કોરોના-વિભીષિકા પ્રચણ્ડ વેગે પ્રસરી રહી છે. તેથી એક સાર્વત્રિક ચિન્તા પણ પ્રસરી રહી છે. ખાસ ચિન્તા તો એ છે કે શિક્ષણનું અને કેળવણીનું શું થશે – યુવા પેઢીને શી રીતે શું આપી શકાય એમ છે? સર્જકો, કેળવણીકારો, બુદ્ધિમાનો અને ભાવનાશીલ વ્યક્તિવિશેષો એ દિશામાં પોતાથી થાય એ બધા જ પ્રયાસો કરી રહ્યા છે …
એ જોઈને મને થાય છે કે માનવ્ય એના મૂળ સૂરમાં ગુંજી રહ્યું છે …
આવી જ કશી માનસિકતા વચ્ચે મેં ગઈ કાલે ભાવનગર યુનિવર્સિટીના ગુજરાતી વિભાગના પીએચ.ડી. સ્ટુડન્ટ્સના ઑનલાઇન ક્લાસમાં સંશોધનપરક એક વ્યાખ્યાન આપ્યું.
અહીં એનું લેખ-સ્વરૂપ સાહિત્યના સૌ અધ્યાપકો અને વિદ્યાર્થીઓને સમર્પિત કરું છું :
•••
મારા સંશોધનકાર્ય વિશેના મારા અનુભવો / સુમન શાહ
વિભાગના અધ્યક્ષ પ્રિય મહેન્દ્રસિંહ અને સૌ વિદ્યાર્થીમિત્રો :
નમસ્કાર.
સંશોધન વિશે બોલવું અને સંશોધન કરવું – એ બે વાતોમાં, બોલવું સહેલું છે. સંશોધન કરવું જ મુશ્કેલ છે. તમે બધાં એ મુશ્કેલ કાર્યમાં લાગી ગયાં છો એ સારી વાત છે, એમાં સફળતા માટે તમને સૌને આગોતરી શુભેચ્છાઓ પાઠવું છું.
મારે તમને એ જણાવવું છે કે મુશ્કેલ સંશોધન સમ્પન્ન થાય છે ત્યારે જગ જીત્યાનો સંતોષ થાય છે. એ સંતોષ બેજોડ હોય છે.
મારે તમને એ પણ જણાવવું છે કે સાહિત્યિક સંશોધનની સફળતાના મૂળ આધાર શું છે.
પીએચ.ડી. પદવી માટેના મારા સંશોધનનો વિષય હતો : ‘સુરેશ જોષી, તેમનું સાહિત્ય અને તેનો આધુનિક ગુજરાતી સાહિત્ય પરનો પ્રભાવ – એક અધ્યયન’ : ૧૯૭૮માં એનું ‘સુરેશ જોષીથી સુરેશ જોષી’ ગ્રન્થ રૂપે પ્રકાશન થયું છે. ૨૦૦૦માં એની બીજી આવૃત્તિ થઈ છે.
તમે જાણો છો કે મેં ‘સાહિત્યિક સંશોધન’ પુસ્તિકા પણ લખી છે. પણ નૉંધો કે તે પહેલાં મેં આ સંશોધનકાર્ય કર્યું છે – પહેલાં અનુભવ અને પછી શાસ્ત્ર.
મારા આ વ્યાખ્યાનનું આજે એ મધ્યબિન્દુ છે – પહેલાં અનુભવ, પછી શાસ્ત્ર.
મને ચાર વર્ષ લાગેલાં – ૧૯૭૩થી ૧૯૭૭. ત્યારે હું બોડેલી કૉલેજમાં પ્રિન્સિપાલ હતો. મારી ઉમ્મર ૩૪-૩૫ હતી.
રોજ રાતના ૮થી ૨ લગી બધો ઉદ્યમ ૬ કલાક લગી ચાલતો. જમ્યા પછી પાણી વધારે પી લેતો જેથી એ ૬ કલાક દરમ્યાન બ્રેક લેવાનું અનિવાર્ય થઈ પડે. મારા જિગરી દોસ્ત રાધેશ્યામ શર્માએ મને એક ટૅબ્લેટ બતાવેલી – નામ ભૂલી ગયો છું – એ લેવાથી ઉજાગરાને સુખદ રાખી શકાતો’તો, ઊંઘ ન્હૉતી આવતી. જમીને તરત લઈ લેતો.
જુઓ, સંશોધનનું લેખનકાર્ય પૂરું થાય તે દિવસે બહુ જ સારું લાગે. એ પછી ટાઇપ કરાવવાનું – આવડતું હોય તો જાતે કરવાનું. મારા ટાઇપિસ્ટને મેં પૂછેલું – બે લાઇન વચ્ચે આટલી મોટી સ્પેસની શી જરૂર છે? તો કહે – સાહેબ, થીસિસમાં એટલી તો જોઈએ જ. એણે બારસોથી વધારે પેજ કરેલાં. એની પાંચ નકલો બાઇન્ડ થઈને આવી ત્યારે એ મહા ગ્રન્થના વજનનો અંદાજ આવ્યો. દરેક નકલ ઓછામાં ઓછા ત્રણ કિલોની હશે. પણ એને યુનિવર્સિટીમાં સબ્મીટ કરીને ઘેર પાછો ફર્યો ત્યારે જે હાશ થઈ, એ અવર્ણનીય છે.
એ સમયગાળા દરમ્યાન નવનિર્માણ આંદોલન શરૂ થયેલું. ત્યારે બન્ને દીકરાઓને સારી શાળામાં ભણવા મળે એ હેતુથી વડોદરામાં ઘર શરૂ કરેલું. હું બોડેલીથી વડોદરા શનિ-રવિ જ જઈ શકતો. સ્વજનોથી વિયોગ સ્વીકારી લીધેલો.
સંશોધન પ્રકાશિત થાય છે, પુસ્તક રૂપે, ત્યારે સંતોષ એ ગ્રન્થના અર્પણમાં ઠરતો હોય છે – જાણે, માતાના ખૉળામાં નવજાત બાળક ! હું હંમેશાં મારાં પુસ્તકોનાં અર્પણ લખતી વખતે પ્રસન્ન હોઉં છું. જો કે જેને અર્પણ કર્યું હોય એ ભાઈ કે બે’ન મને ભાગ્યે જ કશો પ્રતિભાવ પાઠવે છે. પુસ્તક ભેટ આપું ત્યારે ય મને શંકા બલકે ખાતરી હોય કે નહીં વાંચે, વાંચશે તો કશું પણ કહેશે નહીં. મારા લેખોનાં ‘બહુ સરસ છે’, ‘ખૂબ જ મજા આવી’ જેવાં મૌખિક વખાણ બહુ જ સાંભળવા મળે છે, કેટલાં તો મને ‘લાઇક્સ’ મળે છે, પણ મને ખબર હોય છે કે વાતમાં કેટલો માલ છે. પણ તમને કહું? કશું જ ન બોલતા પેલા અઠંગ દમ્ભી મુનિઓ કરતાં આ બધાં વખાણકારો ને ‘લાઇક’વાળાં ઘણાં સારાં – ટહુકો કરી હાજરી તો પુરાવે છે …
એટલે પહેલી આવૃત્તિના અર્પણમાં લખ્યું છે : સ્વજનો : રશ્મીતા, પૂર્વરાગ, મદીરને – જેમણે એ કાળા દિવસો અને સફેદ રાતો દરમ્યાન ઊછળતા-ઊછરતા વિયોગ-અશ્વને ઝાલ્યો, પડકાર્યો : સાહિત્યજન યશવન્ત શુક્લને અર્પણ કરતાં લખ્યું છે – જેમણે મારામાંના ‘વિદ્વાન’ને એની નાની વયે જ જાણ્યો અને જણાવ્યો : ૧૯૬૧માં હું જુનિયર બી.એ.માં હતો ત્યારે યશવન્તભાઈએ પ્રિન્સિપાલ ભાઈલાલભાઈ કોઠારીને કહેલું કે તમારે ત્યાં એક વિદ્વાન ઊછરી રહ્યો છે, એનું ધ્યાન રાખજો.
બીજી આવૃત્તિનું અર્પણ મેં મારાં સૌ વિદ્યાર્થીઓને કર્યું છે. લખ્યું છે : જેમણે મને વર્ગમાં સાંભળ્યો અને વર્ગચૈતન્યના મારા મૉંઘા અનુભવને નિરન્તર સમૃદ્ધ કર્યો : મેં તપાસ નથી કરી પણ લોકો એમ કહે છે કે છેલ્લા પાંચ-છ દાયકામાં પીએચ.ડી.ના કોઈ સંશોધન-ગ્રન્થની બીજી આવૃ્ત્તિ થઈ હોય તો તે ‘સુરેશ જોષીથી સુરેશ જોષી’-ની …
આમ, મુશ્કેલ સંશોધનને અન્તે સંતોષનું આવું અનેરું સુખ સાંપડે છે. આ હકીકતને દરેક સંશોધકે મનમાં રાખવી અને ખૂબ જ શ્રમ લઈને સંશોધનકાર્યમાં મચ્યા રહેવું. એથી જીવન એટલો સમય તો ખૂબ જ અર્થપૂર્ણ લાગશે.
જુઓ, સંશોધનની સર્વસામાન્ય મૅથડોલૉજીનું મહત્ત્વ જરૂર છે. એને આપણે સાયન્ટિફિક મૅથડ ઑફ ઇન્ક્વાયરી કહીએ છીએ.
પરન્તુ આ વાત બરાબર સમજી લેવી જોઈશે કે દરેક સંશોધનકારે પોતાના વિષયને ન્યાય મળે એવી આગવી પદ્ધતિ જાતે ઉપજાવવી પડે છે. એ તૈયાર નથી મળતી. એ મળે છે વિષય સાથેના પ્રગાઢ સમ્બન્ધ અને અનુબન્ધથી.
મારી પદ્ધતિની થોડીક વાત કરું : હું સુરેશ જોષીને એક પણ શબ્દ ચૂક્યા વિના ક્લોઝલિ વાંચી જતો. એમના દરેક મન્તવ્યને પૂરા ધ્યાનથી સમજતો. એમની દરેક સર્જનાત્મક વસ્તુને મન-હૃદયમાં એવી તો ઠરવા દેતો જેથી મને રસાનુભવ થાય. એ પ્રકારના અભિગમનું પરિણામ એ આવેલું કે એમની સૃષ્ટિ વિશે મારો પોતાનો આગવો સ્વકીય પ્રતિભાવ બંધાવા લાગેલો. અને એટલે, સ્વાભાવિકપણે, સુરેશ જોષી વિશેના અન્યોના પ્રતિભાવો પણ મને ફટાફટ દેખાવા લાગેલા. એક જાતના સરવાળા-બાદબાકી ચાલેલાં.
આ મુદ્દા માટે મારે એમ કહેવું છે કે આ પ્રકારના સ્વકીય તેમ જ અન્યોના પ્રતિભાવોનું સંશોધનમાં પાયાનું મહત્ત્વ છે.
તમે સાંભળ્યું જ હશે કે કોઈ પણ સંશોધકે સૌ પહેલાં સામગ્રીચયન કરવાનું હોય છે – ડેટા કલેક્શન. એ સામગ્રી પર કામ કરવાનું અને તો જ એ પર સંશોધનની ઇમારત ચણી શકાય.
જુઓ, શુદ્ધ વિજ્ઞાનોની – પ્યૉર સાયન્સિસની અને પ્રાકૃતિક વિજ્ઞાનોની – નેચરલ સાયન્સિસની સામગ્રી પ્રકૃતિ કે ભૌતિક પદાર્થો છે, વિચારસંરચનાઓ કે આંકડાઓ પાછળના નિયમો છે. એ સામગ્રી નકરા રૂપે મળે છે ને તે પર સીધું જ કામ શરૂ કરી દેવાય છે. પણ સમાજવિજ્ઞાનોની સામગ્રી જુદી છે. મોટો ફર્ક એ છે કે સમાજવિજ્ઞાનોમાં તેમ જ માનવવિદ્યાઓમાં, અને તેમાંયે સાહિત્યકલામાં, બધું માનવ સાથે જોડાયેલું હોય છે. સાહિત્યનો સર્જક માનવ, ભાવક માનવ, સમીક્ષક માનવ અને સંશોધક પણ માનવ.
એ મુખ્ય કારણે, સામગ્રી મેળવવાનું સરળ નથી હોતું. કેમ કે બધું મનુષ્યના ચિત્ત અને હૃદય સાથે ગૂંથાયેલું બલકે ગૂંચવાયેલું હોય છે. જુઓ ને, ગણિતવિષયક સંશોધન સીધેસીધું પોતાના લક્ષ્ય પ્રતિ આગળ ધપતું હોય છે પણ સાહિત્યવિષયક સંશોધન અટકતું ને ક્યારેક તો ખોડંગાતું ચાલતું હોય છે. સાહિત્યિક સંશોધનની આ સામગ્રીપરક વિલક્ષણતા ઘણી નિર્ણાયક વસ્તુ છે. એને નજરઅંદાજ કરીએ તો પરિણામો સારાં ન આવે બલકે સંશોધક વિપથગામી બની ગયો હોય, અવળા માર્ગે ચડી ગયો હોય, છતાં એને તો એમ જ લાગે કે પોતે ઉચિત માર્ગે જઈ રહ્યો છે.
મોટો સવાલ એ છે કે સાહિત્યિક સંશોધનમાં સામગ્રીચયન શી રીતે થાય છે. સામગ્રી શું છે ને તેને ક્યાં શોધવી?
ધારો કે આપણે મુનશીની નવલકથાઓ વિશે સંશોધન હાથ ધર્યું છે, તો શું એમની ‘ગુજરાતનો નાથ’ વગેરે તમામ નવલકથાઓના ઢગલાને સામગ્રી ગણવી? ‘અડધે રસ્તે’, ‘સીધાં ચઢાણ’ અને ‘સ્વપ્નસિદ્ધિની શોધમાં’ એમ ત્રણ ત્રણ પુસ્તકમાં એમણે આપેલી એમના જીવનની ઝીણીમોટી વીગતોને સામગ્રી ગણવી? અને એ બધી નવલકથાઓના ટૂંકસારને સામગ્રી ગણવી? આપણે ત્યાં સામાન્ય સંશોધકો એમ જ કરતા હોય છે. એક ભાગમાં ‘જીવન’ ને બીજામાં ‘કવન’. એક જમાનામાં એવાં બે અડધિયાંથી બંધાયેલા પુસ્તકને સંશોધન ક્હૅવાતું'તું !
એવો સંશોધક મુનશીએ સરજેલી શબ્દસૃષ્ટિને પોતાની રીતેભાતે કાપીકૂપીને નવેસરથી રજૂ કરતો હોય – એટલે કે, સુગરીના માળાના તન્તુ તન્તુને, તરણાં તરણાંને, આવડે એવી રીતે છૂટાં પાડતો હોય, ને પછી, આવડે એવી રીતે જોડી દેતો હોય. એ પ્રકારે મૂળનું માત્ર રીનોવેશન કે રીફર્બિશમૅન્ટ કરી નાખવું તે સંશોધન નથી, ડિગ્રી મેળવી લેવાનો સસ્તો કીમિયો છે.
એમાં, આપણે એવું કશું જ ભાળી શકતા નથી જેને શોધન કે સંશોધન કહી શકાય. એટલું જ નહીં, એ જેવી કંઈ પદ્ધતિ પર ઊભું હોય છે – જો એને પદ્ધતિ કહી શકાતી હોય તો – તેને કદી આપણે રીસર્ચ મૅથડોલૉજી નથી કહી શકતા. એ સાન્ટિફિક મૅથડ ઑફ ઇન્કવાયરી નથી હોતી.
એનું મુખ્ય કારણ એ કે એના પાયામાં ડેટા નથી હોતો. ડેટાના મૂળમાં રહેલી રસાનુભૂતિ હોતી નથી. રસાનુભૂતિના મૂળમાં રહેલું ભાવન નથી હોતું. ભાવનના મૂળમાં રહેલું સઘન વાચન નથી હોતું. જો વાચન, ભાવન અને રસાનુભૂતિ નહીં હશે તો પ્રતિભાવ બંધાશે નહીં. અને પ્રતિભાવ બંધાશે નહીં તો જેના પર કામ કરી શકાય એ ડેટા કે એ સામગ્રી હાથ આવશે નહીં.
વિષય સાથેના સમ્બન્ધ અને અનુબન્ધનું ફળ તે આ રીતેભાતે મેળવાયેલી સામગ્રી. એને હું સાહિત્યિક સંશોધનનો મૂળાધાર ગણું છું, એથી સંશોધનનો શુભારમ્ભ થાય છે.
અને એવા શુભારમ્ભ પછી હું સુરેશ જોષી પરના મારા શોધકાર્યમાં આગળ ધપતો હતો. મારી એ આગળની પદ્ધતિ કેવી હતી તેની પણ થોડી વાત કરું :
જુઓ, સાયન્ટિફિક મૅથડ ઑફ ઇન્ક્વાયરીને આપણે જ્ઞાન-સમ્પાદનની વિવિધ પદ્ધતિઓમાં શ્રેષ્ઠ ગણીએ છીએ. કેમ કે સાયન્ટિફિક મૅથડ સંશોધકને મનઘડંત તરીકાઓથી છૂટો કરે છે ને એને તર્કપૂત શોધમાં દોરી જાય છે. એટલે એથી મળેલા જ્ઞાનને સામો માણસ પોતાની તર્કબુદ્ધિથી ચકાસી શકે છે ને તેથી કરીને તેનો સ્વીકાર કરી શકે છે.
બાકી, વ્યક્તિને રીવિલેશનથી પણ જ્ઞાન તો થાય જ છે – એકાએક જાદુ જેવું થાય ને પ્રકાશ થાય ને જ્ઞાન પ્રગટે કે વસ્તુ આમ છે. બાબા વાક્યમ્ પ્રમાણમ્-ની રીતે પણ જ્ઞાન મેળવાય જ છે. જેમ કે, ગુરુ અને વડીલો પાસેથી એટલે કે આપ્તજનો પાસેથી વ્યક્તિ જ્ઞાન મેળવી શકે છે. વ્યક્તિને સહજસ્ફુરણા પણ થતી હોય છે – ઇન્ટ્યુઇશન, હૈયાસૂઝ, એથી પણ જ્ઞાન થાય. એ કહે કે સાંજ સુધીમાં પોતાને તાવ આવશે ને તાવ આવે ! માણસ કૉમન સૅન્સથી પણ ઘણું શીખતો હોય છે. બારીએથી એ ભૂસકો નથી મારતો. અંગારાની મૂઠી નથી ભરતો. કેમ કે એ તો કૉમન સૅન્સની વાત હોય છે. એટલી અક્કલ તો સામાન્ય છે. એ માટે એણે જ્ઞાની બનવું જરૂરી નથી.
પરન્તુ, આમાંની એક પણ રીત સંશોધનમાં ન ચાલે. દાખલા તરીકે, કૉમન સૅન્સ ખરી પણ એનો માલિક કોણ તે નથી જાણી શકાતું. તમે કોની કૉમન સૅન્સમાં વિશ્વાસ કરો? જ્ઞાન-સમ્પાદનની એ દરેક રીતમાં મારે માની લેવું પડે છે કે જે સમજાય છે એ બરાબર છે. એ એકેયમાં દલીલ તેમ જ તર્કથી કરી શકાતી ચકાસણીને સ્થાન જ નથી બલકે એટલે લગી પ્હૉંચવું જ અશક્ય હોય છે. પાણી પર ફૂંક મારીને રોગ મટાડવાનો દાવો કરતા પાખણ્ડી બાબાને પ્હૉંચી વળવાનું અશક્ય જ છે.
સાહિત્યિક સંશોધનોએ સંપડાવેલાં સત્યોને ૧+૧=૨ એમ પુરવાર નથી કરી શકાતાં એ ખરું પણ વિજ્ઞાનીય પદ્ધતિ-મતિએ સત્યોને અનેક લોકો સ્વીકારી શકે એવી બહુસમ્મતિ લગી વિકસાવવાનું હંમેશાં શક્ય હોય છે.
હું પ્રતિભાવો પર કામ કરતો હતો ત્યારે, મને જે અને જેવું સૂઝે તેને ખરું જ ગણીને ન્હૉતો ચાલતો. કોઈ મોટા વિવેચકે સુરેશભાઈની પ્રશંસા કે ટીકા કરી હોય તેના પર હું આંધળો વિશ્વાસ ન્હૉતો જ મૂકતો. સુરેશભાઈની કોઇપણ સર્જનાત્મક ગુણવત્તા બાબતે હું સહજસ્ફુરણાથી ન્હૉતો જ દોરવાતો. વાચન દરમ્યાન, સાથે સાથે, હું નિરીક્ષણપૂર્વક કાળજીભરી નૉંધો કરતો’તો. ધીમે ધીમે સરખે સરખા મુદ્દા ધરાવતી નૉંધોનાં હું વર્ગીકરણ કરવા લાગેલો. પછી એ પર વિચાર-મનન ચાલે, વિભાવનાઓ બંધાય, અર્થઘટન શરૂ થાય. અને છેવટે મને સારરૂપ કશોક સર્વસામાન્ય વિશેષ જડી આવે.
સુરેશ જોષીરચિત ટૂંકીવાર્તામાં ‘સન્નિધીકરણ’-નો વિશેષ મને એ રીતે જ જડી આવેલો. સુરશ જોષી ‘કલ્પનનિષ્ઠ’ સાહિત્યકાર છે એ સાર પર પણ હું એ રીતે જ પ્હૉંચેલો. આ બન્ને શોધ-વસ્તુઓ પર મારો વાચક તર્કપુર:સર વિચારે તો એમાં એને કશું ન સ્વીકારવા જેવું નહીં લાગે, બલકે એ એને વધાવી લેશે, ને એ પ્રકારે સુરેશ જોષીની સર્જકતાને વિશેનું એ જ્ઞાન પ્રસરશે. હા, ત્યારે એ ભાઈ મારું નામ ન લે અને બધું પોતે શોધી કાઢ્યું છે એમ ઠઠાડે, તો એમ થવાનો પૂરો સંભવ છે. રાજકોટની એક સભામાં એમ બનેલું. સુરેશ જોષી વિશે એ વક્તાશ્રી મારું જ બધું, લગભગ મારા જ શબ્દોમાં, બોલ્યે જતા’તા, એમને ખબર ન્હૉતી કે સભામાં હું હાજર હતો.
પણ આજે હું ખુશીથી એમ ઉમેરું છું કે જ્ઞાન તો પોતાના સતને પ્રતાપે પ્રસર્યા જ કરે છે, ભલે ને ચોરો એને ચોરી જતા …
મારે તમને એ જણાવવું છે કે આટલું અંકે કરીએ : રસાનુભૂતિ લગી લઈ જાય એવું સઘન વાચન કરીએ : પ્રતિભાવસ્વરૂપ સામગ્રી પર કામ કરવા તર્કપૂત શોધમાં દોરી જનારી સાયન્ટિફિક મૅથડને અપનાવીએ કેમ કે એનું પણ પાયાનું મહત્ત્વ છે, એ પણ મૂળાધાર છે.
પેલા સંતોષ સાથે જોડાયેલા બે પ્રસંગો કહું :
આપણે થીસિસ યુનિવર્સિટીમાં સબ્મીટ કરી દઈએ પછી ચિન્તા રહે કે તપાસવા માટે કયા પરીક્ષકને મોકલશે. વાયવા લેવા કોણ આવશે. આજકાલ એ ચિન્તાસંભવ ટળ્યો હશે કેમ કે કહે છે કે પરીક્ષકો જાતે જ પોતાનું નામ ફોડી દેતા હોય છે. મારા ગામમાં એક સી.આઈ.ડી. હતો, એ સૌને કહેતો ફરે કે – જોજો હાં, હું સી.આઈ.ડી. છું …
બનેલું એવું કે મારા આ સંશોધનકાર્યના પરીક્ષણ માટે કોઈ વિદ્વાન મળતો ન્હૉતો. એક પ્રથિતયશ વિવેચકે કહેલું કે એમની આંખો નબળી પડી છે, પાણી પડે છે. એ પછી બીજા બેત્રણ જણે સુરેશભાઈનું નામ જોઈને જ ના પાડેલી. ચં.ચી. મહેતા મારા વાઇવામાં આવેલા. એમણે થીસિસ વાંચ્યો જ હોય પણ મને કહે : અમે તો સુરેશને એવો કંઈ મોટો નથી માનતા : મારે શું કહેવું? પળભર મૂંઝાયેલો, પણ તરત કહેલું : મોટા-નાનાનો સવાલ અસ્થાને છે, એઓ જે અને જેવા છે તે મેં બરાબર દર્શાવ્યા છે. તો કહે – ઠીક; પણ આ ભદ્ર બુટાલા ક્યાંનો લેખક છે જેનું નામ તમે ટાંક્યું છે? મેં કહ્યું એ લેખક નથી પણ સુરેશભાઈનાં પુસ્તકોનો પ્રકાશક છે; એનું નામ મારા થિસિસના ઔપચારિક નિવેદન-માં છે, નહીં કે થીસિસની મેઇન ટૅક્સ્ટમાં. તો કહે – ઠીક … હું તો સુરેશભાઇવિષયક વિચારોથી ધમધમતો હતો, પણ મારો વાઇવા, આમ, એમના ઠીક ઠીકથી પતેલો … જો કે મને સંતોષ અને આનન્દ એ વાતનો હતો કે મારા સમુચિત ઉત્તરોને પ્રતાપે એમને ઠીક ઠીક સિવાયનું કશું જ સૂઝ્યું ન્હૉતું …
હું ૧૯૭૭માં ભાષાભવનમાં જોડાયો. એના ઇન્ટર્વ્યૂ વખતે થીસિસ પ્રકાશિત નહીં થયેલો. ઇન્ટરવ્યૂ-કમિટિમાં બેઠેલા એક વિદ્વાન મને કહે – ભાઈ, તમારો થીસિસ પ્રકાશિત નથી અમારે શું માનવું? મેં કહેલું : તમે મને પ્રશ્ન પૂછી શકો છો, કોઈપણ પ્રશ્ન : એમના ચિત્તમાં પ્રશ્ન જન્મે એ પહેલાં જ વાઇસ ચાન્સેલર ઈશ્વરભાઇ પટેલે એમને એ સંકટમાંથી બચાવી લીધેલા; કહેલું : એનો થીસિસ પ્રગટ છે એમ માનીને તમે એને બીજું જે પૂછવું હોય એ પૂછો : મને સંતોષ અને આનન્દ એ વાતે થયેલો કે હું ભાષાભવનમાં નિમાયેલો અને તે કારણે ત્યાં મારી કારકિર્દીનાં સર્વાધિક વર્ષો સુખે વીતેલાં – પૂરાં ૨૭.
આ સંતોષ અને આનન્દના વિકાસ માટે છેલ્લી વાત કરું : દરેક સંશોધકે પોતાના સંશોધનના વિષયક્ષેત્રમાં કારકિર્દી દરમ્યાન એ જ દિશામાં પણ કામ કર્યા કરવું જોઈએ. એથી સંતોષનો વિકાસ થશે, સંતોષમાં વૃદ્ધિ થશે. એટલું જ નહીં, એ વિષય પર એ સંશોધકની માસ્ટરી આવશે, એના નામનો એક હોલમાર્ક અથવા સ્ટામ્પ ઊભો થશે. વ્યક્તિ ‘પ્રૉફેસર ઑફ ગુજરાતી’ નહીં પણ ‘પ્રૉફેસર ઑફ ધ સુરેશ જોષી’સ જનાન્તિકે’ કહેવાશે. એને હું સંશોધનની ચરમ સિદ્ધિ ગણું છું.
સૌનો આભાર and please take care …
= = =
(August 14, 2020: Ahmedabad)