છેલ્લાં બે વર્ષમાં સાત વાર બરોડા જવાનું થયું. બરોડામાં તાંદળજા વિસ્તારમાં રહેતા મુસ્લિમો પ્રત્યે હિન્દુઓને કારણ વગરની સૂગ. એક દિવસ વડોદરામાં અમારી સોસાયટીમાં કેસરી ખેસ પહેરેલા ચાર પાંચ આગેવાનોની આગેવાની હેઠળ પચાસેક લોકોનું એક ટોળું આવ્યું અને કહેવા લાગ્યા કે ‘આ તાંદળજા વાળાને સીધા કરવાના છે. મેં કહ્યું કે એ તો સીધા જ છે. અમને કોઈ પ્રોબ્લેમ નથી.’ તો કહે કે ‘એ લોકો ખૂબ આગળ વધી ગયા છે. એની દુકાનોએ માલ લેવાનો નહીં. એમના રેસ્ટોરન્ટમાં જમવા જવાનું નહીં. એની દુકાનેથી કારીગરને કોઈ વસ્તુ સર્વીસ કરવા કે રીપેર કરવા બોલાવવો નહીં.’ પછી ટોળું એક સાથે બોલ્યું ભારતમાતા કી જય !
હું સમજી ગયો કે આ મગજ વગરના લોકો છે. એ સાચી વાત સમજી શકશે નહીં. એમના બ્રેઈન વૉશ થઈ ગયા છે અથવા એમના મગજ કોઈએ કાઢી લીધા છે. પણ મને મનમાં પ્રશ્ન થયો કે શું તાંદળજા વિસ્તારના મુસ્લિમો ભારતમાતાના સંતાનો નથી? ભારતમાં રહેતા નથી? એમનો બહિષ્કાર શા માટે? પણ જ્યારથી આ કેસરી ખેસવાળા જોરમાં આવ્યા છે ત્યારથી આખા દેશમાં ચારે બાજુ મુસ્લિમોના બહિષ્કારની વાતો કરે છે.
7 મે 2025ના રોજ, તમે ટી.વી.માં જોયું હશે કે ભારતીય આર્મીની કર્નલ રેન્કની સોફિયા કુરેશી અને એરફોર્સની વિંગ કમાન્ડર વ્યોમિકા સિંહ પ્રેસ બ્રીફિંગ માટે ટી.વી. પર આવી હતી. ભારતે કઈ રીતે પાકિસ્તાનમાં એર સ્ટ્રાઈક કરી એની ડિટેલ વિગતો આપી. આ સોફિયા કુરેશી 44 વરસની છે. વડોદરાના તાંદળજા વિસ્તારમાં જ રહે છે.
સોફિયાએ વડોદરાની એમ.એસ. યુનિવર્સિટીમાંથી M.Sc. કરેલું છે. 1999થી આર્મીમાં જોડાઈને દેશની સેવા કરે છે. સોફિયાના દાદા પણ આર્મીમાં હતા. એના પિતા પણ આર્મીમાં હતા. સોફિયાનો પતિ આર્મીમાં મેજર છે. એનો પુત્ર પણ એરફોર્સમાં જોડાઈ દેશની સેવા કરવા માંગે છે. આવા તો અનેક મુસ્લિમો છે જે દેશની સેવા કરી રહ્યા છે.
અને આ કેસરી ખેસવાળા મુસ્લિમોને આતંકવાદી ચીતરી રહ્યા છે. તેને પંક્ચરવાળા કહીને ઉપહાસ કરે છે. કારણ કે મુસ્લિમ સમાજ પ્રત્યે નફરત પેદા કરવાથી એમને જનતાના મત મળે છે. કેવી રીતે? કહે છે કે આ લોકોની વસ્તી આપણા કરતાં વધી જશે. આપણે ગુલામ બની જઈશું. આ લોકોથી તમને અમે જ બચાવીશું. અમારા સાહેબ જ તમને બચાવશે. કેવી વાહિયાત વાત છે આ કેસરી ખેસવાળાની ! 80% હિન્દુઓને 17% મુસ્લિમથી ડર લાગે છે ! કેવી મૂર્ખામીભરી વાત ! અરે ભાઈ, 600 વરસના મુસ્લિમ શાસન પછી પણ આ દેશમાં આજે 80% વસ્તી હિન્દુઓની છે. મુસ્લિમોની વસતિ વધી રહી છે એ વાત પણ બિલકુલ બોગસ છે. મેં આજે જ 70 વરસના વસતીના આંકડા જોયા.
નફરત ત્યજી દો, ભાઈ. બધા મુસ્લિમો આતંકવાદી હોતા નથી. 99.99% મુસ્લિમો તમારા મારા જેવા સામાન્ય માણસો હોય છે. બહુ જૂજ સંખ્યામાં અવડે રસ્તે ચડેલા હોય છે. આતંકવાદીનો કોઈ ધર્મ નથી હોતો. બધા જ ધર્મોમાં આતંકવાદી હોય છે. સારા માણસો પણ દરેક ધર્મમાં હોય છે. હિન્દુ આતંકવાદીઓના નામ જોઈએ તો હું લિસ્ટ આપીશ. બે ચાર નામ નોંધી લો. પ્રજ્ઞા ઠાકુર અને કર્નલ પુરોહિત માલેગાંવ બ્લાસ્ટ કેસમાં સંડોવાયેલા હતા. ગાંધીજી જેવા પવિત્ર માણસને મારનાર ગોડસે આતંકવાદી ન કહેવાય? ગર્ભવતી બિલ્કિસ બાનુના પરિવારના સાત સભ્યોને તલવારથી માર્યા પછી એના ત્રણ વર્ષના બાળકને માથું પછાડીને મારી નાખનાર હિન્દુઓ આતંકવાદી ન કહેવાય? આટલું કર્યા પછી આ નરાધમોએ બિલ્કિસ બાનુ પર એક પછી એકે બળાત્કાર કર્યો હતો. એટલે નોંધી લો કે સારા ખરાબ માણસો દરેક ધર્મમાં હોય છે. દરેક જાતિમાં હોય છે. ધર્મ જાતિ કે પ્રદેશ જોઈને ક્યારે ય કોઈ વિશે અભિપ્રાય ન બંધાય.
નફરત ફેલાવવી એ કેસરી ખેસવાળાનો ધંધો છે. એમ કરીને એ લોકો એમના રોટલા શેકે છે. માટે આજથી કેસરી ખેસવાળાઓથી સાવધાન ! એ બોલે છે ભારતમાતા કી જય પણ ભારત માતાને સૌથી વધુ નુકસાન એ લોકો જ કરે છે, દેશની એકતા તોડીને !
[સૌજન્ય : અનિલ સિનેજિયા, પૂર્વ એડિશનલ કલેક્ટર, 8 મે 2025]
સૌજન્ય : રમેશભાઈ સવાણીની ફેઇસબૂક દીવાલેથી સાદર