
નેહા શાહ
ગરીબ શ્રમજીવીને અવૈધ સાબિત કરવાનું કેટલું સહેલું છે. પોલીસ એમની સામે કોઈ પુરાવા વગર કાર્યવાહી કરે તો પણ બાકીનો સમાજ તો એને યોગ્ય જ માનવાનો, કારણ કે એમને શંકાથી જોવા માટે એમનું ગરીબ હોવું, પરપ્રાંતીય હોવું, પરધર્મી હોવું પૂરતું છે. એવું જ અત્યારના ઐતિહાસિક ગણાતા ચંડોળા તળાવ કિનારે વસેલી વસ્તીને તોડી પાડવાના અભિયાનમાં દેખાય છે.
૨૨મી એપ્રિલે પહેલગામમાં થયેલા આતંકી હુમલા પછી ગેરકાનૂની રીતે રહેતા બાંગ્લાદેશીઓને તગેડી મુકવા માટે ૨૬મી એપ્રિલથી રાજ્યના ઘણા શહેરોમાં અભિયાન શરૂ થયું. અમદાવાદ, સુરત, વડોદરા, જૂનાગઢ, અને આણંદ જેવાં શહેરોમાં પોલીસે જેમની અટકાયત કરી હોય એવા લોકોની જાહેરમાં પરેડ થતી હોય એવા વીડિયો વાયરલ થયા. કહેવામાં આવ્યું કે આ કહેવાતા બાંગ્લાદેશીઓની આતંકવાદી સાથેની સાઠગાંઠ છે જેનાથી દેશની સુરક્ષાને ખતરો થઇ છે. અમદાવાદના ચંડોળા તળાવ વિસ્તારમાં આરંભાયેલું અભિયાન ગુજરાતના ઇતિહાસનું સૌથી મોટું અભિયાન ગણાય છે. ૧,૫૦૦થી વધુ લોકોની અટકાયત થઇ, તેમને ભર રસ્તે ચલાવી પોલીસ થાણે લઇ જવામાં આવ્યા, જેથી આખું ગામ એમને શંકાભરી નજરે જુએ, જેમાંથી નેવું ટકાથી પણ વધારે લોકો ભારતીય નાગરિક હોવાનું પુરવાર થતાં ત્રણ દિવસે છોડી મુકવામાં આવ્યા. તેમની પાસે જરૂરી બધાં દસ્તાવેજ હતા. બિહાર, યુ.પી, ઝારખંડ કે ઓરિસ્સામાં ઘર-કુટુંબનાં ઠામ ઠેકાણાં હતાં. કેટલાક તો ગુજરાતી જ નીકળ્યા. અહીં ત્રણ દાયકાથી પણ લાંબુ રહેતા હોવાના પુરાવા નીકળ્યા. ત્યાર બાદ ૨૯ એપ્રિલથી શરૂ થયું ગેરકાયદે દબાણને હટાવવાનું અભિયાન. આ લખાય છે ત્યાં સુધી ૨,૦૦૦થી વધુ ઘરો તોડી પડાયા છે અને ટૂંકમાં જ બીજા તબક્કાનું અભિયાન શરૂ થવાની વાત છે. દેશની સુરક્ષા માટે શરૂ થયેલું અભિયાન જમીન પરના દબાણ દૂર કરવામાં બદલાઈ ગયું!
આટલા દિવસોમાં અમદાવાદ શહેરે ૪૪.૮ ડિગ્રી ગરમી પણ જોઈ અને કમોસમી તોફાની વરસાદ પણ જોયો. બેઘર બનેલા ઘણા પરિવાર માથા પર માત્ર ચાદરની છત બનાવી એ જ જગ્યાએ રહ્યા છે, કારણ કે એમની પાસે જવા માટે બીજી કોઈ જગ્યા જ નથી. જેમની પાસે થોડી ઘણી સગવડ હશે તેઓ કશેક ગોઠવાયા હશે પણ રાતોરાત બેઘર બનેલા પરિવારો પાસે રાતોરાત ઉંચકાયેલા ઘરના ભાડાના દર અને ડિપોઝીટની રકમના પૈસા ક્યાંથી આવવાના? જો એવી સગવડ હોત તો લાલા બિહારી જેવા ગુંડાની જાળમાં ફસાયેલા શું કામ રહ્યા હોત? ચંડોળા તળાવ એ જગ્યા છે જ્યાં ચોમાસા પછી જીવન નિર્વાહ માટે નાની નાની ખેતી થતી. રહેવાની સગવડનાં અભાવે ગરીબ લોકો ત્યાં જ રહેવા લાગ્યા. તળાવનો કાંઠો એટલે વરસાદી પાણી ભરાય, કીચડ થાય છતાં લોકો રહે કારણ કે ગજવાને પોસાય એવી બીજી કોઈ જગ્યા મળે નહીં. સમય જતા અહીં વસ્તી વધી. અહીં મજૂરી કરનારા, નાનો-મોટો ધંધો કરનારા, નાની-મોટી ચીજ વસ્તુની લારી ચલાવનારા, કે અન્ય બિનઔપચારિક કામ કરનારા લોકોનો વર્ગ ઘણો મોટો છે. આ એ જ લોકો છે જેઓ કાચા મકાનમાં રહી શહેરના મકાન – રસ્તા બનાવે છે. પોતે ગંદકીમાં રહી શહેરનાં રસ્તાની સફાઈ કરી ચોખ્ખા રાખે છે. ઘણી વસ્તુઓ અને સેવાના ભાવ એમની સંખ્યાને લીધે સસ્તા છે. શહેરના વિકાસમાં આવા શ્રમજીવીઓના સસ્તા દરે મળી રહેતા શ્રમનો ખૂબ મોટો ફાળો છે.
જ્યાં ગરીબી અને લાચારી છે ત્યાં ‘લાલા બિહારી’ ઊભા થતાં વાર થોડી લાગવાની છે? જુગાર, દારુ, ડ્રગ્સ, દેહવેપાર જેવી અનૈતિક અને ગેરકાનૂની પ્રવૃત્તિ પણ અહીં ચાલતી હતી જેની વાતો શહેરમાં બે-ત્રણ દાયકાથી અવારનવાર સંભળાતી હતી. જો શહેરીજનોને ખબર હોય તો પ્રશાસનને ખબર હોય જ પણ, આટલાં વર્ષોમાં એને અટકાવાના જરૂરી મોટાં પગલાં ભરાયાનું યાદ નથી. અહીંના બંગાળ વાસમાં બાંગ્લાદેશી રહે છે એ વાત પણ સૌ કોઈ જાણે છે. રાજકીય ચર્ચાબાજીમાં આ હકીકતનો ઉલ્લેખ અવારનવાર થયા કરતો હોય છે. પણ, એ સિવાય પરદેશી નાગરિકોને એમના દેશ પાછા મોકલવા માટેની જરૂરી કાર્યવાહી કરવાની કોઈ નક્કર પ્રક્રિયા જાણમાં નથી. આજે, પહલગામમાં થયેલા આતંકી હુમલા પછી અચાનક સરકાર અને પ્રશાસન જાગ્યા છે, ત્યારે પોલીસ પાસે કોણ અને કેટલા બાંગ્લાદેશી છે એટલી પ્રાથમિક માહિતી પણ ન હોવાના કારણે ૧,૫૦૦થી પણ વધુ ભારતીય નાગરિકોની અપમાનજનક રીતે અટકાયત કરવી પડી. ગુજરાત રાજ્યમાં ૨૦૧૦થી ઝૂંપડાવાસીના પુનર્વસનની નીતિ છે. સુપ્રીમ કોર્ટ પણ બુલડોઝર ચલાવતા પહેલાં પંદર દિવસની નોટિસ આપવાનું સૂચવે છે. ૨૦૨૨માં સ્થાનિક કોર્પોરેટરે ચંડોળાની આજુબાજુ રહેતા લોકોના આ યોજના હેઠળ પુનર્વસનની દરખાસ્ત કોર્પોરેશન સમક્ષ કરી હતી. પણ, મન હોય તો માળવે જવાય ને? આ તો ગામડાંની ગરીબીથી બચવા સ્થળાંતર કરીને આવેલા પછાત વર્ગના લોકો, તેમાં ય મોટાભાગના મુસલમાન એટલે એમના નામે તો રાજકીય રોટલા શેકાય. ચૂંટણી ટાણે દરેક પક્ષ એમના મતદાતા કાર્ડ કઢાવી કે વીજળીના જોડાણ અપાવી એમને રાજી કરે, સામાન્ય સમયમાં સંપૂર્ણ નજરઅંદાજ કરે અને પહલગામ એટેક જેવી કટોકટીના સમયે આતંકી કહીને રંજાડે.
ગેરકાયદે દબાણોને દૂર કરવાની કોઈ ના નથી. પણ, ત્યાં વસતા લોકો આ દેશના જ નાગરિકો છે એટલે આ કાર્યવાહી કાયદાની જોગવાઈ આધારે થાય તો સૌનો સમાન નાગરિકત્વનો અધિકાર જળવાય.
સૌજન્ય : ‘કહેવાની વાત’ નામક લેખિકાની સાપ્તાહિક કોલમ; નેહાબહેન શાહની ફેઇસબૂક દીવાલેથી સાદર