ડોરબેલ વાગ્યો એટલે રમાબહેન વાંચતાં હતાં તે ચોપડી બાજુમાં મૂકી, બારણું ખોલવા ગયાં.
‘ઓ…હો… પધારો, પધારો, મુખ્યાજી, આજ તો અમારી ઝૂંપડી પાવન કરી.’
હવેલીના મુખ્યાજીને નમસ્તે કર્યાં. રમાબહેને વંદન કરી અંદર આવવા કહ્યું. ‘બિરાજો.’ મુખ્યાજીને સોફામાં બેસાડી, પોતે સામેના સોફામાં બેઠાં.
‘અરે! રમાબહેન, આને તમે ઝૂંપડી કહેતા હો, તો આખા અમદાવાદમાં બધાને આવી ઝૂંપડી મળો.’ હસતાં હસતાં મુખ્યાજી બોલ્યા, ‘રમણભાઈની વિદાય પછી, તમે મા–દીકરાએ હજુ ‘હવેલી’ની માયા એવી ને એવી જ જાળવી છે તે પ્રભુકૃપા છે.’
‘કમળાબહેન’, રમાબહેને બૂમ પાડી. રસોડામાંથી કમળાબહેનને બોલાવી મુખ્યાજીને પાણી આપવા કહ્યું અને પછી કેસર–મસાલાયુક્ત ગરમ દૂધ તૈયાર કરવા જણાવ્યું.
‘અરે રમાબહેન, એવી કશી જરૂર નથી. આ તો ખાસ યાદ અપાવવા આવ્યો કે, આવતે અઠવાડિયે ઠાકોરજીનો પાટોત્સવ છે, તો અન્નકૂટના દર્શન કરવા જરૂર આવજો.’
‘એ તો મને યાદ છે. ઠાકોરજીનો પાટોત્સવ તો તેઓ હયાત હતા, ત્યારનો ઉજવાય છે. રાહુલ નાનો હતો ત્યારથી અમે તેને લઈને આવતાં; પણ અમારી પ્રસાદી તો લેવી જ પડશે.’
કમળાબહેન કેસરયુક્ત ગરમ દૂધ ટ્રેમાં લઈને આવ્યાં. મુખ્યાજીએ નમન કરી, દૂધ ગ્રહણ કર્યું. પછી કહ્યું, ‘રમાબહેન, દર્શને આવો ત્યારે રાહુલ, શૈલી અને નાના સ્વયમ્ને પણ લાવજો.’
‘ચોક્કસ .. પણ આજકાલની જનરેશનને આવી બાબતમાં આસ્થા ઓછી હોય; પણ રાહુલ ક્હ્યાગરો છે. એટલે ચોક્કસ લઈ આવીશ.’
મુખ્યાજી રવાના થયા. રમાબહેન ડ્રોઈંગરૂમમાં સિલ્વર ફ્રેમમાં લગાવેલી રમણભાઈની તસ્વીરને નમન કરી, રાહુલના આગમનની રાહ જોતાં વાચનમાં બેઠાં.
સાંજે રાહુલ અને શૈલી નાના સ્વયમ્ને લઈને બહારથી પરત આવ્યાં.
‘બા, કોઈ આવ્યું હતું?’ રાહુલે બાજુની ટીપોય પર પડેલાં ટ્રે અને કપ–રકાબી જોઈને પૂછ્યું.
‘અરે હા, હવેલીના મુખ્યાજી આવ્યા હતા. આવતે અઠવાડિયે ઠાકોરજીનો પાટોત્સવ છે. તો દર્શન કરવા આગ્રહ કરતા ગયા છે. તને અને શૈલીને પણ આવવા ખાસ કહ્યું છે.’
‘માત્ર દર્શન કરવા કે કંઈક વિશેષ!’ રાહુલે હસતાં હસતાં પૂછ્યું.
‘શું તુંયે, રાહુલ! એમ કંઈ ખાલી હાથે જવાય? તમે લગ્નના રિસેપ્શનમાં વગર કવરે જાઓ છો?’ સ્મિત સાથે રમાબહેને કહ્યું.
‘કાલે તું ઓફિસે જાય ત્યારે પાંચ હજાર ડ્રો કરી મુખ્યાજીને પાટોત્સવ નિમિત્તે આપતો આવજે.’
‘શું બા તમે ય?’ રાહુલે કહ્યું. ‘આ બધા પાટોત્સવની અઢળક મીઠાઈ, ફરસાણ, બધાંનાં પેકેટ શ્રીમંત અને ડૉનરોને ત્યાં જતાં હોય છે. તેમાંથી ભૂખ્યા લોકોને બટકું ય મળતું નથી. તો આવા ડોનેશનની જરૂર શી? માત્ર મોટાઈનું પ્રદર્શન કે બીજું કંઈક?’
‘જો રાહુલ, આપણે તો તારા પપ્પાની પરંપરા જળવાય અને ઠાકોરજીનું આપણી આવકમાંથી કંઈક ઋણ ચુકવાય એ શ્રદ્ધાથી આપીએ છીએ.’ રમાબહેને સ્પષ્ટતા કરી.
‘સારું બા, હું આપતો આવીશ.’ રાહુલે કહ્યું. સાંજે રાહુલ આવ્યો એટલે રમાબહેને પૂછ્યું, ‘રાહુલ, મુખ્યાજીને ડોનેશન પહોંચાડી દીધું ને?’
‘હા, હા …, બા, પહોંચાડી દીધું. નતમસ્તકે રાહુલે કહ્યું; પણ રાહુલના મનમાં ગડમથલ થવા લાગી. ‘બાને મેં જૂઠું કહ્યું, ખરેખર તો હું જનરલ હૉસ્પિટલના જનરલ વૉર્ડના જરૂરિયાતમંદ દરદીઓમાં દરેકને રૂપિયા 500 રોકડા વહેંચી આવ્યો હતો.’ પછી વિચાર્યું, ‘મેં ક્યાં કોઈ ખોટું કામ કર્યું છે. ખરેખર, આ જ સાચું ડોનેશન છે ને?
અઠવાડિયા પછી અન્નકૂટના દર્શને જવાનું હતું ત્યારે રમાબહેન તૈયાર થઈ ગયાં અને રાહુલને કહ્યું, ‘ગાડી કાઢ. આપણે અન્નકૂટનાં દર્શને જઈ આવીએ.’
રાહુલે નતમસ્તકે ગાડી કાઢી; પણ મનમાં મૂંઝવણ! મુખ્યાજી પૂછશે તો શો જવાબ દેવો તે વિચારવા લાગ્યો.
મા–દીકરો હવેલી પહોંચ્યાં. દર્શનાર્થીઓની ભીડ હતી. પરંતુ ડોનરો માટે ખાસ બીજા દરવાજેથી એન્ટ્રીની વ્યવસ્થા હતી. રમાબહેન સીધા તે દરવાજે અધિકારની રૂએ પહોંચી ગયાં. મુખ્યાજી ત્યાં ઉપસ્થિત હતા. રમાબહેન તરફ ધ્યાન હતું; બહુ ઉત્સાહ ન બતાવ્યો. પણ રમાબહેને કહ્યું, ‘નમસ્તે મુખ્યાજી, ક્યારે પડદો ખૂલશે દર્શનનો?’ પડદો ખૂલતાં બધા દર્શનાર્થીઓ ધક્કાધક્કી સાથે પ્રવેશ્યા. મુખ્યાજીએ રમાબહેન તરફ ધ્યાન જ ન આપ્યું. રમાબહેનને આશ્ચર્ય થયું! આમ કેમ? દર વખતે તો મુખ્યાજી હસતાં હસતાં અંદર પ્રવેશ કરાવતા, જ્યારે આજે તો ધ્યાન પણ ન આપ્યું! છતાં ગમે તેમ દર્શન કરી, નીકળી ગયાં. રાહુલ મૂંઝાયો છતાં સ્વસ્થતાથી કહ્યું, ‘બા, દર્શન તો થઈ ગયાં ને પછી મુખ્યાજીના વર્તનને શા માટે વિચારવું?’
‘એમ નહીં રાહુલ; પણ આમ કેમ બને? તેં સમયસર ડોનેશન તો મંદિરમાં પહોંચાડયું ને?’ રમાબહેને થોડી આશંકા સાથે પૂછ્યું.
‘હા, હા, બા …., પહોંચાડ્યું ને! ચાલ, તને એનાં પણ દર્શન કરાવી દઉં.’
રમાબહેન પ્રશ્નભરી નજરે જોવા લાગ્યાં. મા–દીકરો ગાડીમાં બેઠાં. રાહુલે જનરલ હૉસ્પિટલ તરફ ગાડી લીધી. ત્યાં પહોંચ્યાં એટલે રમાબહેને કહ્યું, ‘આ તું ક્યાં લઈ આવ્યો? આ તો હૉસ્પિટલ છે!’
‘હા, હા, બા …, આ હૉસ્પિટલ જ જીવંત મંદિર છે, જ્યાં દુ:ખી દરદીઓની સેવા થાય છે અને જે ઠાકોરજીની સર્વશ્રેષ્ઠ ભક્તિ પૈકીની એક છે.’ અંદર જનરલ વૉર્ડમાં પડેલા દરદીઓના પલંગ બતાવી રાહુલે કહ્યું, ‘બા, જુઓ, આ બધાને અન્નકૂટનો પ્રસાદ નથી મળતો. તેઓને જરૂર છે, સારવાર માટેની આર્થિક મદદની. તેમને આપેલું નાનું ડોનેશન પણ ઠાકોરજી માટે મોટી ઋણમુક્તિ બની રહેશે.’
‘કેટલા આપ્યા બધાને?’ રમાબહેને સ્મિત સાથે પૂછ્યું.
‘દરેકને 500 રૂપિયા. તેં પાંચ હજાર કહ્યા હતા, તે દસ જણાને આપી દીધા.’ રાહુલે કહ્યું.
‘કંજૂસ કંઈનો!’ રમાબહેને હસતાં હસતાં કહ્યું.
‘બીજા દરદીઓનું શું? આજે જ અન્નકૂટના દિવસે આ બધાને પણ રૂપિયા 500નો પ્રસાદ આપી દેજે.’
મુખ્યાજીના સ્વાર્થી વ્યવહારે રમાબહેનને વાસ્તવિકતાનું ભાન કરાવ્યું અને પોતાના પુત્ર માટે તેમને માન થયું.
ડિસેમ્બર, 2019ના ‘અખંડ આનન્દ’નાં પાન : 27-28 ઉપરથી લેખકની અનુમતિથી સાભાર ..
સર્જકસમ્પર્ક : મનન ઈન્કમટૅક્સ સોસાયટી, એરોડ્રામ પાસે, રાજકોટ-360 007 eMail : manhar.vaishnav@gmail.com
♦●♦
સન્ડે ઈ.મહેફીલ’ – વર્ષઃ સોળમું – અંકઃ 459 –August 16, 2020