિ ત્યારે કેમ સૂકાઈને ઠીકરું થઈ જાય છે?
માનવ અધિકારો વૈશ્વિક મામલો છે કારણ કે મૂડી રોકાણ વૈશ્વિક મુદ્દો છે.
તા. ૦૨-૧૨-૨૦૨૦.
https://www.facebook.com/profile.php?id=100008214734262