ગાંધી પોકારે છે, આપણે સાંભળીશું?
મનુષ્યમાં રહેલી સારપને બહાર કાઢવા અને તેના આત્માના વિકાસ માટે ગાંધીજીએ ચિત્તશુદ્ધિને અનિવાર્ય ગણી
ગાંધીજીના જીવનકાળની લગભગ દોઢ સદી બાદ તેમના વિશે કંઈ મૌલિક કહેવાનું અતિશય મુશ્કેલ છે. કારણ ઘણું લખાયું અને બોલાયું છે. પણ સ્મૃિતયોગ્ય કાળ અને ગાંધીજી જેવા મહાન આત્મા વિશેની આપણી સહિયારી સમજને સમયાંતરે વાગોળતા રહીએ, તો સ્વસ્થ સમાજનવરચનાની અવિરત પ્રક્રિયાને સાચી દિશા મળે. વૈશ્વિક સ્તરે એક સ્વીકૃતિ બની છે કે મનુષ્ય પ્રજાતિએ પોતાના સમગ્ર અસ્તિત્વકાળમાં છેલ્લા શતકમાં અજોડ ભૌતિક સુવિધાઓ ઊભી કરી છે. એ માટે સક્ષમ સાબિત થયેલા વિજ્ઞાન અને ટેકનોલોજીથી આવનાર સમયમાં તમામ મુશ્કેલીઓ પણ હલ કરી શકાશે તેવો અંહકાર વ્યાપક બન્યો છે. ઉપરાંત એ અહેસાસ પણ તીવ્રતાથી કરાવાઈ રહ્યો છે કે વ્યક્તિથી દેશ સુધી કોઈ પણ સ્તરે ભૌતિક સમૃદ્ધિ – સુખાકારી હાંસલ કરવા માટે સાધનશુદ્ધિ આવશ્યક નથી.
૨૨-૧૦-૧૯૨૫ના 'યંગ ઇન્ડિયા'ના એક અંકમાં ગાંધીજીએ ‘એક ગોરા મિત્ર’ના પત્રનો ઉલ્લેખ કરી, તેમણે ગણાવેલાં સાત સામજિક પાપો અંગે બુદ્ધિથી આગળ જઈ મનોમંથન કરવા વાચકોને સૂચવ્યું હતું. તે હતાં ઃ સિદ્ધાંતવિહીન રાજનીતિ, શ્રમવિહીન સંપત્તિ, નીતિવિહીન વ્યાપાર, ચરિત્રવિહીન શિક્ષણ, માનવતાવિહીન વિજ્ઞાન, વિવેકવિહીન વિલાસાનંદ, અને ત્યાગવિહીન પૂજા. વિધિની વક્રતા છે કે આજે આ સાતે સામાજિક પાપો સમાજમાં પ્રચૂર માત્રામાં સામાજિક મંજૂરી સાથે આચરવામાં આવી રહ્યાં છે. પરિણામે પામી ગયેલાનો નાનકડો વર્ગ અને રહી ગયેલાનો મોટો વર્ગ – એમ સંપૂર્ણ માનવતા ઝડપથી વહેંચાઈ રહી છે. વિગ્રહના એંધાણ છે. ગાંધીજીની જીવનયાત્રા દરમિયાન નીતિમત્તા અને પારદર્શિતાના આભામંડળમાં સામાન્ય માણસ પણ અનીતિ કરતાં શરમાતો હતો. ગાંધીજીની અનુપસ્થિતમાં સંકોચ અનુભવ્યા વગર ગૌરવભેર તેમની વાતની અભિવ્યક્તિ અને તેને વ્યક્તિગત સ્તરે આચરણમાં લાવવાનો સંકલ્પ જ આપણને કર્તવ્યપરાયણ બનાવશે.
ગાંધીજી વિશે જાણવા બહુ શોધખોળની જરૂર નથી. ગાંધીજીની આત્મકથા, જેને તેમણે ‘સત્યના પ્રયોગો’ તરીકે ઓળખાવી છે, એના આધારે કહી શકાય છે કે તેઓ એક સામાન્ય પુરુષ જ હતા. સંકલ્પ, તપ, સાધના સાથે અંગત અને જાહેર જીવનમાં સાધનશુદ્ધિ દ્વારા તેઓ અાધ્યાત્મિક અને સામાજિક ઊંચાઈ પર પહોંચ્યા. અસામાન્ય સિદ્ધિઓ છતાં પોતાની મર્યાદાઓ વિશે તે સભાન હતા. ‘મારા ભૂતકાળના જીવન ઉપર દૃષ્ટિ નાખતો જાઉં છું, તેમ તેમ મારું અલ્પપણું હું શુદ્ધ રીતે જોઈ શકું છું. મારે જે કરવું છે, જેની હું ૩૦ વર્ષ થયા ઝંખના કરી રહ્યો છું, તે તો આત્મદર્શન છે, તે ઇશ્વરનો સાક્ષાત્કાર છે, મોક્ષ છે … અને મારું રાજપ્રકરણી ક્ષેત્રની અંદર ઝંપલાવાવું પણ એ જ વસ્તુને આધીન છે'. (આત્મકથાની પ્રસ્તાવના) અંતમાં તે લખે છે, 'જે માપથી હું મારું પોતાનું માપ કરવા ઇચ્છું છું અને જે માપ આપણે બધાએ પોતપોતાને વિશે વાપરવું જોઈએ, તે પ્રમાણે હું અવશ્ય કહું કે, ‘મો સમ કોન કુટિલ ખલકામી / જિન તિનુ દિયો તાહિ બિસરાયો / એસો નિમકહરામી.’
આ સામાન્ય પુરુષની અસામાન્યતા શું? ઇંગ્લેંડના અભ્યાસકાળથી જોયેલી પશ્ચિમની દુનિયાએ ત્યાંનો માનવી બુદ્ધિબળે વિજ્ઞાન અને ટેક્નોલોજીનો આશરો લઈ મુખ્યત્વે શારીરિક અને ભૌતિક સુખાકારી અને કલ્યાણની દિશામાં અગ્રેસર હોવાની પ્રતીતિ કરાવી. તેનાં નકારાત્મક પાસાં — લોભ, કામ, મત્સર, અનુરાગ, ક્રોધ–માં વધારાની સાથે હિંસક અને વિધ્વંસક બળો વધતાં માનવીય મૂલ્યોનો થતો હ્રાસ છે. અહિંસક સમાજનું સ્વરૂપ જણાવવાના હેતુથી તેમણે ૧૯૦૯માં ‘હિંદ સ્વરાજ’ લખ્યું. દક્ષિણ આફ્રિકામાં રંગભેદની નીતિ સામે ચાલતા આંદોલન દરમિયાન માનવીય મૂલ્યોમાં વિશ્વાસ ધરાવનારા લોકોનો મેળાપ અને એ શક્તિનું અહિંસાના માર્ગે પ્રાગટ્ય થયું. મનુષ્યમાં રહેલી સારપને બહાર કાઢવા અને તેના આત્માના વિકાસ માટે ગાંધીજીએ ચિત્તશુદ્ધિને અનિવાર્ય ગણી. ચિત્તશુદ્ધિના પ્રયોગ સમૂહજીવનમાં થાય અને તેના માટે આશ્રમો સ્થાપી તેમાં રચનાત્મક કાર્યો ગોઠવ્યાં. અન્યાયી તંત્રને બદલવા અહિંસક સત્યાગ્રહ કર્યો.
૧૯૧૫માં, આજથી ૧૦૦ વર્ષ પહેલાં, બૅરિસ્ટર મોહનદાસ કરમચંદ ગાંધી મહાત્મા સ્વરૂપે દક્ષિણ આફ્રિકાથી ભારત પરત આવ્યા. દેશમાં ચાલી રહેલા સ્વતંત્રતા આંદોલનમાં જોડાયા. દેશવાસીઓને પોતાનાં વાણી, વ્યવહાર અને કાર્યક્રમ વડે માનવસમાજની દિશા વિનાશાત્મક હોવાનું સમજાવ્યું. આ વાતને બે વિશ્વયુદ્ધોએ સમર્થન આપ્યું. ગાંધીજીએ દેશની આઝાદી અને પરિવર્તન માટેનો રાહ સુઝાડ્યો. વ્યક્તિસ્તરે ચિત્તશુદ્ધિની વાત મૂકીને આશ્રમોમાં તેના અભ્યાસની તક ઊભી કરી. સમગ્ર દેશમાં રચનાત્મક કાર્યો ગોઠવ્યાં. અંગ્રેજોને હાંકી કાઢવા અહિંસક સત્યાગ્રહો કર્યા. દેશને આઝાદી મળી, પરંતુ આપણે સૌ ગાંધીજી અને તેમના સાથીદારોની ઊંચી નૈતિકતા ભૂલ્યા અને ચાલ્યા એ જ માર્ગે જેની સામે ગાંધીજીએ ગંભીર ચેતવણી ઉચ્ચારી હતી. આતંકવાદ, ભ્રષ્ટાચાર અને હિંસાના આજના માહોલમાં ગાંધીજીની વિચારસરણી કેટલી પ્રસ્તુત? અરે! બાપુએ તો સમગ્ર જીવન, અને મૃત્યુ પણ, વ્યક્તિ, સમષ્ટિ અને પ્રકૃતિ સાથે સંવાદિતા સાધવાની તપસ્યામાં વિતાવ્યું. આપણે એમને પૂરેપૂરો છેહ દીધો છે.
ગાંધીજીએ બ્રિટિશ સંસદને વેશ્યા અને વાંઝણી કહી હતી. આજે આપણે ત્યાં જમીન, જંગલ, ખનીજ, પાણી અને સરકારી સત્તા દ્વારા વેપાર કરી શકાય એ બધાની ધૂમ દલાલી ચાલે છે. ધન, સત્તા, બાહુબળ, અને એ સર્વે મેળવવા-જાળવવામાં છળને મળેલી સમાજસ્વીકૃતિનાં પરિણામ હિંસા, ભ્રષ્ટાચાર, અત્યાચાર અને બળાત્કાર જ હોઈ શકે. સામાજિક ક્ષેત્રે આ તમામ પરિબળો જ્ઞાતિવાદ અને કોમવાદને વકરાવી હિંસા ફેલાવી રહ્યાં છે. બહુધા બૌદ્ધિકો કાં તો પશ્ચિમી વિચારસરણી અને જીવનદર્શન પર આફરીન થયા છે, કાં તો વેચાઈ ગયા છે. સંવેદનહીન બનેલા તેઓ માનવીય અને તેથી નૈતિક પાસાંને ખતમ કરનારાં પરિબળો સાથે ભળીને નર્યા ભોગવાદમાં લિપ્ત થઈ રહ્યા છે. પ્રકૃતિ પર વિજ્ઞાન અને ટેક્નોલોજીની મદદથી સંપૂર્ણ અંકુશ રાખી ભૌતિક સમૃદ્ધિની રેલમછેલ માણી શકાય, તેમ માનનાર આ વર્ગ નવા ગ્રહો-ઉપગ્રહોને સર કરી ત્યાંનાં સંસાધનોનું શોષણ કરવા સંસ્થાનો કરવાનું સ્વપ્ન જોઈ રહ્યો છે!
પણ શાણો અને અહિંસક સમાજ બનાવવાની ખેવના હજી સંપૂર્ણ મરી પરવારી નથી. સંયુક્ત રાષ્ટ્રસંઘના વર્ષ ૨૦૦૭ની બીજી ઓક્ટોબરને વિશ્વ અહિંસા દિવસ તરીકે મનાવવાના ઠરાવને સ-નમન અને સ-મન સ્વીકારીએ. ચિત્તશુદ્ધિ દ્વારા વ્યક્તિને બદલીએ. તંત્રપરિવર્તનની દિશામાં આ પહેલું પગલું છે. આ તપસ્યા વધે તો જીવનશૈલી સાદી થશે, નવાં રચનાત્મક કાર્યો ગોઠવાશે. નવી વ્યવસ્થાઓમાં ઓછી ઊર્જા વાપરીશું તો આપમેળે ગ્લોબલ વૉર્મિંગનું સંકટ ઓછું થશે. સ્થૂળ અને સૂક્ષ્મ હિંસાના ક્ષય માટે શોષણમુક્ત સમાજ પૂર્વશરત છે. આપણે એ પણ ભૂલી ગયા કે ખાદી એ માત્ર વસ્ત્ર નથી, પર્યાવરણની જાળવણી માટેનું યોગ્ય પરિધાન છે. છતાંય પ્રતિકૂળ પરિબળો અડચણો ઉપસ્થિત કરશે તો નવા સત્યાગ્રહોના મંડાણ કરવા પડશે. ગાંધી જયંતી નિમિત્તે એ મહામાનવ માટે માનવતાની શ્રદ્ધાંજલી આ જ હોઈ શકે.
સૌજન્ય : ‘ગાંધીમાર્ગ’, “દિવ્ય ભાસ્કર”, 02 અૉક્ટોબર 2015