
રવીન્દ્ર પારેખ
પહેલગામમાં આતંકીઓએ ધર્મ પૂછીને 26 નિર્દોષ પ્રવાસીઓને મોતને ઘાટ ઉતાર્યા, એથી આખો દેશ રોષે ભરાયો હતો ને બદલો લેવામાં મોદી સરકાર મોડી ન પડે એવી અપેક્ષા રાખતો હતો. વડા પ્રધાન મીટિંગો કરી કરીને વખત કાઢી રહ્યા છે, એવું પણ ઘણાંને લાગતું હતું. વચ્ચે જાતિ આધારિત વસ્તી ગણતરીનું ભૂંગળ વાગ્યું ત્યારે પણ એમ લાગ્યું કે પહેલગામની ઘટનાને પાછળ ઠેલાઈ રહી છે, પણ 7 મે, 2025ની મંગળવારની મોડી રાતે ને બુધવારની વહેલી સવારે દોઢેકને સુમારે પાકનાં નવ આતંકી થાણાંઓ પર ‘ઓપરેશન સિંદૂર’ હેઠળ ભારતીય સશસ્ત્ર દળોની મિસાઇલ ત્રાટકી અને વિનાશક સોનેરી અજવાળું ફેલાયું. ઘડીભર તો એમ લાગ્યું કે સૂર્ય જરા વહેલો ઊગ્યો. આખો દેશ ને મીડિયા પણ બીજે દિવસે થનાર મોકડ્રિલની ચિંતામાં પોઢી ગયાં હતાં, ત્યારે ભારતમાં વાગનારી સાઇરન પાકિસ્તાનમાં વાગી ને નવ નવ આતંકી મથકોને 25 મિનિટમાં જ ખંડેરોમાં ફેરવતી ગઈ.
ભારતીય લશ્કરી દળોએ પાકિસ્તાની પંજાબના છેક બહાવલપુરના અહમદપુર અને મુરીદકે, પી.ઓ.કે.ના બાગ, મુઝફ્ફરાબાદ અને કોટલીમાં નવ આતંકી અડ્ડાઓનો ભડકો કરી દીધો. આ એવા અડ્ડા હતા જ્યાંથી ભારત વિરોધી આતંકી હુમલાઓનું કાવતરું ઘડાતું ને સંચાલન પણ થતું. આ અડ્ડાઓમાં એનો સમાવેશ થાય છે, જેમાં પહેલગામના આતંકીઓને ટ્રેનિંગ અપાઈ હતી કે 26/11નાં હુમલાના અજમલ કસાબને તૈયાર કરાયો હતો. 1971 પછી પહેલીવાર એવું બન્યું કે પાકિસ્તાની પંજાબનાં કેટલાંક ઠેકાણાં પણ ભોગ બન્યાં. ટૂંકમાં, રાફેલ, ડ્રોન, હવિત્ઝર જેવાં હથિયારોથી જૈશ-એ-મોહમ્મદ, લશ્કર-એ-તૈયબા અને હિજબુલ મુજાહિદ્દીન જેવા આતંકી અડ્ડાઓનો ભુક્કો બોલી ગયો છે. અંદાજે 80થી 90 આતંકીઓ માર્યા ગયા હોવાનું ને ઘણા ઘાયલ થયાનું મનાય છે. ઓપરેશન સિંદૂરમાં મોસ્ટ વોન્ટેડ અને જૈશ-એ-મોહંમદના ફાઉન્ડર આતંકવાદી મસૂદ અઝહરના પરિવારના 14 સભ્યો પણ માર્યા ગયાં છે. સભ્યોનાં મોતથી મસૂદ અઝહર દુ:ખી થઇને એવું બોલ્યો કે પરિવારને બદલે પોતે મરાયો હોત તો સારું થાત !
એર સ્ટ્રાઈક એટલી અચૂક અને આક્રમક હતી કે પાકિસ્તાનને બચાવની કે હુમલો રોકવાની કોઈ તક જ ન રહી. આમ તો પાકિસ્તાનને પાઠ ભણાવવા સિંધુ જળ સમજૂતી જ પૂરતી હતી, પણ તેને તેનાં ઘરમાં ઘૂસીને ઠમઠોરવાની જરૂર હતી ને તે ભારતે પૂરી ક્ષમતાથી કરી બતાવ્યું તે માટે વડા પ્રધાન, સંરક્ષણ મંત્રી અને તેમની આખી ટીમ અભિનંદનને પાત્ર છે. એ એટલે પણ શક્ય બન્યું કે ‘ઓપરેશન સિંદૂર’ અગાઉની એર સ્ટ્રાઈક કે સર્જિકલ સ્ટ્રાઈક કરતાં અનેક રીતે મારક અને ઘાતક હતું. આ ઓપરેશને એ પણ સિદ્ધ કરી બતાવ્યું કે ભારત, પાકિસ્તાનની અણુ ધમકીઓથી ડરતું નથી, એટલું જ નહીં, તે યુદ્ધ નથી ઇચ્છતું એનો અર્થ એવો નથી કે પાકની આતંકી છેડછાડને જીવ પર આવીને વેઠી લે. તે છેડે તો ભારત છંછેડે એ નક્કી છે, તે આગલા અનુભવો પરથી પણ સમજવાનું રહે. એ સાથે જ દુનિયાના કાજીઓએ પણ એ સમજી લેવાનું રહે કે શાંતિપાઠ કરવાનું કોઈને કહેવાનું હોય તો તે પાકિસ્તાનને, નહીં કે ભારતને ! કારણ, શાંતિભંગની શરૂઆત ક્યારે ય અપવાદરૂપે પણ ભારતે નથી કરી. હવે તો પાકિસ્તાની આકાઓએ પણ કબૂલ્યું છે કે તેણે આતંકવાદને પોષ્યો છે ને તેનો વિશેષ ને તાજો પુરાવો એ છે કે તેના સેનાધિકારીઓ સગાં થતાં હોય તેમ મૃત આતંકીઓના જનાજામાં પણ જોડાય છે.
ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ અને સંરક્ષ ણમંત્રી રાજનાથ સિંહે આખી રાત સમગ્ર કાર્યવાહીનું બારીક નિરીક્ષણ કર્યું હતું. ભારતીય સંરક્ષણ મંત્રાલયે એ સ્પષ્ટતા પણ કરી કે આ હુમલો પાક સૈન્ય કે પાક નાગરિકો પર નથી. સમગ્ર કાર્યવાહી આતંકી અડ્ડાઓને ધ્વસ્ત કરવા જ કરવામાં આવી છે. પહેલગામમાં આતંકવાદીઓએ 26 પ્રવાસીઓની હત્યા ન કરી હોત તો ‘ઓપરેશન સિંદૂર’ની જરૂર જ ઊભી ન થઈ હોત. ‘ઓપરેશન સિંદૂર’, પહેલગામમાં જે મહિલાઓનું સિંદૂર ભૂંસાયું એની જવાબી કાર્યવાહી માત્ર છે. બીજા શબ્દોમાં, ભારતે આ કાર્યવાહી કરીને હુમલાખોરોને સજા મળે એ કમિટમેન્ટ જ પૂરું કર્યું છે. ભારતીય નાગરિકોની સુરક્ષાનો મામલો હોય તો ભારત પીછેહઠ નથી કરતું તે ફરી એક વાર તેણે સિદ્ધ કરી દીધું છે.
એકતરફ પાકિસ્તાની વડાઓ, ભારત હવે કોઈ કાર્યવાહી ન કરે તો જવાબી કાર્યવાહી કરવાના મૂડમાં નથી, તો બીજી તરફ પાક મીડિયાએ ભારતની કાર્યવાહી થયાના થોડા જ કલાકોમાં, પાકિસ્તાની આર્મીએ ભારતીય સૈન્યને ટાર્ગેટ કરીને જવાબી કાર્યવાહી કર્યાનો દાવો કર્યો છે. અવિશ્વાસનું બીજું નામ જ પાકિસ્તાન છે. પાકિસ્તાની સૈન્યે જમ્મુ કાશ્મીરની નિયંત્રણ રેખા નજીકના બારેક સરહદી ગામો પર સશસ્ત્ર હુમલો કરીને એક મહિલા અને ચાર બાળકો સહિત 15 લોકોનાં મોત નિપજાવ્યાં છે, તથા ડઝનેક આવાસોને નુકસાન પહોંચતાં લોકોએ બંકરોમાં વસવા જવું પડ્યું છે. આ ઉપરાંત પાક સૈન્યે પૂંછ ફોર્ટ અને મંદિરોને પણ નુકસાન પહોંચાડ્યું છે. કહેવાનું એ છે કે પાકિસ્તાન જન્મ્યું ત્યારથી ભારત માટે ઉપદ્રવી જ રહ્યું છે. 1965 અને 1971નાં યુદ્ધ ઉપરાંત અનેક ઉપદ્રવો કરીને શાંતિવાર્તાની વાત પણ પાકિસ્તાને જ કરી છે. તાજો જ દાખલો હુમલો ન કરવાનું કહીને પૂંછ પર હુમલો કર્યાનો છે. ભારતે જવાબી કાર્યવાહી કરીને ફતેહ મેળવી છે, પણ આમ વગર યુદ્ધે જવાનો શહીદ થતા રહે કે આતંકીઓ છાશવારે ત્રાટકતા જ રહે, એના કાયમી ઉકેલ અંગે ભારતે વિચારવું જોઈએ.
એ ખરું કે ભારત યુદ્ધ નથી ઇચ્છતું, પણ પાકિસ્તાન વગર યુદ્ધે પણ યુદ્ધ જેટલું જ નુકસાન ભારતને પહોંચાડી ચૂક્યું હોય, ત્યારે ભારતે લાંબા ગાળાનો કોઈ સ્વસ્થ નિર્ણય લેવો જોઈએ. આતંકીઓને ઉછેરનાર પાકિસ્તાન પોતે તેમને જેર કરે એ શક્ય જ નથી. બીજી તરફ નામચીન ચીન પણ તેની જાત બતાવતું જ રહે છે. તે પાકિસ્તાન તરફી હોવાનો દેખાવ તો કરે છે, પણ હકીકતે તે કોઈનું થયું નથી ને થવાનું નથી. બબ્બે દુ:શ્મનો માથે રાખીને ભારત ઉજાગરા કરતું રહે, તેને બદલે પાકિસ્તાનને કાયમી ધોરણે ધૂળમાં મેળવી શકાય કે કેમ એ અંગે ભારતે વિચારવું જોઈએ.
લાગે છે એવું કે આ વખતે ભારત એરસ્ટ્રાઈક કરીને જ અટકી જાય તેમ લાગતું નથી. ગુરુવારે સવારે ભારતે પાકિસ્તાનનાં લાહોર, કરાચી અને રાવલપિંડીમાં સ્થાપિત HQ-9 એર ડિફેન્સ સિસ્ટમ ખતમ કરી છે. ભારતે આ હુમલા માટે ઇઝરાયલી હેરોપ ડ્રોનનો ઉપયોગ કર્યો હતો. આ લખાય છે તે દરમિયાન ભારતે પાકિસ્તાનના રાવલપિંડી સ્ટેડિયમ પર ડ્રોન હુમલો કર્યાના સમાચાર છે. સામે છેડે પાકિસ્તાન પણ દાવો કરી રહ્યું છે કે પાક સેનાએ જમ્મુ અને કાશ્મીરના બટ્ટલ સેક્ટરમાં ચોકીઓ પર હુમલો કરીને 12 ભારતીય સૈનિકોને મારી નાખ્યા છે. જો કે, આ દાવાને ફેક બતાવાઈ રહ્યો છે. ભારતીય કર્નલ સોફિયા કુરેશીએ જણાવ્યા મુજબ પાકિસ્તાને ભુજ સહિત 15 શહેરોમાં હુમલા કર્યા છે, જેને ભારતે નિષ્ફળ બનાવ્યા છે. વાત તો રાજસ્થાનનાં ત્રણ લશ્કરી ઠેકાણાં પર પાકિસ્તાને હુમલો કર્યાની પણ છે. બીજી તરફ, પાકિસ્તાનના પંજાબમાં કટોકટી જાહેર કરાઇ છે ને રવિવાર સુધી શાળા, કોલેજો ને યુનિવર્સિટીઓને બંધ રાખવાનો આદેશ અપાયો છે.
એટલું છે કે નવ દેશોએ તેમના નાગરિકોને ભારત-પાક ન જવાની સલાહ આપી છે, તો અમેરિકાએ તેના નાગરિકોને લાહોર છોડવાની તાકીદ કરી છે. આ બધાં પરથી એંધાણ સારાં લાગતાં નથી. પાકિસ્તાની વડા પ્રધાન શાહબાઝ શરીફે ટી.વી. પર જનતાને સંબોધતાં કહ્યું છે કે ભારતે આ હુમલાની કિંમત ચૂકવવી પડશે. પાકિસ્તાનની રક્ષા માટે અમે છેલ્લા શ્વાસ સુધી લડીશું. પાક રક્ષા મંત્રી ખ્વાજા આસિફે બે દિવસ પર જ કહી દીધું છે કે ભારત આ મામલાને આગળ વધારશે ને ન્યુક્લિયર વોર તરફ જવાનું થશે તો તેની જવાબદારી ભારતની હશે.
ન્યુક્લિયર વોરની તો ખબર નહીં, પણ બંને દેશો યુદ્ધ તરફ ધકેલાઈ રહ્યા હોય તેમ લાગે છે. હવે યુદ્ધ જ્યારે તોળાઈ જ રહ્યું છે, ત્યારે ભારતે બે લક્ષ્ય સિદ્ધ કરવાનાં રહે. એક, આતંકીઓનો પૂરો સફાયો ને બે, પી.ઓ.કે.નો સંપૂર્ણ કબજો. આ લક્ષ્યો સિદ્ધ ન થાય ત્યાં સુધી આરપાર લડી લેવાનું. વર્ષોથી થતી આ પજવણી હવે તો બંધ થવી જ જોઈએ …
000
e.mail : ravindra21111946@gmail.com
પ્રગટ : ‘આજકાલ’ નામક લેખકની કટાર, “ધબકાર”, 09 મે 2025