‘તારા નામમાં ઓ સ્વતંત્રતા, મીઠી આ શી વત્સલતા ભરી!
મુરદાં મસાણેથી જાગતાં – એવી શબ્દમાં શી સુધા ભરી!
આપણા દેશની આઝાદી માટેની લડત પૂર જોશમાં શરૂ થઇ ચૂકી હતી ત્યારે, ૧૯૩૦માં, આપણા રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીએ આ શબ્દો ગાયા હતા. મસાણમાં સૂતેલાં મડદાંને પણ જગાડે એવી સુધા જે શબ્દમાં, ‘સ્વતંત્રતા’માં, ભરી હોય તે સર્જક જેવા સંવેદનશીલ જીવને તો અંદર બહારથી હચમચાવી ન મૂકે તો જ નવાઈ. આપણી સ્વતંત્રતા માટેની ચળવળે અને તેના મુખ્ય સારથી ગાંધીજીએ આપણા અનેક લેખકોને ત્રણ-ચાર દાયકા સુધી લખવા માટેની પ્રેરણા આપી છે.
૧૮૫૭માં સ્વાતંત્ર્ય માટેનું પહેલું યુદ્ધ મંડાયું, પણ તે વખતે આપણા મોટા ભાગના લેખકો પર તેની ખાસ કશી અસર થઇ નહોતી. બલકે, કવિ નર્મદ અને દલપતરામ તથા બીજા ઘણા લેખકો એ વખતે બ્રિટિશ રાજવટની તરફદારી કરતા હતા. આનું એક મુખ્ય કારણ એ હતું કે બ્રિટિશોના આગમન પહેલાંનાં વર્ષોમાં આ દેશમાં પારાવાર અરાજકતા ફેલાઈ હતી. કાયદો અને વ્યવસ્થા જેવું કશું ભાગ્યે જ બચ્યું હતું. બ્રિટિશ સરકારે એ અરાજકતાને દૂર કરી, કાયદો અને વ્યવસ્થાનું સ્થાપન કર્યું. આ સ્થિરતાને કારણે એ લેખકો બ્રિટિશ શાસનના પ્રશંસક બન્યા હતા. પણ તેમાં ય અપવાદો નહોતા એવું નથી.
“નિસ્તેજ થયેલી સ્વતંત્રતાને સતેજ કાંતિમાન કરવાની જરૂર છે કે નહિ? આપણા હક્ક આપણને મુખ્તેસર મળે નહિ અને એક નબળા ગુલામની માફક આપણા પર જુલમની ઝોંસરી ભેરવે, ત્યારે આપણે આપણા ખરા હક્કને સારું સ્વતંત્ર ન થવું? આ ઓશિયાળો અવતાર ક્યાં સુધી ભોગવવો? અહા! વહાલી સ્વતંત્રતા! તારા યશ સદા સુખદાયી છે. અને તે સુખના મીઠ્ઠા સાગરમાં અમને રમતા મૂક, કે જેથી અમે અમારી નિસ્તેજ થયેલી યશસ્વી કીર્તિ પાછી સંપાદન કરીએ.” કહી શકશો, આ શબ્દો ક્યારે લખાયા હશે? ૧૮૮૫માં મુંબઈમાં ઇન્ડિયન નેશનલ કૉન્ગ્રેસની સ્થાપના થઇ તેના કરતાં ય પહેલાં, ૧૮૭૮ના જાન્યુઆરીમાં આ શબ્દો લખાયા હતા અને એ છપાયા હતા સુરતથી પ્રગટ થતા ‘સ્વતંત્રતા’ નામના માસિકમાં. અને તે લખનાર હતા ગુજરાતી પત્રકારત્વના એક અગ્રણી ઈચ્છારામ સૂર્યરામ દેસાઈ. લેખક અને સામયિક પર અદાલતમાં રાજદ્રોહનો કેસ ચાલ્યો. બચાવપક્ષે વકીલ તરીકે ઊભા રહ્યા હતા સર ફિરોઝશાહ મહેતા. પાંચ મહિના ચાલેલા ખટલાને અંતે બધા આરોપીઓને અદાલતે નિર્દોષ જાહેર કર્યા હતા. આ જ ઇચ્છારામે ૧૮૮૦માં મુંબઈમાં ‘ગુજરાતી’ નામનું સાપ્તાહિક શરૂ કર્યું. ૧૮૮૫માં કૉન્ગ્રેસની સ્થાપના થઇ તે પછી આ ‘ગુજરાતી’માં સતત કૉન્ગ્રેસ તરફી લખાણો પ્રગટ થતાં રહ્યાં. આમ કરનાર તે વખતે મુંબઈનું એ એકમાત્ર વૃત્તપત્ર હતું. આ જ ઇચ્છારામે ૧૮૮૫માં ‘હિન્દ અને બ્રિટાનિયા’ નામની નવલકથા પુસ્તકાકારે પ્રગટ કરી. માત્ર આપણા દેશનાં જ નહિ, બ્રિટન, યુરપ અને અમેરિકાનાં અખબારો અને સામયિકોએ તેના વિષે લેખો લખ્યા. વાઈસરોય ડફરીનની કાઉન્સિલમાં આ નવલકથાથી રાજદ્રોહનો ગુનો થયો છે કે નહિ તે અંગેની તપાસ શરૂ થઇ. તપાસને અંતે નક્કી કરવામાં આવ્યું કે આ નવલકથાના લખાણથી રાજદ્રોહનો ગુનો બનતો નથી. એ પછી જોતજોતામાં એ નવલકથાની બીજી બે આવૃત્તિ પ્રગટ કરવી પડી એટલી લોકપ્રિયતા તેને મળી.
ઇચ્છારામની જેમ જ બહેરામજી મલબારી પણ એમના જમાના અગ્રણી લેખક, પત્રકાર અને વધુમાં સમાજ સુધારક હતા. બ્રિટિશ સરકારના અધિકારીઓ સાથે જ નહિ, ખુદ શહેનશાહ સાથે પણ મલબારીને સારા સંબધો હતા. અને છતાં તેમના ૧૮૯૮માં પ્રગટ થયેલા કાવ્યસંગ્રહ ‘સંસારિકા’ પર પણ રાજદ્રોહનો આરોપ મૂકાયો હતો. કેળવણી ખાતાના અધિકારી મિસ્ટર જાઈલ્સે પોતાના અહેવાલમાં જણાવ્યું કે ‘સંસારિકા’નાં કાવ્યોમાં મલબારીએ દેશી લોકોને તાજના રાજ વિરુદ્ધ વિદ્રોહ કરવા ઉશ્કેર્યા છે અને તેથી તેમણે રાજદ્રોહનો ગુનો કર્યો છે. પોલીસે મલબારીના છાપખાનાની ઝડતી લીધી. સરકારમાં ચર્ચા ચાલતી રહી, પણ અદાલતમાં કેસ જ મંડાયો નહિ. કારણ લંડનમાં હાઉસ ઓફ લોર્ડ્ઝમાં કેટલાક બ્રિટિશ આગેવાનોએ મલબારીનો જોરદાર બચાવ કર્યો હતો.
પણ સ્વાતંત્ર્યની ભાવના અને તેને માટેની લડતનું સ્પષ્ટ, સ્વચ્છ, અને સચોટ પ્રતિબિંબ ઝીલાતું થયું તે તો ૧૯૩૦ના અરસામાં. એ વર્ષના માર્ચ મહિનાની બારમી તારીખે ગાંધીજીની આગેવાની હેઠળ દાંડી કૂચ શરૂ થઈ અને આખા દેશમાં એક નવી જ ચેતનાનો સંચાર થયો. અને તે જ વર્ષના જુલાઈ મહિનાના અંકથી વિજયરાય વૈદ્ય સંપાદિત ‘કૌમુદી’ માસિકમાં રમણલાલ દેસાઈની ‘દિવ્યચક્ષુ’ નવલકથા હપ્તાવાર પ્રગટ થવા લાગી. એટલે કે હજી લડત ચાલુ હતી તે વખતે જ રમણલાલે આ નવલકથા લખવાનું શરૂ કર્યું હતું. તેમાં લેખકે સમસામયિક ઘટનાઓ અને વાતાવરણને આલેખવાનો સબળ પ્રયત્ન કર્યો છે. અસહકાર આંદોલનના યુગમાં ગુજરાતના જીવનમાં જે ફેરફાર થયા અને ગુજરાતના યુવાનો પરાક્રમભર્યું જીવન જીવવા લાગ્યા તેને નીરખવાના પોતાના પ્રયાસ રૂપે રમણલાલે ‘દિવ્યચક્ષુ’ને ઓળખાવી છે. અહિંસાત્મક પ્રતિકાર, અસ્પૃશ્યતા નિવારણ, સમાજ સેવા, સ્વદેશી આંદોલન, સ્ત્રી સ્વાતંત્ર્ય, સભા-સરઘસો, પોલીસના અત્યાચાર, અંગ્રેજ અમલદારોની જોહુકમી અને તોછડાઈ, જેવી એ જમાનાની ઘણી બધી વૃત્તિઓ, પ્રવૃત્તિઓ અને ભાવનાઓને રમણલાલે આ નવલકથામાં પ્રણય કથાની ઓથે અસરકારક રીતે નિરૂપી છે. ‘દિવ્યચક્ષુ’ પૂરી થઇ તે પછી તરત જ રમણલાલની બીજી નવલકથા ‘કૌમુદી’ માસિકમાં છપાવી શરૂ થઇ. આ નવલકથા તે ‘ભારેલો અગ્નિ.’ ૧૮૫૭ની ક્રાંતિનું ખૂબ જ પ્રભાવક ચિત્રણ આ નવલકથામાં તેમણે કેટલાંક ઐતિહાસિક અને કેટલાંક કાલ્પનિક પાત્રો દ્વારા નિરૂપ્યું છે. પોતે નવલકથા લખી રહ્યા છે, ઇતિહાસ લખવા બેઠા નથી, એ વાતનો લેખકને સતત ખ્યાલ રહ્યો છે એટલે ૧૮૫૭ની ક્રાંતિ આખી નવલકથામાં સતત અસરકારક પાર્શ્વભૂમિ તરીકે રહે છે, પણ કથાના રંગમંચ પર આપણી નજર સમક્ષ રહે છે તે તો તેનાં ગૌતમ, મંગલ, ત્ર્યંબક, કલ્યાણી, લ્યૂસી, અને રુદ્રદત્ત જેવાં પાત્રો અને તેમના જીવનમાંની ઘટનાઓ. નવલકથાનાં બધાં પાત્રો અને પ્રસંગો પર રુદ્રદત્તના પાત્રની છાયા પથરાયેલી રહે છે, અને રુદ્રદત્ત પર સતત ગાંધીજીની છાયા પથરાયેલી રહી છે. આપણા કેટલાક વિવેચકોને આ અંગે લેખક સાથે વાંકુ પડ્યું છે. ગાંધીજીની જેમ જ રુદ્રદત્ત પણ અહિંસાના પ્રખર પૂજારી છે. કેટલાક વિવેચકોએ કહ્યું કે આવી અહિંસાભાવના એ જમાનામાં શક્ય જ નહોતી. પણ જમાને જમાને કેટલીક વ્યક્તિઓ એવી પાકતી જ હોય છે જે તેમના જમાનાથી ઘણી આગળ હોય. વળી બુદ્ધ અને મહાવીરની ભૂમિમાં અહિંસાની વાત એ માત્ર વીસમી સદીનો જ ઈજારો ન હોઈ શકે. ઐતિહાસિક નવલકથાકારનું એક મુખ્ય કર્તવ્ય જ પોતાના સમયના સંદર્ભમાં ઇતિહાસનું પુનર્લેખન અને પુનર્મૂલ્યાંકન કરી આપવાનું છે. અને ‘ભારેલો અગ્નિ’માં લેખકે આ કામ સફળતાથી અને અસરકાર રીતે કરી આપ્યું છે. પોતાની નવલકથાઓમાં રમણલાલ દેસાઈએ જે સમર્થતાથી ગાંધી યુગનું પ્રતિબિંબ ઝીલ્યું તેને કારણે તેઓ યુગમૂર્તિ વાર્તાકાર તરીકે ઓળખાયા હતા. આ ઉપરાંત મનુભાઈ પંચોળી ‘દર્શક’, મોહનલાલ મહેતા ‘સોપાન,’ કૃષ્ણલાલ શ્રીધરાણી, વગેરે લેખકો પાસેથી પણ આપણને આઝાદી માટેની ચળવળને કેન્દ્રમાં રાખીને લખાયેલી નવલકથાઓ મળી છે.
પણ નવલકથા કરતાં ય વધુ ઉત્કટતાથી સ્વાતંત્ર્ય ભાવના ઝીલાઈ હોય તો તે આપણી કવિતામાં. ગાંધી યુગનો ભાગ્યે જ કોઈ કવિ એવો હશે જેણે સ્વાતંત્ર્યની લડત વિષે કે ગાંધીજી વિષે એક પણ કાવ્ય લખ્યું ન હોય. ૧૯૩૦થી ૧૯૫૦ સુધીના સમયગાળામાં આ પ્રકારનાં ઢગલાબંધ કાવ્યો આપણી ભાષામાં લખાયાં. પણ તેમાં સૌથી વધુ લાંબો સમય ટકી રહ્યાં હોય તો તે ઝવેરચંદ મેઘાણીનાં કાવ્યો. મૂળ જીવ લોક જીવન અને લોક સાહિત્યનો. પણ ગાંધીજી, તેમની ચળવળ, અને દેશની ઉજળી આવતી કાલમાં મેઘાણીને પારાવાર આસ્થા. તેમનો ‘યુગવંદના’ કાવ્ય સંગ્રહ તો ૧૯૩૫માં પ્રગટ થયો, પણ તે પહેલાં ૧૯૩૦ની એપ્રિલની છઠ્ઠી તારીખે પ્રગટ થયેલા ‘સિંધુડો’ નામના ૩૦ પાનાંના સંગ્રહમાં જે ૧૬ કાવ્યો હતાં તે લોકોમાં અગ્નિ જ્વાળાની જેમ પ્રસરવા લાગ્યાં. બ્રિટિશ સરકાર ચોંકી ઊઠી અને આ સંગ્રહની બધી નકલો જપ્ત કરી. પણ સરકાર જાગી તે પહેલાં તો તેની દસ હજાર જેટલી નકલો વેચાઈ ચૂકી હતી! એ જ વર્ષે ધંધુકામાં કરેલા એક ભાષણને નિમિત્ત બનાવી સરકારે મેઘાણી પર રાજદ્રોહનો ખટલો માંડ્યો અને મેઘાણીને બે વર્ષની જેલની સજા થઇ. ૧૯૩૦ના એક જ વર્ષમાં મેઘાણીએ લખેલાં કેટલાં કાવ્યો આજ સુધી તાજાં રહ્યાં છે!
‘રાત ઘંટા ચાર વાગે, જરી સૂતાં લોક જાગે,
ઘોડલાના પાય લાગે, શેરીઓ મોઝાર, હણહણે તોખાર’ એ પંક્તિઓથી શરૂ થતું ‘આખરી સંદેશ’ કાવ્ય.
‘રક્ત ટપકતી સો સો ઝોળી, સમરાંગણથી આવે’ એ પંક્તિથી શરૂ થતું ‘કોઈનો લાડકવાયો’.
‘હજારો વર્ષની જૂની અમારી વેદનાઓ’ એ પંક્તિથી શરૂ થતું ‘છેલ્લી પ્રાર્થના’ કાવ્ય. આ ત્રણે કાવ્યો એક જ વર્ષમાં લખાયાં છે. આ ઉપરાંત ‘ધરતી માગે છે ભોગ’, ‘બીક કોની મા તને?’, ‘મૃત્યુનો ગરબો’, ‘મોતનાં કંકુ-ઘોળણ’, ‘વિદાય’, ‘શૌરવતીના વિલાપ’, ‘સૂના સમદરની પાળે’, અને ‘સ્વતંત્રતાની મીઠાશ’ જેવાં મેઘાણીનાં આજ સુધી લોકહૈયે વસેલાં કાવ્યો પણ આ ‘સિંધુડો’ સંગ્રહમાં જ પ્રગટ થયાં હતાં.
તો ૧૯૩૧માં પ્રગટ થાય છે કાકાસાહેબ કાલેલકરના આશીર્વચન સાથે ઉમાશંકર જોશીનું ખંડકાવ્ય ‘વિશ્વશાંતિ.’ તેમાં ગાંધીજીના જીવન અને કાર્યને કવિ વધુ વ્યાપક સંદર્ભમાં મૂકી આપતાં કહે છે:
“તમે તો પૂર્વના છો ના, કે છો પશ્ચિમનાય ના,
અહિંસા, સત્ય ને પ્રેમ થોડાં છે કોઈ એકનાં?”
ગાંધી યુગના બીજા મહત્ત્વના કવિ સુન્દરમ્ ૧૯૩૩માં ‘કોયા ભગતની કડવી વાણી’ નામના કાવ્ય સંગ્રહથી ગુજરાતી કવિતામાં પ્રવેશ કરે છે ત્યારે એમની કવિતા પર સ્વાતંત્ર્ય સંગ્રામ અને ગાંધીજી કરતાં કાર્લ માર્કસના સામ્યવાદની અસર વધુ જોવા મળે છે. પણ પછીનાં વર્ષોમાં સુન્દરમ્ પણ ગાંધીરંગે રંગાય છે. તો એ જમાનાના ત્રીજા મહત્ત્વના કવિ કૃષ્ણલાલ શ્રીધરાણી ૧૯૩૪મા ‘કોડિયાં’ કાવ્ય સંગ્રહ લઈને આવ્યા. શ્રીધરાણીએ તો પોતે ૧૯૩૦ની દાંડી કૂચમાં ભાગ લીધેલો અને તે માટે જેલની સજા પણ ભોગવેલી. તે વખતની ગાંધીજીની અને બીજા સ્વાતંત્ર્ય-સૈનિકોની મનોદશા શ્રીધરાણીએ આ શબ્દોમાં આબેહૂબ ઝીલી છે:
“આવવું ન આશ્રમે — મળે નહિ સ્વતંત્રતા!
જંપવું નથી લગીર — જો નહિ સ્વતંત્રતા!
સ્નેહ, સૌખ્ય સૌ હરામ – ના મળે સ્વતંત્રતા!
જીવવું મર્યા સમાન – ના યદી સ્વતંત્રતા!”
તો ઓછામાં ઓછા શબ્દોમાં શ્રીધરાણી ગાંધીજીનું કેવું આબેહૂબ ચિત્ર દોરે છે! તેઓ કહે છે:
“દાહ ભરી આંખો માતાની, તેનું તું આંસુ ટપક્યું;
બળી રહ્યું અંતરમાં કિન્તુ, સૌ પાસે મીઠું મલક્યું.
મૈયાના ઓ ગાંધી વીર! અર્પું છું હૈયાનાં હીર!”
આ ઉપરાંત એ જમાનાના બીજા મુખ્ય કવિઓ સ્નેહરશ્મિ, સુંદરજી બેટાઈ, મનસુખલાલ ઝવેરી, કરસનદાસ માણેક, ઇન્દુલાલ ગાંધી, વગેરેએ પણ સ્વાતંત્ર્ય સંગ્રામને લગતાં કાવ્યો આપ્યાં છે. પણ એ વખતે પ્રભાત ફેરીઓમાં અને સભા સરઘસોમાં જો કોઈનાં ગીતો સૌથી વધુ ગવાયાં હોય તો તે હતાં અંધ કવિ હંસરાજનાં. તેમનું ‘પરદેશી ભૂખ્યાં ટોપીવાળાનાં ટોળાં ઊતર્યાં’ એ ગીત તો સરકારના વિરોધનું સંઘગાન બની ગયું હતું. તેમની ૧૮ પાનાંની પુસ્તિકા ‘રાષ્ટ્રીય રણગીતો’ પણ તે વખતની સરકારે જપ્ત કરી હતી.
૧૯૪૭માં આઝાદી તો આવી, પણ કેટલાક મોટા આઘાતો સાથે આવી. એક તો દેશના ભાગલા પડ્યા અને તે પછી થોડા જ મહિનામાં ગાંધીજીની હત્યા થઇ. ‘સ્વરાજ્ય આવ્યું, પણ સુરાજ્ય ક્યાં?’ એવો સવાલ લોકોના મનમાં ઊઠવા લાગ્યો. વિમાસણ અને હતાશા ડોકિયાં કરવા લાગ્યાં. લોકોના આવા મનોભાવોને ઉમાશંકર જોશીએ આબાદ રીતે પોતાના એક કાવ્યમાં ઝીલ્યા છે. તેઓ કહે છે:
“દેશ તો આઝાદ થાતાં થઇ ગયો, તેં શું કર્યું?
દેશ જો બરબાદ થાતાં રહી ગયો,
એ પુણ્ય આગળ આવીને કોનું રહ્યું?
અહીં આમ તો આ સવાલ કવિએ પોતાની જાતને પૂછ્યો છે. પણ સવાલ એવો છે કે આપણે દરેકે પોતાની જાતને આજે પણ પૂછવો જોઈએ. આવો સવાલ પૂછીને સાચો જવાબ મેળવશું તો જ કવિની સાથે આપણે પણ ગર્વભેર એ જ કાવ્યની છેલ્લી પંક્તિઓ બોલી શકીશું:
“હર એક હિન્દી હિન્દ છે,
હર એક હિન્દી હિંદની છે જિંદગી.
હો હિન્દ સુરભિત ફુલ્લદલ અરવિંદ:
એ સ્વાતંત્ર્ય દિનની બંદગી.